સંગ્રહ

સ્મરણની શેરીમાંથી-૧૧

(૧૧)

 

 તે અરસામાં ઉંમર ૨૦ વર્ષની. એક મોટા કુટુંબની આદર્શ વહુ થવાના ત્યારે ઓરતા જાગ્યા. એક તરફ પોતાના ભાઈબહેનો તો બીજી તરફ?! અવનવી દ્વિધા વચ્ચે મન ઝુલતું હતું. દિલ અને દિમાગ વચ્ચે રકઝક ચાલ્યા કરતી હતી. મનના નેપથ્યમાં મજમુદાર પરિવારની એક આદર્શ વ્યક્તિનું (ભાભી) ચિત્ર અંકાયેલું હતું.

તેવામાં યોગાનુયોગે જ્ઞાતિ બહારના એક યુવક સાથે જરા મન મળ્યું. નાતજાતના કે ધર્મ સંપ્રદાયોના વાડામાં હું ક્યારેય માનતી ન હતી. ઘરમાં પણ, ક્યાં બંધન હતું? પણ સામે પક્ષે જબરદસ્ત ઉહાપોહ અને વિરોધ હોવાને કારણે, ફરી પાછો થોડાં વર્ષો, એક નવો સંઘર્ષ સામે આવી પડ્યો. નવલકથાની જેમ વહેતા જતા એ સમયની લાંબી પીંજણ કર્યા વગર એટલું જ કહીશ કે ત્રણ-ચાર વર્ષની ધીરજ અને અવિરત મક્કમતા સરસ કામે લાગી. ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ એ સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે’ માની એ કસોટીકાળ પૂરો કર્યો અને ૧૯૭૧માં બહોળા નાગર પરિવારના ધ્રુવ કુટુંબમાં પ્રવેશ કર્યો. દૈવયોગ તો કેવો?!  રગેરગમાં ભરેલા સાહિત્ય, સંસ્કૃત અને સંગીતરસના બીજને જાણે હવા, પાણી અને પ્રકાશ મળ્યાં!! 

નવા જ રીતિરિવાજો, રહેણીકરણીમાં સ્વયંને ઢાળી અને વાળી. ઘણું ઘણું અહીં શીખવા મળ્યું. ૧૧ ઓરડાઓ, ત્રણ અગાશીઓ,મોટો ચોક અને ધાબાવાળા ત્રણ માળના મકાનમાં, વિશાળ સંયુક્ત કુટુંબ મધ્યે થતી તહેવારોની સામૂહિક ઉજવણી, પૂજા-પાઠ, સ્તુતિ,આરતી, મહેમાનોની સતત અવરજવર, દિવાળી-હોળી-ઉતરાણના ઉજવાતા ઉત્સવો વગેરેમાંથી પસાર થતાં વ્યક્તિત્વને, ભીતરથી એક નવો જ આયામ મળતો ગયો. એકદમ સ્વતંત્ર રીતે વિકસેલી મનોવૃત્તિને અહીં સ્વયં સમજણ અને સમજૂતીના સરસ પાઠો મળ્યા. સાચા અર્થમાં અને યોગ્ય રીતે અહીં ભણતરનો ઉપયોગ થતો ચાલ્યો. પરીણામે શરૂઆતનો સંઘર્ષ થોડાક જ સમયમાં ઓગળતો ચાલ્યો અને સાહિત્ય, સંગીત અને સંસ્કાર-પ્રિય કુટુંબમાં દૂધમાં સાકરની જેમ ભળીને એકરૂપ થઈ શકાયું. સૌનો સ્નેહ અને શાંતિ એ જ તો ખરો આનંદ. માનવી માત્ર સારો છે માત્ર સંજોગો ક્યારેક વર્ચસ્વ જમાવી દેતા હોય છે !!

અગાઉ કહ્યું તેમ, life is continuous a learning process. જીંદગી સતત ચાલતી નિશાળ છે. જો આંખ, કાન અને મન ખુલ્લાં રાખીએ તો પ્રત્યેક ક્ષણે નવું શીખવા મળે છે. સાચા મનથી અને ધીરજથી શીખવાની ભાવના હોય તો સારું ગ્રહણ કરી શકાય છે. એને માટે બહુ ઝાઝો પ્રયાસ પણ નથી કરવો પડતો. એકવાર સારી આદતો પડ્યા પછી એ જ તો ક્રમ બની જાય છે અને સફળતા આપમેળે મળતી રહે છે. ગીતામાં જરા અઘરી રીતે આ જ વાત કરી છે ને? બસ, કર્મ કર્યે જાવ. ફળ તો આપોઆપ મળશે. कर्मण्येवाधिकारस्ते  मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते  सङ्गोऽस्त्वकर्मणि ॥

 જે અવસ્થામાં જે કાંઈ સામે આવી મળે છે તેને યોગ્ય રીતે સ્વીકારો અને વિક્સાવો. સારા વાવેલા કે મળેલા બી, થોડી અમસ્તી માવજતથી ઊગ્યા વગર નથી રહેતા. સમય સમયનું કામ કર્યે જાય છે. કોઈનો સમય એકસરખો ક્યારેય રહેતો જ નથી. ક્યારેક એ જખમ આપે છે એટલે તો ઘડિયાળમાં કાંટા હોય છે. ફૂલ નહિ! આપણે પણ એમ જ પૂછીએ છીએ ને કે કેટલા વાગ્યા?!!!

સમયની આ ધારા વહેતી રહી અને ૧૯૭૧માં તેમ જ ૧૯૭૫માં બે મોટી ગિફ્ટ મળી, બે દીકરાઓની. એકનો જન્મ અંગ્રેજી નવા વર્ષની પહેલા અને બીજાનો જન્મ આપણાં નવા વર્ષની પહેલાના દિવસોમાં. યુનિ.ની નોકરી ચાલુ રાખી. છોડવાનો વિચાર તો કર્યો હતો પણ સાસરિયાંએ જ સહકાર આપી ચાલુ રખાવી. પરિવાર મોટો અને બધા જ પ્રવૃત્ત. નસીબજોગે એક સારા બહેન પણ ઘરકામ અને છોકરાઓની સંભાળ માટે મળી ગયાં અને એમ ગાડું ચાલ્યું.

અમારાં લગ્ન પછી તરત જ મોટીબહેનના લગ્ન થયાં. આમ તો બેન કુટુંબને કારણે અપરિણીત રહેવા ઈચ્છતી હતી. પણ કોઈ નસીબયોગે ડોક્ટર બહેનના લગ્ન થયાં અને તે અમેરિકા ગઈ. જવાબદારીઓથી સતત સભાન તેણે એક પછી એક બધાં જ ભાઈબહેનોને ત્યાં બોલાવ્યાં અને બહુ ઈચ્છા નહિ છતાં નસીબજોગે અમે પણ ૧૯૮૦માં ન્યૂયોર્ક પહોંચ્યાં. ૧૯૭૦-૮૦ના ગાળામાં તો નસીબ આડેના પાંદડે એક જુદો જ રંગ ધર્યો..
દરમ્યાનમાં પિતા અને દાદી બંનેને ગુમાવ્યાં.

ક્યારેક લાગતું હતું કે ઝુંપડીની પોળની અતિ સામાન્ય સ્થિતિમાંથી બહાર આવી શકીશું? પણ સમય બદલાય છે ત્યારે અચાનક બદલાય છે. અગાઉ લખ્યું છે તેમ મહેનત અને ધીરજના ફળ નસીબ મીઠાં કરી દે છે. જીંદગીના પ્રથમ ત્રણ દાયકામાંથી ખૂબ શીખવા મળ્યું અને પછી શરૂ થયો શીખવવાનો ગાળો. એની વાત કરું તે પહેલાં થોડા વિચારો.

જીવનસાથીની પસંદગી એક મહત્વની બાબત છે. લગ્ન વડિલો દ્વારા ગોઠવાય કે સ્વયંની પસંદગીથી.પણ એક વાત નક્કી છે કે, મોટેભાગે શરુઆત અઘરી હોય છે. કારણ કે, સામાન્ય રીતે બંને પાત્રો અલગ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આમ જોઈએ તો, વ્યક્તિ માત્ર અલગ છે. ઈશ્વરે કોઈ બીબું ફરી વાપર્યું નથી! કોઈપણ સંબંધ હોય કે સગપણ હોય, બાંધછોડ તો કરવી પડે છે. માદીકરી હોય કે  બે બેનો, પિતાપુત્ર હોય કે બે ભાઈઓ, મિત્રો હોય કે ભાઈબહેનો હોય, દરેક સંબંધમાં સમજણથી વર્તવાનું હોય છે, વિવેકપૂર્વક જીવવાનું હોય છે. પ્રેમ ખૂબ નાજુક છે એને જતનથી જાળવવો પડે છે. એમ કરવાથી બંને પક્ષે લાગણી અને માન વધે છે. પશ્ચિમના દેશોની જેમતૂ નહિ ઓર સહીકરીએ તો જીવન નથી, જીવન જીવંત નથી. દરેક પેઢીને માટે, દરેક વ્યક્તિને માટે વાત એકસરખી લાગુ પડે છે. સદભાગ્યે, અમે બંને વાતને સારી રીતે અપનાવી શક્યાં અને એક સુંદર આદર્શ જીવન શરુ કરી શક્યાં. તકલીફ તો સૌને પડે . અમને પણ પડી. પણ જો ધ્યેય ઉમદા હોય અને મનથી નિર્ધાર પાક્કો હોય તો સફળતા મળે. ધારો કે, સફળતા મળે તો મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવાની શક્તિ તો  જરૂર મળે. પછી તો એક એવી આદત પડી જાય કે, અવરોધો કે મુશ્કેલી છે એવું લાગે પણ નહિ. રસ્તાઓ આપમેળે ખુલતા જ રહે.

સંસ્કૃતમાં એક સરસ જાણીતો શ્લોક છે. उद्यमेन ही सिध्यन्ति कार्याणी मनौरथैः हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः અને કદમ સ્થિર હો એને કદી રસ્તો નથી મળતો.અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો. આ વાક્ય લખતા લખતા યાદ આવ્યું કે તે સમયે એક બીજું પણ વાક્ય મારી આંખ સામે સતત રમતું રહેતુ જેને મેં મારી ડાયરીઓના પાને પાને લખેલું કે “આત્માની શક્તિ અણુબોંબ કરતા પણ મોટી છે..”

