સંગ્રહ

રસદર્શનઃ ૨૮ઃ સપના વિજાપુરા.

ગઝલઃ સ્મરણો લાવશેઃ સપના વિજાપુરા

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી, તારા જ સ્મરણો લાવશે.

સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

—સપના વિજાપુરા 

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મૂળ મહુવાના અને હાલ અમેરિકાસ્થિત સપના વિજાપુરા એક જાણીતાં કવયિત્રી છે. પ્રસ્તૂત ગઝલ દ્વારા તેમણે સ્મરણોની શેરીમાં સ્હેલ કરાવી છે.

સ્મરણોની તો વાત જ ન્યારી. આમ જુઓ તો દરિયાકિનારે વેરાયેલાં છીપલાં જેવાં. તેનું મૂલ્ય કશુંયે નહિ છતાં પણ ખૂબ અમોલાં, મહામોંઘા! સ્મરણો ગમે તે સ્થાન,વસ્તુ કે વ્યક્તિના હોઈ શકે. પ્રથમ શેરમાં અહીં ‘પ્રિય’ શબ્દ દ્વારા સ્પષ્ટતા થઈ જ જાય છે કે આ સ્મરણો તો મીઠાં, મધુરાછે. કારણ કે, એ પ્રિય પાત્રનાં છે, ગમતી વ્યક્તિનાં છે. એને કાર્ય કે કારણો સાથે કાંઈ જ સંબંધ નથી. એ તો બસ આવે છે, એમ જ. તે પણ ક્યાં ક્યાંથી અને કેવી કેવી રીતે આવી શકે છે? કવયિત્રીએ નરી સાહજિકતાથી કુદરતને આમાં જોડી દીધી છે. એ કહે છે કે, શીતળ અને સુગંધિત પવન હોય કે નાજુકડા ફૂલ પરનું ઝાકળનું બિંદુ હોય પણ પ્રકૃત્તિના એ તત્વો પણ તારી જ યાદ લઈને આવશે.

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે, ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

એટલું જ નહિ, આગળના બે શેરમાં ચાંદની રાત, સાંજના અજવાળાં, નિર્મળ નદીના નીર, તડપતા અને ભીંજાતા ચકોરને પણ નજર સામે ધરી દીધાં છે, એકલતાની ભીડમાં આ કેટલા બધાંને આંખમાં ભરી દીધાં છે! પંખીઓનો કલરવ પણ કેવો? સાથે ગાયેલાં પ્રેમના ગીતોને યાદ કરાવે છે. એ પતંગિયાની જેમ ઊડીને એક ડાળેથી બીજી ડાળે ઊડવા માંડે છે. સાથે સાથે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ, બીજી અનેક યાદોને તાજી કરતી જાય છે. સ્મરણોના આવા અંકોડાનું વિસ્મય છેક પેલા ઊર્દૂ શેર સુધી નથી લઈ જતા?!

“યાદે ફલક મેં આજ કોઈ યુઁ આ ગયા હૈ, કિ માહોલ માયુસી કા હર તરફ છા ગયા હૈ l

ચોથા શેર સુધી કોના અને કયા સ્મરણનો આ ભાવ છે તેનો ઘટસ્ફોટ થતો નથી. કવયિત્રીને ઘણું બધું કહેવું છે પણ મોઘમ મોઘમ ઈશારા ચલાવે છે. ખુલીને કે ખીલીને અભિવ્યક્તિ કરવાને બદલે ભાવક પર છોડી દીધું છે એમ લાગે. પણ પાંચમાં શેરમાં ગઝલની નાયિકા દ્વારા યોજાયેલ પ્રિતમ શબ્દ પેલા ઊર્દૂ શેરને પૂરવાર કરે છે. એ  ખુલેઆમ  પ્રિતમની અને પ્રેમના સ્મરણની વાત કરે છે કે,

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણી વાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃદ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુદ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

એક મઝાનું ભીનું ભીનું રોમાંચક દૄશ્ય ઊભું થાય છે. ઉછળતો દરિયો, એનાં મોજાં, કિનારાની રેતી પર બેઠેલ યુગલ, રેતી પર લખાતું એકમેકનું નામ, પંખીઓના કલરવ સમા મધુર સ્નેહના ગીતો, ભરતી પછીની ઓટ, અંતે રેતીની જેમ સરી જતો સમય અને હાથમાં રહી ગયેલાં છીપલાં જેવાં માત્ર ને માત્ર સ્મરણો.. અહીં છૂટા પડ્યાની એક ઊંડી ટીસ સંભળાય છે!

સરળ શબ્દોમાં ઘેરા ભાવો ઉઘડે છે. આંખોમાં દર્દનો દરબાર ભરાયો છે અને એમાં છે સ્મરણોનો રાજ્યાભિષેક! અને તે પછી હજી રાહ છે. કોની? ના…પ્રિતમની નહિ. જે વેરાન થઈ ગઈ છે તે નીંદની. આંખ પળભર મળવાની રાહ છે. હકીકતમાં સૂવાની માનસિક તૈયારી નથી. એને તો થાય છે કે આંખ મળે તો સપના આવે અને સપનામાં તું આવે તો પછી, એ પણ તારા જ સ્મરણો લાવશે. દૂર દૂર સુધીની યાદોના સાગરમાં ડૂબવાની ખ્વાહીશ છે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

કવયિત્રીના નામને સાર્થક કરતો ભાવભીનો મક્તા ગઝલને યથાર્થતા બક્ષે છે. આમ જોઈએ તો ગઝલ સાદ્યાંત સ્મરણોને જ વાગોળે છે પણ ખુબી એ છે કે, એ ઝાઝુ કશું કહ્યા વિના ઓછા રૂપકોમાં મનનું દર્પણ અને સ્મરણોનું સમર્પણ ધરી શક્યાં છે. એકાદ સ્થાને થયેલ છંદદોષને બાદ કરતા, ગઝલ આસ્વાદ્ય બની શકી છે. સપના વિજાપુરાને અભિનંદન સાથે અનેક શુભેચ્છા.

—-દેવિકા ધ્રુવ

રસદર્શનઃ ૨૭ઃ જયશ્રી મર્ચન્ટ

૧. ગઝલઃ …કેટલું!…. જયશ્રી મરચંટ

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?

કોણ લઈ જાય છે સાથમાં કેટલું?
લોક જો, ઊઠતું જાય છે, કેટલું?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

  • જયશ્રી વિનુ મરચંટ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય-જગતમાં ચારેકોર છવાયેલ, અમેરિકાસ્થિત જયશ્રીબહેન મર્ચન્ટની ઓળખ કોઈનાથી અજાણી નથી. ગાલગાના ૪ આવર્તનોમાં રચાયેલ આ ગઝલ ‘કેટલુ!’ના આશ્ચર્ય ચિન્હ સાથે જ વિસ્મય અને રહસ્યનાં અકળ વિશ્વ તરફ તેઓ વાચકને અવશપણે ખેંચી જાય છે.

અદભૂત મત્લાથી કવયિત્રી શરૂ કરે છે,

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

આહાહા. આ ફૂટવા,છૂટવાની સાથે જ અર્થોના વિવિધરંગી પડદાઓ મનના મંચ પરથી સરવા માંડે છે. ગમે તેટલું જાળવીએ પણ કેટકેટલું જાણે અજાણે ફૂટે છે અને છૂટે છે. અહીં કોઈ ભૌતિક વસ્તુનો સ્થૂળ અર્થ લેશમાત્ર નથી. ક્યાંક ઇચ્છાઓની બરણી ફૂટે છે, ક્યાંક જીવતરના ગોખલે ઝળહળતા દીવા જેવો આખો ને આખો માણસ છૂટે છે; ને આપણે જોતા રહી જઈએ છીએ. કોઈ કશુંયે ક્યાં કરી શકે છે?! એવું તો કેટલું બને છે? એકદમ ઉચિત રદીફથી રસાયેલ મત્લા કાબિલેદાદ છે.

આગળના શેરમાં તૂટવાના ભાવને રજૂ કરતા કવયિત્રી કહે છે કે, અરીસો તૂટે અને સાચવી રાખો તો પણ ધીરે ધીરે, ખબર પણ ન પડે એ રીતે, આયનો કોરેથી રોજ રોજ તૂટતો જાય છે. જીવનનો આયનો કોઈનો જુદો નથી. ગમે તેટલો રોજ જુઓ પણ પોતાનું જ પ્રતિબિંબ બદલાતું જતું ક્યાં દેખાય છે! આયનો તૂટે છે કે આપણે?!!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?
અહીં ‘બટક્તું ‘ શબ્દ ભાવને જાળવતો હોવા છતાં ગઝલના છંદને જરા બટકાવે છે. અન્ય સરળતાથી ઉપલબ્ધ પર્યાયી શબ્દ અપેક્ષિત ખરો.

