‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ…

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ.

બેઠક નં ૨૫૫..

અહેવાલઃ  રેખા સિંધલ ( ટેનેસી)
સંપાદનઃ દેવિકા ધ્રુવ
તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ 

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા  હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી.

અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે; જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે; જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી.

શ્રી હસમુખ દોશી, કિરીટ ભક્તા,ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર  સાંજે ૪ક.૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું.

શ્રીમતી જ્યોત્સના વેદ
સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદ
સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતા

નૃત્યકાર ઉમા નગરશેઠની  દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતાઃ “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.

(અવની મહેતા, ભારતી મજમુદાર, જ્યોતિ વ્યાસ, મંજુલા થેકડી,
માયા મહેતા, નયના ગોસાલીઆ,સ્મિતા પુરોહિત અને  વર્ષા શાહ)

ત્યારબાદ પુસ્તકના સંપાદક શ્રીમતી રેખા સિંધલે એક પછી એક મહેમાનોની ઓળખ આપી હતી.  અમેરિકાનાં અન્ય રાજ્યમાંથી આવેલા આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ પોતાનાં વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી ડો. નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’ના સંપાદક શ્રીમતી રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી શ્રીમતી સપના વિજાપુરા, લાસવેગાસથી શ્રી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની ડો. કમલેશ લુલ્લા, ઑસ્ટિનથી શ્રીમતી સરયૂ પરીખ, હ્યુસ્ટનનાં શ્રીમતી દેવિકા રાહુલ ધ્રુવ, શ્રી અરવિંદભાઈ થેકડી તેમ જ શ્રી મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને  શ્રી કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.

શ્રીમતી રેખા સિંધલ, નેશવિલ
શ્રીમતી પન્ના નાયક
શ્રી કિશોર દેસાઈ
શ્રીમતી પ્રીતિ સેનગુપ્તા
શ્રી નટવર ગાંધી,વૉશિંગ્ટન
શ્રીમતી દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન
ડો કમલેશ લુલ્લા,હ્યુસ્ટન
શ્રી જગદીશ પટેલ, લાસવેગાસ
શ્રીમતી સપના વિજાપુરા,કેલિફૉર્નિયા
શ્રીમતી સરયૂ પરીખ, ઑસ્ટીન
શ્રી મનસુખ વાઘેલા,હ્યુસ્ટન
શ્રી અરવિંદ થેકડી,હ્યુસ્ટન

‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો. ઈન્દુબહેન શાહ (હ્યુસ્ટન), ડો. જયંત મહેતા(નેશવિલ), ડો. બાબુ સુથાર (પેન્સિલવેનિયા) ડો. દિનેશ શાહ (ફ્લોરિડા) અને શ્રી અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.

હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા.ત ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો. ડો.કમલેશ લુલ્લા તરફથી ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી.

સન્માન પત્ર અને વિવિધ ભેટોનો સંપૂટ અર્પણ
સન્માન પત્ર અને વિવિધ ભેટોનો સંપૂટ અર્પણ
સન્માન પત્ર અને વિવિધ ભેટોનો સંપૂટ અર્પણ

આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને  વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે  માહિતી પૂરી પાડી હતી.

સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજી અને  વ્યવસ્થાપક શ્રી પ્રસાદજી

સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.  તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.

નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ… )
સંકલન કર્તાઃ  દેવિકા ધ્રુવ
સંસ્થાનાં હાલનાં ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિ દેસાઈ

છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે.

સૌ આયોજકો, કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે  અભિનંદન અને શુભેચ્છા.

–રેખા સિંધલ
ટેનેસી

શેરાક્ષરી-ગુજરાતની…

આ શેરાક્ષરી એ માત્ર શેરોની અંતાક્ષરી નથી. માત્ર કવિતાની પંક્તિઓ નથી. પરંતુ એક એવો વિશેષ  નવો પ્રયોગ છે; જેમાં આપણી મૂળ અંતકડી છે,  કાવ્યપંક્તિથી ઉઘડે છે, ગઝલના શેરોથી ઉપડે છે અને આ બધું જ…બધું જ, ગુજરાત અને ગુજરાતીઓથી સભર છે.

તો ચાલો, કવિ શ્રી ખબરદારને યાદ કરી, શેરાક્ષરીની શરૂઆત કરીએ. 

