( ૮ )
આગળ કહ્યું તેમ જાણીતા સાહિત્યકારો પ્રોફેસર્સ હતાં તેથી ભણવાની ખૂબ મઝા આવતી. પ્રોફેસરોમાં સંસ્કૃત વિષયના શ્રી પી.સી.દવે, ગુજરાતી સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ, હાસ્ય લેખક શ્રી મધુસુદન પારેખ, ટાગોરની બંગાળી કૃતિઓના અનુવાદક શ્રી નગીનદાસ પારેખ મળ્યા તો મિત્રો. નયના,રંજન,બંસીભાઈ,ખૂબ ઉમદા મળ્યા.તે સૌ સાવ પોતાના લાગતા. એ વાતાવરણ, ઈતરપ્રવૃત્તિ અને ગીતા, વેદ, કાલિદાસના મહાકાવ્યો, શબ્દાર્થમીમાંસા ઘણું બધું શીખવા મળતું..

નાટ્યકાર જશવંત ઠાકર અને અરવિંદ વૈદ્યના દિગ્દર્શન હેઠળ “મોટાકાકાની મૈયત” નાટક ભજવીને પ્રથમ વિજેતા બન્યું હતું.
તો સંસ્કૃત ભાષામાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ફાધર વાલેસની હાજરીમાં સેંટ ઝેવીયર્સ કોલેજના આચાર્યના હસ્તે પ્રથમ ઈનામ મેળવ્યું હતું.
કવિ શ્રી ઉમાશંકર જોશી હસ્તક કાવ્યપઠન માટે ત્રીજું ઈનામ મેળવ્યું હતું.


એ પણ દિવસો હતા. કોલેજના એ ચાર વર્ષે ઘણું બધું આપ્યું. કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત વિષયમાં યુનિ.નો ગોલ્ડ મેડલ મેળવ્યો એ સિધ્ધિ આખી જીંદગી ખુશી અપાવતી રહી અને એને જાળવી રાખવા માટે પ્રેરતી રહી. શિક્ષકોએ સાચું જ કહ્યું હતું કે, કોઈપણ વસ્તુ મેળવવી સહેલી છે, એને જાળવવી અઘરી છે એ શીખ મનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને હંમેશા વારવાર સ્મરણ કરાવતી રહેતી હતી.
આ જ કોલેજે એક સરસ મઝાની સખી આપી જેની સાથે આટલા વર્ષો મૈત્રી તો રહી પણ અમારા કોલેજ પછીના ચાર-પાંચ દાયકાઓના વિદેશના અનુભવોના અર્કરૂપે લખાયેલા પત્રોને એક સાહિત્યિક આકાર પણ મળ્યો. કેટલી અને કેવી ખુશી!! ‘આથમણી કોરનો ઉજાસ’ પાથરી અમે અંતર અજવાળ્યાં.
આમ, આર્થિક વિટંબણાઓએ શિક્ષણનો રાહ જરા ( વિજ્ઞાનના ક્ષેત્રમાં ન જવાયું એ રીતે) વાળી તો લીધો.પણ એનો ઝાઝો અફસોસ ન થયો. કારણ કે, દરેક સ્થિતિમાં પ્રાયોરીટી પ્રમાણે નિર્ણયો લેવાના હોય છે. અને સાચું શિક્ષણ તો જીંદગીમાંથી મળતું જ રહેતું હોય છે ને? એમ વિચારી મનને જલદી મનાવી લેવાતું.
સવારની કોલેજની સાથે સાથે બપોરથી સાંજના સમયની જોબ પણ કરી. કદીક ટ્યુશન કર્યા, ટાઈપીંગની નોકરી કરી તો થોડો સમય ગુજરાત સમાચારની ઓફિસમાં પણ કામ કર્યું. જે કાંઈ પૈસા મળતા તે ઘર-ખર્ચમાં ઉમેરણ થતું. બસને બદલે ચાલીને કોલેજ જતી. કપડાંની બે કે ત્રણ જ જોડ રહેતી. એક જોડ ચંપલ ઘણાં વરસ ચાલતી અને એક સ્વેટર ઘણાં શિયાળા ટૂંકાવતી. ૬ ભાઈબહેન હતાં ને? પણ કોણ જાણે એ અભાવ ત્યારે બહું નડતો નહિ. કારણ કે, બીજી સિધ્ધિઓના ગૌરવ આગળ અભાવો ઝાંખા પડતા.