પ્રથમ બે શેરમાં  ફૂટવા, છૂટવા અને તૂટવાની વાત કર્યા પછી હવે ત્રીજા શેરમાં જુઓ.
ઊઠી જવાનો એક ગંભીર ભાવ પ્રગટ થાય છે. એક પળની એવી વાસ્તવિક્તા છે કે કોઈ કશું ત્યારે લઈ જઈ શક્તું નથી. બસ, એમ જ ‘ચેકઆઉટ’ થઈ જવાનું હોય છે. સમય નિશ્ચિત્ત છે પણ જાણ નથી. ગમે તેટલું ભેગું કર્યું હોય પણ કશું સાથે લઈ જવાતું નથી. “લોક જો  ઊઠતું જાય છે કેટલું?”  સાની મિસરાના આ શબ્દો ‘કોવિદકાળ’ના કપરા સમયમાં પટોપટ ઊઠી જતાં લોકની સ્મૃતિઓને તાજી કરાવે છે. દિલ દ્રવી ઊઠે છે અને આંખ ભીની થઈ જાય છે.

આગળના શેરમાં એક નવો વિચાર આવે છે. થોડો સામાજિક મનોદશાનો સૂર નીકળે છે. ઘણા લોકો સુંદર હોય છે પણ એમાં વિનયી કેટલાં? અને એ વિશે અન્યોને ખૂંચે છે કેટલું? અરે ભાઈ, જે છે તે છે. એને સમભાવે સ્વીકારો ને? આપણે કેવાં છીએ કે કેવાં રહી શકીએ છીએ તે અગત્યનું છે. પ્રકૃતિ તરફ નજર કરો. દરેક ઋતુનો ચૂપચાપ સ્વીકાર, કશોયે નકાર નહિ. નરી સ્વીકૃતિ.

અહીં વળી એક ઑર અર્થ ઉઘડે છે અને તે એ કે, એ સુંદર છે પણ વિનયી પણ કેટલાં બધાં છે? પણ તોયે લોકોને તો એ પણ ખૂંચે છે!!! કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, અવળચંડા માણસોને બધું વાંકુ જ દેખાય. સારામાં પણ ખોટું જ દેખાય. કદાચ એટલે જ કહ્યું હશે ને કે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ?!! આ શેરમાં કશીયે શિખામણ નથી. માત્ર માનવીની સાહજિક મનોદશાનો, કવયિત્રીએ એક અછડતો લસરકો કરી છોડી દીધો છે! વાચકને વિચારતાં કરી દીધા છે! કવિકર્મ અહીં કેટલું કલામય જણાય છે?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

આ ચોથા શેરમાં ‘ખટકતું’ને બદલે ‘ખૂંચતું’ શબ્દ વધુ બંધબેસતો લાગત.

અંતિમ બે શેર અદભૂત છે, લાજવાબ બન્યા છે. કેટકેટલું ભર્યું છે એમાં? ઓહ…. એકસામટા કંઈ કેટલા ભાવ/અર્થના એકસામટા દીવડા પ્રગટી ઊઠે છે એમાંથી? સવાલ તો ભાવક કરે છે કે, ‘કેટલું?!!’  કવયિત્રી જયશ્રીબહેન?! કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

મરીઝ આવીને સામે ઊભા જ રહી જાય છે કે, “એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.”

ઘડીભર લાગે કે જિંદગી તો ખૂબ જ લાંબી છે; પણ ના…ના.. એવું નથી, એવું નથી જ. પરપોટા જેવી આ પળ… ન જાણ્યું જાનકીનાથે…સવારે શું થવાનું છે? ઊંડા વિચારે ચડી જવાય. ઇચ્છા તો ખૂબ હોય કે ઉંઘમાં જ ઉંઘી જવાય. પણ કવયિત્રી સિફ્તપૂર્વક નજરને ક્યાંક બીજે જ દોરી જાય છે.

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

હસતાં સંતના શબ્દો પડઘાય છેઃ “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..”
કોણ, કેટલું અને કેવું… આ બધાં સદીઓથી દોહરાતાં સવાલો છે અને એવાં જ હૃદયમાંથી નીસરે છે જેને આત્મસાત થયાં હોય છે. સતત પરમ સાથેનું જોડાણ હોય તો જ અને ત્યારે જ આટલી સુંદર રીતે આવી સંવેદના પ્રગટ થાય.

કવિ શ્રી નરસિંહ મહેતાના અસ્સલ ઝુલણા છંદને મળતો આ ૨૦ માત્રાનો મુત્દારિક છંદ ભાવને અનુરૂપ ઊંચા શિખર પર લઈ જઈ ચિંતનના ઝુલણે ઝુલાવે છે.

કવયિત્રીને  સો સો સલામ અને વંદન.

–અસ્તુ.

દેવિકા ધ્રુવ

તાજા કલામને સલામઃ ૯ઃ શિલ્પા શેઠ

ગઝલ : તરસઃ શિલ્પા શેઠ

છંદ રજઝ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા ૨૧ માત્રા

તારા વગર તો કોણ છીપાવી શકે?
મારી તરસ તો તું જ સંતોષી શકે!

ડૂમો ગળે બાજેલો છે કેવો છતાં,
શબ્દો જ કેવળ ખુદને ભરમાવી શકે.

એ કેટલી હદથી નડે કોને ખબર?
શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!

ગુંગળાયેલી એ ક્યાં સુધી જીવી શકે?
તરફડતી ઈચ્છાઓ મરણ પામી શકે!

કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?

ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત, 
પણ દેહ આખો થોડો એ બાળી શકે?

લાગે જે સહેલું એટલું અઘરું છે એ,
ક્યાં પ્રેમમાં સર્વસ્વ સૌ ત્યાગી શકે?

છે મીણ ઓગળવા હવે જ્યોતિ નીચે,
છે પ્રશ્ન અગ્નિ કોણ ત્યાં ચાપી શકે?

પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?

–શિલ્પા શેઠ “શિલ્પ” મુંબઈ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મુંબઈના વતની અને લેખન વાંચનના શોખીન શિલ્પા શેઠ સાહિત્યના દરેક સ્વરૂપમાં રસ ધરાવે છે. વિવિધ સહિયારા સર્જનોમાં તેમની લેખિની પ્રગટ થતી રહી છે. પ્રસ્તુત ગઝલ ‘તરસ’ દ્વારા તેમની કલમની ઝલક મળે છે.

મત્લાથી શરૂ થયેલ પ્રશ્નોની શ્રુંખલા મક્તા સુધી આ ગઝલમાં વિસ્તરી છે. તરસ છીપાવવાનો સવાલ કોઈક અધૂરી ઝંખનાને આરે જઈ ઊભો રહે છે. પ્રિયજનની રાહ જોવાય છે પણ અહીં રોમાંસ નથી.  કશોક ગમ છે, ગળે ડૂમો બાઝ્યો છે ને તે પણ શબ્દોથી જ શમી શકે તેમ છે. અહીં કડવા મીઠા કે પછી સમજણના શબ્દો જ સ્વયંને શાંત કરી શકે તેમ છે.

એકબીજાનો વિરહ ક્યારેક મિલન થતાં પ્રેમમાં ઉમેરો કરે તો વળી બહુ લાંબી દૂરતા અંતરાય પણ લાવી શકે. અહીં મોઘમ વાત કરી છે કે,
એ કેટલી હદથી નડે કોને ખબર?

શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!

પરિસ્થિતિનો તાગ પામવાનું વાચક પર છોડી દીધું છે. ‘ એ’ ના એકાક્ષરી શબ્દોમાં કવયિત્રી શેની વાત કરે છે? પ્રિયપાત્રની દૂરતાની, મિલનની ઇચ્છાની કે શબ્દોની? પછીના શેરમાં વળી વાત થોડી છતી થાય છે કે, ઇચ્છાઓનો તરફડાટ એવો હોય છે કે કદાચ એ ગૂંગળાઈને મરણ સુધી પહોંચે!

નિરાશા અને હતાશા માનવીને માટે કેવો વિનાશ નોંતરે છે તેના તો અસંખ્ય દાખલાઓ સમાજમાં જોવા મળતા જ રહેતા હોય છે. પાંચમાં શેરમાં વિષયને વધુ આકાર મળ્યો છે. કશુંક ખૂબ દુઃખદ બન્યું છે,કોઈ દૂર, સુદૂર ચાલ્યું ગયું છે. કદાચ અચાનક જ. કારણની પણ જાણ નથી. તેથી કાવ્યની નાયિકા કહે છે કે,

કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,

મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?

આ એક મોટો કોયડો છે. વિજ્ઞાને ખૂબ શોધ કરી છે પણ છેલ્લી પળ કોઈનાથી પકડાઈ નથી.

“આખરી પળ પણ એવી અકળ અહીં…પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.”

 એ જેના પણ જીવનમાં જીરવવાની આવે છે તેનું આખુંયે અંતર બળે છે પણ એ ચિતાથી દેહ બળતો નથી. માત્ર જનારની પાછળ વ્યક્તિનું મન સતત બળ્યા કરે છે. છઠ્ઠા શેરમાં એ સવાલ ઘૂંટાય છેઃ

ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત, 
પણ દેહ આખો થોડો એ બાળી શકે?

