સંગ્રહ

પત્રાવળી-૫૬ મહાથાળ….

પત્રાવળી-૫૬ મહાથાળ

  

અમારાં સૌ પત્રપ્રેમીજનો !
પત્ર ! અત્ર, તત્ર, સર્વત્ર એવા આ પત્રયાત્રાના અંતિમે પહોંચેલા, ને એક નહીં પણ ચચ્ચાર જણાં દ્વારા, અત્રે આકાશી ચોતરેથી લખાયેલા પત્રથી અમે આપ સૌને સ્નેહયાદી મોકલી રહ્યાં છીએ.
વાત જાણે એમ બની કે
બરાબર એક વરસ પહેલાં, એટલે કે ગયા જાનેવારીમાં આરંભાયેલી અમારી આ પત્રાવલિ અનેક રીતે જુદી પડનારી હતી. આરંભમાં તો અમનેય ખબર નહોતી કે એનું સ્વરૂપ કેવું હશે….

અમે તો પત્રની આ પરંપરાને પત્રઆવલિ ગણીને એક પત્રમાળાધારી હતી પરંતુ આરંભમાં જ પતરાળીશબ્દ સાંભરી આવેલો ! ને પછી તો આ પત્રોને અમે (ખાખરાનાં પાંદડાંને ગૂંથીને બનાવાતી પતરાળી જ ગણીને) ભોજનવાનગીઓ પીરસતાં હોઈએ એ રીતે જ આપ સૌ વાચકો સમક્ષ (જાણે કે તમે સૌ અમારા આ નેટઆંગણે મહેમાન બનીને પધાર્યાં હોય તેમ) જુદી જુદી શબ્દવાનગી પીરસતાં રહ્યાં !!

મહેમાનોને આ વાનગીઓ કેટલો સમય પીરસી શકાય/પીરસી શકાશેની ગડમથલમાં અમે એવું નક્કી કરેલું કે ભોજનયજ્ઞ કર્યો જ છે તો પછી છપ્પનભોગ ધરીને જ સંતોષ લેશું…..

તો વાત આવી છે, વાચકમિત્રો ! તમને તો અમે આમ દર અઠવાડિયે વિવિધ વાનગીઓ પીરસતાં પીરસતાં પંચાવન ડીશો પીરસી વળ્યાં ને હવે આ છપ્પનમી છે. તમને શું લાગે છે, પંગતમિત્રો ! આ છપ્પનમી થાળીમાં શું આપીએ તો ઠીક ગણાય ?”

બસ, આ જ સવાલના માર્યા આજે અમે ચારેય પીરસણિયાં (દેવિકા ધ્રુવ, રાજુલ કૌશિક, પ્રીતિ સેનગુપ્તા અને જુભૈ) આકાશીચૉરે ભેળાં થયાં છીએ ને સૌની વાનગીઓની ભેળ બનાવીને મૂકવા ધારીએ છીએ…..

વાચકમિત્રો ! આપનામાંનાં મોટાભાગના નેટજગતે સુજ્ઞવાચક તરીકે સામાજિક માધ્યમો દ્વારા વિવિધ માહિતી મેળવતા રહે છે; ઘણા વાચકોને પોતાનાં બ્લૉગસાઇટ કે ફેસબુક જેવાં પ્રકાશનસ્થાનો પણ છે. ક્યાંક, ક્યારેક, કોઈ નિમિત્તે આ સૌ ભેળાં થઈ જઈને સામૂહિક કાર્યોને સફળ બનાવે છે. અમે પણ આ પત્રમાળા દ્વારા કંઈક એવું જ ગોઠવેલું જેને કારણે આ લખનાર ચાર જણ સિવાય પણ ઘણા બધા લોકો પત્રથાળીમાં પોતાની વાનગી પીરસી ગયાં ! ને એટલે જ, એ સૌ લેખકમિત્રોની સાથે સાથે આપ સૌ વાચકોનો પણ સાભાર ઉલ્લેખ આરંભે જ કરી લેવો છે.