  1. દેવિકા
    ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
     જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉદ્યમ પ્રીત.                 ખબરદાર
  2. મનોજભાઈ    
     તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
     પણ તૂટ્યું ના કોઇ’દી ગુજરાત
      હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત.                        મનીષ ભટ્ટ
  3. રિદ્ધિબહેન    
    તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
     નવા યુગોના રંગથી નવી નવી તું ભાત કર.                 રસિક મેઘાણી
  4. ફતેહ અલીભાઈ  
     
     રઢિયાળી ગુજરાત,  અમારી રઢિયાળી ગુજરાત!
      વીરનરોની માત, અમારી રઢિયાળી ગુજરાત!           માધવ ચૌધરી
  5. ભાવનાબહેન 
      તારામઢી સપના સજી આ રાત છે,ગુજરાત છે,
     એ આંગણું પાવન થયાની વાત છે,ગુજરાત છે.          હરદ્વાર ગોસ્વામી
  6. નિતીન વ્યાસ 
      છોછ કશો ના નડે મને, એ મારું સ્વાભિમાન
       ધર્મ-કર્મના ભ્રમો ભેદી, ઉન્નત કરૂં ઉડાન
       ગુર્જર ગાથા થશે પછીથી, દેશ-વિદેશે ગવાતી,
      હું ગ્લોબલ ગુજરાતી.                                     યોસેફ મેકવાન
  7. દેવિકા     
    તવ તીર સિંધુતરંગ મંડિત, ગાનથી ઘરકુંજ  રી
    તવ શસ્ય પલ્લવ પુંજ
      રી, જય હે જયતુ, જયગુર્જરી.      રાજેન્દ્ર શાહ
  8. મનોજભાઈ       
    રમે અન્ય સખીઓ થકી દઇ તાળી,
     સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
      કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
      રમો માતૃભાષા મુખે ગુજરાતી.                                ઉ.જોશી
  9. રિદ્ધિબહેન       
    તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
    નાત-જાત-ભાત તારી કોઈ પણ હજો,
    ખભેખભા મિલાવીને, ફંદ સૌ ફગાવીને
    માદરે વતનને કાજ, જંગમાં ખપી જજો.           અવિનાશ વ્યાસ
  10. ફતેહ અલીભાઈ
      જય સોમનાથ, જય દ્વારકેશ,જય બોલો વિશ્વના નાથની
       સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…        રમેશ ગુપ્તા
  11. ભાવનાબહેન 
          નરસી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે,
           જીંદાદિલીથી છલછલોછલ જાત છે,ગુજરાત છે.         હરદ્વાર ગોસ્વામી
  12. નિતીન વ્યાસ 
          છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
          ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત..             દેવિકા ધ્રુવ
  13. દેવિકા 
          તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
          ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત.             નર્મદ
  14. મનોજભાઈ 
          તારે ક્યારે કૈંક દુલારે દિલના શોણિત પાયાં.
           પુત્રવિજોગી માતાઓનાં નયન-ઝરણ ઠલવાયાં.
           ઝંડા અજર અમર રે’જે, વધ વધ આકાશે જાજે.         ઝવેરચન્દ મેઘાણી.
  15. રિદ્ધિબહેન  
         જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
        ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
          જ્યાં  જ્યાં બોલાતી ગુજરાતી,
         ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
               ખબરદાર
  16. ફતેહ અલીભાઈ 
          તું વિદ્યા છે, તું જ ધર્મ છે,
          તું અમ હ્રદય અને તું મર્મ છે.
          તું અમ દેહ તણો છે પ્રાણ,
           વંદન કરું તુજને હે માત.                 ગોવર્ધન દવે
  17. ભાવનાબહેન 
         તમે ગુજરાતી અમે ગુજરાતી, આપણે સૌ ગુજરાતી,
         બાર ગામે બોલી બદલે, તોય બધા ગુજરાતી.
                   હર્ષદ રવેશિયા
  18. નિતીન વ્યાસ
        તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી
     ભલે લાગતો ભોળો હું તો, છેલ છબીલો ગુજરાતી..
                           હું છેલ છબીલો ગુજરાતી
    ..             અવિનાશ વ્યાસ
  19. દેવિકા       
    તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠા ટાબરિયાં
    તારા ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વિસરિયાં
     ઝંડા કામણ શા કરિયાં,
      ફિદા થઈ તુજ પાછળ ફરિયાં………..                ઝવેરચંદ મેઘાણી
    ય… ય નો અ કરવાની છૂટ છે..
  20. મનોજભાઈ      
     -એકવાર સત્યના ચરખાને કાંતી તો જો,
        અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
           સાબરનો આરો ને તાપી કિનારો,
          ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.                 દેવિકા ધ્રુવ
  21. રિદ્ધિબહેન    તો હવે ‘જ’ નો ‘ઝ’ થાય ને?  !!
               ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
                  પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
                  હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત.                      મનીષ ભટ્ટ
  22. ફતેહ અલીભાઈ  
          તું પ્રેમ-દીપ બાળવા વદન વદનથી વાત કર.
          તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
            તું વિશ્વ-ગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર .            રસિક મેઘાણી.
  23. ભાવનાબહેન 
          રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
           અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
            જય દયાનંદ જય પ્રેમાનંદ, જય બોલો બહુચરમાતની
            સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …યશગાથા ગુજરાતની..            રમેશ ગુપ્તા
  24. નિતીન વ્યાસ    
       નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
       ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
                            ઝ.મેઘાણી
  25. દેવિકા   
            છલકાતી એક-એક અગાસી,ઉપર જામ્યો રંગ
           આજ ગગનમાં પતંગ ઊડે, મનમાં ઉમટે ઉમંગ
    ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો, ઊડે રે પતંગ ગુજરાતનો.
      રઈશ મણીઆર
  26. મનોજભાઈ-    
       નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
       નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
        નવી સવારે નવું કિરણ લઇ આવ્યું નવલી વાત
        અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત                કૃષ્ણ દવે.
  27. રિદ્ધિબહેન 
          તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
          તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
           ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,       અવિનાશ વ્યાસ.
  28. ફતેહ અલીભાઈ
           રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
             કેસરવર્ણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
             ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.            ઝ.મે.
  29. ભાવનાબહેન 
          વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
          સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની.             શૂન્ય પાલનપૂરી.
  30. નિતીન વ્યાસ
    નક્કી એક દિન આવશે એવો, જહાં જ્યારે ચકિત થાશે
    અમારી કિર્તીગાથાઓ તણાં ગૌરવ ગીતો ગાશે.
    અમારી આત્મશ્રદ્ધાથી જગાવીશું નવો પલ્ટો,
    જહાંના પંથથી ન્યારો નવો રસ્તો રચાવીશું.        કવિ રવિ ઉપાધ્યાય
  31. દેવિકા       
    શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
    મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
              શૂન્ય પાલનપુરી