પ્રેમમાં સર્વસ્વ ત્યાગવાની વાતો તો સૌ કરે છે; પણ જ્યારે  ખરો સમય આવે છે ત્યારે કોઈ કોઈની પાછળ કુદી પડતું નથી કે જનાર પણ એનો સમય આવે છે ત્યારે બસ, એમ જ, પાછળનાનો વિચાર કર્યા વગર જ વિદાય લે છે. ખરેખર તો પ્રશ્નોની આ પરંપરા પરમની સામે છે અને વિસ્મય તો એ વાતનું છે કે,દરેક વ્યક્તિને આ અનુભવ થતો જ રહે છે. એટલે આમ જોઈએ તો આ ગઝલમાં એક સૂફી વિચાર સમાયેલો છે, જે કદાચ લખતી વખતે કવયિત્રીને અભિપ્રેત ન પણ હોઈ શકે! શબ્દોની અને અર્થોની આ જ તો ખૂબી છે કે એ વાચકના ભાવવિશ્વ મુજબ અર્થચ્છાયાઓ ઊભી કરે છે.

છેલ્લા બે શેર પણ મઝાના બન્યા છે. ઓગળવા માટે  તૈયાર મીણ છે, જ્યોત છે, પણ ફરીથી પ્રશ્ન થાય છે કે, હવે કોણ ચાંપશે?! એકાકી મનની આ તે કેવી દર્દભરી દાસ્તાન? પથ્થરને કંડારાવું હશે, પૂજાવું હશે. પણ જે ખુદ શિલ્પ છે જ તેને તો કોણ કંડારે?

પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે? અહીં  મક્તાના આ શેરમાં બખૂબી તખલ્લુસ ભળી ગયું છે. આમ,

તરસ, વિરહ દૂરતા, મૃત્યુ અને  વિષમતાના ભાવોને શિલ્પાબહેને યથોચિત ઉપસાવ્યા છે.

૨૧ માત્રાના રજઝ છંદમાં, ૯ શેરોમાં ગૂંથાયેલ આ નવી કલમને આવકાર સાથે વધુ સારી ગઝલોના સર્જન માટે શુભેચ્છા.

અસ્તુ

—દેવિકા ધ્રુવ

તાજા કલામને સલામઃ ૭ઃ રીંકુ રાઠોડ

“આપણું આંગણું”ના સૌજન્યથી…તસ્વીર સહિત

ગીતઃ  મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે: રીંકુ રાઠોડ

એવાં સખી વાદળાં ને વીજળી ને ઝરમર વગેરે

મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.

હૈયામાં જાગે કૈં યાદોના મેળા

થોડા નિસાસા પણ આવે છે ભેળા

એમ પાછા ઘા ઉપર મીઠું ઉમેરે

મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.

ઉંબર તે નદીઓ ને પ્રાંગણ તે ગામ,

રહી જાતું વહી જાતું મનગમતું નામ.

કાચ્ચી ઉંમર તણાતી જાય લ્હેરે! 

મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.


આસ્વાદઃ દેવિકા ધ્રુવ

‘શર્વરી’ તખલ્લુસથી ગઝલો લખતાં રીંકુ રાઠોડનું નામ હવે યુવાજગતમાં મશહૂર છે. તેમને યુવાગૌરવ પુરસ્કાર અને કવિ શ્રી રાવજી પટેલ એવોર્ડ પણ મળ્યો છે.

 તેમનું ઉપરોક્ત મનમોહક ગીત એટલે પ્રકૃતિ સાથેનું એક મઝાનું પ્રણય ગીત. એક મુલાયમ અનુભૂતિનું ગીત. આમ તો પ્રકૃતિ સાથે દરેક સર્જકનો રુહાની નાતો છે. ખૂબી એની અભિવ્યક્તિની રીતમાં છે, લઢણમાં છે, જે રીંકુ રાઠોડને જન્મજાત મળેલી અમોલી ભેટ છે.

ગીતની ધ્રુવ પંક્તિ ‘ મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે’ થી  માટીની સોડમ જેવી ગામઠી બોલી નીસરે છે. વાદળાંઓનો ગડગડાટ થાય, વીજળીઓ ચમકે અને એય ઝરમર ઝરમર વરસાદનું આગમન થાય એ આખાયે દૄશ્યને માત્ર એક જ લીટીમાં તાદૃશ કરી  મનની મસ્તીથી,  રુંવે રુંવેથી ઘેરવાની મૂખ્ય વાત મઝાની રીતે વહેતી મૂકી દીધી છે.

‘મૂઆં’ શબ્દ્પ્રયોગ દ્વારા કશુંક ગમતું, વહાલભર્યું કહેતી, આંખને ખૂણેથી જોતી કાવ્યનાયિકાનો પ્રેમ નીતરતો રીસભર્યો ચહેરો નજર સામે દેખાય છે! અહીંથી જ  કવિતાની પકડ તો એવી જબરદસ્ત અનુભવાય છે કે આખું ગીત વાંચ્યા વગર ચાલે જ નહિ.

હવે આ રોમાંચિત ચિત્રમાં થોડી રેખાઓ આગળ દોરાય છે. એવું તે શું હતું એ વરસાદમાં? સ્મૃતિઓનો પટારો સહજ ખુલે છે. મેળાની જેમ યાદો ઉઘડે છે ને યાદોમાં જરા નિસાસા સંભળાય છે.  કેવા છે નિસાસા? એને યાદોમાં લાવવા નથી. મનમાં ખુશી આણવી છે, હકારાત્મક મનોભાવ છે તો પણ એ નિસાસાયે મનગમતી યાદોની સાથે ભેગા આવી જ જાય છે.

કશુંક વાગ્યાનો ચચરાટ છે, રુઝવા મથતા ઘા પર મીઠું ભભરાયાંની સંવેદના અડીને કલાત્મક રીતે દોડી જાય છે; પેલી રુંવે રુંવેથી ઘેરાવાની મીઠડી લાગણી તરફ.

અહીં ખૂબ સિફતપૂર્વક કવિહૈયું ખુલીને અટકી જાય છે.

બાંધી મુઠી છે લાખની, ખોલી રહો તો રાખની.
વાહ! બંધ મુઠ્ઠી જાણે ખોલી ખોલીને કવયિત્રીએ બીડી દીધી છે. સમુચિત શબ્દપ્રયોગ અને ભાવને ઘેરો બનાવતી પુનરુક્તિ નોંધપાત્ર છે.

નાનકડા બીજા અંતરામાં કાવ્યની નાયિકા ગામ અને નદી તરફ ખેંચી જાય છે.

ઉંબર તે નદીઓ ને પ્રાંગણ તે ગામ,

રહી જાતું વહી જાતું મનગમતું નામ.

 અહીં માત્ર ગામ ને નદીની જ વાત નથી. એ તો થઈ અભિધા. પણ જે મઝાનો સૂર રેલાય છે તે છેક લઈ જાય છે પેલી જૂની ને જાણીતી કવિ શ્રી મણિલાલ દેસાઈની પંક્તિઓના સૂક્ષ્મ ભાવ સુધી.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે….

નદીના વહી જતાં નીરમાં મન નામના પ્રાંગણમાં એક નામ વહી જતું ફરી એકવાર દેખાય છે. ક્યાંય કશી ઝાઝી ચોખવટ નથી, વેવલાઈ નથી, અર્થહીન થોકબંધ શબ્દોના ખડકલા નથી. ખૂબ જ લાઘવમાં ઊંડે સુધી ઉતરી ગયેલી જખ્મી વાત અને ગામ, નામની ઝલક આપી કવયિત્રી કવિતાને આગળ વહાવે છે.

કાચ્ચી ઉંમર તણાતી જાય લ્હેરે! 

આહાહા..કેટલું સુંદર અને અસરકારક કાવ્યતત્ત્વનું આ વહેણ! અદભૂત…અદભૂત રીતે તણાતી ઉંમરને કાચ્ચી કહીને, અપરિપક્વ સમજની અવસ્થાને સજાવી દીધી છે! નાદાન ઉંમર કશાયે ભાન વગર, કહો કે જાણ વગર લહેરથી વહેતી રહે છે એનું અનોખું ચિત્ર ઉપસે છે. ઘરના ઉંબરની લક્ષ્મણ રેખા ઓળંગીને ગામના આંગણમાં ને તેથીયે  કદાચ આગળ દોડતી જતી કાયા-માયાની ભાવના ઉંમરવશ યાદોને ઘેરી લે છે. પર્વતેથી નીકળી સાગર તરફ ધસમસતી નદીની જેમ જ કવિતાનું ભાવપોત ખીલી ઉઠ્યું છે.

એક વધુ અર્થચ્છાયા એ પણ સ્પષ્ટ થાય છે કે, આજે તો પાકટ સમજ છે કે એ વર્ષો જૂની ઉંમર કેવી કાચી હતી, ત્યારે કેવું કેવું થતું રહેતું હોય છે? પરીણામે કેવા ન પૂરાતા ઘાવ થાય છે જે કુદરતની જેમ જ, વાદળ, વીજ અને વરસાદની સાથે સાથે તાજાં થતા રહે છે. ઉંમર સહજ ઊર્મિઓનો છલકાટ પણ કેવો કુદરતી હોય છે?