આ વાક્યમાં આમ તો વિરોધાભાસ છે. અણુબોંબ વિનાશક શક્તિ છે જ્યારે આત્મા તો પરમનો અંશ છે.પણ સરખામણી તાકાત અંગે છે, શક્તિ માટેની છે. એ અર્થમાં કે સંપૂર્ણપણે નિશ્ચય અને મક્કમ મનથી આગળ ધપનાર માનવી એના ધ્યેય સુધી જરૂર પહોંચી શકે છે, એ આત્માની શક્તિ છે, મનોબળની તાકાત છે. તેની આગળ અણુબોંબ પણ કોઈ વિસાતમાં નથી.

આવતા પ્રકરણમાં વિદેશ-ગમનની અવનવી વાતો અને અનુભવો..

સ્મરણની શેરીમાંથી..૧૦

 


                                          (૧૦) 

સ્મરણની આ શેરીના વળાંકો કેવા કેવા મોડ પર લાવી ખડા કરી દે છે! અને કેવા જુદા, નવા રસ્તાઓ ખોલી આપે છે!!

અગાઉ લખ્યું તેમ ૧૯૬૮માં યુનિવર્સિટીની નોકરી શરુ કરી. ક્લાર્ક તરીકે એકાઉન્ટ વિભાગમાં શરૂઆત કરી. પછી તો સમયાનુસાર પરીક્ષા વિભાગ, અનુસ્નાતક વિભાગમાં અને લાયબ્રેરીમાં પણ કામ કર્યું. આ વાત ૧૯૬૮ની કે જ્યારે મને જોબ મળી, મોટીબહેન ડોક્ટર થઈ અને આર્થિક સંકડામણો પણ થોડી હળવી થઈ હતી.  અમને અમારી રીતે સમજનારા મિત્રો પણ ઘણાં મળ્યાં. યુનિ.માં. અંજનીબહેન, રજનીબહેન, મેનાબહેન, પરાબહેન, અરવિંદાબહેન, પંકજબેન, મૃદુલા વગેરે સાથે તો હજી આજ સુધી સંબંધો સરસ સચવાયા છે. કેટલાંક મિત્રોએ વહેલી વિદાય પણ લીધી. રીસેસ દરમ્યાન સાથે બેસીને નાસ્તા કરવાની, સમૂહમાં એકબીજાના ઘેર જઈ મળવાની મઝા ભૂલાય તેમ નથી જ. એ ઉપરાંત જુદા જુદા વિભાગોમાં કામ કરવાથી કામનો અનુભવ વધ્યો અને નવી નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાથી મનોવ્યાપારને સમજવાની શક્તિ પણ વધી.

આ ઉપરાંત, તે વખતે યુનિ.ના રજિસ્ટ્રાર હતા શ્રી કંચનલાલ પરીખ. તેમનો પણ મારા ઉપર ઘણો સદભાવ હતો. મને યાદ છે જ્યારે હું યુનિ.માં ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી ત્યારે તેમણે પૂછ્યું હતું કે હું તમને નોકરી ન આપું પણ અનુસ્નાતક અભ્યાસ માટેની તમામ આર્થિક સુવિધા કરી આપું તો તમે તે પસંદ કરશો?  હા પાડવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં મેં ના પાડી અને કારણ ન જણાવ્યું. ત્યારે કદાચ મારા ચહેરા પર છતા થઈ ગયેલા ભીતરના મનોભાવોને તેમણે બરાબર વાંચી લીધા હતાં અને સમજી શક્યા હતા. તેમની એવી ભલી લાગણી હંમેશાં રહી હતી. તેથી વર્ષો પછી જ્યારે મારે યુનિ. છોડીને અમેરિકા પ્રયાણ કરવાનું થયું ત્યારે તેમણે કહ્યું હતુઃ “ત્યાંની પ્રજા ચતુર છે પણ ચાલાક છે, ભૂમિ પણ લપસણી. સાચવીને રહેશો.” થોડા શબ્દોમાં કેટલી મોટી અને સાચી વાત તેમણે કરી હતી!!

 આ સમય દરમ્યાન જ મોટીબહેનની એક બહેનપણીના પિતાશ્રી હરિવદન જોશી ( તે વખતના લો કોલેજના પ્રિન્સિપાલ) નો પણ મોટો સહારો મળ્યો.  તેમણે દિકરીની જેમ અમને બંને બહેનોને પ્રેમ આપ્યો, હૂંફ આપી. આમ, સંકડામણો વચ્ચે ભીંસાયેલ જીંદગીમાં થોડી રાહત થઈ. તે સિવાય પણ ૧૯૬૮માં મોટી બહેન ડોક્ટર થઈ ચૂકી હતી અને પાટણ-મહેસાણા તરફ ઈન્ટર્નશીપ શરૂ થઈ હતી જેને કારણે પણ આર્થિક અથડામણો ઓછી થવા માંડી હતી. બીજી બાજુ, ભણતરનો સમય બંધ થવાથી દાદીમા ઘરના કામોમાં વધુ ખેંચતા ગયાં, વધુ પરોવતા ગયાં. તેમની આયોજન કુશળતા,વ્યવસ્થા, નિયમિતતા વગેરેની, જાણેઅજાણે અસરો પડતી ગઈ.

મને યાદ છે, બે યુવાન છોકરીઓને ઠેકાણે પાડવાના તેમના પ્રયત્નો પણ શરૂ થઈ ચૂક્યા હતા. તેથી જ તો એ ઈન્ટર્નશીપ માટે એકલી રહેતી મોટીબેનને સાચવવા અવારનવાર પાટણ-મહેસાણા પણ જઈ રહેતા અને મેળ પાડવાની કોશીશો કરતા.  મા તો ભગવાનનું માણસ. એ તો સઘળું ઈશ્વરને સોંપી નિશ્ચિંત રહેતી.

વિચારું છું, દાદીમાના સમયની એ જીવનસરણીમાં, રીતિરિવાજોમાં કે સંયુક્ત કુટુંબ-વ્યવસ્થામાં મોટેભાગે કોઈ એકલું પડતું ન હતું. એકમેકના સહારે કે પરસ્પરના કારણે તકલીફો વેઠી શકાતી હતી. એટલું જ નહિ, સમયે સમયે રસ્તાઓ પણ નીકળતા જતા હતા અને દરેક વ્યક્તિ સમૂહની સાથે, સ્વાભાવિકપણે સમજૂતીપૂર્વક રહેવાનું શીખતી જતી હતી. જમાને જમાને ઘણું બધું બદલાય છે, બદલાવું જોઈએ પણ ધીરજ અને સહિષ્ણુતાના ગુણો અત્યારે લગભગ દુર્લભ અથવા નહિવત જોવા મળે છે. દરેક ઠેકાણે “મને શું ગમે છે?” નું જ મહત્વ વધારે દેખાતું જોવા મળે છે.” “મારે શું કરવું જોઈએ?” અથવા તો “મારે શું કરવાની જરૂર છે?”ની ભાવના, ફરજ વગેરે અદ્રશ્ય થવા માંડ્યા છે. ખૈર! સમયની બલિહારી..બીજું શું? સમયનો તો કેટલો મહિમા?

સમયના સામર્થ્યની વાત સહજ નથી,સમય ઘડિયાળના ફરતા કાંટા નથી.સમય વીતીને કદી પાછો વળતો નથી, ભાવિની વીતક કદી કહેતો નથી.સમય તિથિ-વારમાં વહેંચાતો નથી, કોઇની મૂઠ્ઠીમાં કદી બંધાતો નથી.સમય આંસુથી યે રોકાતો નથી, સ્મિતથી કદી છેતરાતો નથી.  

નથી…,નથી…,નથી.નો આ સમય  શું છે ?

સમય તો અનંતની વિસ્મયલીલા છે, અનાદિથી સરતી અવિરત ધારા છે. સમયને જાણવો અને જીરવવો, જબરદસ્ત જિગરનું કામ છે.સમય તો ક્ષણ ક્ષણની સમજ છે,ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.

 જીવનના આ સમયનો એક બીજો તબક્કો શરૂ થયો ૨૦-૨૧ની ઉંમરે, એક એવો નૈસર્ગિક વળાંક જ્યાં કદાચ દૈવયોગો અવશપણે ખેંચી જતા હોય છે..

 હવે પછીના પ્રકરણમાં….

સ્મરણની શેરીમાંથી-૯

                                 (

યુનિવર્સિટીની ડીગ્રીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ હોઈ ગોલ્ડ મેડલ અને અન્ય ૬ ઈનામો મળ્યા. તે વખતના રાજ્યપાલના હાથે મળ્યાં. છાપાંમાં ફોટા આવ્યા.

છતાં મેં અનુસ્નાતક શિક્ષણ માટે અભ્યાસ ચાલુ ન રાખ્યો. કોઈ પાર્ટીઓ યોજવાનો તો પ્રશ્ન જ નહતો. એક ફુલ ટાઈમ સારા પગારની નોકરી સ્વીકારી. શહેરથી ઘણે દૂર શાહીબાગ વિસ્તારમાં, મીલીટરી ઓફિસમાં, ટેલીફોન એક્ષચેઇન્જની ઓફિસમાં, ટેલીફોન ઑપરેટર તરીકેની નોકરી સ્વીકારી.

કોલેજના પ્રિન્સીપાલ અને પ્રોફેસરોએ ઘણી સમજાવી પણ  ત્યારે મારું ધ્યાન માત્ર કુટુંબમાં આર્થિક રીતે મદદરૂપ થવા તરફ જ હતું. મોટીબહેન તો કોઈની સહાયથી મેડિકલમાં હતી જ. પરીણીત મોટા ભાઈ પણ શક્ય તેટલું કરતા હતા. પિતાના પુરુષાર્થ અને પ્રારબ્ધનો મેળ બેસતો નહતો તે સંજોગોમાં નાના ત્રણ ભાઈબહેનો તરફ આંખ રાખીને મેં એ નોકરી ચાલુ રાખવાનું પસંદ કર્યું.

તે સમયે જલદી નોકરીઓ મળતી ન હતી. લાગવગ ન હતી ને?!! સવારે ૭ થી ૧ નોકરી અને બપોરે માને ઘરમાં અને બીજાં કામોમાં મદદ કરતી. નાના ભાઈબહેનોને ભણાવતી.

