‘ગુજરાત દિન’ની ઉજવણી પ્રસંગે વક્તવ્ય.

ગુજરાતી સમાજ, હ્યુસ્ટન દ્વારા ઉજવાયેલ ‘ગુજરાત દિન’ની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આપેલ વક્તવ્યની રજૂઆત.

ગુજરાતી સમાજના આભાર સાથે આનંદપૂર્વક..

નજરુંના ગોખે

તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે.

તરંગ-ઝરૂખે જે ઝુલતાં’તાં ગીત હવે, નજરુંના ગોખે  ઝીલાવે.

કોરી કલમને કંકુમાં બોળી

રક્તભરી આંગળી ઝબોળી

સોળ સોળ મોસમની ભેગી રંગોળી

આથમણી કોરની સેંથી પૂરાવે

આજ નભનો નઝારો સજાવે…નજરુંના ગોખે ઝીલાવે..

છપ્પર ફાડીને લઈ લેતો કીમિયાગર

ગબ્બર ગોખેથી દઈ દેતોયે જાદૂગર

સરવર સમ છલકાવે તનમન

ચાહે શું કોઈ કૈં, એથી વધારે?

રંગીન ફુવારે ભીંજાવે…સાંજ  આજ અંતર ઉજાસે…

તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે..

–દેવિકા ધ્રુવ

મે 2023

રસદર્શનઃ ૨૯ઃ જયશ્રી મર્ચન્ટ

મારી ગઝલોના રસાસ્વાદ અંગે જયશ્રી મરચન્ટના આભાર સાથે...

‘આપણું આંગણું’ ના સૌજન્યથી સાભાર….

વિચારું છું….!

વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું.

નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.

જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.

કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.

નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.

                             — દેવિકા ધ્રુવ

આસ્વાદઃ  જયશ્રી વિનુ મરચન્ટ

“વિચારો, વિચારો અને આ વિચારો
 થયાં કોઈનાં ક્યાં સગાં આ વિચારો?”

આ વિચારોની સાથે પોતાપણું જોડવું કે ન જોડવું, એ નિર્ણય કદી આપણો નથી હોતો. શ્વાસોની જેમ જ, જીવતે જીવ વિચારો, – સારા કે ખરાબ, ખરા કે ખોટા, -આજીવન આવતા જ રહેવાના છે.  વિચારો સાથે એક જાતની સંવાદિતા મન અને આત્મા જો સાધી શકે તો એ વિચારો ફળદાયી નિવડે છે પણ માણસનું મન એટલું અવળચંડું છે કે વિસંવાદિતાના ઘેરાવામાં અજાણે જ ઘેરાઈને પોતા માટે જ દ્વિધા અને વ્યથા ઊભી કરવાનું એને ગમતું હોય છે! માણસના મનમાં ટેકનીકલર ફિલ્મ સમા ચાલતા આ વિચારોમાં મિથ્યાપણું કે તથ્ય છે, એ નક્કી કરવું સહેલું નથી. મિથ્યાપણામાં લિપ્ત થવું, એ ઢાળ ઊતરવા જેવું છે. એકવાર એ ઢાળની છંદે ચઢી ગયાં, તો પછી “શતમુખ વિનિપાત છે નિર્મેલો…!”. પણ, એના પહેલાં, જો પોતાને સંભાળીને, સ્વચ્છંદી વિચારો પર આધિપત્ય સ્થાપીને વિચારીએ, કે, “મારાથીયે કાબેલ અને ઊર્ધ્વગામી અભિગમ રાખનારાં અનેક છે” ત્યારે જ સમજાય છે કે આપણે ખુલ્લાં મનથી ખુદાની ખુદાઈને જોઈને જાણવી આવશ્યક છે ,એ સમજવા કે આપણે કંઈ જ નથી.
અહીં ફરાગ રુહવીનો એક શેર યાદ આવે છે.

“મુઝ કો થા યે ગુમાં કિ મુઝ હી મેં હૈ એક અદા
  દેખી તેરી અદા તો મુઝે સોચના પડા ..!”

સત્ય અને તથ્યની એરણ પર જીવનની ઘટનાઓને, એના પર આવતા વિચારોને કસવાની વાત કવયિત્રી કરે છે. તો, એનું હાંસિલ શું, એનો જવાબ પણ ઈશાવાસ્યવૃત્તિથી, આપતા કહે છે કે જિંદગી વિચારોની માયાજાળ બિછાવે છે. પણ, સંભાળજો, એમાં ફસાયા તો ઘસાયા! આથી બહેતર તો એ છે કે, આ ભ્રમિત કરતાં વિચારોને વિસારી દેવા.       

આપણી જિંદગીની ગતિના અવરોધક પણ આપણે અને સારથી પણ આપણે જ છીએ. નકામા, અને વિરોધાભાસી – Conspiracy-ના વિચારવમળમાં, વહી પણ જવાય અને સમજણપૂર્વક રોકવા હોય તો રોકી પણ શકાય. અહીંયા, મનોભૂમિના કુરુક્ષેત્રમાં યોદ્ધા પણ આપણે જ અને સારથી પણ આપણો આત્મા જ છે. વિચારોમાં સમજણ અને સમભાવનું સાયુજ્ય કેળવાય, ત્યારે જ મન અને આત્મા દ્વૈત ન રહેતાં, અદ્વૈતની સફર પર નીકળી પડે છે. અને તે ઘડીએ નર અને નારાયણ એક બની જાય છે.