માત્ર બે જ અંતરામાં ગૂંથાયેલ આ ગીત નાનકડા સુગંધિત ગજરાની જેમ મહેંકી ઊઠ્યું છે. ગીતનો લય, લયને ઝંકારતા ઝાંઝર જેવા મેળા, ભેળા; ઉમેરે,વગેરે,ઘેરે પ્રાસ ભાવોને ઘેરો બનાવતા યોગ્ય શબ્દોની પુનરુક્તિ અને ધીરે ધીરે દોરતા ચિત્રકાર જેવો વિષય વસ્તુનો ક્રમિક ઉઘાડ આ ગીતનું જમા પાસું છે. વારંવાર વાંચવું અને મમળાવવું ગમે તેવું આ ગીત રુંએ રુંએથી ન ઘેરે તો જ નવાઈ!

બહેન રિંકુ રાઠોડને તેમની તાજી કૂંપળ જેવી કલમ માટે ખૂબ ખૂબ અભિનંદન અને  વધુ ને વધુ ખીલી રહે એ જ અંતરથી શુભેચ્છાઓ.

અસ્તુ.

—દેવિકા ધ્રુવ

રસદર્શનઃ ૨૭ઃ ગઝલઃ કૃષ્ણબિહારી નૂર

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं 
और क्या जुर्म है पता ही नहीं

इतने हिस्सों में बंट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहीं

सच घटे या बढ़े तो सच ना रहे
झूठ की कोई इँतहा ही नहीं

चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं 

अपनी रचनाओं में वो ज़िन्दा है
‘नूर’ संसार से गया ही नहीं  –

कृष्ण बिहारी ‘नूर’ 

 

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

‘નૂર’ તખલ્લુસથી ગઝલો લખતા લખનૌના જાણીતા શાયર કૃષ્ણબિહારીની ઉપરોક્ત ગઝલ આફ્રીન પોકારી ઊઠીએ તેવી છે.

૧૯૨૫માં જન્મેલ આ શાયરની ગઝલોએ, કાશ્મીરથી કન્યાકુમારી અને પંજાબથી બંગાલ સુધીના તમામ મુશાયરાઓ ગાજતા અને ગૂંજતા રાખ્યા છે.. કહેવાય છે કે, ઊર્દૂ ગઝલોની એ રોશની હતા તો હિંદી ગઝલોના આધારસ્તંભ હતા.

પહેલી વાર જ્યારે ‘યુટ્યુબ’ પર તેમના ખાસ અંદાઝમાં ઉપરોક્ત ગઝલ સાંભળી અને ફરીથી ખૂબસૂરત સંગીતકાર  શ્રી સુજાત હુસેનખાંના અવાજમાં સાંભળવા મળી ત્યારે દિલથી સલામ થઈ જ ગઈ. તે પછી તો અનુપ જલોટા અને જગજીત સિંઘ વગેરે ગાયકોએ પણ આ ગઝલ ગાઈ છે.

ટૂંકી બહેરના મત્લાથી થયેલી ચોટદાર શરૂઆત જ ભાવકના દિલમાંથી ‘આહ’ સર્જાવે છે. એ કહે છે કે,

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं 
और क्या जुर्म है पता ही नहीं 

  વાહ..જિંદગીની તાસીરનું શું રેખાચિત્ર ઉપસાવ્યું છે!!!

રહસ્યો અને વિસ્મયોથી ભરેલી આલમના વિવિધ રંગોમાં આ શાયરે જિંદગીને સજા ગણાવી! ને પછી તરત જ કહી દીધું કે સજા તો છે પણ કયા ગુનાની એ ખબર જ નથી!  અહીં એક વ્યથિત માનવીને ચિત્રિત કર્યો છે. પણ બીજી જ ક્ષણે જાણે એની વ્યથાને પડદા પાછળ છુપાવીને, બહાર તો એક બેફિકરાઈભરી મસ્તી બતાવી છે. સાથે સાથે એક વ્યંગાત્મક ઈશારો પણ કરી દીધો છે.  ગુના વગરની સજાભરી સ્થિતિ છે  આ તો કેવો ન્યાય છે?!  

જિંદગી જ્યારે સજા જેવી આકરી લાગે ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ દર્દની કલ્પનાને ચિત્રીત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે..કવિ શ્રી અનિલ ચાવડાનો શેર અનાયાસે જ યાદ આવી જાય છે.
 “જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે. 
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.”

બીજા શેરમાં ‘નૂર’ એ ભાવને વધુ ઘેરો કરતા કેવા ધારદાર શબ્દો પ્રયોજે છે કે,

इतने हिस्सों में बंट गया हूँ मैं 
मेरे हिस्से में कुछ बचा ही नहीं 

  આમ જોઈએ તો સંસારના આ ચક્રમાં માનવી અનેક જાતના રોલ ભજવે છે. સ્ત્રી હોય કે પુરુષ,  વ્યક્તિ માત્રનું જુદા જુદા રૂપે, સ્વરૂપે વિભાજન થતું જ રહેતું હોય છે. એ રીતે જ જિંદગી આખીયે જીવાઈ જાય છે. ને પછી સંધ્યા સમયે એક તાત્વિક વિચાર જાગી જાય છે કે, ખરેખર  હું કોણ, મેં શું કર્યું? મારા ભાગે શું રહ્યું? આ પ્રકારનો ભાવ મોટેભાગે અસહ્ય બનતાં જીવન ખુદ સજા જેવું લાગે જ લાગે.

ત્રીજો શેર વળી એક નવો વિચાર લઈને આવે છે. શાયર કહે છે કે, માણસમાત્રનો એક સ્વભાવ છે કે, સાચાંખોટાંની પરખમાં મહદ અંશે એ થાપ ખાઈ જાય છે. પણ સત્ય તો સત્ય જ રહે છે ને?  એમાં વધઘટ ન ચાલે. વધઘટ થાય તેને સત્ય ન કહેવાય. એ તો અવિચલ છે, સર્વકાળમાં સ્થિર છે. દુઃખની વાત તો એ છે કે, કસોટી સચ્ચાઈની જ થયા કરે છે, વારંવાર થયાં કરે છે. ઈતિહાસ કહે છે કે, જૂઠની કોઈ પરીક્ષા થતી નથી. સમાજ પરનો વ્યંગ છે આ. ‘બેફામ’ પણ કેવું સાચું જ કહી ગયા છેઃ “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.” આ શાયરને પણ આ જ પ્રશ્ન એટલો બધો મૂંઝવે છે કે ચોથો શેર હૈયાંના ઊંડાણમાંથી સરી પડે છેઃ 

चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं.

કોઈ ગમે તેટલા સોના,ચાંદી કે હીરાની ફ્રેઈમમાં જડાવીને રાજી થાય, કશું છુપાવી શક્યાની ઘડીભર મોજ માણી પણ લે. પરંતુ સાચી વાત તો એ છે કે, तोरा मन दर्पन कहलाये. ભીતરના ભાવો ચહેરા પર પથરાયા વગર રહેતા જ નથી.  મનનું દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. ખૂબ થોડા પણ ધારદાર શબ્દોમાં અહીં કેટલું બધું ઠલવાયું છે? લાઘવ એ સિદ્ધહસ્ત કવિઓની કલા છે, જે અહીં સુપેરે અનુભવાય છે. એટલે જ નૂર સાહેબના એક મિત્ર, નામે મુનવ્વર રાણા; ગૌરવભેર અભિવ્યક્તિ કરતાઃ “આ શાયર લખનૌનું હરતું ફરતું નૂર હતા! એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખનૌની સભ્યતા, સંસ્કૃતિ, નઝાકત અને સ્નેહ છવાતો.”

આમ તો આ ગઝલ ૯ થી ૧૦ શેરોની છે પણ અત્રે ચુનંદા શેરો પ્રસ્તૂત છે. અહીં યાદ આવે છે કે કલાકાર અમિતાભ બચ્ચનના અવાજમાં બોલાયેલ નૂર સાહેબની બીજી એક ગઝલનો શેર કે જે ગલીએ ગલીએ ગવાતો, લોકોની જીભે ચડી ગયો હતો. એનો ઉલ્લેખ કર્યા વગર કેમ ચાલે?

‘लफ़्ज़ों के ये नगीने तो निकले कमाल के 

ग़ज़लों ने ख़ुद पहन लिए ज़ेवर ख़याल के!

 ઑર મઝાની વાત તો છેલ્લે  આ ગઝલના મક્તામાં આવે છે. તેમાં કવિ ખુદ કહે છે કે,
अपनी रचनाओं में वो ज़िन्दा है 
‘नूर’ संसार से गया ही नहीं .

કેટલી સાચી વાત છે? જાણે ભાવકના મુખે નીકળતા ઉદગાર ન હોય! આવા ઉચ્ચકક્ષાના શાયર તેમની રચનાઓ દ્વારા  સદા અમર જ રહેશે. શાયરને અને તેમની કલામને સો સો સલામ અને નમસ્કાર.

તાજા કલામને સલામઃ ૬: મેઘા જોશી

ગઝલ: ડગર વિકટ મારગે ચાલવાની મજા છે.. મેઘા જોશી

“આપણું આંગણું”ના સૌજન્યથી..આભાર સહ..

ગઝલ

વિકટ મારગે ચાલવાની મજા છે.
અને પાછું ત્યાં થાકવાની મજા છે.

કદમને નવી મંજિલોનું છે વળગણ,
અજાણી ડગર ૫ર જવાની મજા છે.

નદીઓ, તળાવો, સમંદર ઘણા છે,
છતાં ઝાંઝવાને પીવાની મજા છે.

ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.

ખબર છે કે રણમાં ન ઉગે કશું ૫ણ,
એ રણમાં ય જળ વાવવાની મજા છે...

—મેઘા જોશી

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

 સરકારી અમલદાર તરીકે કામ કરતાં અને પાલનપુરના વતની મેઘા જોશીની ઉપરોક્ત ગઝલમાં અઘરાં નિશાનો તાકવાની ખુમારીભરી કેફિયત છે. કલમ નવી છે પણ શેરિયત ધ્યાનપાત્ર છે.

ટૂંકી બહેરની માત્ર પાંચ જ શેરોની ગઝલમાં કશુંક નવું અને વિકટ કરવાની નેમ વર્તાય છે.   સામાન્ય રીતે ગુલાબના ફૂલો વચ્ચે સરળતાથી, સીધે સીધું જીવન  જીવવાનું તો બધાને ગમે. કોઈ તકલીફ નહિ, કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ નહિ. બસ, ખાવું,પીવું ને જલસા કરવાનું કોને ન ગમે? પણ ના, અહીં તો ગઝલની નાયિકા એક પડકારની વાત લઈને આવે છે.

એને તો વિકટ માર્ગે ચાલવું છે. પૂરેપૂરી સમજણ છે કે, એમાં મુશ્કેલીઓ આવવાની છે, ખાડા ટેકરા, ઢાળના ચઢાણ -ઉતરાણ પણ વેઠવાનાં છે અને એમ કરતાં કરતાં થાક પણ ઘણો લાગવાનો છે. તેમ છતાં મનથી તૈયારી છે. એટલે એ થાકને પણ મઝા ગણવી છે. ગઝલના મત્લાથી જ એ વાત સ્પષ્ટ કરી દે છે કે,

વિકટ મારગે ચાલવાની મજા છે

અને પાછું ત્યાં થાકવાની મજા છે.

આ ‘મઝા છે’ નો રદીફ જ જાણે કે, વિકટતાને રદિયો આપી દે છે. કદમ સ્થિર છે, ડગમગ નથી. તેથી જ તો એને અજાણી ડગર પર ચાલવું છે અને નવી મંઝિલો ખેડવી છે અને તે પણ મઝા સાથે. અહીં મને શૂન્ય પાલનપુરીનો એક સુંદર શેર સાંભરે છે.


“કદમ અસ્થિર હો એને કશો રસ્તો નથી જડતો.

અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.”

કેટલી સાચી વાત છે!

અને એવો જ એક બીજો શેર પણ આજ વાતને સમર્થિત કરે છે કે,

અમને નાંખો જીવનની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.

કેટલી પ્રેરણાદાયી હિંમત મળે છે આ શેરમાં પણ!

અહીં બીજાં શેરમાં એ જ વાત પ્રગટ થાય છે; અને આ ભાવને અલગ અલગ પ્રતીકો દ્વારા સુપેરે ગૂંથ્યા છે. આગળના શેરોમાં એ કહે છે કે, નદી,તળાવ કે સાગરમાંથી તો પાણી મળી જ શકે, સૌને મળે છે જ. પણ ખરી મઝા તો ઝાંઝવાના જળને પામવામાં અને પીવામાં છે.

દૂરથી દેખાય, તમે દોડતાં જ રહો, દોડતાં જ રહો, આ રહ્યું, સાવ પાસે છે એમ લાગે ને વળી એ અદૃશ્ય થઈ જાય! આ પકડદોડની રમત છે, હાર -જીતનો ખેલ છે. છતાં ગઝલની નાયિકામાં એને મઝાથી સ્વીકારવાની ખેલદિલી છે, સાહસ છે અને શક્તિ પણ ખરી જ.

સૌથી મઝાનો ચોથો શેર છે. વાત તો ક્ષણોની છે પણ એનો મર્મ યુગોના પર્વત જેટલો ઊંચો છે. ઘડિયાળની શોધ થઈ તે પહેલાં ક્ષણોને સરકતી રેતીમાં મપાતો હતો. એ સરતી રેતીને જોવાની જે મઝા હતી તે આ સરકતી જતી ક્ષણો અંગે પણ માણવાની હોય છે.

પળપળ કિંમતી છે. વર્તમાનમાં પળને ઝીલતાં રહેવાની અને એ ભૂતકાળની ગર્તામાં સરી જાય ત્યારે તે ક્ષણોને ફરી ફરી માણવાનો પણ આનંદ ઑર હોય છે જ. ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી વાગોળવાની પણ એક અનોખી કલા છે. જેને એ આવડી જાય તેનો બેડો પાર. બાકી તો સંજોગવશાત આવી ગયેલી અસુખ વાતો, પ્રસંગોને, ઘટનાઓને યાદ કરીને રડનારાઓની તો ક્યાં ખોટ જ છે?!  એવી ક્ષુલ્લકતાઓને અતિક્રમીને આ ગઝલ મઝાની રીતે છતાં અડગપણે વ્યક્ત થાય છે કે,

ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,

સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.

અને મક્તામાં ફરી પાછા એ જ મૂળ વાત લઈને કવયિત્રી કહે છે કે, રણમાં તો રેતી સિવાય કંઈ ન મળે અને એટલે જ કશું ન ઊગે એ વાત જગજાણીતી છે. પણ એવાં બળબળતા રણમાં પાણી વાવવાની અસંભવિત વાતને દોહરાવે છે. અહીં શું થઈ શકે તેના કરતાંયે વધુ શું કરવું છે એ મહત્વાકાંક્ષાનું અને એ હિંમતનું મહત્ત્વ છે. આવી મનેચ્છા જ માણસને ચેતનવંતો રાખી શકે.

લગાગાના ચાર આવર્તનોનાં પાંચ શેરની આ ગઝલમાં પસાર થવાની પણ એક મઝા આવી.

મેઘા જોશીને અભિનંદન અને તેમની કલમ વધુ ને વધુ વિકસતી રહે એ જ શુભેચ્છા.

અસ્તુ
દેવિકા ધ્રુવ

તાજા કલામને સલામઃ ૫ઃ મનીષા શાહ ‘મોસમ’

“કરગરવું નથી..!” (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૩) ~ કાવ્યનો આસ્વાદ

~ કવયિત્રી: મનીષા શાહ ‘મોસમ’ ~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

ગઝલ: કરગરવું નથી’  

હાથ જોડી સહેજે કરગરવું નથી.
મોતની પહેલાં કદી મરવું નથી.

બાગમાં મહેકી જવું છે ફૂલ સમ,
પાંદડાંની જેમ તો ખરવું નથી.

આંખમાં ડૂબી જવું છે એમની,
કોઈ દરિયામાં હવે તરવું નથી.

સ્મિત માફક હોઠ પર રાખો મને,
આંસુ થઈને આંખથી સરવું નથી.

જિંદગી બાજી રમે છે બંધમાં,
દાવ સામેથી રમી ડરવું નથી.

~મનીષા શાહ, ‘મોસમ’


આસ્વાદઃ દેવિકા ધ્રુવ

ટૂંકી બહેરના પાંચ શેરોમાં ગૂંથેલ રમલ મુસદ્દસ મહઝૂફ  છંદની (૧૯ માત્રા) આ ગઝલ કાબિલેદાદ બની છે.

નૈરોબી (કેન્યા) નિવાસી બહેન મનીષા ‘મોસમ’ ઉપનામથી ગઝલો લખે છે. નવી અને તાજી કલમ છે પણ ગઝલની કેફિયત અનોખી છે.

પ્રથમ શેરમાં જ એક ગમતી ખુમારીથી શરૂઆત કરે છે કે,

હાથ જોડી સહેજે કરગરવું નથી.
મોતની પહેલાં કદી મરવું નથી.

Begging Hands, India : Mlenny Photography

એક સુંદર જીવન જીવી જાણવાની વાત છે અને તે પણ સ્વાભિમાનથી. માણસ માત્ર કશાક ને કશાક જબરદસ્ત એક બળથી જીવે છે. એ કાં તો પોતાની જન્મજાત આંતરિક શક્તિઓથી વિકસે છે અને કાં તો માયાવી જગતની વચ્ચે, સંસારની વચ્ચે સ્વમાનને અકબંધ રાખીને જીવે છે.

મોટેભાગે તો આ બંને ખૂબ જ જરૂરી ઘટકો છે પણ હમેશાં જળવાઈ જ રહે તેવું બનતું હોતું નથી. ક્યારેક અસુખના વાદળો વચ્ચે કે અણધારી આપત્તિઓમાં માનવી અટવાઈ જાય છે અને જીવતરને નિષ્પ્રાણ બનાવી દે છે. અહીં ગઝલની નાયિકાની એક નેમ પ્રગટ થાય છે.

ઉપવનમાં મહેકતાં ફૂલોની જેમ ખીલવું છે અને સુગંધ ફેલાવવી છે. એમ જ મોસમની સાથે ખરી પડતાં પાંદડાની જેમ નહિ પણ હરહંમેશ પમરાટ પ્રસરાવતા પુષ્પો સમ મહેકતા રહેવું છે.