  32. મનોજભાઈ
    ન તો હું કહું છું, ન ગુજરાત કે’છે, સૌ દેશવાસીનો છે આ અવાજ,
    ભારતની અર્થ વ્યવસ્થાનું સુકાન, ગુજરાતીને હાથ, કે’છે આ અવાજ,
     દરિયા ખેડી, દરિયા તરી, અવકાશે યાત્રા કરે છે એ આ પ્રજા,
     ‘સહુના સાથ સહુના વિકાસ’ માટે, ગુજરાતીનો રણકે છે આ અવાજ.
     સ્વરચિત–મનોજ મહેતા

  33. રિદ્ધિબહેન-
    જય હે જય ગુજરાત! તને હો વંદન અપરંપાર
    મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર
    તને હો વંદન અપરંપાર,જય હે જય ગુજરાત           વિનોદ જોશી
      

  34. ફતેહ અલીભાઈ-
        તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
        શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
        જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત.                   નર્મદ

  35. ભાવનાબહેન–
         ત
    ને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં.
        હર
    પળે, ને હર જગે, શિર નમે તુજને ગુજરાત.       –શૈલા મુનશા

  36.  પ્રકાશભાઈઃ પ્રીતિબહેન સેનગુપ્તાની બે પંક્તિ જેમાં સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીનું સ્મરણ છેઃ

ત્યાં લોખંડી નર એક સૂત્રમાં ગૂંથે પ્રાંતેપ્રાંત..
ત્યાં એક વૈશ્વજન કહેવાયા, સમગ્ર રાષ્ટ્રના તાત
અહો, તે તો છે ગુજરાત..


છેલ્લે સૌ સાથેઃ તે તો છે ગુજરાત..