આપ સૌનો સહયોગ કાયમ યાદ રહેશે….

મિત્રો, ટપાલવહેવાર તો હવે ભૂતકાળ બની રહ્યો છે એવે ટાણે આ આકાશી પત્રોએ અમને પ્રેરણા આપી છે. આમ જોઈએ તો ટપાલ ફક્ત સંદેશાવ્યવહારનું જ માત્ર સાધન નહોતું. પત્ર એક સાહિત્યસ્વરૂપ પણ હતું જ. ગુજરાતી સાહિત્યમાં પણ પત્રોએ ઉત્તમ, સાહિત્યિક વાચન પૂરું પાડ્યું છે. અત્યારે, આ લખતાંમાં યાદ આવી ગયો હીરાબહેન પાઠકનો, વંદનીય સ્વ રા.વી.પાઠકને લખેલો પરલોકે પત્ર” ! સહયોગીઓ, આપણી ગરવી ગુજરાતીમાં લખાયેલા આવા અન્ય પત્રો પણ તમને યાદ આવે તો વળતી ટપાલે (કૉમેન્ટકક્ષે) જણાવજો પાછાં !

પત્ર શબ્દ જ એવો છે જે સાંભળતાં જ વૃક્ષને વળગી રહેલું પાન યાદ આવી જાય. કેટકેટલા રંગો, કેટકેટલા આકારો, શાખાપ્રશાખાને વળગીને કરાતા કેટકેટલા ધ્વનિવિશેષ…..અને ખાસ કરીને કેટકેટલા તેના ઉપયોગો !! પાંદડું, પાન, પર્ણ ને પત્ર એમ વિવિધ નામે સંબોધાતું આ પાન ખરેખર તો વૃક્ષવેલીછોડનું રસોડું છે તે કોણ નથી જાણતું ? ભૂમિજળ, સૂર્યનાં કિરણો અને હવાની સામગ્રીમાંથી આ જ પાન રસોડું ચલાવે છે ને વિશ્વને મળી જાય છે અણમોલ, પૌષ્ટિક જીવનતત્ત્વો !! પુષ્પમ્ અને ફલમ્ તો આ પત્રમને જ આધારિત છે ને !

અમે લોકો આ પત્રને રસોડે જે કાંઈ રાંધવાને મથ્યાં એમાં પહેલો પદારથ અમને મળ્યો તે શબ્દનો ! ભોજન તૈયાર કરવામાં વિવિધ સામગ્રીની જરૂર પડે. અમારી મુખ્ય સામગ્રી તો હતી શબ્દ ! એ શબ્દની સાથે વિચારોભેળવ્યા અને ભાવનું ઉમેર્યું મોણ ! સરસ મજાનો પીંડ બંધાતો રહ્યો ને અમે એમાંથી વાનગીઓ સર્જતાં રહ્યાં…..પણ, હા કબુલ કરવું જ રહ્યું કે ક્યારેક કોઈ વાનગી પત્ર કરતાં લેખ જેવીય બની ગઈ ખરી ! ધ્યાન ન રહે તો બહુ વખાણી વાનગી દાંતે વળગે ખરી.

અમે શબ્દને સહારે જેટલું બન્યું તેટલું સર્જ્યું. તમને બધાંને યાદ હશે કે, આ પત્રાવલિમાં મોટે ભાગે શબ્દનો મહિમા થયો છે. અમારા બધાંમાં આગળ ચાલનારાં દેવિકાબહેને આ ચૉરે બેઠાં શબ્દને બરાબરનો રજૂ કર્યો; કહે કે,

વિચારું છું કે માણસના જન્મ્યા પછીના હાવભાવના હોંકારામાંથી ક્રમે કરીને કદાચ ૐનો અક્ષર મળ્યો. ૐના આ અક્ષરમાંથી શબ્દ બન્યોશબ્દમાંથી ભાષા સર્જાઈ અને ભાષા થકી ભાવોને અભિવ્યક્તિના વાઘા મળ્યા, અલંકારોના શણગાર પણ સોહ્યા અને તેમાંથી જ તો પેલા અસલ હોંકારાને અવનવાં અનેક રૂપો મળ્યાં !