‘ચિત્રલોક’માં અનુવાદનું કામ કરવાની પાર્ટટાઈમ નોકરી કરતા કરતાં શ્રી શશીકાંત નાણાવટીનું ઘણું માર્ગદર્શન મળતું. પછી તો એ મારી પ્રેરણામૂર્તિ બની ગયાં. વર્ષો પછી તેમની પાછલી ઉંમરે મળવાનો મોકો મળ્યો ત્યારે પણ તે મને ઓળખી ગયા અને તેમની પૂત્રી રાજુલ કૌશિકની એક સરસ મિત્ર તરીકે ભેટ કરાવી ગયાં.
આજે એ બધા દિવસો યાદ કરું છું તો હવે…હવે વસમું દેખાય છે. છતાં યાદ કરવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, તે બધામાંથી ઘણું શીખવા મળ્યું અને તેથી વારંવાર યાદ કરી વાગોળવું ગમે છે. કુંભારના ચાકડાની જેમ ટીપાઈ ટીપાઈને એક સરસ ઘાટ મળ્યો.
હવેની પેઢીને જે વાત કરવી છે તે આ છે કે, મુશ્કેલીઓ તો દરેકને આવે. સમયની સાથે મુશ્કેલીઓના પ્રકારો બદલાય, રૂપ બદલાય પણ એનો સામનો સ્વાભાવિક્તાથી કરવાનો હોય, ધીરજ અને કુનેહથી કરવાનો હોય. તો જ એમાંથી સારી રીતે બહાર અવાય અને રસ જીવંત રહે. સાચી સફળતા એ છે. મને યાદ છે કે અમારા એક પ્રોફેસર કહેતાં કે આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટે પાસપોર્ટ મેળવે છે પણ જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો? મારા મનમાં એ વાક્ય કોતરાઈ ગયું. કારણ કે એમાં ખૂબ સચ્ચાઈ છે અને સૌએ સાવધાન થઈને ભણતા રહેવાનું છે.
(૩)
ગામડાનું એ ફળિયું. બિલકુલ સામે દરજીનું ઘર, ડાબા હાથે વાળંદનુ અને, જમણા હાથે ચાર-પાંચ ઘર છોડી ગાયો-ભેંસોની ગમાણ. પૂળા ખાતી ગાયો અને દૂધ દોહતા માજીને હું જોઈ રહેતી. ઘણી વાર સાંજે બા ખીચડી બનાવી મને દૂધ લેવા મોકલતા. અને હાં, તે જમાનામાં ગામમાં સાટા પધ્ધતિ હજી યે ચાલુ હતી. જો કે, કાણિયો પૈસો અને પીળી ચોરસ ઢબૂડી પણ ચલણમાં હતી. નાના/દાદા નાની ઉંમરમાં વિદાય થયેલાં તેથી બા મોટા પીળાં નળામાં રંગબેરંગી ખાટીમીઠી ગોળીઓ ભરી વેચતા અને લાલપીળીલીલી બંગડીઓના બદલામાં થોડા પૈસા પણ મળતા એવું યાદ આવે છે. પણ મોટેભાગે વસ્તુના બદલામાં વસ્તુનો સાટા વ્યવહાર ચાલતો. જીવન એમ જ ચાલતું. ઘરની પાછળ વાડો હતો અને તેમાં સરસ મઝાનું ગોરસઆમલીનું ઝાડ હતું. અને તેની પાછળના રસ્તે એક દેરી હતી જેનો ઘંટ સાંજે સંભળાતો અને દૂરથી કોઈ સંચાનો પ્ણ ઘમઘમ ઘરેરાટી જેવો અવાજ સંભળાતો. ગામમાં કોઈ વાહન ન હતું. પગપાળા કે આઘે જવાનું હોય તો ગાડાંમાં બેસીને જવું પડે અથવા ઘોડા પર.
થોડી ઘરની વાત કરું. લીંપણની ઓકળીવાળો ફ્લોર. ઓકળી એટલે ચડઉતર તરંગો જેવી લીંપણની અર્ધચન્દ્રાકાર ડીઝાઈન. મને રંગોળી અને ડિઝાઈન પાડવી નાનપણથી જ ગમે તેથી મેં પણ બાને જોઈ જોઈ ગારાથી ઓકળી પાડી લીંપ્યાનુ સ્મરણ છે. બહારની ઓસરીમાં દોરડા બાંધીને વચ્ચે પોતાના સાડલાઓમાંથી બનાવેલી નાની નાની ગાદીઓ મૂકીને તૈયાર કરેલો હિંચકો. નવરી પડું કે તરત જ હું એમાં જઈ મોટા મોટા હિંચકા ખાધા જ કરું. અત્યારે પણ ખાઉં છું, તરંગોના હિંચકા !!