ચતુઃશ્લોકી ભાગવતમાં શ્રીકૃષ્ણ કહે છે એમ, “સત્ અને અસત્ કે પછી અ-ક્ષર અને ક્ષર બંને મારી માયાના સ્વરૂપ જ છે.” આ જગતમાં જે પણ ચર-અચર છે એમાં નારાયણ જ વસે છે. સ્થૂળ દ્રષ્ટિએ તો આપણે આ જગતમાં વસીએ છીએ, જેને શ્રી હરિએ જ બનાવ્યું છે. પણ આ જગતના કણકણમાં હરિનો જ નિવાસ છે. જો અણુએ અણુમાં એનો જ અંશ છે, અને, આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે, તો, એ હિસાબે શિવનો વાસ દરેક જીવમાં છે. આપણા શરીરના રોમરોમમાં જ સમષ્ટિ, – કે જે પરમાત્મા સ્વયં છે – એનો જ વાસ છે. અહીં ફરીથી એ જ, દ્વૈત અને અદ્વૈતના ફરકને Conceptulaize – પરિકલ્પના કરીને કવિ કહે છે કે, આ બધું ખબર છે છતાં પણ, દ્વૈતભાવ હાવી થતાં જગત અને જાત એકમેકમાં ઓગળી નથી શકતી. અને બેઉ વચ્ચેનો ફરક તો આભ અને ધરતી જેમ ઉપસી આવે છે. અહીં યાદ આવે છે, “શૂન્ય” પાલનપુરી.
“તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા
 કરે છે તુ પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી” 

કવયિત્રીએ એક પ્રકારના Trans State of Mind માં આ ગઝલના આ બે શેર લખ્યા છે-

“કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.


હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.”

ઉપર ને ઉપર, આભને આંબી જવાની આપણે કેટલીયે મહત્વાકાંક્ષા રાખીએ તો પણ, ઊડાન પૂરી થતાં, આ ધરતી પર તો આવવું જ પડે છે, બિલકુલ આભમાં ઊડતાં પંખીને જેમ દિવસભર આભમાં ઊડી ઊડીને અંતે ધરતી પર ઊગેલાં વૃક્ષ પરનાં માળામાં આવવું જ પડે છે. આકાશને આંબતી ઊડાન ભરો તો ભલે, પણ નીચે, ધરતી પરના કોઈ એક વૃક્ષ પર વિસામા માટે એક માળો રાખજો. કારણ,  આકાશની ઊડાન પણ શાશ્વત નથી. હા, એ સમજાય તો છે, પણ, એક પ્રકારનો અંતરનો અજંપો મનને જંપવા પણ ક્યાં દે છે? ક્યારેક એવુંય થાય છે કે આ ભવની નદીમાં, સાગર સુધી પહોંચવામાં નાવના અવલંબનનીયે જરૂર શું કામ? આપણે પણ મસ્તીમાં કંઈ પણ ઉપકરણ વિના ઊડતાં પંખીની જેમ, જીવતરની નદીને, નૌકા કે હલેસાં વિનાં જ પાર કરી જઈએ! ત્યારે એ ભૂલી જવાય છે કે આ ભવની નદીનું વહેણ પણ નશ્વર છે. એક મુદ્દત સુધી તો નીર વહે છે, પછી સાગર તરફ ધસમસતી નદીનું આયુષ્ય પૂરૂં થતાં વહેણ સૂકાય છે અને ત્યારે સમજાય છે કે ઈશ્વર ખુદ સાગર બનીને આપણા અંતરમાં જ તો ઘૂઘવી રહ્યો છે…! અહીં ગઝલ પરમતત્ત્વની સમક્ષ પલાંઠી વાળીને, “ઓમ”ના ધ્યાનમાં બેસી જાય છે. આના પછી, ઊર્ધ્વગામી બની ગયેલી આ ગઝલના અર્થોને કોઈ શબ્દોમાં આગળ ઢાળી શકવા શક્ય નથી.

ગઝલના મક્તા સુધી આવતાં, કવિ એક એકરાર કરી લે છે, સર્વથી શરૂ થયેલી ‘ક્ષર’ સફરમાં, અંતે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધીને, ‘અ-ક્ષર’માં પોતાને ઉતારવાની વાત કરે છે

 “નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
  જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.”

આમ, ‘ક્ષર’ વજૂદને ‘અ-ક્ષર’માં ઉતારવાની આ યાત્રાના મૂળમાં રહેલા અદ્વૈતનો કવયિત્રી અંતે પોતાના અંતરમનમાં “અહમ્ બ્રહ્મોસ્મિઃ” સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે. દેવિકાબેન ધ્રુવ એ ડાયસ્પોરા સાહિત્યમાં એવું નામ છે કે જેને ચાતરી ન જ શકાય. એમની ગઝલોમાં છંદની ચુસ્તતા અને શબ્દાર્થની જુગલબંધીની મજા અલગ જ હોય છે. આ આખી ગઝલમાં જે વિરક્તિ છે તે અનાયાસે આવી હોવાથી પોતાના અર્થો ભાવક પાસે પોતે જ કરાવી લે છે.  દેવિકાબેનની કલમની આ છૂપી તાકાત છે. એમની પાસેથી ગુજરાતી ભાષાને ખૂબ અપેક્ષા છે. બસ, મને એટલી તો ખાતરી છે જ કે આવા સુંદર કાવ્યો એમની પાસેથી સદાય મળતાં રહેશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દેવિકાબેન.  

—જયશ્રી મરચન્ટ

સમયની કરચલીઓ

સમયની કરચલીઓ

કરચલીઓમાં સળ

સળમાં પડતાં વળ

વળમાં ગૂંચવાતાં તું અને હું.

હું મહીં અહંકાર ને

અહંકારથી બધે અંધાર.

અંધાર મહીં જ વીતે રાત

રાત પછી તું ઉઘાડે દિવસ, જગાડે સૂરજ

સૂરજ કરે સવાર, બપોર ને સાંજ, ફરે સૂરજ.

સૂરજ ફરે? ના, ના. પૃથ્વી..પ્રકૃતિનું ભ્રમણ. દિવસ ને પછી રાત.

રાતની અવિરત લીલા.