હા, પુષ્પો પણ ખરે તો છે જ પણ એની સુગંધ કદી વિસરાતી નથી. એ તો આસપાસ સદા ફેલાતી જ રહે છે. એથી વધુ આગળ વધીને આંખોમાં ડૂબવાની વાત કરે છે, દરિયામાં તરતા રહેવામાં શી મઝા? ખરી મઝા તો કોઈની આંખોમાં ડૂબવાની છે.

અહીં કવિ શ્રી બાલમુકુંદ દવેની પંક્તિ યાદ આવે છે કે,

છીછરા નીરમાં હોય શું નહાવું?
તરવા તો મઝધારે જાવું.
ઑર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું!

Top 50 Love Songs of All Time – Billboard

આ કવયિત્રી લગભગ એવી જ  વાત તેમના આ ત્રીજા શેરમાં કરે છે કે,

આંખમાં ડૂબી જવું છે એમની,
કોઈ દરિયામાં હવે તરવું નથી. 

આંખેથી દેખાતો દરિયો અને પ્રેમનો દરિયો એ બંનેના ભેદની વાત છે આ. સ્થૂળ અને સૂક્ષ્મ, દુન્યવી અને દૈવી આનંદના ફેરની વાત છે અને એકવાર એ સમજાઈ જાય કે અનુભવાઈ જાય પછી તો બીજું કાંઈ કરવાનું ક્યાં રહે છે જ? કેવળ એક અને અદ્વૈતાનંદ.

સાચા સ્નેહના સાગરમાં ડૂબનારના હોઠ પર સ્મિત જ હોય ને? આંખમાં આંસુને અવકાશ જ ન રહે. ને ફરી પાછી એજ સ્વમાન અને ખુમારીની મસ્તીથી ચોથા શેરમાં નાયિકા જણાવે છે કે,

સ્મિત માફક હોઠ પર રાખો મને,
આંસુ થઈને આંખથી સરવું નથી.

The romantic couple,young woman and handsome man,Face to face with smile and happy face,sweet emotion, Stock Photo | Adobe Stock

અને છતાં જીવનની કરામત તો જુઓ? કેટલાં બધાં આવરણોથી એક નાનકડો જીવ લપેટાયેલો છે.

એક બંધ બાજીની જેમ જિંદગીનો જુગાર ખેલાય છે. જટિલ છે આ જાળભરી જિંદગી. વાળની ગૂંચ જેવી અણઉકલી છે. કોઈને મન ઉજવણી છે, તો કોઈને ઘર પજવણી છે. કદી લાગે સફર સુહાની છે, તો ક્યારેક લાગે અમર કહાની છે.

કવયિત્રી કહે છે કે, બંધ બાજીના આ ખેલમાં સામેથી રમીને ડરવું નથી! પડશે તેવા દેવાશે. જે પાનું ખુલે તેને ખુલવા દો. એક હિંમત ભર્યો પડકાર છે. પણ અહીં ખૂબી જુઓ કે આંધળિયા સાહસની વાત નથી, હદથી વધુ રમવાનો ઈરાદો નથી. કારણ કે, એ બરાબર જાણે છે કે, excess of anything is dangerous.

Surat City Traffic Police - We have been told since childhood that over is always dangerous. So don't Overspeed. . . #SuratPolice #GujaratPolice #SuratCityTrafficPolice #OverSpeeding | Facebook

છતાં જે આવી પડે તેના પૂરા સ્વીકારની તૈયારી છે. અંતરમાં એક સ્પષ્ટ અને સાચી સમજણ છે. સામે ચાલીને કશું અઘટિત નોતરવું નથી. આવી સૂઝ પણ હકીકતે તો એક હિંમત જ છે ને?

બીજો અર્થ એ પણ અભિપ્રેત હોઈ શકે કે, પોતાને પક્ષે કોઈ ખેલ ખેલવો નથી, કોઈ unwanted situation સર્જવી નથી, કોઈ અણગમતી પરિસ્થિતિ ઊભી થવા દેવી નથી. બધું બરાબર જ હોય, સારું અને યોગ્ય જ હોય તેવું જીવી જવાનો ભાવ પ્રગટે છે.

જિંદગી બાજી રમે છે બંધમાં,
દાવ સામેથી રમી ડરવું નથી.

Cards while playing poker in a casino. Close-up. Gambling — Stock Video © sun.stock.video #330606534

આમ છતાં અહીં ડરવું શબ્દ જરાક કઠે છે. તેને સ્થાને વધુ બંધબેસતો કાફિયા મળી શક્યો હોત.

મનીષા શાહની નવી કલમને આવકાર છે. વધુ ને વધુ લખતા રહે એવી શુભેચ્છાઓ.
***

તાજા કલામને સલામઃ ૪ઃ ડો ભૂમા વશી

‘આપણું આંગણું’ ના આભાર સાથે….

ગઝલઃ ઈશ્વર અકળ નથી

જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.
છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.

કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
એનાં વગર અહીં કદી, આ જળકમળ નથી.

કાદવ સમા આ દુર્ગુણો, વિકાર છે ઘણાં,
ઊપર ઉઠ્યા નહીં તો જીવન, આ સફળ નથી.

કાણું છે એવું ભીતરે ભરતાં રહો સદા,
સમજાય  છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.

હું આંખ  મીંચીને કરું છું સાધના સતત,
ત્યારે કળી શકાય કે,  ઈશ્વર અકળ નથી.

દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
“એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.

~ ડૉ. ભૂમા વશી


~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મૂળ અમદાવાદના પણ હાલ મુંબઈના વતની ડો.ભૂમા વશીની કવિતાપ્રીતિ નોંધનીય છે.

૨૨ માત્રાના વિષમ છંદમાં લખાયેલ  ઉપરોક્ત ગઝલ શરૂઆતથી જ ઇશ્કે હકીકીનો રંગ પાથરે છે.

સરળ શબ્દોમાં, સહજ રીતે છતાં મક્કમતાથી, મત્લાના શેરમાં એ સ્પષ્ટપણે બેધડક કહે છે કે, ‘જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.’  જે દેખાય છે તે, એ જ સ્વરૂપે હોય છે તે માનવાની જરૂર નથી.

છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.’ કહી કવયિત્રી સહેતુક ‘નથી’ના રદીફ સાથે આગળ વધે છે. ‘નથી નથી’ તો પછી શું છે? એનો જવાબ, ને’તિ ને’તિના સૂફી સૂર સાથે વાચકના મનોવિશ્વ માટે છોડી દીધો છે.

બીજા અને ત્રીજા શેરમાં આ જ વાતનું સમર્થન કરતા કેટલાક દાખલાઓ રજૂ કરે છે; જાણે કે એક પછી એક સાબિતીઓ લાવીને ધરી દે છે. કહેવાય છે કે, Don’t Judge a Book by its Cover. પુસ્તકને એનું કવર જોઈને ન પ્રમાણો.

ચહેરો જોઈ વ્યક્તિત્વને ન માપો. કેટલું સાચું છે?! કેટકેટલા દાખલાઓ આંખ સામે તરવરી રહે છે. તેમાંના એકની વાત આગળ ધરે છે કે, કાદવ કોઈને ન ગમે પણ કમળ તો ત્યાં જ ખીલે છે ને?

કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
એનાં વગર અહીં કદી,આ જળકમળ નથી.

અહીં એકલા કમળને બદલે બખૂબીથી જળકમળ શબ્દ પ્રયોજાયો છે; જે આમ જુઓ તો નરસિંહના ‘જળકમળ’ કાવ્ય સુધીના  ઊંડા  તાત્વિક અર્થો ઉઘાડી આપે છે. કાદવ સમા વિકારો, દુર્ગુણોને ફગાવી ઉપર ઊઠવાની વાતનો જરા સરખો અંગૂલિ નિર્દેશ કરી દે છે અને ખૂબ ત્વરાથી, હજી જળકમળવત્-નો ભાવ ખુલે ન ખુલે ત્યાં તો કવયિત્રી આગળના શેરમાં સહજ રીતે માનવીઓની ઇચ્છાઓની હદ તરફ દોરી જાય છે.

અહીં કવિ શ્રી અનિલ ચાવડાના એક ગીતની પંક્તિ અચૂક સાંભરે. “ઇચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ” તો ગઝલકાર શ્રી ચીનુ મોદી પણ યાદ આવ્યા વગર રહે જ નહિ. એ પણ કહી ગયા કે,

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા, અભીપ્સા, લાલસાનો વિષય જ અગાધ છે, એને ક્યાં કોઈ મર્યાદા છે!

ચોથા શેરમાં અહીં કહ્યું છે કેઃ

કાણું છે એવું ભીતરે, ભરતાં રહો સદા,
સમજાય છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.

સંસારી જીવોની આ સ્વાભાવિક આ વૃત્તિ છે; એ જાણવા છતાંયે કે ઇચ્છાને કોઈ તળિયું નથી. બસ, એ ક્યારેય ભરાતી જ નથી અને માણસ મથ્યે જાય છે.

આ મથામણ, અગર આંખ બંધ કરીને કરવામાં આવે એટલે કે, ખુદમાં ઊંડાં ઊતરી જઈને કરવામાં આવે તો, સતત અને અવિરત કરવામાં આવે તો શક્ય છે; “ત્યારે કળી શકાય કે, ઈશ્વર અકળ નથી.” ભૂમાબહેન આ શેર દ્વારા અધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી ભાવકોને દોરી ગયા છે.