એ નોકરી વળી એક સાવ જુદો જ અનુભવ હતો. માથા ઉપર હેડફોન લગાવી અનેક સ્વીચબોર્ડ નજર સામે રાખી, લીલી લાઈટો થાય તેમ તેમ એટેન્ડ કરી યોગ્ય કનેક્શન કરી આપવાના અને તે પણ મીલીટરી ઓફિસરોની રેન્ક મુજબ જ. નહિ તો તકલીફ. ભણતરનું કશું જ ત્યાં કામે ન આવે તેથી કેવી રીતે ગમે? બધું જ યંત્રવત. નોકરીમાં કાંઈ શીખવાનું ન હતું, કામ ગમતું પણ ન હતું. એવામાં બરાબર ૬ મહિના પછી, યુનિવર્સિટિમાં અને બેંકમાં એમ બે ઠેકાણે એક સાથે નોકરી મળી.

ચહો કંઈ ને મળે કંઈએવું ઘણું લાગે; ને ન ધારેલું સપન, કદી ફળી જતું હોય છે!

 બેમાંથી ક્યાં જવું તે પ્રશ્ન થયો! પસંદગી અઘરી હતી. છેવટે મેં યુનિ.ની નોકરી સ્વીકારી. એની વાતો કરું તે પહેલાં બીજું એક મધુર સ્મરણ.

 મને યાદ છે મારો એક માનસિક સહારો હતો, મારા સાંજના એક રુટિનનો. જમી-પરવારી નજીકના આશાપુરીના મંદિરના બંધ બારણાની જાળી પાસે આંખ મીંચી, માથું નમાવી હું ઉભી રહેતી અને “ બધાંનુ બધું સારું સારું કરજો” એવું મનમાં બોલતી અને ઘેર પાછી આવતી. કોણ જાણે એનાથી મનને ખૂબ સારું લાગતું અને એથી વિશેષ શ્રધ્ધા ક્યારેય કશામાં જાગી નથી. તેથી જ તો હજી આજે પણ પૌત્ર-પૌત્રીઓને એજ બોલતા શીખવાડ્યું છે કે, આંખ બંધ કરી, માથું નમાવી, બે હાથ જોડી “હે ઈશ્વર, બધાનું બધું સારું સારું કરજો”. બોલવું. આ એક નાનકડા વાક્યમાં શાંતિની સાથે સાથે કેટકેટલું ભર્યું પડ્યું છે !! ‘બધાનું બધું’ દ્વારા વિશ્વની પણ શાંતિ છૂપાયેલી છે ને ?

બીજું દિવસોમાં સાંભરે છે એક આદર્શ કુટુંબ અને તેમાં થતી રહેતી અમારા સૌ ભાઈબહેનોની અવરજવર. ગાંધીકથા કહેનારા શ્રી નારાયણ દેસાઈનો પણ અમદાવાદ ખાતે ઘેર મુકામ. મારા માનસ પર   મજમુદાર પરિવારની ઘેરી અસર. કુટુંબની દરેક વ્યક્તિઓ સરળ, સેવાભાવી અને સમજદાર. એક સરસ જીવન કેવું હોઈ શકે વાત ત્યાંથી અનુભવાય. બધું વ્યવસ્થિત ચાલેદરેક કામો પ્રેમથી થાય, સાંજના સમયે સૌ સાથે બેસીને ઘરમાં પ્રાર્થના કરે ત્યારે મંદિર જેવી પરમ શાંતિનો અનુભવ થાય, ત્યાંથી દૂનિયામાં દેખાતા સારા ખોટાનો ફરક પણ અનાયાસે પરખાય. જ્યારે જ્યારે નજર સામે કોઈ ખોટી ઘટના દેખાતી તો તેમાંથી શું સારું અને શું ખોટું ભેદ ત્યાંથી આપમેળે , મનની કોરી પાટીમાં સ્પષ્ટ થઈ, ઘૂંટાઈને ઘેરો બનતો ચાલ્યો. મહોલ્લાના કોઈ પરિવારમાં ચાલતા અને જોરશોરથી સંભળાતા કંકાસોના કારણો અને ખોટી વ્યક્તિઓના મૂળની ગડ બેસતી ગઈ અને ઉકેલની સમજણ અનાયાસે ઠરતી ગઈ. આમ, ખોટામાંથી સારું શીખાતું ગયું. શાળાકોલેજોમાંથી ભણતર થાય છે તો  આવા સારા વાતાવરણમાંથી વ્યક્તિત્વનું ગણતર અને રીતે ચણતર થાય છે વાતનો પાયો દ્રઢપણે મારા હૈયામાં જડાઈ ગયો.

માની સૌમ્ય મૂરતની સાથે સાથે મજમુદાર કુટુંબના મારાથી પાંચેક વર્ષ મોટા મુક્તિબેનને શીશ નમે છે. ભાઈબહેનો અને માતપિતા તો પોતાના હોય પણ ફરિશ્તા જેવી વ્યક્તિ અનેકનો વિસામો છે. હજી આજે પણ મારી ભારતની મુલાકાત દરમ્યાન ત્યાં જઈ તેમને મળું ત્યારે ધન્યતાનો અનુભવ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરની જન્મ તારીખે જન્મેલ મુક્તિબેનની પાસે જઈ બેસું કે વાતો કરું તો તેમનું સાંનિધ્ય એક ગજબનો આહ્લાદ આપે, તીર્થસ્થાન જેવી શાંતિ આપે.. પારસમણિના સ્પર્શે કથીર પણ કંચન બની જાય તેવું વ્યક્તિત્વ ધરાવતા તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે.

આજે પણ એ જ વાત કહેવી છે કે, સારા વાતાવરણ અને સારી વ્યક્તિઓની આસપાસ રહેવું ખૂબ જરૂરી હોય છે. જીવન તો એક લપસણી ભૂમિકા છે. ક્યારે લપસી જવાય, કંઈ કહેવાય નહિ. પણ સારી વ્યક્તિઓ આસપાસ હશે તો ટટ્ટાર રહેવાનું સરળ બનશે.

આજની પેઢીને જાતે ભૂલો કરવી છે અને તે પછી તેમાંથી કંઈક શીખવું છે. તેના બદલે આવા અનુભવો જાણીને સાવધ થઈ જાય તો ઘણી ભૂલો થતી અટકાવી શકાય. બાકી તો જીવન એક પ્રયોગશાળા જ છે. Life is a learning process continuously.

સ્મરણની શેરીમાંથી-૮

 ( ૮ )

આગળ કહ્યું તેમ જાણીતા સાહિત્યકારો પ્રોફેસર્સ હતાં તેથી ભણવાની ખૂબ મઝા આવતી. પ્રોફેસરોમાં  સંસ્કૃત વિષયના શ્રી પી.સી.દવે, ગુજરાતી સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ, હાસ્ય લેખક શ્રી મધુસુદન પારેખ, ટાગોરની બંગાળી કૃતિઓના અનુવાદક શ્રી નગીનદાસ પારેખ મળ્યા તો મિત્રો. નયના,રંજન,બંસીભાઈ,ખૂબ ઉમદા મળ્યા.તે સૌ સાવ પોતાના લાગતા.  એ વાતાવરણ, ઈતરપ્રવૃત્તિ અને ગીતા, વેદ, કાલિદાસના મહાકાવ્યો, શબ્દાર્થમીમાંસા ઘણું બધું શીખવા મળતું..

નાટ્યકાર જશવંત ઠાકર અને અરવિંદ વૈદ્યના દિગ્દર્શન હેઠળ “મોટાકાકાની મૈયત” નાટક ભજવીને પ્રથમ વિજેતા બન્યું હતું.   

તો સંસ્કૃત ભાષામાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ફાધર વાલેસની હાજરીમાં સેંટ ઝેવીયર્સ કોલેજના આચાર્યના હસ્તે પ્રથમ ઈનામ મેળવ્યું હતું.

કવિ શ્રી ઉમાશંકર જોશી હસ્તક કાવ્યપઠન માટે ત્રીજું ઈનામ મેળવ્યું હતું.

 

એ પણ દિવસો હતા. કોલેજના એ ચાર વર્ષે ઘણું બધું આપ્યું.  કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત વિષયમાં યુનિ.નો ગોલ્ડ મેડલ મેળવ્યો એ સિધ્ધિ આખી જીંદગી ખુશી અપાવતી રહી અને એને જાળવી રાખવા માટે પ્રેરતી રહી. શિક્ષકોએ સાચું જ કહ્યું હતું કે, કોઈપણ વસ્તુ મેળવવી સહેલી છે, એને જાળવવી અઘરી છે એ શીખ મનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને હંમેશા વારવાર સ્મરણ કરાવતી રહેતી હતી.

આ જ કોલેજે એક સરસ મઝાની સખી આપી જેની સાથે આટલા વર્ષો મૈત્રી તો રહી પણ અમારા કોલેજ પછીના ચાર-પાંચ દાયકાઓના વિદેશના અનુભવોના અર્કરૂપે લખાયેલા પત્રોને એક સાહિત્યિક આકાર પણ મળ્યો. કેટલી અને કેવી ખુશી!! ‘આથમણી કોરનો ઉજાસ’ પાથરી અમે અંતર અજવાળ્યાં.

આમ, આર્થિક વિટંબણાઓએ શિક્ષણનો રાહ જરા ( વિજ્ઞાનના ક્ષેત્રમાં ન જવાયું એ રીતે) વાળી તો લીધો.પણ એનો ઝાઝો અફસોસ ન થયો. કારણ કે, દરેક સ્થિતિમાં પ્રાયોરીટી પ્રમાણે નિર્ણયો લેવાના હોય છે. અને સાચું શિક્ષણ તો જીંદગીમાંથી મળતું જ રહેતું હોય છે ને? એમ વિચારી મનને જલદી મનાવી લેવાતું.

સવારની કોલેજની સાથે સાથે બપોરથી સાંજના સમયની જોબ પણ કરી. કદીક ટ્યુશન કર્યા, ટાઈપીંગની નોકરી કરી તો થોડો સમય ગુજરાત સમાચારની ઓફિસમાં પણ કામ કર્યું. જે કાંઈ પૈસા મળતા તે ઘર-ખર્ચમાં ઉમેરણ થતું. બસને બદલે ચાલીને કોલેજ જતી. કપડાંની  બે કે ત્રણ જ જોડ રહેતી. એક જોડ ચંપલ ઘણાં વરસ ચાલતી અને એક સ્વેટર ઘણાં શિયાળા ટૂંકાવતી. ૬ ભાઈબહેન હતાં ને? પણ કોણ જાણે એ અભાવ ત્યારે બહું નડતો નહિ. કારણ કે, બીજી સિધ્ધિઓના ગૌરવ આગળ અભાવો ઝાંખા પડતા.