લીલા કોની? વિસ્મય! સમય?

સમયની કરચલીઓ.

A Special Treasured Day at St. Stephen’s High School of Austin..

A Special Treasured Day at St. Stephen’s High School…

Indeed, it was a very special day and a new experience on Grandparent’s Day.  We felt honored to spend the time from morning till afternoon sitting with the high school students at St. Stephen’s School.

On March 24th, we had reached St. Stephen’s at 7:30 as per the invitation from the school.  An air of discipline struck upon entering the high school.  The arrangements from the parking lot to the back of the school were remarkable.

First of all, walking into the courtyard, we were greeted with music and instruments.  The auxiliary committee was present at registration table to hand us nametags and labels.  We also received a small booklet showing the schedule of the program.  Photographers were ready with decorated background of photos with the grandkids.  Then everyone was directed to the breakfast hall.

After the initial registration, everyone had to go to the classes.  We grabbed the chance to visit the library as that is my first choice! It was very well organized.  There was a table for “Book Fair” which was well attended.  I was looking for some poetry books and was overwhelmed to find an entire section of world poets!! I could not control the urge to capture a picture there.  I was much delighted to see books of poetry from Pablo Neruda to several accomplished poets from around the world. 

Soon after we were walking toward the Chapel and I found a surprise!  A very large painting of Krishna Radha was seen on the wall in the lobby of light pastries area which reflected the aim of oneness of world religion called “Sarvadharm Sambhav” in Sanskrit.  So happy to think that a pulse (heartbeat)  of all other countries’ culture is present in an American high school.

Next was the actual visit to the Chapel.  They welcomed all grandparents with very appropriate words of warmth, followed by the Arabian song with instrumental music.  The instructor’s expressions, gestures and directing hands were very harmonious and tuneful with the soft to loud music.  There was then the reading of “My Grandfather’s Blessings” which was very inspirational.  The session was complete with collective prayers.

Everyone then had to go to class with the grandchildren.  The first class was Latin in which a part of an article about Julius Caesar’s death was taught along with explanations of Latin words.  During that time, natural recollections of the classes from 50-55 years ago popped up in my mind.

Next class was Graphic Design. That was more interesting because it was in harmony with the present Technology and the truth of all joy is ‘today’, not yesterday! The next  was English Literature class. It consisted of inferences from the cover of an English novel, name “The Catcher in the Rye by J.D. Salinger. and an analysis of the plot of a previously read chapter. Being a private school, there was only a class of few students so personal attention given by the teacher and the involvement of the students was noticeable. The joy of being a student once again was very evident on the faces of each grandparent.

At 12:30 lunch time, we had delicious lunch with all. Since the school is very big, facilities for rides in golf carts were kept at the site so that the grandparents are relieved from walking too much. In between, we got a chance to meet and talk to the teachers and the principal also. Thus, the whole day was full of glorious joy. The entire atmosphere and event were truly admirable, noteworthy and inspiring. We observed everywhere; discipline, politeness and humbleness of students, volunteers and in all staff members. We appreciate that a lot.

Heartiest congratulations and best wishes to St. Stephen’s School. We were fully satisfied  with great pride to celebrate the day with our precious GK, Vishal Dhruva and his Latin teacher – Mr. John Rocklin, Graphic Design teacher- Ms. Michelle Avery and English Teacher – Dr. Cordelia Ross.  It was really one of the memorable events.

March 28, 2023

રસદર્શનઃ ૨૮ઃ સપના વિજાપુરા.

ગઝલઃ સ્મરણો લાવશેઃ સપના વિજાપુરા

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી, તારા જ સ્મરણો લાવશે.

સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

—સપના વિજાપુરા 

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મૂળ મહુવાના અને હાલ અમેરિકાસ્થિત સપના વિજાપુરા એક જાણીતાં કવયિત્રી છે. પ્રસ્તૂત ગઝલ દ્વારા તેમણે સ્મરણોની શેરીમાં સ્હેલ કરાવી છે.

સ્મરણોની તો વાત જ ન્યારી. આમ જુઓ તો દરિયાકિનારે વેરાયેલાં છીપલાં જેવાં. તેનું મૂલ્ય કશુંયે નહિ છતાં પણ ખૂબ અમોલાં, મહામોંઘા! સ્મરણો ગમે તે સ્થાન,વસ્તુ કે વ્યક્તિના હોઈ શકે. પ્રથમ શેરમાં અહીં ‘પ્રિય’ શબ્દ દ્વારા સ્પષ્ટતા થઈ જ જાય છે કે આ સ્મરણો તો મીઠાં, મધુરાછે. કારણ કે, એ પ્રિય પાત્રનાં છે, ગમતી વ્યક્તિનાં છે. એને કાર્ય કે કારણો સાથે કાંઈ જ સંબંધ નથી. એ તો બસ આવે છે, એમ જ. તે પણ ક્યાં ક્યાંથી અને કેવી કેવી રીતે આવી શકે છે? કવયિત્રીએ નરી સાહજિકતાથી કુદરતને આમાં જોડી દીધી છે. એ કહે છે કે, શીતળ અને સુગંધિત પવન હોય કે નાજુકડા ફૂલ પરનું ઝાકળનું બિંદુ હોય પણ પ્રકૃત્તિના એ તત્વો પણ તારી જ યાદ લઈને આવશે.

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે, ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

એટલું જ નહિ, આગળના બે શેરમાં ચાંદની રાત, સાંજના અજવાળાં, નિર્મળ નદીના નીર, તડપતા અને ભીંજાતા ચકોરને પણ નજર સામે ધરી દીધાં છે, એકલતાની ભીડમાં આ કેટલા બધાંને આંખમાં ભરી દીધાં છે! પંખીઓનો કલરવ પણ કેવો? સાથે ગાયેલાં પ્રેમના ગીતોને યાદ કરાવે છે. એ પતંગિયાની જેમ ઊડીને એક ડાળેથી બીજી ડાળે ઊડવા માંડે છે. સાથે સાથે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ, બીજી અનેક યાદોને તાજી કરતી જાય છે. સ્મરણોના આવા અંકોડાનું વિસ્મય છેક પેલા ઊર્દૂ શેર સુધી નથી લઈ જતા?!