એમની વાત સાંભળીને અનેક સામયિકોનાં લેખિકા એવાં રાજુલબહેને હોંકારો ભણીને પોતાની વાત આ રીતે ટહુકાવી

“શબ્દનું તો એવું છે ભાઈ, એ શાસ્ત્ર બનીને મારગ ચીંધે તો ક્યારેક શસ્ત્ર બનીને સંબંધોની આડે પણ આવીને ઊભો રહે. એને તો ક્યાં, ક્યારે અને કેવી રીતે વાપરવો એ સૌની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે એટલે જ તો આજે રાહી ઓધારિયાની આ ચાર પંક્તિઓ યાદ આવી..

‘શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા, અણિયાળા, રેશમી, બોદા, શબ્દના કેટલા પ્રકારો છે !

ભાવ છે અર્થ છે, અલંકારો – શબ્દોનો કેટલો ઠઠારો છે;

જો જરાક અડકો તો છટપટી ઊઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે.’ ” 

વિશ્વપ્રવાસી એવાં પ્રીતિબહેન સેનગુપ્તા પણ આકાશીચૉરે હાજર હતાં; એમણે વાતની વાટને સંકોરતાં કહ્યું

બસ, હવે વધારે શું કહેવાનું? આખું આવર્તન પૂરું થયું. આટલાં અઠવાડિયાંથી શબ્દની ઉપસ્થિતિનો, શબ્દની અનુભૂતિનો, એની અર્થચ્છાયાઓનો, અને એના રૂપ-સ્વરૂપનો યથેચ્છ મહિમા થતો રહ્યો. જાણે શબ્દોત્સવનું પર્વ ઊજવાયું. શબ્દ વિષેનું કલ્પન જુગલકિશોરભાઈએ સૂચવ્યું, પણ પછી પત્રાવળીતરીકેના એના આકારનો વિમર્શ તો દેવિકાબહેનનો, ખરું છે કે નહીં? પછી રાજુલબહેન જોડાયાં, અને મને પણ સાથે જોડાવાનો લાભ મળ્યો…

 

આગળ કહ્યું તેમ, આ પતરાળી ભોજનપર્વનું માધ્યમ જ બની ગઈ ! ટપાલ એના આકારે કરીને ભલે જુદી ભાસે, પણ એમાં લખનાર એના વાંચનારને જે વાતો પીરસે છે તે ભોજનવ્યંજનોથી સહેજેય ઊતરતી નથી હોતી ! ભૂખ્યો માણસ જેમ થાળીના ખખડવાની રાહ જુએ તે જ રીતે ભાવપૂર્ણ રીતે પત્રો લખનારની વાત સાંભળવા એનો વાચક રાહ જોતો હોય છે ! જુઓ, (નહીં, સાંભળો…) પ્રીતિબહેન શું બોલ્યાં :

વર્ષો પહેલાં, નાની ઉંમરમાં, ને તેય એકલી, જ્યારે અમેરિકા આવી ત્યારે, જડમૂળથી દૂર થયેલા છોડની જેમ, ક્યાંય સુધી સર્જનાત્મક કશું પાંગરી શકે તેમ હતું જ નહીં. તે સમયે ચાલુ રહ્યું હતું ફક્ત પત્ર-લેખન. વર્ષના સો-સવાસો પત્ર હું લખી મોકલતી. મારી માને તો, એમના અવસાન સુધીમાં, પાછા જુદા. એની સંખ્યા સાતસો પત્ર જેવી જરૂર થઈ હશે. આમ કાગળ લખીને, અને જવાબ મેળવીને કેટલાયે સંપર્ક વિદેશમાંની શરૂઆતની એકલતામાં આધારરૂપ બની રહેલા.