રોજ રોજ તરંગની પાંખે, હું ઊડું છું, દૂરદૂર,જુદી,નવી સફરે ઉપડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની, કુદરત ને ભીતરની સફરે ઉડું છું.
હિરા-મોતી ખૂબ ખોબે ભરી લાવીને, અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે, શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.
પાછી મૂળ વાત પર આવું. ઓસરીના ખૂણામાં બે ત્રણ પાણીની ડોલ અને મોટું વાસણો ભરવાનું તગારું પડ્યું રહેતું. દબાવો તો દૂધ નીકળે એવી થોરની કાંટાળી લીલી વાડ ઘરનું રક્ષણ કરતી. તે તરફ એક નાનકડા ખાડા જેવું કરી ગાય-કૂતરાને માટે ખાવાનું ભરતા. નિયમિત સમયે ત્યાં ગાય આવતી અને ખાતી. કૂતરા તો સતત અવરજવર કરતા રહેતા.
ઘરની અંદર ડાબા હાથે માટીનો ચૂલો, ત્રાંબા-પિત્તળના થોડા વાસણો, એક મોટો ઉનમણો, કલાડી અને લાકડીઓનો ભારી રહેતી. કાળી ઝીણી જાળીવાળું લાકડાનું કબાટ જેમાં રાંધેલું ધાન,વધે તો ઢાંકતા. કબાટ નહિ પણ એક ખાસ શબ્દ…કદાચ ઉલાળિયું,આગળું.ખામણિયું એવું કંઈક બા બોલતા. સામે ખોલવાનાં બારણાં નહિ પણ ઉપરથી એને ઉઘાડવાનું. ઘણીવાર બહુ વાયરો આવે ત્યારે કમાડનો આગળિયો વાસી દે એમ પણ કહે. કમાડની પાછળ ઠંડક વાળી જગાએ પાણીની માટલી, ઢાંકેલું બૂઝારું અને ડોયો પડી રહેતા. બાકી તો ઘઉં ભરવાના મોટા નળા વગેરે જેમાં કેરીઓ પાકવા માટે મૂકાતી. મોટાં કહી શકાય એ ઓરડામાં જ વાળું પછી, પથારીઓ પથરાય. વરસાદ ન હોય ત્યારે તો બહાર જ કાથીના ખાટલા ઢાળી સૂવાનું. ઘીથી લથપથતી ઢીલી ખીચડી ખાઈ, બિન્દાસ થઈ ખુલ્લાં આકાશ નીચે, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે સૂવાની,આહાહા…. શી મઝા હતી! ભાઈબેનો સાથે રમ્યાની બહુ ઓછી યાદો છે. ઝઘડ્યાની તો બિલકુલ યાદ નથી. કદાચ ઝઘડ્યા જ નથી. સંજોગોને કારણે બધા જ સમજુ થઈ ગયા હતા!! ઘરની પાછળના વાડામાં જે ગોરસઆમલીનું ઝાડ હતું તે નાનું પણ રળિયામણું હતું. આજે તો એ બધું જ જમીનદોસ્ત થઈ ગયું છે પણ હજી યે મનના માંડવે ગૂંજતું રહ્યું છે.
ગામની કાંતા,તારા,શકરી,કોકી વગેરે બેનપણીઓના ચહેરા એવા ને એવા જ યાદ છે પણ કોઈ છોકરો નહિ હોય? કોઈ સ્મરણમાં જ નથી! ગામમાં છોકરો ન હોય એવું બને કાંઈ? રસપ્રદ સવાલ જાગ્યો.પૂછવું પડશે કોઈને!
આટલી સ્મૃતિઓ પછી આ બદલાતા જતા સમય અંગે હવે આગળ એક વધુ વિચાર અને પ્રશ્ન પણ જાગે છે. કે, બદલાવ એ ખરેખર વિકાસ જ છે?!! આદિમાનવથી માંડીને આજસુધી પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરી છે એ વાત તો સાચી. પણ સૌએ યથોચિત બદલાવને અપનાવવો જોઈએ અને તે પણ મૂળ મૂલ્યોની જાળવણી કરીને. પરિવર્તનને નામે પાયાને હચમચાવી ન જ દેવાય. જ્યાં જન્મ્યાં એ ભૂમિનો ચોરસ ટૂકડો,એ માબાપ, એ માહોલનું રતનની જેમ જતન કરવું જ જોઈએ. એ જ સાચી સમૃધ્ધિ છે, વૈભવ છે,ખજાનો છે, કાયમી સધવારો છે. આગળ ચાલો, ચાલતા રહો પણ સારું અને પોતીકું, સ્મરણના ખાનામાં ગોઠવી માણતા રહો. સાચો આનંદ ખરા મૂલ્યોમાં છે. એને મનથી જાળવવામાં છે. દેખાડા ખાતર કે ધન-ઉપાર્જન માટે થતી ધંધાકિય પ્રવૃત્તિઓમાં નહિ.