અમારી ગુણવંતી ગુજરાત.
અમારી ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત.

અસ્તુ..

સંકલનઃ દેવિકા ધ્રુવ

પ્રતિ-ગઝલ

ન બેસો શબ્દને વળગીને, એનો અર્થ તો જુઓ,
કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ!

જે મારી બંસરી ધીક્કારતા એ માણવા લાગ્યા,
સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ!

જુઓ છો ફક્ત કાં ફળથી લચેલાં ઝાડવાં મારાં?
કર્યો ઉછેરવા પાછળ મેં એ સંઘર્ષ તો જુઓ!

હૃદયની આગથી પણ આંસુ ઓગળતાં નથી સ્હેજે,
આ મારી આંખમાં જીદે ચડેલો બર્ફ તો જુઓ!

એ ચ્હેરો જોઈ જૂના ઘા સબાકા મારવા માંડ્યા,
હરખઘેલું થયેલું મારું જૂનું દર્દ તો જુઓ.

હજી પણ હું મને શંકર ગણાવી ના શકું મિત્રો?
ગળે લટકી રહેલા આફતોના સર્પ તો જુઓ!

નથી પૂછ્યો મેં તમને મોક્ષનો રસ્તો ઓ પંડિતજી
હું ખાલી એમ કહું છું જિંદગીનું નર્ક તો જુઓ.

~ અનિલ ચાવડા

અગર શબ્દો ખરા જો વાપરો, સમજાય સૌને  અર્થ.
પછી કહેવું પડે નહીં, કે જુઓ આ વાતનો સંદર્ભ.

હતી વ્હાલી એ બંસી ને સુદર્શન ચક્ર પણ ગમતું.
નજર બદલો તો જાણો કે કદી ક્યારે ય ન્હોતો ફર્ક.

સદા માણ્યાં અમે તો બીજથી ફૂલો-ફળોનો સંગ
નથી મારું, નથી તારું, જીવનનું નામ છે સંઘર્ષ.

કહ્યું કોણે હૃદયની આગ બૂઝાવે આંખનું આંસુ?
ભલે દેખાય છે પાણી, પડેલા જખ્મનો
 છે બર્ફ.

અમારે તો સબાકા રોજ ને  ઘા પણ  ન થાય જૂનાં.
હજી તાજું જ લાગે એટલું, હમણાં મળેલું
  દર્દ.

પહેલાં ભેદ તો જાણો, શું કંકર  ને  છે શું શંકર?
બતાવો તે પછી સઘળી તમે સૌ આફતોના સર્પ!!

તમે કંડારશો કેડી નવી, તો મોક્ષ નહીં ચાહો .
પછી કહેશો, જુઓ, આ જીંદગી કેવી છે જાણે સ્વર્ગ !

–દેવિકા ધ્રુવ

૪/૨૧/૨૦૨૪

નજર ઉતારે છે !

સવાર ને સાંજ ગગનગોખમાં રોજરોજ દીવા થાય છે, ધરતી પણ ખબર ન પડે તે રીતે, રોજરોજ ગરબા ગાય છે. સતત ચાલતી કુદરતની આ પૂજામાં જાણે રિયાઝનો સૂર સંભળાય છે. પણ આજે  તો દિવસે અંધારું થયેલું જોયુ!!
આકાશમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ
થયું, ત્યારે મનમાં થયું; ઓહોહોહો……
ચંદ્રનું આવરણ કરીને દિવસે અંધારું કરતો આ અનોખો ખેલ તો જુઓ!! જાણે કોઈ પૃથ્વીની નજર ઉતારે છે !

******************************************************************************************

સવાર ઊગે ને સાંજ ઢળે, કોઈ નભને ગોખે, દીવડાઓ પ્રગટાવે છે.
આકાશ,વાદળ સંગ મળી, કોઈ પાઠપૂજાનાં, મધુર ગીત ગવડાવે છે.

ગજબ ગવૈયો રિયાઝ કરતો
થનગન થનગન ધરા ફેરવતો,
નિત્ય નજારા નવા ચીતરતો
આવનજાવન કરતો જાણે, વિસ્મયતાલ પૂરાવે છે.
કોઈ ગગનગોખમાં દીવડાઓ પ્રગટાવે છે.