 ‘ચિત્રલોક’માં અનુવાદનું કામ કરવાની પાર્ટટાઈમ નોકરી કરતા કરતાં શ્રી શશીકાંત નાણાવટીનું ઘણું માર્ગદર્શન મળતું. પછી તો એ મારી પ્રેરણામૂર્તિ બની ગયાં. વર્ષો પછી તેમની પાછલી ઉંમરે મળવાનો મોકો મળ્યો ત્યારે પણ તે મને ઓળખી ગયા અને તેમની પૂત્રી રાજુલ કૌશિકની એક સરસ મિત્ર તરીકે ભેટ કરાવી ગયાં.

આજે એ  બધા દિવસો યાદ કરું છું તો હવે…હવે વસમું દેખાય છે. છતાં યાદ કરવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, તે બધામાંથી ઘણું શીખવા મળ્યું અને તેથી વારંવાર યાદ કરી વાગોળવું ગમે છે. કુંભારના ચાકડાની જેમ ટીપાઈ ટીપાઈને એક સરસ ઘાટ મળ્યો.

હવેની પેઢીને જે વાત કરવી છે તે આ છે કે, મુશ્કેલીઓ તો દરેકને આવે. સમયની સાથે મુશ્કેલીઓના પ્રકારો બદલાય, રૂપ બદલાય પણ એનો સામનો સ્વાભાવિક્તાથી કરવાનો હોય, ધીરજ અને કુનેહથી કરવાનો હોય. તો જ એમાંથી સારી રીતે બહાર અવાય અને રસ જીવંત રહે. સાચી સફળતા એ છે. મને યાદ છે કે અમારા એક પ્રોફેસર કહેતાં કે આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટે પાસપોર્ટ મેળવે છે પણ જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો? મારા મનમાં એ વાક્ય કોતરાઈ ગયું. કારણ કે એમાં ખૂબ સચ્ચાઈ છે અને સૌએ સાવધાન થઈને ભણતા રહેવાનું છે.

સ્મરણની શેરીમાંથી-૭

 ( ૭ )

૧૯૬૪માં અગિયારમાં ધોરણમાં સ્કૂલમાં પ્રથમ અને સારા ટકા હોવાથી અડધી ફી તો માફ જ હતી. છતાં પણ સૌથી ઓછી ફી વાળી અને ચાલીને જઈ શકાય તેવી અને સવારની જ કોલેજ પસંદ કરવાની હતી. પ્રિન્સિપાલને લાગ્યું કે હું તો સાયન્સ શાખામાં જ હોવી જોઈએ તેથી આર્ટ્સનું ફોર્મ જોતાં આશ્ચર્યથી પૂછપરછ કરી. મારે તો નોકરી સાથે ભણવાનું હતું ને? એટલે જાતે જ નક્કી કરી લીધું કે સવારની કોલેજ અને બપોરની નોકરી કરીશ. સંજોગો સમજણ અને શક્તિ બંને આપી દેતા હોય છે! ઘરની સ્થિતિ વિશે કોઈને કહેવું ગમે નહિ તેથી એ સવાલે હંમેશા ચૂપ જ રહેવાનું પસંદ કરતી.

અમદાવાદ આર્ટસ અને સાયન્સ કોલેજમાં બે વર્ષ દરમ્યાન જુદા જુદા ઘણા વિષયોનો અભ્યાસ કર્યો. ઈકોનોમીક્સ, સ્ટેટીસ્ટીક્સ,મેથ્સ, જનરલ એજ્યુકેશન, ગુજરાતી અને સંસ્કૃત વગેરે. ગણિતમાં ઘણો રસ હોવા છતાં ફરી એકવાર શિક્ષકોને કારણે ભાષા તરફની રુચિને પાણી અને પ્રકાશ મળ્યાં. આ કોલેજમાં નાટ્ય-પ્રવૃત્તિમાં ભાગ પણ લીધો. ’સતી આણલદે’નામના નાટકમાં આણલદેના પતિ ઢોલરાની બહેન સોનલનું પાત્ર ભજવ્યું. અરુણા ત્રીવેદી(જોશી),ઉષા,સ્નેહલતા,નીલા જેવાં થોડાં મિત્રો અને પ્રિન્સિપાલ શ્રી કે.એન.શાહ, શ્રી ઠક્કર, રોહિણીબેન કડિયા વગેરે પ્રોફેસરોના નામો અને ચહેરા સ્મરણમાં છે જ. કેટલાંકની સાથે હજી પણ સંપર્ક ચાલુ છે. કેટલાંક વિદાય પણ થઈ ચૂક્યાં છે.

સોળ-સત્તરની એ ઉંમરે સુંવાળા સપનાઓ સેવવાના બદલે વિષમ પરિસ્થિતિઓમાંથી રસ્તા કાઢવાનું અહીંથી શરુ થઈ ચૂક્યું હતું. જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનો ભેદ પણ ત્યારે જ પરખાવા માંડેલો. તે સમયની વાંચન ભૂખ યેનકેન પ્રકારેણ સમયને ચોરીને પણ પૂરી કરી લેતી. ડાયરીઓમાં સારાં સંકલનો થતાં રહ્યાં, ભીતર ઘણું કસાતું ગયું અને સ્વ-અક્ષરો પણ ઉપસતા ગયાં બાળપણમાં રમકડાં કે ચોકલેટો ન મળ્યાં.યુવાનીમાં નિયમો અને આદર્શોથી લપેટાવાનું મળ્યું. નાનાં ભાઈબેનોને જોઈ જોઈ કદીક એ અભાવનો વસવસો લાગતો. પણ આજની ચાલુ ગાડીમાંથી પાછલા અરીસામાં જોઉં છું તો સમજાય છે કે જે હતું તે ભલે સારું ન હતું પણ કદાચ સારા માટે હતું.

પ્રારબ્ધ-પુરુષાર્થના પાઠો વિશે  ‘પરમ’ સાથે  અનેક પ્રશ્નોત્તરી મનમાં ને મનમાં સતત ચાલતી. પણ જાત સિવાય  કોઈ ધર્મગ્રંથો,પ્રવચનો કે મંદિરોની મૂર્તિઓમાંથી  કશો ઉત્તર ન મળતો. ઊલ્ટાનું વધુ ને વધુ કસોટીઓ અનુભવાતી ગઈ. પછી તો એની પણ આદત પડતી ગઈ !

વિચારું છું આજના સુખ-સવલતો વચ્ચે ઉછરતા બાળકો આ બધું ક્યાંથી મેળવશે? વસ્તુની જેમ વ્યક્તિઓ  બદલાય છે અને વહેંચાય છે. લાગણીઓના પાનાં પણ ગઈકાલના વાસી છાપાંના સમાચારોની જેમ એક કોરાણે મૂકી દેવાય છે. આ લખવાનો આશય અને ધ્યેય પણ અંતરના સ્વત્વને જગાડવાનો છે. હવે પછીની પેઢીના પ્રશ્નો અને મૂંઝવણો સમયાનુસાર જુદા હશે, આર્થિક નહિ હોય પણ ઉકેલ તો સૌને પહેલાંના લોકોની જેમ જ પોતાની મેળે જ કાઢવાનો રહેશે એ હકીકત સમજાવવાનો છે, દિલથી..

એક વાતનો સંતોષ છે કે, બધાં જ પૌત્ર અને પૌત્રીઓને આ બધી વાતો વાર્તારૂપે સાંભળવાનું ગમે છે અને પ્રશ્નો પણ પૂછે છે,અલબત્ત,અમેરિકામાં  હોવાથી અંગ્રેજીમાં…

છેવટે મેં સંસ્કૃત અને ગુજરાતી ભાષાઓને મુખ્ય વિષય તરીકે લઈ સ્નાતક થવાનો નિર્ધાર કર્યો. પરિણામે કોલેજ બદલવી પડી અને હું શહેરના નહેરુ પુલને પેલે પાર, સાબરમતીને કિનારે આવેલ એચ.કે. આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ. જાણીતા સાહિત્યકારો પ્રોફેસર્સ હતાં તેથી ભણવાની ખૂબ મઝા આવતી.

સેન્ટરમાં શ્રી યશવંત શુક્લ અને નગીનદાસ પારેખ 

 

       

 

સેન્ટરમાં શ્રી સ્નેહરશ્મિ, ય.શુ. અને મધુસુદન પારેખ

 

 

 

 

 સેન્ટરમાં નાટ્યકાર શ્રી જસવંત ઠાકર.. 

 

એ કોલેજની વધુ  ઘણી વાતો છે જે હવે પછી…

સ્મરણની શેરીમાંથી….૬

( ૬ )

મોટી ફીવાળી સ્કૂલમાં જવાનો તો સવાલ જ ન હતો. અમે ૬ ભાઈબહેન,માતપિતા,દાદી,કાકા વગેરે મળીને ૧૦ જણનું કુટુંબ, સાધારણ આવક. સમજીને મોટીબેનની જેમ જ મેં પણ મ્યુ.ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. અમદાવાદની દાણાપીઠ હાઈસ્કૂલમાં યુનિફોર્મ પહેરવાનો તેથી વધુ કપડાં ખરીદવાનો પ્રશ્ન આપમેળે ઉકલી જતો.

તે વખતના જમાનામાં ત્રણેક Anglo-Indian શિક્ષિકાઓ હતી. તેમને ગુજરાતી બોલતા સાંભળવાનું મને બહું ગમતું. એક ન સમજાય તેવું કુતૂહલ જાગતું. મિસ એલાયઝા હતાં પ્રિન્સીપાલ, મિસ લાયેર અને મિસ કૂપર અંગ્રેજી શીખવતા. તે સિવાયના મોટાભાગની શિક્ષિકાઓ નાગર. યશોધરાબહેન, ચિત્તશાંતિબહેન, નિપુણિકાબહેન, વિભાબહેન,મેધાબહેન, આઈ શાહ સર…ચિત્રકામના ફારૂકી સાહેબ અને સંગીતના સરોજબહેન. સંગીતના બીજાં એક સાહેબ પણ હતા, રૂપાળા રૂપાળા. અત્યારે તેમનું નામ નથી યાદ આવી રહ્યું પણ તેમનો અવાજ ખૂબ સૂરીલો હતો.. ગણિત અને ઈંગ્લીશના શિક્ષકો પણ મને ખૂબ ગમતા. જો કે, શુધ્ધ ગુજરાતીનું પહેલેથી આકર્ષણ તેથી નાગર શિક્ષિકાઓ સાથે વધુ મઝા આવતી.