હું હંમેશા માનતી આવી છું અને કહેતી પણ આવી છું કે wealth ( money) is not and should never be a definition of happiness. No outside source can give a real happiness. happiness is mostly in knowing who you are, your foundation and cherishing it the same way. It is a feeling of pleasure and positivity.
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું.
ગામડાંની વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પણ તે હવે આવતા પ્રકરણમાં..
(૨)
સ્મરણની આ શેરીમાં રખડતા રખડતા એક Maternity Home,પ્રસૂતિગૃહ નજર સામે આવ્યું અને નવજાતનું રુદન સાંભર્યું. વીજળીના ચમકારાની જેમ એક લઘુવાર્તા જેવી કલ્પના ઉપસી..
જોખમના લેખાંજોખાં…
ધરતી પર જન્મ લેતા પહેલાં જીવે શિવને કહ્યુઃ ‘મારે મોકળાશ જોઈએ છે. એક મોટી જગા જોઈએ છે. કારણ કે, મારે બાગ–બગીચા જેવું ખૂબ સરસ કામ કરવું છે. શિવે કહ્યુ, “અરે વાહ..બહુ સરસ. જગા તો હું તને મોટી અને સરસ આપું. પછી તું એને ઉપવન કરે કે રેતીનું રણ બનાવે. કુસ્તીનું મેદાન બનાવે કે શાંતિનું ધામ રચાવે, બધું જ તારા હાથમા. એક કામ કર. વિચારીને કાલે આવજે.”
બીજાં દિવસની સોનેરી સવારે જીવ “તૈયાર છું” કહી હાજર થયો. શિવે ફરીથી પૂછ્યુઃ સાચે જ વિચારીને આવ્યો ?
જીવે મક્કમતાથી કહ્યું “હા,હા, એકદમ તૈયાર છું.” શિવ તો ‘તથાસ્તુ’ કહી અંતરધ્યાન થયા. અજ્ઞાત જીવને મા મળી,ધરા મળી, જગત મળ્યું, જીવન મળ્યું. પણ જીવને તો અવતરણની પ્રથમ ક્ષણથી જ રડવું આવ્યું, ઉંઆઆ…ઉવાં..ઉંવાઆ.. જીવને શિવની વાત યાદ આવી. ધીરે ધીરે બંધ આંખે ઉંઘમાં હસી જવાયું. હજી તેનામાં શિવનો અંશ હતો….!
******************************************************************************************
આમ, જીવનું ધરતી પર અવતરવું એ પહેલું અને મોટું જોખમ અને લાંબી કે ટૂંકી જીંદગીને આ જગત વચ્ચે જીવવી એ બીજું મોટું સાહસ. આ બંનેની વચ્ચે જે કાંઈ બને છે તેનાં સજાગપણે લેખા-જોખા કરવાનો આ એક પ્રયોગ છે. એ અંગે સાચી અનુભૂતિ જીવન અને જગત સિવાય બીજે ક્યાંથી પામવી? આ લેખનમાં આત્મકથા કે જીવન ચરિત્ર કહેવાનો કોઈ જ ઈરાદો નથી. ( એ તો મહાન માણસોના લખાય ને?!!! ) પણ કુંભારના ચાકડાની જેમ ઘડાઈને બહાર આવેલાં મન-ઘડાની થોડી આકૃતિઓ ઉપસાવવી છે જે કદાચ ભાવિ પેઢીને ક્યારેક શાતા અને શક્તિ બક્ષે. મારા લોહીમાં સતત વહન કરતી ભાવનાઓ તેમના હ્રદય સુધી પહોંચે તો આ પ્રત્યેક જીવના સ્વીકારેલાં જોખમ અને આદરેલાં સાહસ લેખે લાગે.