જો એવી સાધના એના સાચા અર્થમાં થઈ શકે તો અને ત્યારે જ, સતઅસતના આ જગતમાં, પ્રકૃતિમાં, પ્રાણીમાત્રમાં જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ રૂપે એ અનુભવાય છે જ. આખી આ સૃષ્ટિનાં રંગ, રૂપ અને આકારમાં એ દેખાય છે. છેલ્લા શેરમાં કલાત્મક રીતે એ ભાવ પ્રગટ કર્યો છે કે,

દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
“એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.

અહીં પ્રથમ શેરમાં શરૂ થયેલો ઈશ્કે હકીકીનો રંગ ઘેરો બની વધુ નીખરે છે અને એક સુરેખ આકૃતિ ભાવકોના મનમહીં ગોઠવાઈ જાય છે.

સદીઓથી સર્જકો અને સૂફી સંતો દ્વારા કહેવાયેલી આ વાત લખવા/વાંચવા જેટલી સહેલી નથી. જેણે પોતે કશીક મથામણ કરી હોય, અનુભૂતિ કરી હોય કે જેના વાણી, વર્તન, વિચારોમાં એ ભાવ વિશેની સતત સજાગતા હોય તેવી વ્યક્તિ જ એને વ્યક્ત કરી શકે અને અન્ય સુધી પહોંચાડી શકે. કવિકર્મની એ જ સફળતા  છે.

૬ શેરોમાં છંદોબદ્ધ કરેલી આ ગઝલ, છેલ્લા શેરના સાની મિસરામાંના એક નજીવા છંદદોષને બાદ કરતા, સાદ્યંત સરસ રીતે ગૂંથાયેલી છે. ભૂમાબહેનને ખૂબ અભિનંદન અને વધુ ને વધુ ચોટદાર ગઝલ લખતા રહે એવી શુભેચ્છા.

~ દેવિકા ધ્રુવ 

તાજા કલામને સલામઃ ૩ઃ ભારતી વોરા

ગઝલઃ ‘કવિ લખે કવિતા’ ઃ

વ્યથાના ઘૂંટડા પીધા પછી, જીભે ઉગે કવિતા,
પીડાથી ભીંજવી હો જાત, એ લોકો કરે કવિતા.

બધે અંધાર ફેલાયો, રસ્તે ભટકે વટેમાર્ગુ,
નવું જીવન, નવું તરણું, નવી આશા બને કવિતા.

હશે આંજ્યો નયનમાં, દરિયો આખો એમણે ખારો,
દુઃખિયાના દર્દો દેખીને તેથી તો રડે કવિતા.

વલોવાયો હશે સમદર પીડાનો એની અંદર પણ,
પછી તો એ અમીને ઝેરની સાથે થૂંકે કવિતા.

પડે છે હાથપગમાં છાલાં કાળી એ મજૂરીના,
છતાં કુસ્તી કરે છે હાંડલા ત્યારે ફૂટે કવિતા.

કલમ, કાગળ ચડે જીદે શબ્દોના ખેલવા ખેલ,
કરે હૈયું વધારે શોર ત્યારે કવિ લખે કવિતા.

~ ભારતી વોરા ‘સ્વરા’


~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

કિશોર અવસ્થામાં જ પદ્યના ઢાળ તરફ સરકી પડીને આનંદનો અનુભવ કરતાં બહેન ભારતી વોરાની નવી અને કસાયેલી કલમ  ગઝલ તરફ વળી રહી છે જે ધ્યાનપાત્ર છે. મૂળ સુરતના પઆંબલા-ગ્રામ દક્ષિણામૂર્તિમાં સ્થાયી થયેલ. તેમની આ ગઝલ વેદનાને વાચા આપે છે.

ગઝલના મત્લાથી તેમના સંવેદનશીલ હૃદયમાંથી વ્યથાનો સૂર નીકળે છે તે છેક મક્તા સુધી ઠલવાતો રહે છે. એ કહે છે કે,
વ્યથાના ઘૂંટડા પીધા પછી, જીભે ઉગે કવિતા,
પીડાથી ભીંજવી હો જાત, એ લોકો કરે કવિતા.

એક વાત તો નિર્વિવાદ છે કે, No pain, no pleasure. પીડા વગર પ્રસવ સંભવિત નથી. એક જોરદાર ધક્કો વાગે, જખમ થાય, પારાવાર પીડા થાય, હૈયું છલછલ થઈ જાય ત્યારે જ ઊંડાણમાંથી ‘આહ’ નીકળે! આ શેરમાં પીડાની વાત પર ભાર નથી. સવિશેષ વજન તો કવિતા ક્યારે બને એની પર પડે છે. પ્રસવ પછીની પ્રસન્નતાની વાત છે.

નાનપણમાં જોયેલા રમખાણોથી દ્રવી ગયેલ દિલના આ ઉદગારો છે. માત્ર સ્વની જ નહિ, સમાજની વ્યથા ઘૂંટાયેલ છે. આસપાસ સ્હેજ નજર કરીશું તો જણાશે કે, ઠેકઠેકાણે વેદના પથરાયેલ છે અને એની વચ્ચે જ માનવીએ માર્ગ કાઢ્તાં જવાનું છે અને આગળ ચાલતા રહેવાનું છે. જીવનનું બીજું નામ ઝિંદાદિલી છે, તો કવિતાની કલા એની દીવાદાંડી છે.

ચારેતરફ અંધકાર ફેલાયેલો હોય,કોઈ રસ્તો ન દેખાતો હોય અને મુસાફર ખોટા રસ્તે ભટકવા માંડે, થાકી જાય, હતાશ થઈ જાય એમ પણ બને.જાતજાતના વિચારો મન પર હુમલો કરે એમ પણ બને. પરંતુ તે વખતે ક્યાંક દૂર ઝૂંપડીમાં પ્રકાશતાં કોડિયાંની જ્યોત જેવી આશા જન્મે, અજવાસનો ભાસ થાય અને નાનકડા તરણાનું શરણું મળતું જણાય ત્યારે સાચી કવિતા ફૂટે.

આ ગઝલની નાયિકા આગળ કહે છે કે, દરિયાને જ જુઓ ને? આખાયે જગતનાં દર્દો આંખમાં આંજ્યાં છે, પોતે ખારો બની ગયો છે. દુઃખોના સમંદરને અંદર સમાવી દીધાં છે, પોતે જબરદસ્ત વલોવાયો છે અને તે પછી જ ખૂબ ઘૂઘવે છે ત્યારે એના એ ઘૂઘવાટમાં કવિતા સંભળાય છે.

વલોવાયો હશે સમદર પીડાનો એની અંદર પણ,
પછી તો એ અમીને ઝેરની સાથે થૂંકે કવિતા.

વાહ.. જુઓ અહીં અમી-ઝેરના વિરોધાભાસી શબ્દો પ્રયોજી ખરો અર્થ ઉપસાવ્યો છે.પીડા પછીના અમીની જ વાત, કવિતાની જ અભિપ્રેત છે. જે થૂંકવાનું છે તે તો ઝેર છે, તેની વાત જ નથી કરવી. આ વિચાર, આ ભાવ જ કલા છે ને?

છિદ્રોની પીડા વેઠેલી વાંસળીમાંથી નીકળતા વેદનાના સૂરોને વધારે ઘેરો બનાવતો આગળનો શેર એક કાળી મજૂરી કરતા ઈન્સાનનું ચિત્ર ખડું કરી દે છે. એ ઋતુઓના તડકા-છાંયાની પરવા કર્યા વગર સખત પરિશ્રમ કરે છે, ત્રણ સાંધો ત્યાં તેર  તૂટે એવી ગરીબીને પડકારવા પગે છાલાં પડે એટલી મજૂરી કરે છે. છતાં ઘરનાં હાંડલા કુસ્તી કરતા જુએ ને હૈયું ચીરાઈ જાય ત્યારે એના લીરામાંથી જે નીકળે તે સાચી કવિતા.

છેલ્લે મક્તાના શેરમાં એક મઝાનો અને મહત્વનો મુદ્દો ઉમેરાયો છે કે, કાગળ ને કલમ બંને ગમે તેટલાં જીદે ચડે, શબ્દો સાથે ખેલ ખેલવા થનગની ઊઠે પણ એમ કાંઈ કવિતા ન બને. સ્વીચ દાબો ને બત્તી થઈ જાય તેવું સહેલું એ કામ નથી. જ્યારે હૃદય ખળભળી ઊઠે ને એનો શોર જ્યારે માઝા મૂકે ત્યારે જે બને તે કવિતા, ત્યારે જે લખે તે કવિ. जैसे बंसी के सीने में छेद है फिर भी गाये।

કલમ, કાગળ ચડે જીદે શબ્દોના ખેલવા ખેલ,
કરે હૈયું વધારે શોર ત્યારે કવિ લખે કવિતા.

એક હિંદી શાયર ડો નૌશા અશરારનો શેર સ્વાભાવિકપણે જ યાદ આવી ગયા વગર રહેતો નથી કે, લખે છે કે,
જબ લહૂ આંખોસે ઉબલે તો ગઝલ બનતી હૈ
ઓર દિલકે અરમાં કોઈ મચલે, તો ગઝલ બનતી હૈ.