કદીક મંગલ મંડપ ગૂંથે,
કદીક વિનાશી તાંડવ ખેલે.
વળી કદી ગ્રહ-તારક ગ્રાસે.
ચાંદનું આવરણ કરીને જ્યારે સૂરજને એ ગ્રાસે છે;
અહો, લાગે ત્યારે જાણે, નજર પૃથ્વીની ઉતરાવે છે!

થોભ્યાનો થાક!

થાક ક્યારે લાગે? જ્યારે ખૂબ કામ કર્યું હોય ત્યારે એમ સામાન્ય રીતે માનવામાં આવે છે. પણ એ વિધાન સંપૂર્ણપણે સાચું છે ખરું? મન ગમે તે રીતે ગમતું કરવા તરફ જ વળે છે. ક્યાં થોભે છે?!
કદાચ થોડીવાર થોભી જાય કે થોભવું પડે, પણ Passionની તાકાત! ગજબની છે.

*************************************************************************

થોભ્યાનો થાક હવે લાગે સખી મુને, થોભ્યાનો થાક કેમ લાગે?

સરસરતી ક્ષણો તો ઊડઊડતી જાયે,
ને ડગમગતી નૈયાયે થરથરતી ભાસે.
પણ કેમ કરી મનવું આ મનડાના મોરને,
એને થનગનતું નર્તન ને કળા જ ભાવે..
થોભ્યાનો થાક હવે લાગે સખી મુને, થોભ્યાનો થાક મને લાગે.

છેક ઊંડેથી એક સખી આજ જરા હાલી
હળવેથી બોલી એ આંગળીને ઝાલી,
“જે ઝંખે છે પગલાં એ કેડી છે સામે,
કેમ આમ ભૂલે ને મોજ નહિ ચાખે?”
સખી, ત્યાં તો થોભ્યાનો થાક જાય ભાગે, દૂર ભાગે
!
સખી મુને, સરિતા સમ વહેવાનું ફાવે.

સંપૂર્ણ સૂર્યગ્રહણ.

સંપૂર્ણ સૂર્યગ્રહણ

 ક્યારે અને શું થવાનું છે?

 એપ્રિલ,૮ ૨૦૨૪ ના રોજ, સંપૂર્ણ સૂર્યગ્રહણ સીધું ટેક્સાસ પરથી પસાર થશે. તેની  ખૂબ અસર, સાન એન્ટોનિયો, ઓસ્ટિન, ફોર્ટવર્થ અને ડલાસના કેટલાક ભાગોમાં જોવા મળશે, તેનું કારણ એ છે કે, તે  ઉત્તર-પૂર્વ (નોર્થ-ઇસ્ટ) તરફ ફરવાનું છે.

આનું આટલું બધું મહત્ત્વ કેમ છે?

કારણ કે, આવું ગ્રહણ ભાગ્યે જ થાય છે. દર ૩૭૫ વર્ષે એક જ વાર ધરતી પરના કોઈપણ બિંદુ પરથી પસાર થાય છે. આને કારણે ટેક્સાસ કે જેને ‘લોન સ્ટાર સ્ટેઇટ કહેવાય છે, ત્યાં ૧ મિલિયન લોકો આવશે તેમ જાણવા મળ્યું છે. પરિણામે ટેક્સાસના તે શહેરોમાં ટ્રાફિક, રહેવાની વ્યવસ્થા, ખોરાક તથા ગેસ વગેરે સપ્લાય પર અસર થશે.

આ દિવસે સૌએ તૈયાર રહેવું પડશે. બહાર નીકળતી વખતે રોજના સમય કરતાં વધારે વહેલાં નીકળવું પડશે. જો કે, કેટલીક શાળાઓ તો આને કારણે બંધ રહેશે.  સ્કુલ તરફથી આવતી સૂચનાઓ સાંભળતા રહેવું પડશે.

સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે.

 સૌથી પહેલાં તો એ કે, આ દિવસે સૂર્ય તરફ સીધું જોવું ખૂબ જોખમી છે. ગ્રહણ સમયે   ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે અને દિવસ અંધકારમય બની જાય છે. આ ભાગ્યે જ થતી ઘટના છે. સૂર્ય તરફ સીધું જોવાથી સંભવ છે કે, આંખને નુક્સાન પહોંચે. તો એવું ન બને તે માટે ખાસ ગ્રહણ માટે બનાવેલા ચશ્મા પહેરો. આપણા સામાન્ય ‘સનગ્લાસ’નહિ ચાલે. ગ્રહણ માટેના આ ચશ્મામાં ખાસ લેન્સ હોય છે; જે  સૂરજના નુક્સાન કરતાં તેજકિરણોને આંખોમાં પ્રવેશતા અટકાવે છે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા આ ચશ્મા તેના પેકેટ ઉપર ( ISO Compliance Label) ‘આઇએસઓ કમ્પ્લાયન્સ લેબલ’ રાખશે, તેથી ખરીદ કરતી વખતે લેબલ તરફ ખાસ નજર કરશો.