હા, તો મારી સ્મૃતિની આજે બીજી વાત હતી જન્મના સ્થાન,ગામની..ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. નામ એનું ભૂડાસણ. આ નામ મને જરા પણ ના ગમે. કોણે આટલાં હૂંફાળાં ગામનું નામ આવું ભૂંડું રાખ્યું હશે? ને કેમ? એ પણ એક પ્રશ્ન. પણ ચાલો, શેક્સપિયરને યાદ કરીને, જુલિયેટ કહે છે તેમ,
“What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet.” એમ વિચારી મન મનાવી લઉં!
ધૂળિયું એ ગામ, ભીની માટીની મહેંકની જેમ હજી પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈને પડ્યું છે. આમ તો પિતાનું ઘર અમદાવાદમાં પણ મોટે ભાગે ઉનાળામાં ગામ જવાનું થતું. અને તે પણ મને યાદ છે તેમ પરાણે ચાર-પાંચ વખત બાળપણમાં જ. ઘરથી થોડે દૂર ગામનો એક કુવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ પાણી ખેંચતી તે હું જોતી. વચ્ચે પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને તો રાત્રે વહેલા સૂવાની ટેવ એટલે બા ( નાનીને અમે બા જ કહેતા.) મારા માટે એક ખાસ હાથેથી ઉંચકાય એવી નાની અમસ્તી ઢોયણી (ખાટલી) સાથે રાખતા. જેવી મને ઉંઘ આવે એટલે તેમાં સૂવાડી દેતા. ચબૂતરાથી આગળ ચાલીએ એટલે ગામની ભાગોળ. સવારે ઊઠીને લોકો (અમે પણ) પાણીનો લોટો ભરી એ તરફ ‘ઝાડે ફરવા’ જતા. ઘરમાં ક્યાં બાથરૂમ કે ટોયલેટ હતા? અમે બધી બેનપણીઓ ભેગી થઈને જતા. પાછા આવતા રસ્તામાંથી લાલ ચટાક ચણોઠીઓ વીણતા. ચણોઠી શબ્દ એના રૂપ જેટલો મને ખૂબ જ ગમે. સૌથી વધારે હું જ વીણતી અને ભેગી કરતી. તે પછી ખેતરો આવે. ત્યાં પણ પથ્થર ફેંકી કેરીઓ તોડ્યાનું સ્મરણ છે. ઘરની બીજી તરફ એકાદ માઈલના અંતરે નદી. ત્યાં કપડાં ધોવા જવાનું. મને એ બહુ ગમતું. પણ કિનારે બેસીને જ! પાણીમાં ડૂબવાનો ડર. એક વખત મારો નાનો ભાઈ ઘોડા પરથી પડી ગયો હતો અને નદી કિનારે ફેંકાયો હતો ત્યારથી એ બીક પેસી ગઈ હતી. તે દિવસે બહું રડવું આવ્યું હતું. આવા તો અનેક પ્રસંગો!
ગામના એ ફળિયાની અને ઘરની વાતો પણ કેટલી બધી? લખતા પહેલા…વિચારું છું કે આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે? ૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? ક્યાં ધૂળિયા ગામની વાતો અને ક્યાં અમેરિકાના આ ટેક્સાસ રાજ્યના મહેલ જેવાં ઘરોની મિરાત! આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો અને કદાચ જો ત્યાંથી આપણા સૌના સદગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ,તો દૂનિયા દેખાઈ સાવ અનોખી;
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ, ફેલાયા ચારેકોર ઘરના સિતારા,
કોઈ છે રશિયા તો કોઈ ઓસ્ટ્રેલિયા, દીસે છે આભેથી ભૂમિના નક્શા….
રમતા’તાં ભૂલકાં કેવા મોટા ચોકમાં, રહેતા’તાં એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં, બંધાતી રાખડીઓ મોટા આંગણમાં….
ઉજવાયે આજે ઈમેઇલ પર સઘળી, ને સામેય હોય પેલી વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ, તો દૂનિયા નિહાળી સાવ અનોખી….–
આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એજ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો કેટલાક સમાજમાં ધીમેથી આવે છે.પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું એ સત્ય છે. જરૂરી પણ એટલું જ છે. કારણ કે, માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિધ્ધિને જ આભારી છે ને? બદલાતા જવું, વિકસતા જવું અને વિસ્તરતા રહેવું એ પ્રકૃતિ શીખવે છે, જીંદગીની હરપળ શીખવે છે.
સ્મરણની આ શેરીમાંથી ન જાણે કેટલી કણિકાઓ ઝગમગી ઊઠશે?