“યાદે ફલક મેં આજ કોઈ યુઁ આ ગયા હૈ, કિ માહોલ માયુસી કા હર તરફ છા ગયા હૈ l

ચોથા શેર સુધી કોના અને કયા સ્મરણનો આ ભાવ છે તેનો ઘટસ્ફોટ થતો નથી. કવયિત્રીને ઘણું બધું કહેવું છે પણ મોઘમ મોઘમ ઈશારા ચલાવે છે. ખુલીને કે ખીલીને અભિવ્યક્તિ કરવાને બદલે ભાવક પર છોડી દીધું છે એમ લાગે. પણ પાંચમાં શેરમાં ગઝલની નાયિકા દ્વારા યોજાયેલ પ્રિતમ શબ્દ પેલા ઊર્દૂ શેરને પૂરવાર કરે છે. એ  ખુલેઆમ  પ્રિતમની અને પ્રેમના સ્મરણની વાત કરે છે કે,

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણી વાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃદ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુદ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

એક મઝાનું ભીનું ભીનું રોમાંચક દૄશ્ય ઊભું થાય છે. ઉછળતો દરિયો, એનાં મોજાં, કિનારાની રેતી પર બેઠેલ યુગલ, રેતી પર લખાતું એકમેકનું નામ, પંખીઓના કલરવ સમા મધુર સ્નેહના ગીતો, ભરતી પછીની ઓટ, અંતે રેતીની જેમ સરી જતો સમય અને હાથમાં રહી ગયેલાં છીપલાં જેવાં માત્ર ને માત્ર સ્મરણો.. અહીં છૂટા પડ્યાની એક ઊંડી ટીસ સંભળાય છે!

સરળ શબ્દોમાં ઘેરા ભાવો ઉઘડે છે. આંખોમાં દર્દનો દરબાર ભરાયો છે અને એમાં છે સ્મરણોનો રાજ્યાભિષેક! અને તે પછી હજી રાહ છે. કોની? ના…પ્રિતમની નહિ. જે વેરાન થઈ ગઈ છે તે નીંદની. આંખ પળભર મળવાની રાહ છે. હકીકતમાં સૂવાની માનસિક તૈયારી નથી. એને તો થાય છે કે આંખ મળે તો સપના આવે અને સપનામાં તું આવે તો પછી, એ પણ તારા જ સ્મરણો લાવશે. દૂર દૂર સુધીની યાદોના સાગરમાં ડૂબવાની ખ્વાહીશ છે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

કવયિત્રીના નામને સાર્થક કરતો ભાવભીનો મક્તા ગઝલને યથાર્થતા બક્ષે છે. આમ જોઈએ તો ગઝલ સાદ્યાંત સ્મરણોને જ વાગોળે છે પણ ખુબી એ છે કે, એ ઝાઝુ કશું કહ્યા વિના ઓછા રૂપકોમાં મનનું દર્પણ અને સ્મરણોનું સમર્પણ ધરી શક્યાં છે. એકાદ સ્થાને થયેલ છંદદોષને બાદ કરતા, ગઝલ આસ્વાદ્ય બની શકી છે. સપના વિજાપુરાને અભિનંદન સાથે અનેક શુભેચ્છા.

—-દેવિકા ધ્રુવ

રસદર્શનઃ ૨૭ઃ જયશ્રી મર્ચન્ટ

૧. ગઝલઃ …કેટલું!…. જયશ્રી મરચંટ

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?

કોણ લઈ જાય છે સાથમાં કેટલું?
લોક જો, ઊઠતું જાય છે, કેટલું?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

  • જયશ્રી વિનુ મરચંટ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય-જગતમાં ચારેકોર છવાયેલ, અમેરિકાસ્થિત જયશ્રીબહેન મર્ચન્ટની ઓળખ કોઈનાથી અજાણી નથી. ગાલગાના ૪ આવર્તનોમાં રચાયેલ આ ગઝલ ‘કેટલુ!’ના આશ્ચર્ય ચિન્હ સાથે જ વિસ્મય અને રહસ્યનાં અકળ વિશ્વ તરફ તેઓ વાચકને અવશપણે ખેંચી જાય છે.

અદભૂત મત્લાથી કવયિત્રી શરૂ કરે છે,

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

આહાહા. આ ફૂટવા,છૂટવાની સાથે જ અર્થોના વિવિધરંગી પડદાઓ મનના મંચ પરથી સરવા માંડે છે. ગમે તેટલું જાળવીએ પણ કેટકેટલું જાણે અજાણે ફૂટે છે અને છૂટે છે. અહીં કોઈ ભૌતિક વસ્તુનો સ્થૂળ અર્થ લેશમાત્ર નથી. ક્યાંક ઇચ્છાઓની બરણી ફૂટે છે, ક્યાંક જીવતરના ગોખલે ઝળહળતા દીવા જેવો આખો ને આખો માણસ છૂટે છે; ને આપણે જોતા રહી જઈએ છીએ. કોઈ કશુંયે ક્યાં કરી શકે છે?! એવું તો કેટલું બને છે? એકદમ ઉચિત રદીફથી રસાયેલ મત્લા કાબિલેદાદ છે.