ટેક્સાસમાં  સૂર્યગ્રહણઃ
 ૮ એપ્રિલ ૨૦૨૪, સોમવાર .

ગ્રહણ શરૂ થવાનો સમયઃ ૧૨.૧૬ પીએમ.

સંપૂર્ણ ગ્રહણની શરૂઆતઃ ૧.૩૫ પીએમ.

પૂરેપૂરું ગ્રહણઃ ૧.૩૬ પીએમ.

ગ્રહણ બંધ થવાનો સમયઃ.૧.૩૭ પીએમ.

 આમ, સંપૂર્ણ સૂર્યગ્રહણની પ્રક્રિયા કુલ ૨ મિનિટ અને ૩૯ સેકંડ સુધી રહેશે. 

અને શરૂઆતથી અંત સુધીનો સમય ગણીએ તો ૨ કલાક ૪૦ મિનિટ અને ૫૨ સેકંડ સુધીનો.
મહત્તમ મેગ્નીટ્યુડ – 1.01 કદનો રહેશે.

હવે એક જૂની  ધાર્મિક માન્યતા મુજબ પણ જોઈ લઈએ.

સૂતક શરૂ થાય છે – 10:43 PM, એપ્રિલ 07

(બાળકો માટે વૃદ્ધો માટે અને બીમાર વ્યક્તિઓ માટે સૂતક શરૂઆત – 07:11 AM)

સૂતક સમાપ્ત થશે – 02:57 PM

સૂર્યગ્રહણના આ બધા સમય, અમેરિકાના ટેક્સાસ (CST) અનુસાર લખવામાં આવ્યા છે. ભારતના પંચાંગ સાથે નથી. તેથી ગોટાળા ન કરશો, પ્લીઝ.

જે દેશ અને સ્થાન પર પૂજા, પ્રાર્થના, વિધિ વગેરે કરવામાં આવે છે તેના સમય મુજબ જ મહુરતનો (મુહૂર્ત) સમય જોઈ લેશો અને તે પ્રમાણે જ પાલન કરશો.

***************************************************************************************

મળેલી માહિતીને આધારેઃ

April 8, 2024

*total solar eclipse* 

What is happening?

On April 8, 2024, a total solar eclipse will pass directly over Texas. The full effects will be seen over parts of San Antonio, Austin, Fort Worth and Dallas as it travels on its north-easterly path.

Why it matters:

This rare eclipse passes over any point on Earth only once every 375 years. It is expected to bring 1 million people to the Lone Star state. This influx may affect traffic, lodging and food and fuel supplies. Be prepared and allow plenty of additional time for travel, if necessary

Also, some schools are closing for the event (check your local listings).

Safety first:

Please put safety first. Looking directly at the sun is very dangerous, even when the moon completely covers the sun and the day turns dark.

Wear quality eclipse glasses to view this rare event safely and avoid potential temporary or permanent eye damage. Your normal sunglasses won’t do the job.

Eclipse glasses have special lenses that block harmful radiation from entering your eyes. The best quality eclipse glasses will carry an ISO compliance label on their packaging, so look for this when purchasing.

—————————————————

Solar Eclipse સૂર્ય ગ્રહણ in Texas

8th April 2024

Monday / સોમવાર

Eclipse Start Time – 12:16 PM

Total Eclipse Start Time – 01:35 PM

Maximum Eclipse Time – 01:36 PM

Total Eclipse End Time – 01:37 PM

Eclipse End Time – 02:57 PM

Total Eclipse Duration – 02 Mins 39 Secs

Total and Partial Eclipse Duration – 02 Hours 40 Mins 52 Secs

Maximum Magnitude – 1.01

Sutak Begins – 10:43 PM, Apr 07

(Sutak for Kids, Old and Sick Begins – 07:11 AM)

Sutak Ends – 02:57 PM

All Solar Eclipse  times are written according to Texas (CST) of America 🇺🇸 🙏🏻 Don’t confuse with India’s Panchang 🙏🏻 (Muhurta should be followed according to the country and place where worship/rituals are performed)

એવું કોઈ ઘર હોય?