આમ હજઝના ખંડિત છંદમાં લખેલ આ ગઝલ માટે ભારતીબહેન વોરાને અભિનંદન અને શુભેચ્છાઓ.

તાજા કલામને સલામઃ ૨ઃ પારુલ બારોટ

કવિતા અને આસ્વાદ

સોનેટમૃત્યુ સંવાદ.. પારુલબહેન બારોટ

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

મંદાક્રાંતા… 


ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે,

એવી રીતે રમત રમતું  જીવ સાથે હંમેશા

આંખો કોરી નિરખી રહીને હોશ દેતું ઉડાડી,

પીડાના કૈ વમળ ઉઠતાં વેદનાથી ભરેલાં

નાડી તૂટે નસ નસ  સહેજે,ખેલ ખેલે ધૂતારું!—–

મૂંઝારાથી ઘણું પજવતું વિષ કન્યા સરીખું

વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!

લે જાશે અકળ ગતિએ જીવ કોની સંગે

તંબૂરાના રણઝણી થતાં તાર તૂટી પડે જ્યાં

કોરા ધાગા, તિલક, ગજરા , મુખ ગંગા વંદા,

સ્કં લૈ ને સ્વજન સઘળાં કાયમી દે વિદાઈ,

જોતાં સૌએ, સજળ નયને છૂટતાં સાથ ન્યારો,

મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,

ફૂલે ગૂથ્યો  છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો      

પારુલ બારોટ…

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

આધુનિક યુગમાં જ્યારે અક્ષરમેળ છંદની અછત જણાઈ રહી છે ત્યારે આ જાતની કવિતાનું સર્જન સૌથી પ્રથમ તો આવકાર્ય અને પ્રશંસનીય બની રહે છે.

મૂળ ખેરાલુના પણ અમદાવાદમાં અભ્યાસ કરી સ્થાયી થયેલાં પારુલબહેન બારોટના આઠ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તેમાં સૌથી વિશેષતા તેમના ‘ત્રિદલ’ નામના સોનેટ સંગ્રહની ગણી શકાય. કારણ કે, સૉનેટ કવિતાકલાની કલગી છે. તેમાં પણ પારુલબહેને  સાહિત્ય જગતને એક સોનેટ નહિ પરંતુ સોનેટ સંગ્રહ આપ્યો છે.

મંદાક્રાંતા છંદમાં ૮ અને ૬ ના ભાગ કરી લખાયેલ આ ચૌદ લીટીનું સોનેટ કવયિત્રીની કવિતા-પ્રકારની સ્પષ્ટ સમજ દર્શાવે છે. વિષયને અનુરૂપ છંદની પસંદગી એ તેમની બીજી વિશેષતા. ‘મૃત્યુ-સંવાદ’ શીર્ષક કરુણતાનો ઓછાયો ઊભો કરતો હોઈ કવિ શ્રી કલાપીની ‘રે,પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ની જેમ મંદાક્રાંતા છંદમાં વધુ બેસે છે.

આ કવિતામાં પીડા કરતાં વાસ્તવિકતાની વાત વધુ વર્તાય છે. અહીં કોઈના અવસાનની વાત જ નથી. હકીકતનું બયાન છે. કેવું છે એ? ‘ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે’… માનવી સુખેથી જીવન જીવી રહ્યો હોય છે. એની પ્રવૃત્તિશીલ દુનિયામાં વિચાર સુદ્ધાં નથી કરતો કે ક્યારેક મૃત્યુ એની પાસે પણ આવવાનું જ છે, એટલી સહજતાથી એ પાસે જ રહે છે!

એવી રીતે રમત રમતું જીવ સાથે હંમેશાં’ ઉચિત શબ્દો પ્રયોજ્યા છે. એની ગતિ-રીતિનું વર્ણન કરતા કવયિત્રી યોગ્ય રીતે જ આગળ વધે છે. એ કેવી જુદી જુદી રીતે આસપાસ રમતું રહે છે તેનું વર્ણન કરતા પ્રત્યેક શબ્દો અલગ અલગ ચિત્રો ઊભા કરે છે.

કવયિત્રી કહે છે કે કોઈની આંખ કોરી અને બાકી બધું બેહોશ! કોઈને કંઈક નાની નાની પજવતી પીડા તો કોઈને અસાધ્ય રોગની લાંબી બિમારી. આ તો થયો શબ્દોનો વાચ્યાર્થ. પણ એની પાછળની વ્યંજના તો આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેની વ્યથાનો ગર્ભિત અર્થ છૂપાયો છે.

વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!
લે જાશે એ અકળ ગતિએ જીવ કોની ય સંગે,

જીવ, જીવન અને જગતની જેમ જ અંતિમ ક્ષણની અકળ ગતિને કોણ જાણી શક્યું છે? ગહન એવા આ વિષયને એક નાનકડો પ્રશ્નાર્થ કરી છોડી દીધો છે. એની ઝાઝી પીંજણ કરવાનો અર્થ પણ શો?

જેને કોઈ ટાળી શક્તું નથી, જે સનાતન સત્ય છે અને સૌને સ્પર્શે છે એને સ્વીકાર્યા વગર ક્યાં કશો છૂટકો પણ છે! અહીં ગીતાનો શ્લોક યાદ આવ્યા વગર રહેતો નથી. जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |

આટલા અને આવા કથન પછી કવિતાના બીજા ભાગમાં એક વળાંક આવે છે અને તે છે આખરી વિદાયની  ખરેખરી વેળા. રણઝણતા તંબૂરાના તાર તૂટી પડે પછી શું થાય છે? અચાનક બધી જ ગતિ-વિધિ બદલાઈ જાય છે. સૂરીલું સંગીત બંધ થઈ જાય છે. પળમાત્રમાં તો સઘળી જુદી ક્રિયાઓ શરૂ થઈ જાય છે.

તિલક, દોરા, જાપ, મુખમાં ગંગાજળ, સ્વજનોનું ટોળું,અશ્રુભીની સૌની આંખો, કાંધે લઈ જતાં લોકો અને વિલીન થતો જતો જીવ. જાણે કે,

મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,
ફૂલે ગૂંથ્યો  છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો

આ છેલ્લી બે પંક્તિમાં વ્યક્ત થયેલું અર્થનું ગાંભીર્ય સમજવા જેવું છે. કવયિત્રીએ એમ નથી કહ્યું કે, મૃત્યુ આવીને જીવને લઈ ગયું. એ તો કહે છે કે, જીવે મૃત્યુ ઓઢી લીધું! પાણી પર એક દીપ જે સાહજિકતાથી વહે છે, તેણે મૃત્યુને ઓઢી લીધું છે અને જળ પર જતો એ દીપ ડૂબી જાય છે; અને તે પછી ફૂલોથી ગૂંથેલો હાર છબી પર મહેકે છે. એટલે કે, જીવન દરમ્યાન જે સુગંધિત કામો કર્યા હશે તે જ તો અહીં સદા રહે છે.  શબ્દોની અભિધા પાછળ છૂપાયેલો આ ઊંચો ભાવ એ કવિતાનો કસબ.

સોનેટ કાવ્યમાં ૧૪ પંક્તિઓ હોય. પંક્તિનું માપ ન ઓછું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. એટલે કે ૧૪ થી ૧૯ અક્ષરનું પ્રાધાન્ય રહે તે મુજબ આ ૧૭ અક્ષરમાં ગૂંથાયેલું છે.

શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ સોનેટમાં કાવ્યતત્ત્વની દૄષ્ટિએ કવિતાનો બીજો ભાગ ઉચ્ચતર હોવો જોઈએ. તેમાં વળાંક,મરડ,ગુલાંટ અને આછો લહેકો પણ હોવો જરૂરી છે. તે ઉપરાંત સોનેટના ૮ અને ૬ એવાં બે સ્પષ્ટ ઘટકો હોવાં જોઈએ. તે રીતે આ સોનેટ સરસ બન્યું છે. એકાદ બે જગાએ નાનકડો છંદદોષ કે છૂટ લીધી વરતાઈ છે જે બેશક નિવારી શકાઈ હોત.

તે સિવાય આખી કવિતામાં વિષયનો સહજ ઉઘાડ, ક્રમિક ગતિ, યોગ્ય શબ્દોની ગૂંથણી છે. ગહન કથિતવ્યની સ્પષ્ટતા છતાં ઊંડો મર્મ અને આ બધાંની વચ્ચે સોનેટનું સ્વરૂપ જળવાયું છે. શિર્ષકમાં પણ ‘મૃત્યુસંવાદ’ કહી કોની સાથેનો સંવાદ સૂચવ્યો છે? જાતનો જીવ સાથેનો કે જીવનો ઈશ્વર સાથેનો? એમ પણ માની શકાય કે, જીવનની કલ્પના અને વાસ્તવિકતાનો સંવાદ? વિસંવાદ! કે પછી હયાત વ્યક્તિનો છબી સાથેનો સંવાદ!

વિષય નવો ન હોવા છતાં નવી રીતે કહેવાયો છે જે નોંધનીય છે.

—દેવિકા ધ્રુવ