આગળના શેરમાં તૂટવાના ભાવને રજૂ કરતા કવયિત્રી કહે છે કે, અરીસો તૂટે અને સાચવી રાખો તો પણ ધીરે ધીરે, ખબર પણ ન પડે એ રીતે, આયનો કોરેથી રોજ રોજ તૂટતો જાય છે. જીવનનો આયનો કોઈનો જુદો નથી. ગમે તેટલો રોજ જુઓ પણ પોતાનું જ પ્રતિબિંબ બદલાતું જતું ક્યાં દેખાય છે! આયનો તૂટે છે કે આપણે?!!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?
અહીં ‘બટક્તું ‘ શબ્દ ભાવને જાળવતો હોવા છતાં ગઝલના છંદને જરા બટકાવે છે. અન્ય સરળતાથી ઉપલબ્ધ પર્યાયી શબ્દ અપેક્ષિત ખરો.

પ્રથમ બે શેરમાં  ફૂટવા, છૂટવા અને તૂટવાની વાત કર્યા પછી હવે ત્રીજા શેરમાં જુઓ.
ઊઠી જવાનો એક ગંભીર ભાવ પ્રગટ થાય છે. એક પળની એવી વાસ્તવિક્તા છે કે કોઈ કશું ત્યારે લઈ જઈ શક્તું નથી. બસ, એમ જ ‘ચેકઆઉટ’ થઈ જવાનું હોય છે. સમય નિશ્ચિત્ત છે પણ જાણ નથી. ગમે તેટલું ભેગું કર્યું હોય પણ કશું સાથે લઈ જવાતું નથી. “લોક જો  ઊઠતું જાય છે કેટલું?”  સાની મિસરાના આ શબ્દો ‘કોવિદકાળ’ના કપરા સમયમાં પટોપટ ઊઠી જતાં લોકની સ્મૃતિઓને તાજી કરાવે છે. દિલ દ્રવી ઊઠે છે અને આંખ ભીની થઈ જાય છે.

આગળના શેરમાં એક નવો વિચાર આવે છે. થોડો સામાજિક મનોદશાનો સૂર નીકળે છે. ઘણા લોકો સુંદર હોય છે પણ એમાં વિનયી કેટલાં? અને એ વિશે અન્યોને ખૂંચે છે કેટલું? અરે ભાઈ, જે છે તે છે. એને સમભાવે સ્વીકારો ને? આપણે કેવાં છીએ કે કેવાં રહી શકીએ છીએ તે અગત્યનું છે. પ્રકૃતિ તરફ નજર કરો. દરેક ઋતુનો ચૂપચાપ સ્વીકાર, કશોયે નકાર નહિ. નરી સ્વીકૃતિ.

અહીં વળી એક ઑર અર્થ ઉઘડે છે અને તે એ કે, એ સુંદર છે પણ વિનયી પણ કેટલાં બધાં છે? પણ તોયે લોકોને તો એ પણ ખૂંચે છે!!! કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, અવળચંડા માણસોને બધું વાંકુ જ દેખાય. સારામાં પણ ખોટું જ દેખાય. કદાચ એટલે જ કહ્યું હશે ને કે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ?!! આ શેરમાં કશીયે શિખામણ નથી. માત્ર માનવીની સાહજિક મનોદશાનો, કવયિત્રીએ એક અછડતો લસરકો કરી છોડી દીધો છે! વાચકને વિચારતાં કરી દીધા છે! કવિકર્મ અહીં કેટલું કલામય જણાય છે?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

આ ચોથા શેરમાં ‘ખટકતું’ને બદલે ‘ખૂંચતું’ શબ્દ વધુ બંધબેસતો લાગત.

અંતિમ બે શેર અદભૂત છે, લાજવાબ બન્યા છે. કેટકેટલું ભર્યું છે એમાં? ઓહ…. એકસામટા કંઈ કેટલા ભાવ/અર્થના એકસામટા દીવડા પ્રગટી ઊઠે છે એમાંથી? સવાલ તો ભાવક કરે છે કે, ‘કેટલું?!!’  કવયિત્રી જયશ્રીબહેન?! કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

મરીઝ આવીને સામે ઊભા જ રહી જાય છે કે, “એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.”

ઘડીભર લાગે કે જિંદગી તો ખૂબ જ લાંબી છે; પણ ના…ના.. એવું નથી, એવું નથી જ. પરપોટા જેવી આ પળ… ન જાણ્યું જાનકીનાથે…સવારે શું થવાનું છે? ઊંડા વિચારે ચડી જવાય. ઇચ્છા તો ખૂબ હોય કે ઉંઘમાં જ ઉંઘી જવાય. પણ કવયિત્રી સિફ્તપૂર્વક નજરને ક્યાંક બીજે જ દોરી જાય છે.

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

હસતાં સંતના શબ્દો પડઘાય છેઃ “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..”
કોણ, કેટલું અને કેવું… આ બધાં સદીઓથી દોહરાતાં સવાલો છે અને એવાં જ હૃદયમાંથી નીસરે છે જેને આત્મસાત થયાં હોય છે. સતત પરમ સાથેનું જોડાણ હોય તો જ અને ત્યારે જ આટલી સુંદર રીતે આવી સંવેદના પ્રગટ થાય.

કવિ શ્રી નરસિંહ મહેતાના અસ્સલ ઝુલણા છંદને મળતો આ ૨૦ માત્રાનો મુત્દારિક છંદ ભાવને અનુરૂપ ઊંચા શિખર પર લઈ જઈ ચિંતનના ઝુલણે ઝુલાવે છે.

કવયિત્રીને  સો સો સલામ અને વંદન.

–અસ્તુ.

દેવિકા ધ્રુવ

પડછાયાના માણસઃ એક અવલોકનઃ દેવિકા ધ્રુવ

પડછાયાના માણસઃ લેખિકાઃ જયશ્રી મર્ચન્ટઃ
અવલોકનઃ દેવિકા ધ્રુવ
Gujarate times US : published on March 10 2023

અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત લેખિકા જયશ્રીબહેન મરચન્ટનું પુસ્તક ‘પડછાયાના માણસ’ ભેટ મળ્યું.