એવું કોઈ ઘર હોય?

‘ઘ’ ને કંઈ નહીં  ‘ઘ’
અને ‘ર’ ને કંઈ નહીં ‘ર’
પણ ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

ઘટ મળે, ઘટના બને, 
ઘટમાળની ઘમસાણ ચગે, તે છતાં
રસલહાણ વહે, એવું બધું જ્યાં જ્યાં મળે, ત્યાં હોય  ઘર.
ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

રંગો નવા નિત્યે મળે,
રડવું -હસવું બેય બને, રોજનો રઘવાટ રહે,
કાનો-માત્ર, રસ્વ,દીર્ઘ, પ્રશ્ન -આશ્ચર્ય 
‘આ,ઈ,ઊ’ની રમખાણ મચે ને તે છતાં,

રુદિયે રેશમ ભાવ મળે, એવી બારાખડી
જ્યાં જ્યાં મળે ત્યાં હોય ઘર.

ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?
ઘરમાં જ વિશ્વ મળે ને વિશ્વ આખુંયે લાગે ઘર
બસ, સુસજ્જ માળા જેવું હૂંફાળું હોય ઘર!!
ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ..

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન(gujaratisahityasarita.org)ને આંગણે એપ્રિલ ૨૭મીએ ‘સર્જકો સાથે એક સાંજ’ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સમયે અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવકથાઓના સંગ્રહ ‘સ્મૃતિસંપદા’નું વિમોચન કરવામાં આવશે. તેમાં જોડાવા સૌ ચાહકોને ભાવભર્યુ આમંત્રણ.

‘સ્મૃતિસંપદા’માં જેમની કૃતિઓ પ્રગટ થઈ છે, તે પંદર લેખકોમાંથી મોટાભાગના આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સૌના માનીતા અને જાણીતા કવયિત્રી પન્ના નાયક અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. સૌને મનગમતા એવા બીજા કેટલાક લેખકો પણ જોડાશે તેવી આશા છે.

આ સાથેના ફ્લાયરમાં સંપર્ક માટેની તથા અન્ય વિગતો છે.

સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા અને કાર્યવાહક સમિતિ વતી આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌ રસિકોને આમંત્રણ છે.

‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત કવિતાઃ વંટોળ

આજની સુંદર સવારે આનંદના સમાચાર.ઃ જાન્યુઆરીઃ ૨૦૨૪

‘નવનીત સમર્પણ’ના ફેબ્રુઆરી ‘૨૪ ના અંકમાં નીચેની કવિતા પ્રકાશિત થવા પામી છે..

વંટોળઃ દેવિકા ધ્રુવ

શિખરિણી છંદઃ-૧૭ અક્ષર-

ફરે, ઘૂમે,ઊડે, સતત મનની ખીણ મહીં એ,

કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.

વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.

અને ઘેરે શબ્દે, નીરવ રજનીનાં વનવને.

ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,

ઊંચે નીચે થાતું, સઘળું વલવાતું હૃદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ

મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.

ભળે એવું ધીમે જલકમલ જેવું સ્થિર કશું

કહું,પૂછું ત્યાં તો પરવશપણે ખેંચતું બધું.

મિટાવી ચિંતાઓ, કરકમલ લેખિની ધરીને,

જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,

અહો, કેવી લીલા કવનકણથી એ શમવતું..

–દેવિકા ધ્રુવ

************************************

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ રચના….

પોષીપૂનમનો ચાંદ.

પોષીપૂનમનો ચાંદ.

કેટલો સ્વતંત્ર છે!

સ્વતંત્ર છે?!

વિશાળ આકાશમાં ફરે છે.

પણ એનેય રૂપ, કદ, તેજ અને આકાર

બદલવાં પડે છે.

લાગે છે બિન્દાસ

પણ નિયતિનાં બંધન એને પણ છે જ.

ઊગવું અને આથમવું.

વાદળો વચાળે ઘેરાવું, તરવું,

તોયે પ્રકાશિત રહેવું.

ધરાને નીરખતાં રહેવું.

પ્રેમથી તેજ ફેલાવતા રહેવું.
શું હશે આ ગુલાબી કળાનું રહસ્ય?

 કદાચ મુક્ત બંધન.