આ શાળાએ ભણતરની સાથે સાથે ઘડતરમાં વળી નોંધપાત્ર ફાળો નોંધાવ્યો. કુમારીમંડળની પ્રમુખ તરીકે ચૂંટાઈ અને સ્વયંશિક્ષણ દિન નિમિત્તે પ્રિન્સિપાલ બનવાનો પણ લહાવો લીધો. એ ચાર વર્ષની કારકિર્દી યશસ્વી તો રહી જ પણ એ સિવાય કવિતાનું ઝરણું અહીંથી ફૂટ્યું. નિશાળ અને શિક્ષકો માટેના લગાવને કારણે જીંદગીની પહેલી પદ્ય રચના ત્યારે લખી. “લાવું નંબર એસ.એસ.સી.માં સેન્ટર અમદાવાદમાં. કરું પ્યારી શાળાના નામને રોશન અમદાવાદમાં.” ગઝલકારોને ખૂબ વાંચતી તેથી ગઝલના આવા આભાસ જેવી આઠેક લીટીઓ લખીને માનીતા શિક્ષકને આપી દીધી. મારી પાસે રહી ગઈ માત્ર આ બે લીટીની સ્મૃતિ. પછી તો આખી વાત જ કોણ જાણે ક્યાં સંતાઈ ગઈ. સેન્ટરમાં તો નહિ પણ સ્કૂલમાં બધા જ વર્ગોમાં પ્રથમ આવી. તોય સંવેદનશીલ દિલને બહુ ઓછું આવી ગયું હતું.

મુસ્લિમ વિસ્તારમાં સ્કૂલ હતી તેથી મોટાભાગની છોકરીઓ મુસ્લિમ. તેમની રહેણીકરણી, વિવેક, અઝાન, નમાઝ, રોઝા વગેરેની વાતો ઘણી કાને પડતી. દિલથી એ સૌને આદાબ. મને ક્યારેય કોઈ વિશે કશું અલગપણું વર્તાયું જ નથી. તેમના ઘેર પણ હું જતી અને નાસ્તો પણ કરતી. એ આબેદા, સૈદા, ઝરીના, સીદીકા, સકીના, સાબેરા, સલમા, શાહીદા, રુક્સાના વગેરેના ચહેરા સ્મૃતિપટ પર અકબંધ છે. હજી આજે પણ મળે તો ઓળખી જાઉં, જો ચહેરામાં ખાસ ફરક ન પડ્યો હોય તો!!

આ બધાંની સાથે કરેલ એક નૃત્યનાટિકા યાદ આવી. દિગ્દર્શક હતા રામકુમાર રાજપ્રિય અને નૃત્યનાટિકાનું નામ હતું “માનવ તારું વિશ્વ”. તે પહેલા તેમણે એક ‘ગુજરાત તારું ગૌરવ’ નામનો કાર્યક્રમ કરાવેલ. જો કે, ત્યારે હું પ્રાથમિક શાળામાં હતી. મોટીબેને તેમાં ભાગ લીધો હતો. ‘માનવ તારું વિશ્વ’માં જાણીતી અભિનેત્રી માલા સિંહાના ભાઈ તામ્ફા સિંહા અમને મણીપુરી નૃત્ય શીખવતા. યાદ છે ત્યાં સુધી તેમણે જ આસામી લોકનૃત્ય શીખવ્યું હતું.

શબ્દો કંઈક આ પ્રમાણે હતાઃ પાયગો લાસે નૂના નૂરે.. પાયગો લાસે લમસમ સત્યુ.પાયગો લાસે નૂના નૂરે..લાય સમનમ સમનમ…આઈ નાઈ નૂનાઈ..આઈ નાઈ નૂનાઈ..

રામભાઈ રાજપ્રિયે રાજસ્થાની નૃત્યની પ્રેક્ટીસ કરાવી હતી. ‘મત પીઓ રે ભવરજી તંબાકુડી મત પીઓ રે..એ નૃત્ય તો  એટલું બધું ગમતું હતું કે પછીના વર્ષોમાં મેં જુદી જુદી સખીઓ સાથે જુદે જુદે ઠેકાણે રજૂ પણ કર્યું હતું. આજે તક મળે તો હજીયે કરું!!! આખા કાર્યક્રમની વાર્તા વસ્તુ  કદાચ માનવના વિશ્વની ( ભારતની) રહેણીકરણી અને જીવનસરણી બતાવવાની હતી. લગભગ ચાર-છ મહિનાની પ્રેક્ટીસ પછી વર્ષને અંતે ભજવણી કરી હતી. પણ એ દ્વારા ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું હતું.

આજે જ્યારે એ માહોલમાં ફરી એક વાર મને મૂકીને વિચારું છું તો લાગે છે કે કશી સભાનતા વગરની એ બિન્દાસ જીંદગીમાં પણ આપમેળે કેવા કેવા પાઠો અંકિત થઈ જતા હોય છે, મનના પ્રેસમાં છપાઈ જતા હોય છે. રસ-રુચિને ઉઘાડ મળતો જાય છે તો વ્યક્તિત્વનો આકાર પણ ત્યારે જ ઘડાતો જાય છે. જે ત્યારે ગમતું હતું તે આજે અનુકૂળતાઓ મળતાં ફરી એકવાર વધુ ઉપસતું અને ઓપતું જાય છે. તે વખતનો મારો કવિતા-પ્રેમ, લાયબ્રેરીમાં અવારનવાર જવાની વૃત્તિ, સુંદર નિબંધો લખી શિક્ષકોને બતાવવાની ઘેલછા વગેરેએ આજે એનું સામ્રાજ્ય જમાવી જ દીધું છે.

જે નથી એના અભાવની અનુભૂતિને રડતા રહીને માણસે બેસી રહેવાનું હોતું નથી. દુઃખનું પક્ષી માથે બેસે તો એને ઉડાડી દેવાનું હોય. એને માળો ન બાંધવા દેવાય. સમય સૌનો ક્યાં સદા એક સરખો રહે છે? એની પણ આવનજાવન ચાલુ જ રહે છે.આપણે તો બસ ચાલતા રહેવાનું છે, એની સાથે જ. પણ પરવા કર્યા વગર. સુખ મળે તો છક્યા વગર અને દુઃખ મળે તો રડ્યા વગર. પોતે જ પોતાના નાવિક બની નૈયા તરાવતા રહેવાનું છે. જીવનની સહેલ લાંબી હોય કે ટૂંકી. આપણે જ એને પાર કરવાની છે અને તે પણ સાચી દિશામાં રહીને,યોગ્ય રીતે હંકારીને. બધી જ શક્તિ સૌને મળેલી છે અને તેને ખીલવવાની છે.

જુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો.
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો..
આવા શેર પણ તે ઉંમરમાં જ  વાંચ્યા હતા તે કેટલાં સાચાં છે એ આજે વધુ સમજાય છે..આશા રાખું કે આવતી પેઢીને કંઈક પ્રકાશ મળે.

સ્મરણની શેરીમાંથી-૫

(૫) નિશાળ/શિક્ષકો/મિત્રો

મોટાં ભાઈ અને બહેનને નિશાળે જતા જોઈ હું બહુ ખેંચાતી ને વિચારતીઃ હું ક્યારે નિશાળે જઈશ? લખતા વાંચતા આવડી જાય તેની મનને ખૂબ જ ઉતાવળ હતી. ભાઈબહેનોની વાતો અને કક્કો-બારાખડી, ૧ થી ૧૦ નંબરોની અને આંકની ચોપડીઓ વગેરેમાંથી જાતે જાતે શીખ્યા કરતી. ખાનગી બાલમંદિરોની ફી તો પોસાય તેમ હતું જ નહિ એટલે સીધી  ૬ વર્ષની થઈ ત્યારે જ મફત ભણાવતી મ્યુનિસીપાલિટીની શાળામાં પ્રવેશ લીધો.

પહેલા દિવસે મોટીબહેનના ફ્રોકનો છેડો છોડતી જ નહતી તે બરાબર યાદ છે. શિક્ષિકા ગિરજાબેનનો ચહેરો હજી યથાવત સ્મરણમાં છે. બીજાં દિવસથી જ ખૂબ ગમવા માંડ્યું હતું. કારણ કે ઘણું બધું ઘેરથી શીખીને જ ગઈ હતી. તેથી ‘મને તો આ બધું આવડે છે’ એવી એક લાગણીએ આત્મશ્રધ્ધા ખૂબ સજાગ રાખી. તેમાં પણ શિક્ષકો પોરસાવતા ગયા, ઘરમાં દાદીમા ફૂલાવતા રહ્યાં અને પછી તો એ જ ઘરેડ બનતી ચાલી. એક જ નાનકડી રોજે રોજની અગાઉથી થતી જતી તૈયારીની સાહજિક વૃત્તિ, શિક્ષકોના પાઠો અને જલદી જલદી ‘હોમવર્ક’ કરી લેવાની આદતને કારણે દરેક બાબતમાં આપમેળે જ રિયાઝ થતો ચાલ્યો. અન્ય પુસ્તકોના વાંચન પણ ચાલુ જ. મને નથી યાદ કે ક્યારેય પરીક્ષા વખતે ઉજાગરા કરીને વાંચ્યું હોય. પરીક્ષાનો ‘હાઉ’ ક્યારેય લાગતો જ નહિ.

 

વિચાર કરું છું કે આ બીજ ક્યાંથી વવાયા? વાતાવરણમાંથી? સંજોગોમાંથી, માના મૂળ અને અનુરાગમાંથી? કદાચ આ બધામાંથી. પણ તો પછી દરેક વ્યક્તિને એ લાગુ પડે ને? દરેક માનવીને એના સંજોગો હોય છે, એનું વાતાવરણ હોય છે અને મૂળ પણ હોય છે જ ને? તો બધા જ એક સરખા રસ-રુચિ કે આદતયુક્ત કેમ નથી હોતા? આ એક ખૂબ રસપ્રદ મનન છે કે એક જ ઘરનાં બાળકો જુદાં જુદાં કેમ હોય છે? સર્જનહારે તો સૌને અંગ-ઉપાંગો, મન બુધ્ધિ, હ્રદય,આંખ,કાન,વિચાર-શક્તિ આપેલા છે. તો વ્યક્તિત્ત્વ જુદા કેવી રીતે ઘડાય છે? ઊંડાણથી વિચારીએ તો એમ લાગે છે કે જેના મૂળમાં જે રસના બીજ વધુ શક્તિશાળી તે તે મુજબ તેની પ્રક્રિયા અને વિકાસ થતો જાય. દા.ત. બગીચામાંથી પસાર થતા હોઈએ તો કોઈ ગુલાબ ચૂંટે, કોઈ મોગરા પાસે જઈ સુવાસ માણે તો કોઈ વૃક્ષની પાસે ઊભા રહી આનંદ પામે. કોઈને વળી લીલું લીલું ઘાસ જ જોવું ગમે.એની ઉપર આળોટવું ગમે. આ એનું સ્વત્વ.