તાજા જ આથમેલા સૂરજના રંગ જેવું મુખપૃષ્ઠ જોતાંની સાથે જ આ નવલકથાનાં પાનાં વંચાવા માંડ્યાં. પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સમય ચોરીને, અધીરાઈપૂર્વક એને સંપૂર્ણ વાંચી લીધી.

૨૮ પ્રકરણમાં પથરાયેલ આ પુસ્તકમાં સૌથી પ્રથમ તો, આખી વાર્તાને એકદમ અનુરૂપ મુખપૃષ્ઠનો રંગ, તેની પર લંબાતા જતા પડછાયાનું ધૂંધળું ચિત્ર અને શીર્ષક, કથાવસ્તુને યથાર્થ બનાવે છે. કવિતાથી ઉઘડતી અને કવિતાથી વિરમતી આ નવલકથા એની નાયિકા સુલુ દ્વારા અતીતના આગળા ખોલતાં ખોલતાં આલેખાઈ છે. કાવ્યમય ઉઘડતી વાત પળવારમાં તો કરુણ દૄશ્ય ઊભું કરી દે છે. મુંબઈના ફ્લેટની બાલ્કનીમાંથી સુલુની એકલતામાં સ્મૃતિઓની વણઝાર આરંભાય છે; તે અંતે શિકાગોના એક ‘પાર્કિંગ લૉટ’માં પરિવાર સાથે વિરમે છે. એની વચ્ચે આખું કથાનક રસપ્રદ રીતે વહે છે.

વાર્તા અતિ સંવેદનશીલ છે અને સમજણથી રસાયેલી છે. વાંચતાં વાંચતાં એક ભાવક તરીકે મનમાં ઉપસેલી છાપને ટાંકતા પહેલાં, ટૂંકાણમાં વાર્તાવસ્તુ વિશે જોઈ લઈએ.

મુંબઈમાં રહેતી સુલુ નામે યુવતી નાનપણમાં પિતા ગુમાવ્યા હોઈ પિતાના મિત્રના પરિવારની હૂંફમાં, તેમની નજીકના મકાનમાં મા સાથે મઝાથી રહે છે. સુલુને ઋચા નામે એક સરસ સખી મળેલ છે. ઉગતી યુવાનીના આ સુખદ ચિત્ર પછી અચાનક જ, તેના પાંગરતા પ્રેમ પર વિધાતાની પીંછી ફરી જાય છે. સમજુ મા-દીકરી અને ઋચા સ્નેહથી સાચો ઉકેલ લાવે છે. પછી તો પરણીને અમેરિકા ગયેલ દિલીપના (સુલુનો પ્રેમી) જીવનમાં ઉપરાછાપરી અણધારી ઘટનાઓ બને છે. બંનેના જીવનમાં જુદી જુદી રીતે નવાં પાત્રો ઉમેરાતાં જાય છે. એકપછી એક સંઘર્ષો ઊભા થાય છે. ઘણું બધું ન બનવાનું બને છે. દિલીપના માતપિતા, સુલુની મમ્મી વગેરે એક પછી એક વિદાય લે છે. ડિપ્રેશનમાં ગયેલી દિલીપની પત્ની અચાનક તેને છોડી જાય છે. દિલીપ કેન્સરની બીમારીનો ભોગ થઈ પડતાં બાકી રહેલી જિંદગી સુલુ સાથે ગાળવા માટે મુંબઈ પાછો ફરે છે. યુવાનીના ઉત્તરાર્ધમાં બંને પરણે છે અને ત્રણ જ મહિનામાં દિલીપનો સૂરજ આથમી જાય છે તે પછી તેની પ્રથમ પત્ની ઇન્દીરા દિલીપના જોડિયા દીકરાઓને જન્મ આપે છે. માનસિક અસંતુલન ધરાવતી ઇન્દીરાનાં માતપિતા સુલુની મદદ માંગતા સુલુ ત્યાં પહોંચી જાય છે.

ઇન્દીરા, માનસિક હાલતની ખરાબીને લીધે નર્સિંગ હોમમાં હોવાથી સુલુ, તેનાં અમેરિકન મિત્ર સેમના સંપૂર્ણ સહકારથી જોડિયા બાળકોને દત્તક લે છે. સેમ પણ સુલુને પરણીને બાળકોને પોતાનું નામ આપે છે. બંને નિયમિત રીતે ઇન્દીરાની પણ કાળજી રાખે છે, મોટા થતાં જતાં બાળકોને સિફતથી સાચી વાત કરે છે અને આ પરિવાર દિલીપની છાયાને સાચવે છે અને સુલુ પોતાના પડછાયારૂપ દિલીપને.

આ આખીયે કથાનો મુખ્ય સૂર વિશ્વાસ અને વફાદારી છે; અને તે ખૂબ નાજુકાઈથી આલેખાયો છે. લગભગ ૧૮ થી ૨૦ પાત્રોની સાથે ગૂંથાયેલ આ નવલકથામાં સ્નેહ છે, સંઘર્ષ છે, સમજણ અને સ્વાર્પણ પણ છે. ક્યાંયે મુખ્ય કથાનો કોઈ ખલનાયક નથી તે એનું મોટું જમા પાસું છે. સંવાદો ખૂબ જ ચિત્રાત્મક અને અસરકારક રીતે લખાયાં છે. કેટલુંક અવલોકન નોંધનીય છે. લેખિકાની કવિતા અને કુદરત તરફની પ્રીતિ અવારનવાર ડોકાય છે.  બાળપણના સુંદર અને હૃદયસ્પર્શી ચિત્રાંકન પછી મૂળ વાત “રાત મને નથી ગમતી”ને સાંકળતી કથા અતીતના દોરે જ આગળ વધે છે. મોટાંભાગના પ્રકરણોની શરૂઆત જુદીજુદી, નવીનવી અને રસપ્રદ રીતે ભૂતકાળની સ્મૃતિઓ તરફ ખેંચી જાય છે. પ્રકરણોનાં શીર્ષકો પણ ઉચિત અને આકર્ષક લાગે છે. “કારવાં સાથ ઔર સફર તન્હા..” હોઠોં પે દુઆ રખના..”વગેરે મઝાનાં મૂક્યાં છે. હસતી, કુદતી, રમતિયાળ  અને Full of Life ૠચાના વ્યક્તિત્ત્વને ખૂબ જ આબેહૂબ રીતે વર્ણવ્યું છે. શરૂઆતના પ્રકરણોમાં ગમી જતાં દ્વંદ્વયુક્ત વાક્યો નોંધપાત્ર છે. દા.ત. “હું હજી જીવું છું, શ્વાસ વિના કે શ્વસી રહી છું જીવ્યા વિના?”