શબ્દની ત્રણ શક્તિઓ છે: અભિધા, લક્ષણા ને વ્યંજના. અભિધા સાદી વાત સીધી રીતે કહી દે છે; લક્ષણા વાતને વાંકીચૂંકી કરીને કહે છે પણ વ્યંજના તો……કૉળિયો જેમ જેમ ચવાતો જાય તેમ તેમ જે રીતે સ્વાદ વધતો જાય તેમ શબ્દના અનેક અર્થો આપ્યાં કરે ! અમારા પત્રોમાં પીરસાયેલી વાનગીઓનું પણ એવું જ સમજવું….પત્રનો શબ્દ ફાઇલ કરી દેવાનો હોતો નથી. એ તો રાજુલજી કહે છે તેમ શબ્દ બ્રહ્મ છે  તો એ અનશ્વર પણ છે. વ્યક્તિના ક્ષય પછી પણ એ કોઈ પણ સ્વરૂપે બ્રહ્માંડમાં કાયમ રહે છે. આશા છે કે આપણા આલેખાયેલા અને ક્યાંક કોઈને સ્પર્શેલા શબ્દો થકી આ પત્રાવળી સૌના મન-બ્રહ્માંડમાં કાયમી બની રહે…

એક બાજુ આપણે શબ્દને શાશ્વત કરવા કે રાખવા માગીએ છીએ તો બીજી બાજુ શબ્દ જેનું એકમ છે તે ભાષા હવે વિજ્ઞાને આપેલાં ઉપકરણો થકી વિકસવાને બદલે જાણે કે વિકૃત થતી – ટૂંકાતી જતી બની રહી છે ! ભાષા તો ખરી જ પરંતુ શબ્દ પણ મોબાઇલ જેવાં ઉપકરણોના વપરાશે કરીને અ–નિવાર્યપણે ટૂંકાતો જાય છે ! ક્યારેક શબ્દ એનું સૌંદર્ય ગુમાવી રહ્યો છે તો એની વ્યંજના, એનાં સ્વાદમીઠાશ પણ ગુમાવી રહ્યો છે !!

પત્રનો શબ્દ જે બે વ્યક્તિ, બે કુટુંબો વચ્ચેનો સેતુ હતો તેનો ઇતિહાસ બહુ લાંબો, સદીઓ જૂનો છે. રુક્મણિએ કૃષ્ણને લખેલો પત્ર સૌથી જૂનો ગણીએ તો કાવ્ય–સાહિત્યની ઊંચી કોટિએ પહોંચેલો કાલીદાસનો મેઘદૂતીય સંદેશવ્યાપાર આજે ચિંતાની કઈ સ્થિતિએ પહોંચી ગયો છે ! ચિંતાનો આ વિષય, જુઓ રાજુલબહેન શી રીતે બતાવે છે :

“પત્ર પરંપરા તો સદીઓથી ચાલી આવતી પરંપરા. કવિ કાલિદાસના મેઘદૂતની રચના એટલે આજથી ૨૦૦૦ વર્ષ પહેલાના સમયનો ગાળો અને ત્યારથી માંડીને આજ સુધી અનેક રીતે પત્રોની આપ-લે થઈ હશે. સમય જતાં આજની ઇન્ટરનેટની સુવિધાએ ઇમેલ અને ટૂંકા સંદેશાવ્યહવારે- (SMS) અભિવ્યક્તિનો પનો પણ ટૂંકો કરવા માંડ્યો. લાગણી કદાચ વ્યક્ત કરી શકાતી હશે પણ ઉષ્મા ઘટી. પત્રના આદાન-પ્રદાનમાં જે આનંદ કે ઉત્સાહ-રોમાંચ હતો એ હવે ઓસરવા માંડ્યો…

પ્રીતિબહેન પણ એ ચિંતામાં હોંકારો તો ભણે છે છતાં અમારી આ પત્રાવલિએ જે લાભ આપ્યો તેનેય સંભારી આપે છે. કહે છે

સર્વોપરિ, સામૂહિક કરુણતા એ બની છે કે વૈદ્યુત્તિક સાધનોના અનહદ ઉપયોગની સાથે સાથે ભાષા પોતે જ ઝંખવાતી ગઈ છે. સુંદર શબ્દ-રૂપ અને અર્થ-સ્વરૂપથી મુગ્ધ થતાં રહેનારાંની સંખ્યા ઘટતી જઈ રહી છે.