 

આ  અંગે આજના બાળકની સ્થિતિ વિચારો. ખભો તૂટી જાય તેટલા દફતરોનો બોજ, હોમવર્કનો ભાર, ટ્યુશનોનો મારો અને ગમે કે ન ગમે અન્ય પ્રવૃત્તિઓ તરફ ધક્કા. બાળકના કુમળા છોડને આપમેળે, સ્વાભાવિક રીતે વિકસવા દેવાતા જ નથી. પ્રગતિના નામે અધોગતિ તરફ ફેંકાય છે. એ રીતે પશ્ચિમના દેશોમાં જરા જુદું છે. જેની જેમાં ક્ષમતા તેને બહાર લાવવાના પ્રયત્નો થાય છે જે અનુકરણીય છે.

 દા.ત.એક દિવસ સવારે મારા બેકયાર્ડમાં કાકડીના વેલાને જરા અડકીને બીજી તરફ વાળવા ગઈ તો થોડીક જ વારમાં એ કુમળી ઉગતી વેલ પાછી એની પોતાની જ દિશા તરફ વળી ગઈ. કારણ કે એને એ તરફ મોકળાશ હતી. સાર એટલો જ કે, સૌને મોકળાશ અને યોગ્ય દિશા મળે અથવા વ્યક્તિ પોતે નિયમિતતાની આદતો કેળવી યોગ્ય રાહે ચાલતી રહે. જગત સુંદર છે, એને વધુ સુંદર બનાવતા રહો.

કવિ શ્રી ‘સુંદરમ’ કેવી સરસ વાત કહે છે?

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

તે માનવી વિશે પણ લાગુ પડે તો? ‘વિશ્વમાનવ’ વાળી વાત પણ સંભવી શકે ને?

 

સ્મરણો ક્યાં ક્યાં ખેંચી જાય છે? આ લખું છું ત્યારે પ્રાથમિક શાળાના ઘણાં શિક્ષકોના ચહેરા નજર સામે યથાવત તરવરે છે. સોમીબેન, સારાબેન, કરુણાબેન,પૉલ, શાન્તાબેન.વી.ભાવસાર, સંગીતના પ્રભૂતાબેન, સીવણના મંગળાબેન. પાયાના ઘડતરમાં મોટો ભાગ ભજવનારને કેમ ભૂલાય? ભણતાં ભણતાં જેમની સાથે નાટકો ભજવ્યાં કે ગરબા અને, વક્તૃત્વ સ્પર્ધા કરી તે સૌ સહાધ્યાયીઓના નામો,ચહેરા, અરે,ઘણી બધી વક્તૃત્વ હરિફાઈ માટે તૈયાર કરેલી સ્પીચ અને રજૂઆત પણ અકબંધ સ્મૃતિમાં સચવાયેલી છે!

તે સમયની આર્થિક અગવડો અન્ય પ્રવૃત્તિમાં નડતી ન હતી. કોઈ ને કોઈ રીતે આવડતને અવકાશ મળી જ જતો. એ માટે હંમેશા હું શિક્ષકોના મારા પ્રત્યેના પ્રેમભાવને જ નમન કરું છું.

 

૧૯૫૯ની એ સાલ હતી. સ્કૂલના વાર્ષિકોત્સવ પ્રસંગે ટાઉનહોલમાં “ધમુની ધીંગલી’ નામે નૃત્યનાટિકા ભજવાવાની હતી. બહારથી મોટા નૃત્યશિક્ષકની ૬ મહિના સુધી તાલીમ અને પ્રેક્ટીસ પછી એ કાર્યક્રમ મોટા પાયા પર થવાનો હતો.  દરેક ભાગ લેનારને તેમાં પાંચ રુપિયા ભરવાના હતા. પોસાય તેમ તો હતું જ નહિ. હવે શું કરવું? ભાગ નહિ લઈ શકાય તો કંઈ નહિ, પણ શીખવા તો મળશે? વિચારી હું પણ પ્રેક્ટીસમાં જતી. એ માટે શિક્ષકો પણ મને મંજૂરી આપતા. ખૂબ મઝા આવતી.  એક નૃત્યમાં ભાઈ કહેતો “બેની રે બેની તારી ઢીંગલી કાજે એક ઢીંગલો લાવ્યો.. બહેન પૂછ્તીઃ ભાઈ રે ભાઈ કેવો ગોત્યો છે જમાઈ? અને દરેક વખતે ભાઈ, નાની બેનને ચીઢવવા માટે ન ગમતા જવાબ આપતો. ગીતને અંતે ભાઈબેનનો પ્રેમ પ્રગટ થતો. એવી જ રીતે “હો…અમે ફૂલડાં,જાતજાતનાં ભાતભાતના રંગબેરંગી ફૂલડાં..” એ બાળગીત પણ ખૂબ ગમતું. વળી ‘હું ગોરી તું કાળો કાનુડા,હું ગોરી તું કાળો’ …તો યે હું રૂપાળો રાધિકા,ગર્વ કર્યો સોઈ હાર્યો,કાનુડા…હું ગોરી તું કાળો” એવો રાધા-કૃષ્ણનો રીસભર્યો ડાન્સ મનમોહી લેતો, ઘરમાં પણ હું ગાયા કરતી અને નાચ્યા કરતી. સ્ટેજ પર હું હોઉં કે ન હોઉં એવી પરવા વગર જ, બસ શીખતી અને મઝા કરતી.

 

છેવટે મારી એ ધગશ જોઈ સંગીત શિક્ષકે મને કાર્યક્રમની શરૂઆતના ઉદ્ઘોષક તરીકે રાખી, એટલું જ નહિ પણ સ્ટેજ પર ખૂણામાં જે મ્યુઝીક વૃંદ બેસતું ત્યાં મને સ્થાન આપ્યું અને બહેનની પંક્તિઓ બોલવાની આપી. હવે પડદો ખુલે અને પ્રારંભની સ્પીચ મારે આપવાની હોઈ સારા કપડાં તો પહેરવાના હોય જ ને? તો તે પણ  એક બહેનપણીએ પોતે ચાહીને મને એનો નવોનકોર ડ્રેસ પહેરવા આપ્યો! ત્યારે ન તો મને લેવાનો ભાર કે ન એને આપ્યાનો એહસાન! કેવી સરળ અને સહજ એ જીંદગાની હતી!

 

આજે પૈસો સર્વસ્વ બની ગયો છે કારણ કે, આપણે એના આધિપત્યને સ્વીકાર્યું છે, પોષ્યું છે, પંપાળ્યું છે અને પરિણામે એના ગુલામ બની ગયા છીએ, એમ માનીને કે આપણે કેટલાં સ્વતંત્ર અને સમૃધ્ધ થયા છીએ!! ખરેખર સાચું શું છે? સવાલોના આ તણખા આજે તો મનને દઝાડે છે પણ કદીક, ક્યારેક, કોઈકને કિરણ બની અજવાળે તો કેવું સરસ?

સ્મરણની શેરીમાંથી-૪

(૪)

ઉછેર/મહોલ્લો/મિત્રો

ગામડાંની  વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પિતાજી અમદાવાદના વતની એટલે મારો ઉછેર પણ ત્યાં જ. અમદાવાદની સાંકડીશેરીમાં આવેલ ઝુંપડીની પોળનું એ ઘર. ઘર તો ભાડાનું પણ લાગે સાવ પોતાનું. ૨૩ વર્ષની ઉંમર સુધી ત્યાં જ વસવાટ. પોળમાં દસ ઘર. દરેક બે-ત્રણ માળના ઘરમાં બે કે ત્રણ કુટુંબ રહે. બધાં એકબીજાંને જાણે. બારણાં ખુલ્લાં અને સૌ સરસ રીતે હળેભળે.  ગોર્યો (ગૌરી વ્રત) ટાણે  અમે સરખી સરખી સહિયરો વાંસની નાની નાની ટોપલીઓમાં ઘઉંના જવારા સમૂહમાં ઉગાડતાં, પૂજા અને ઉપવાસ સાથે કરતાં, સાંજે માધુબાગમાં, કાંકરિયા કે કદીક વિક્ટોરિયા ગાર્ડનમાં પોળની આગેવાન સ્ત્રીઓ સાથે ફરવા જતાં, મેંદી સાથે મૂકતાં, વરસાદ પડે બહાર નીકળી પોળમાં સાથે પલળતા, સીઝનમાં અથાણાં,પાપડ,સારેવડા એક જ ઘરમાં ભેગાં થઈ સૌ સાથે બનાવતાં. દિવાળી-હોળી વગેરે વાર-તહેવારો પણ સમૂહમાં જ ઉજવાતાં. વાડકી વહેવાર તો એકદમ સ્વાભાવિક.

ઉનાળાની ગરમીના દિવસોમાં નાની અમસ્તી અમારી ખડકીમાં સાંજે પાણી આવે એટલે ૬ વાગ્યે સૌ સાવરણા લઈને પોળ ધોતા અને  ચાર-પાંચ સ્ત્રીઓ મોટા સગડા પર મોટાં તપેલામાં ખીચડી અને બટાકાનું શાક રાંધતા. બધા ઘેરથી પોતપોતાની થાળી વાડકી લઈને આવે અને સાથે જમતાં.  અમે બેનપણીઓ પણ ઉપર અગાશીમાંથી એકબીજાંને ઘેર સૂવા જતી. Really, It takes village to raise a child. સમૂહની આ મઝાથી આજની પેઢી કેટલી વંચિત છે? પૂર્વ કે પશ્ચિમ, કોઈપણ દેશના બાળકોને માટે આ જ પરિસ્થિતિ છે. સંયુક્ત કુટુંબના હિમાયતી ન હોઈએ તો પણ આસપાસનાનો સથવારો કોઈપણ ઉંમરે જરૂરી હોય છે જ. સાથે ન હોઈએ પણ પાસપાસે રહીએ તેના ફાયદાઓ તો છે જ.