  • “ટીસમાં રંગાયેલો વિયોગ હતો કે  વિયોગમાં ઝબોળાયેલી ટીસ હતી?”
  • “એ એક રાતને હું રાસ આવી ગઈ હતી કે પછી એ એક રાત મને રાસ આવી ગઈ હતી?”
  • “આ શબ્દોની હૂંફભરી ભીનાશ અને ભીનાશભરી હૂંફ”..વગેરે.

પ્રકરણ-૬માં દિલીપની સગાઈનો નિર્ણય અને તે દરમ્યાન બંને કુટુંબો વચ્ચે સમજણપૂર્વકની સંબંધોની જે સુગંધ ફેલાય છે તે વાંચતાં હૈયું ગદ્ગદિત થઈ જાય છે. સંકળાયેલા “ત્રણે પાત્રોની ભીની આંખના કારણો જુદાં હતાં” જેવાં વાક્યો વાચકને હચમચાવી દે છે. તો સુલુ અને દિલીપની એક જ અનુભૂતિને વ્યક્ત કરતા અને મનોવેદના સૂચક મૂકસંવાદો “હૃદયનો એક હિસ્સો હું લઈને જાઉં છું” અને “રડવા જેવું હસ્યાં” વગેરે દિલને રડાવી દે છે. તો ૮માં પ્રકરણમાં ‘એને શાંતિથી જવા દે’ વાંચતા વાંચતાં, સુલુ-દિલીપના પ્રેમની મુક્તિનું એ સંધાન, એક કરુણમંગલ આહ નીપજાવે છે.. એ જ રીતે નવલકથાનાં પાછળનાં પાનાંઓમાં “અનરાધાર વરસાદમાં, જનમ આખો છાપરા વિનાનાં ઘરમાં હું રહેતી હોઉં ને અચાનક જ મારા માથા ઉપર એક છત આવી ગઈ હોય!” એવી અનુભૂતિનું બયાન, નવલકથાનું હાર્દરૂપ વાક્ય “ત્રણેયના પડછાયાઓને જોતાં જોતાં મારા પોતાના પડછાયા સાથે ચાલી રહી હતી” એવી ઘેરી સંવેદના તથા છેલ્લી કવિતાના ભાવોની સચ્ચાઈ ઊંડે સુધી પહોંચે છે.

ક્રમિક રીતે નવાં પાત્રો, રવિ, ગુરખાકાકા પાર્વતી, સીતા, ઇન્દીરા શીના, સેમ,વકીલ વગેરે ઉમેરાતાં જાય છે અને દરેકનું વ્યક્તિત્ત્વ,લાગણી વગેરે સુપેરે આલેખાયાં છે. આફતો અને સંઘર્ષો વચ્ચે આ દરેક પાત્રોની એકમેકને પડખે ઊભા રહેવાની તૈયારી,  એકથી વધુ મૈત્રીભાવનાં ઝરણાં અને મુખ્ય બે પાત્રોના અલૌકિક સખાભાવનું બારીક નકશીકામ જેવું લેખન દાદ માંગી લે છે. ઋચાનું પાત્ર કથાના ભારણને સ્નેહપૂર્વક હળવાશ આપતું રહે છે. માત્ર એક જ વખત, બે ત્રણ વાક્યો બોલતા ગુરખાકાકાનું પ્રેમાળ વ્યક્તિત્વ પણ નજર સામે સજીવ બની હૈયું હલાવી દે છે. તો દિલીપના માતા, વાત્સલ્યમૂર્તિ ધાજી અને ‘બુદ્ધની કરુણા’ ધરાવતા, સતત હૂંફાળો ખભો આપતા  દિલીપના પિતા, નામે અદાને શિર નમી જ જાય છે. વર્ષોના માંજાની ફિરકી ફેરવતાં ફેરવતાં સુલુના, એની મમ્મીના, સેમના, દિલીપના માતપિતાના કેટલાંયે સંવાદો હૃદયસ્પર્શી લખાયા છે. તો પ્રેમના રોમેન્ટીક સંવાદો પણ ખૂબ સ્વાભાવિક રીતે ઝીલાયાં છે.

સાથે સાથે તે સમય અને સ્થળની કૌટુંબિક ભાવના, સમાજની સંકુચિત મનોસ્થિતિ, રાજકીય વાતાવરણ અને શોષણની પણ ઝલક ઉપસી આવી છે. એટલું જ નહિ, પૂર્વનાં કે પશ્ચિમનાં દરેક સ્થાનોનું વર્ણન, અમેરિકન સમાજ, રીતભાત, frankness તથા “ શીનાને પ્રુરુષો ગમતાં નથી’ જેવાં ઓછા શબ્દોમાં વધુ કહ્યા વગર ઘણું બધું સમજાઈ જાય તે રીતે કહેવાયું છે. તે ઉપરાંત, બીજી એક વાત ધ્યાન ખેંચે છે કે આ કલમને ઊર્દૂ શબ્દો અને શેર-શાયરી વધુ જચે છે! ખાસ કરીને પ્રકરણોનાં શીર્ષકોમાં, સંવાદોમાં, “સમઝદારીકી બાતેં તુમ કિયા ન કરો, ગાલિબ” જેવા શેરો ટાંકવામાં અને કેટલાંક ‘દકિયાનૂસી’ ‘કુર્નીશ’ જેવા શબ્દોના ઉપયોગમાં!

આ પુસ્તકના અવલોકનમાં ખૂબીઓની સાથે સાથે બીજાં પણ થોડા મુદ્દાઓની નોંધ લેવી રહી.

દા.ત. સુલુ મુંબઈ, શિકાગો કે ન્યૂયોર્ક, જ્યાં જાય છે ત્યાં તેને બધું જ readily available મળે છે. જોબ હોય કે એપાર્ટ્મેન્ટ તરત મળી જ જાય છે, જોબમાં રજા પણ સહેલાઈથી મળે છે, મિત્રો અને ઘરકામની સહાય પણ એ રીતે જ મળે છે. ક્યાંય આર્થિક સંકડામણ કે વ્યવહાર જગતની બીજી કોઈ અથડામણ ભોગવવી પડતી નથી. અલબત્ત, જે કંઈ સંઘર્ષ આવે છે તે સંવેદનાતંત્રને ખળભળાવી નાંખનાર અને અચાનક આવી પડે છે; જેને સુલુ સરસ રીતે સંભાળી શકે છે. એટલે આ હકીકતને, ક્ષતિ ન ગણતાં ‘દૈવનો સુયોગ’ તરીકે ગણાવી શકાય. પાના નંબર ૬૫ અને ૭૧, બંને પર દિલીપના ચોથાની વિધિ આજે પૂરી થઈ તેમ લખાયું છે જે એક હકીકતદોષ જણાય છે. કારણ કે, બંને પાનાં પરની તારીખો અલગ અલગ છે. કદાચ સુલુની Disturbed મનોદશાનું એ પ્રતિબિંબ હશે!

સુલુની મમ્મીનું નામ રેણુ શોધવું પડે છે. મને લાગે છે કે આખી નવલકથામાં માત્ર એકાદ વખત જ આવે છે. કદાચ જરૂર નહીં હોય. ઇન્દીરાનાં માતાપિતાનાં નામો તો ક્યાંયે જણાતાં નથી! ક્યાંક ક્યાંક જોડણી દોષો રહી ગયા દેખાયા તો ક્યાંક કેટલાક શબ્દોમાં સુધારાને અવકાશ જણાયો. દા.ત.હાથની હસ્તરેખા, એક્સેસરી, sign માટે સાઈનસ, તકલીફદેય, કાચરી, બોઝો,વગેરે.ક્યાંક બે-ત્રણ વાક્યરચના શિથિલ પણ જણાઈ છે.

સમાપનમાં, છેલ્લે જરૂર લખવું ગમશે કે, ૧૯૨ પાનાંની આ ભાવકથા, બે ત્રણ આદર્શ પરિવારોના સેવાભાવી પાત્રોની સાથે, તેમની જિંદગીના તડકા-છાંયડાની સાથે કોઈ સરસ ચાલતા ચલચિત્રની જેમ રસ-સભર રીતે ગૂંથાઈ છે. તેનાં પાત્રો અને સંવાદો આપણી આસપાસ ફરતાં દેખાય છે. એટલે નાટ્ય રૂપાંતર, ધારાવાહી સિરિયલ કે મુવી માટે સક્ષમ બની રહે છે.  અવલોકન દરમ્યાન ધ્યાનમાં આવેલા છેલ્લા મુદ્દાઓ તેમાંની અનેક ખૂબીઓની સામે, ચોક્કસપણે ક્ષમ્ય છે જ. અરે, એક સ્ત્રીની કલમે પુરુષોની સંવેદના પણ કેટલી બધી બારીકાઈથી નિરુપાઈ છે!! તે ઉપરાંત, સુલુ, રેણુ, દિલીપ, સેમ,ઋચા,રવિ વગેરેના પાત્રો દ્વારા મળતો નિસ્વાર્થ પ્રેમનો અને સદાના સાચા સાથી તરીકેનો સંદેશ વાચકવર્ગને જરૂર પ્રેરણાદાયી બની રહેશે. સાહિત્યજગત આ પુસ્તકને આવકારશે અને પ્રેમથી પોંખશે એવી મને શ્રદ્ધા છે.

લેખિકા શ્રીમતી જયશ્રીબહેનને ખૂબ ખૂબ અભિનંદન અને એક ભાવક તરીકેના અવલોકન માટે પુસ્તક મોકલવા બદલ આનંદ અને આભાર. તે માટે ખાસ મારા તરફથી બે પંક્તિ સ્નેહાદરપૂર્વક ઉપહારરૂપે!!


અતીતના આગળે અડક્યાં જ્યાં આંગળાં,
       પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
        પડછાયા તમારા પરખાયા;

વધુ સર્જનની શુભેચ્છા સાથે…


અસ્તુ.

૨/૨/૨૦૨૩

સાહિત્યિક સંરસન “Literary Consortium” ફેબ્રુઆરી ૨૦૨૩.

આદરણીય સાહિત્યકાર શ્રી સુમનભાઈ શાહ સંચાલિત અને એકત્ર ફાઉન્ડેશન પ્રકાશિત સાહિત્યિક સંરસન “Literary consortium”ના પ્રથમ અંકમાં પ્રકાશિત મારી બે રચનાઓ અહીં તંત્રી નોંધ સાથે.
આનંદ અને આભાર સહ..

દેવિકા ધ્રુવ

૧. કલમની કરતાલે.. પાના નં. ૨૬
૨. શિશુવયની શેરી.. પાના નં ૨૭

તંત્રી શ્રી સુમનભાઈની નોંધઃ