ઘરની અંદરની ખટમીઠી યાદો ક્યારેય એના યથાવત રૂપમાં વ્યક્ત કરી શકાય?!. નાના ઘરમાં ૧૦ માણસોના સહવાસના સ્મરણો આજ સુધી શ્વાસની જેમ સાથે જ રહ્યાં છે. ક્યારેક રડાવ્યાં છે, ક્યારેક હસાવ્યાં છે, છતાં સતત મહેંક્યાં છે. કુંભારના ચાકડાની જેમ બધાં જ ભાઈબહેનોને તાવ્યાં છે, ટીપ્યાં છે, કસ્યાં છે અને એ રીતે દરેકને પોતપોતાના સ્વત્વ પ્રમાણેના આકારે ઘડ્યાં છે. એ ઘરની એક એક ભીંત, ફર્શનો પથ્થર, ગોખલાં,ઓરડી, છજું, અગાશી, છાપરું, આજે પણ જ્યાં હોઈએ ત્યાં આવીને વાતો કરે છે. એ મહોલ્લો, ખડકી, બાલભવન, લાયબ્રેરી… ઘણું બધું. સાંકડીશેરી, આશાપુરીનું મંદિર અને ઝુંપડીની પોળ..આટલી અમારી દૂનિયા. વેકેશનોમાં ઘણાં બહારગામ જતા, દરિયાકાંઠે જતાં પણ અમે તો પોળમાં જ બિલ્લા, ખોખાં, લક્ટીઓ, કુકા, દોરડાં, પગથિયાં અને ઓટલા ઉપર  જ  કેરમ કે પત્તા  છોકરા-છોકરીઓ સાથે રમતાં. બહુ બહુ તો મોસાળ જતાં.
આજે  સ્પષ્ટપણે સમજાય છે કે, અણસમજમાં એ જીંદગી પણ જીવાઈ ગઈ. જેવી મળી તેવી.. કારણ કે,દરેકને માટે જીંદગી તો સમયના પાટા પર સતત ચાલતી ગાડી છે. એ કોઈની રાહ નથી જોતી. કદી લાગે સફર સુહાની છે,તો કદી લાગે અમર કહાની છે. એ વેળાવેળાની છાંયડી છે. સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે. જીંદગી તો જી-વન છે. જીવની અપેક્ષાઓનું વન..એમાં ફૂલો ભરી બાગ કરો, કે કાંટાભરી વાડ કરો, જંગલ કરો કે મંગલ, મધુરી કહો કે અધૂરી ગણો, મનની સમજણનો સાર છે, બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે. સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
ના દોષ દો ઈન્સાન યા કિસ્મત તમે, પળ પળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે.

ટાગોરનું એક સરસ વાક્ય છે કે પગમાં ગૂંચો પડી હોય ત્યારે કૂદમકૂદ કરવાથી કંઈ નહિ વળે. નીચે બેસી, શાંતિથી અને ધીરજથી એક એક ગાંઠને ખોલતા જવાથી જ ગૂંચો ઉકેલી શકાશે. સ્વજન કે સ્નેહીનો સાથ હોય તે સારું જ છે. પણ ખરું કામ અને મહેનત તો વ્યક્તિએ પોતે જ કરવાની હોય છે. કર્મ એ જ ધર્મ અને જીંદગીનો મર્મ પણ એ જ. સારાં ખોટાંની સમજ અને દરેક અવસ્થામાં યોગ્ય વર્તન એ જ સાચું શિક્ષણ.

દાદીમાની વાર્તાઓએ મારી કલ્પના શક્તિને નાનપણથી જ ખીલવી. એ મને બહુ કામ કરાવતા પણ વાર્તાઓ સરસ કહેતા. મને બહુ મઝા આવતી. કેટલીક તો એ પોતે ઘડી કાઢતા. હું પણ આજે એવું જ કરું છું! મા પાસેથી મળેલાં બી બાથી સીંચાયાં. બાનું વ્યક્તિત્વ, આવડત અને નીતિનિયમો મને ગમતાં. પ્રેમ તો મા માટે જ સૌથી વધારે. મા ક્યારેય કોઈના વિશે ખોટું વિચારતી નહિ,  કોઈના માટે ખોટું બોલતી નહિ અને ઘણું સમજી લેતી પણ શાંત રહેતી, સહન કરતી. એ બધું કરવું કેટલું અઘરું છે તે આજે હર પળે અનુભવાય છે. મા પરિશ્રમી પણ ખૂબ જ. અમેરિકામાં એને કામ કરવાની જરાયે જરૂર હતી નહિ છતાં યે એ કંઈક ને કંઈક શોધી કાઢતી અને કામ કરતી.,અર્થ-ઉપાર્જન કરતી. એના વિશે મેં પુસ્તક લખ્યું છે તેથી અહીં વધુ નથી લખતી. કીબોર્ડ કે કલમને ભીંજવવાંનો શો અર્થ?.

 આજે યાદ કરી જ છે તો એને માટેની એકાદ કવિતા અહીં ટાંકી દઉ.

માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.

આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું  કે, મારા મનમાં ખરતા પાન આવે.

હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.

રોજ કાગળ-પેન લઈ  શાંતિથી ને ધીરે ધીરે એ,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.

ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં એ ઉપર ગઈ!
ને ‘છે’માંથી તો ‘હતી’ થઈ ગઈ, મા તુજ વિણ તાણ આવે.

પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા,આપતી તું
હર પળે ઝંખુ  કે આ દિલે  સતત એ ગાન આવે.

માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચનો મહિનો ફરે ને મા,  મને બહુ યાદ આવે.

સ્મરણની શેરીમાંથી-૩

(૩)

ગામડાનું એ ફળિયું. બિલકુલ સામે દરજીનું ઘર, ડાબા હાથે વાળંદનુ અને, જમણા હાથે ચાર-પાંચ ઘર છોડી ગાયો-ભેંસોની ગમાણ. પૂળા ખાતી ગાયો અને દૂધ દોહતા માજીને હું જોઈ રહેતી. ઘણી વાર સાંજે બા ખીચડી બનાવી મને દૂધ લેવા મોકલતા. અને હાં, તે જમાનામાં ગામમાં સાટા પધ્ધતિ હજી યે ચાલુ હતી. જો કે, કાણિયો પૈસો અને પીળી  ચોરસ ઢબૂડી પણ ચલણમાં હતી. નાના/દાદા નાની ઉંમરમાં વિદાય થયેલાં તેથી બા મોટા પીળાં નળામાં રંગબેરંગી ખાટીમીઠી ગોળીઓ ભરી વેચતા અને  લાલપીળીલીલી બંગડીઓના બદલામાં થોડા પૈસા પણ મળતા એવું યાદ આવે છે. પણ મોટેભાગે વસ્તુના બદલામાં વસ્તુનો સાટા વ્યવહાર ચાલતો. જીવન એમ જ ચાલતું. ઘરની પાછળ વાડો હતો અને તેમાં સરસ મઝાનું ગોરસઆમલીનું ઝાડ હતું. અને તેની પાછળના રસ્તે એક દેરી હતી જેનો ઘંટ સાંજે સંભળાતો અને દૂરથી કોઈ સંચાનો પ્ણ ઘમઘમ ઘરેરાટી જેવો અવાજ સંભળાતો. ગામમાં કોઈ વાહન ન હતું. પગપાળા કે આઘે જવાનું હોય તો ગાડાંમાં બેસીને જવું પડે અથવા ઘોડા પર.

થોડી ઘરની વાત કરું. લીંપણની ઓકળીવાળો ફ્લોર. ઓકળી એટલે ચડઉતર તરંગો જેવી લીંપણની અર્ધચન્દ્રાકાર ડીઝાઈન. મને રંગોળી અને ડિઝાઈન પાડવી નાનપણથી જ ગમે તેથી મેં પણ  બાને જોઈ જોઈ ગારાથી ઓકળી પાડી લીંપ્યાનુ સ્મરણ છે. બહારની ઓસરીમાં દોરડા બાંધીને વચ્ચે પોતાના સાડલાઓમાંથી બનાવેલી નાની નાની ગાદીઓ મૂકીને તૈયાર કરેલો હિંચકો. નવરી પડું કે તરત જ હું એમાં જઈ મોટા મોટા હિંચકા ખાધા જ કરું. અત્યારે પણ ખાઉં છું, તરંગોના હિંચકા !!

રોજ રોજ તરંગની પાંખે, હું ઊડું છું, દૂરદૂર,જુદી,નવી સફરે ઉપડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની, કુદરત ને ભીતરની સફરે ઉડું છું.
હિરા-મોતી ખૂબ ખોબે ભરી લાવીને, અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે, શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.


પાછી મૂળ વાત પર આવું. ઓસરીના ખૂણામાં બે ત્રણ પાણીની ડોલ અને મોટું વાસણો ભરવાનું તગારું પડ્યું રહેતું.  દબાવો તો દૂધ નીકળે એવી થોરની કાંટાળી લીલી વાડ ઘરનું રક્ષણ કરતી. તે તરફ એક નાનકડા ખાડા જેવું કરી ગાય-કૂતરાને માટે ખાવાનું ભરતા. નિયમિત સમયે ત્યાં ગાય આવતી અને ખાતી. કૂતરા તો સતત અવરજવર કરતા રહેતા.

ઘરની અંદર ડાબા હાથે માટીનો ચૂલો, ત્રાંબા-પિત્તળના થોડા વાસણો, એક મોટો ઉનમણો, કલાડી અને લાકડીઓનો ભારી રહેતી. કાળી ઝીણી જાળીવાળું લાકડાનું કબાટ જેમાં રાંધેલું ધાન,વધે તો ઢાંકતા. કબાટ નહિ પણ એક ખાસ શબ્દ…કદાચ ઉલાળિયું,આગળું.ખામણિયું એવું કંઈક બા બોલતા. સામે ખોલવાનાં બારણાં નહિ પણ ઉપરથી એને ઉઘાડવાનું. ઘણીવાર બહુ વાયરો આવે ત્યારે કમાડનો આગળિયો વાસી દે એમ પણ કહે. કમાડની પાછળ ઠંડક વાળી જગાએ પાણીની માટલી, ઢાંકેલું બૂઝારું અને ડોયો પડી રહેતા. બાકી તો ઘઉં ભરવાના મોટા નળા વગેરે જેમાં કેરીઓ પાકવા માટે મૂકાતી. મોટાં કહી શકાય એ ઓરડામાં જ વાળું પછી, પથારીઓ પથરાય. વરસાદ ન હોય ત્યારે તો બહાર જ કાથીના ખાટલા ઢાળી સૂવાનું. ઘીથી લથપથતી ઢીલી ખીચડી ખાઈ, બિન્દાસ થઈ ખુલ્લાં આકાશ નીચે, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે સૂવાની,આહાહા…. શી મઝા હતી! ભાઈબેનો સાથે રમ્યાની બહુ ઓછી યાદો છે. ઝઘડ્યાની તો બિલકુલ યાદ નથી. કદાચ ઝઘડ્યા જ નથી. સંજોગોને કારણે બધા જ સમજુ થઈ ગયા હતા!! ઘરની પાછળના વાડામાં જે ગોરસઆમલીનું ઝાડ હતું તે નાનું પણ રળિયામણું હતું. આજે તો એ બધું જ જમીનદોસ્ત થઈ ગયું છે પણ હજી યે મનના માંડવે ગૂંજતું રહ્યું છે.

ગામની કાંતા,તારા,શકરી,કોકી વગેરે બેનપણીઓના ચહેરા એવા ને એવા જ યાદ છે પણ કોઈ છોકરો નહિ હોય? કોઈ સ્મરણમાં જ નથી! ગામમાં છોકરો ન હોય એવું બને કાંઈ? રસપ્રદ સવાલ જાગ્યો.પૂછવું પડશે કોઈને!

આટલી સ્મૃતિઓ પછી આ બદલાતા જતા સમય અંગે હવે  આગળ એક વધુ વિચાર અને પ્રશ્ન પણ જાગે છે. કે,  બદલાવ એ ખરેખર વિકાસ જ છે?!! આદિમાનવથી માંડીને આજસુધી પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરી છે એ વાત તો સાચી. પણ સૌએ યથોચિત બદલાવને અપનાવવો જોઈએ અને તે પણ મૂળ મૂલ્યોની જાળવણી કરીને. પરિવર્તનને નામે પાયાને હચમચાવી ન જ દેવાય. જ્યાં જન્મ્યાં એ ભૂમિનો ચોરસ ટૂકડો,એ માબાપ, એ માહોલનું રતનની જેમ જતન કરવું જ જોઈએ. એ જ સાચી સમૃધ્ધિ છે, વૈભવ છે,ખજાનો છે, કાયમી સધવારો છે. આગળ ચાલો, ચાલતા રહો પણ સારું અને  પોતીકું, સ્મરણના ખાનામાં ગોઠવી માણતા રહો. સાચો આનંદ ખરા મૂલ્યોમાં છે. એને મનથી જાળવવામાં છે. દેખાડા ખાતર કે ધન-ઉપાર્જન માટે થતી ધંધાકિય પ્રવૃત્તિઓમાં નહિ.

હું હંમેશા માનતી આવી છું અને કહેતી પણ આવી છું કે wealth ( money) is not and should never be a definition of happiness. No outside source can give a real happiness. happiness is mostly in knowing who you are, your foundation and cherishing it the same way. It is a  feeling of pleasure and positivity.

માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું.

ગામડાંની  વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પણ તે હવે આવતા પ્રકરણમાં..

સ્મરણની શેરીમાંથી..-(૨)

(૨)

સ્મરણની આ શેરીમાં રખડતા રખડતા એક Maternity Home,પ્રસૂતિગૃહ નજર સામે આવ્યું અને નવજાતનું  રુદન સાંભર્યું. વીજળીના ચમકારાની જેમ એક લઘુવાર્તા જેવી કલ્પના ઉપસી..

                          જોખમના લેખાંજોખાં…

ધરતી પર જન્મ લેતા પહેલાં જીવે શિવને કહ્યુઃ મારે મોકળાશ જોઈએ છે. એક મોટી જગા જોઈએ છે. કારણ કે, મારે બાગબગીચા જેવું ખૂબ સરસ કામ કરવું છે. શિવે કહ્યુ, “અરે વાહ..બહુ સરસ. જગા તો હું તને મોટી અને સરસ આપું. પછી તું એને ઉપવન કરે કે રેતીનું રણ બનાવે. કુસ્તીનું મેદાન બનાવે કે શાંતિનું ધામ રચાવે, બધું તારા હાથમા. એક કામ કરવિચારીને કાલે આવજે.”

બીજાં દિવસની સોનેરી સવારે જીવ તૈયાર છુંકહી હાજર થયો. શિવે ફરીથી પૂછ્યુઃ સાચે જ વિચારીને આવ્યો ?
જીવે મક્કમતાથી કહ્યું હા,હા, એકદમ તૈયાર છું.શિવ તોતથાસ્તુકહી અંતરધ્યાન થયા. અજ્ઞાત જીવને મા મળી,ધરા મળી, જગત મળ્યું, જીવન મળ્યું. પણ જીવને  તો અવતરણની પ્રથમ ક્ષણથી જ રડવું આવ્યું, ઉંઆઆ…ઉવાં..ઉંવાઆ.. જીવને  શિવની વાત યાદ આવીધીરે ધીરે બંધ આંખે  ઉંઘમાં હસી જવાયું.  હજી તેનામાં શિવનો અંશ હતો….!

******************************************************************************************

આમ, જીવનું ધરતી પર અવતરવું પહેલું અને મોટું જોખમ અને લાંબી કે ટૂંકી જીંદગીને જગત વચ્ચે જીવવી બીજું મોટું સાહસ. બંનેની વચ્ચે જે કાંઈ બને છે તેનાં સજાગપણે લેખા-જોખા કરવાનો એક પ્રયોગ છે. અંગે સાચી અનુભૂતિ જીવન અને જગત સિવાય બીજે ક્યાંથી પામવી? આ લેખનમાં આત્મકથા કે જીવન ચરિત્ર કહેવાનો કોઈ ઈરાદો નથી. ( એ તો મહાન માણસોના લખાય ને?!!! ) પણ કુંભારના ચાકડાની જેમ ઘડાઈને બહાર આવેલાં મન-ઘડાની થોડી આકૃતિઓ ઉપસાવવી છે જે કદાચ ભાવિ પેઢીને ક્યારેક શાતા અને શક્તિ બક્ષે. મારા લોહીમાં સતત વહન કરતી ભાવનાઓ તેમના હ્રદય સુધી પહોંચે તો આ  પ્રત્યેક જીવના  સ્વીકારેલાં જોખમ અને આદરેલાં સાહસ લેખે લાગે.

હા, તો મારી સ્મૃતિની આજે  બીજી વાત હતી જન્મના સ્થાન,ગામની..ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. નામ એનું ભૂડાસણ. આ નામ મને જરા પણ ના ગમે. કોણે આટલાં હૂંફાળાં ગામનું નામ આવું ભૂંડું રાખ્યું હશે? ને કેમ? એ પણ એક પ્રશ્ન. પણ ચાલો, શેક્સપિયરને યાદ કરીને, જુલિયેટ કહે છે તેમ,
“What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet.”  એમ વિચારી મન મનાવી લઉં!

ધૂળિયું એ ગામ, ભીની માટીની મહેંકની જેમ હજી પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈને પડ્યું છે. આમ તો પિતાનું ઘર અમદાવાદમાં પણ મોટે ભાગે ઉનાળામાં ગામ જવાનું થતું. અને તે પણ મને યાદ છે તેમ પરાણે ચાર-પાંચ વખત  બાળપણમાં જ.  ઘરથી થોડે દૂર ગામનો એક કુવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ પાણી ખેંચતી તે હું જોતી. વચ્ચે પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને તો રાત્રે વહેલા સૂવાની ટેવ એટલે બા ( નાનીને અમે બા જ કહેતા.) મારા માટે એક ખાસ હાથેથી ઉંચકાય એવી  નાની અમસ્તી ઢોયણી (ખાટલી) સાથે રાખતા. જેવી મને ઉંઘ આવે એટલે તેમાં સૂવાડી દેતા. ચબૂતરાથી આગળ ચાલીએ એટલે ગામની ભાગોળ. સવારે ઊઠીને લોકો (અમે પણ) પાણીનો લોટો ભરી એ તરફ ‘ઝાડે ફરવા’ જતા. ઘરમાં ક્યાં બાથરૂમ કે ટોયલેટ હતા? અમે બધી બેનપણીઓ ભેગી થઈને જતા. પાછા આવતા રસ્તામાંથી લાલ ચટાક ચણોઠીઓ વીણતા. ચણોઠી શબ્દ એના રૂપ જેટલો મને  ખૂબ જ ગમે. સૌથી વધારે હું જ વીણતી અને ભેગી કરતી. તે પછી ખેતરો આવે. ત્યાં પણ પથ્થર ફેંકી કેરીઓ તોડ્યાનું સ્મરણ છે. ઘરની બીજી તરફ એકાદ માઈલના અંતરે નદી. ત્યાં કપડાં ધોવા જવાનું. મને એ બહુ ગમતું. પણ કિનારે બેસીને જ! પાણીમાં ડૂબવાનો ડર. એક વખત મારો નાનો ભાઈ ઘોડા પરથી પડી ગયો હતો અને નદી કિનારે ફેંકાયો હતો ત્યારથી એ બીક પેસી ગઈ હતી. તે દિવસે બહું રડવું આવ્યું હતું. આવા તો અનેક પ્રસંગો!

ગામના એ ફળિયાની અને ઘરની વાતો  પણ કેટલી બધી? લખતા પહેલા…વિચારું છું કે આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે?  ૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? ક્યાં ધૂળિયા ગામની વાતો અને ક્યાં અમેરિકાના આ ટેક્સાસ રાજ્યના મહેલ જેવાં ઘરોની મિરાત!  આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો અને કદાચ જો ત્યાંથી આપણા સૌના  સદગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!

અંતરિક્ષની બારી જરા ખોલીને  જો,તો દૂનિયા દેખા સાવ  અનોખી;
 છોડીને આવ્યાં જે કેડી એ દેશીકેવી દેખાય આજે ફતી વિદેશી…..

કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ, ફેલાયા ચારેકોર ઘરના સિતારા,
કોછે રશિયા તો કો ઓસ્ટ્રેલિયા, દીસે છે આભેથી  ભૂમિના નક્શા….

રમતાતાં ભૂલકાં કેવા મોટા ચોકમાં, રહેતાતાં એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં, બંધાતી રાખડીઓ મોટા આંગણમાં….

ઉજવાયે આજે મેઇલ પર સઘળી, ને સામે હોય પેલી વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને  જો, તો દૂનિયા નિહાળી સાવ અનોખી….–

 આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એજ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો કેટલાક સમાજમાં ધીમેથી આવે છે.પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું સત્ય છે. જરૂરી પણ એટલું જ છે. કારણ કે, માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિધ્ધિને જ આભારી છે ને? બદલાતા જવું, વિકસતા જવું અને વિસ્તરતા રહેવું એ પ્રકૃતિ  શીખવે છે, જીંદગીની હરપળ શીખવે છે. 

સ્મરણની આ શેરીમાંથી ન જાણે કેટલી કણિકાઓ ઝગમગી ઊઠશે?