પણ પછી સધિયારો આપતાં ઉમેરે છે  

અતિ આધુનિકતાના આવા સંજોગોમાં, ‘પત્રાવળીના આ અભિગમને કારણે, સાદા તેમજ અલંકૃત શબ્દો સાથે ઇષત્ ક્રીડા કરવા મળી. હા, ઉપકરણ બ્લૉગજેવું વૈદ્યુત્તિક ખરું, પણ એનો ઉપયોગ અત્યંત મૌલિક અને સર્જનાત્મક કાર્ય માટે થયો. 

 તો શું, આ પત્રમાળાનો અમારો આ પ્રયોગ સફળ ગણીશું કે અફળ ? એનો નિર્ણય કોણ ને કઈ રીતે કરશે ? કોણ કરશે એ તો તમે સૌ અમારા વાચકમિત્રો, સહપાઠીસહયોગીઓ જ કહી શકો પરંતુ શી રીતે ?”નો જવાબ તો દેવિકાબહેન પત્રને એક ભરેલા ઘડા સાથે સરખાવીને, એમની શૈલીમાં રજૂ કરતાં ગુજરાતના ત્રણ ઉત્તમ સાહિત્યકારો વચ્ચે થયેલા સંવાદ દ્વારા આ રીતે આપે છે :

યમુના નદીમાં તરતો ઘડો ખાલી રહે છે એટલે સુંદરમ કહે છે કે

“જો ઘડો ભરવો   હતો તો ઘડો ઘડ્યો શા માટે?

ઉમાશંકર જોશી એનો જવાબ આપે છે કે, “જો ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું  જોઈએ

સુંદરમને વાત ઠીક ન લાગતાં દલીલ કરે છે કે “ઘડાની સાર્થકતા  તરે એમાં નથીભરાય એમાં છે…..” પણ મકરંદ દવે તો વળી ત્રીજી જ વાત મૂકીને આપણા આ પત્રવ્યવહારને એક દિશા બતાવી દે છે ! કહે છે :

“ઘડાની સાર્થકતા  તરે એમાં પણ નથી અને ભરાય એમાં પણ નથી, એની સાર્થક્તા તો એને કૃષ્ણનીકાંકરી લાગે એમાં છે.

આપણી  ‘પત્રાવળીના  શબ્દઘડા ને સાહિત્યજગતની દૄષ્ટિકાંકરી લાગે તો ભયો..ભયો

હવે આ વરસદિવસ ચાલેલો પત્રવ્યવહાર આજે છપ્પનમે પત્રે વિરામ લેવા જઈ રહ્યો છે ત્યારે અમે, આ ચારેય જણાં આપ સૌ વાચકમિત્રોને પૂછીશું…..

હે પ્રિય વાચકો !  આપ સૌની વિવેચનાભરી, આ અવનવીન પત્રચેષ્ટાને પ્રોત્સાહક પણ બને તેવી એકાદ કૃષ્ણકાંકરી અમારા કૉમેન્ટકક્ષે લગાવશો કે નહીં ?!!

કૃષ્ણકાંકરીની અપેક્ષાએ આતુર અમારાં ચારેય શબ્દપૂજક પત્રલેખકો વતી,


સાભાર – જુગલકિશોર.

 EmojiEmojiEmojiEmoji

મહાથાળ પૂર્વેનો પત્ર….

પ્રિય પત્રમિત્રો,
કવિ શ્રી રઈશ મનીઆરના પત્ર-લેખે વિચારતી કરી મૂકી કે, આ રવિવારે તો ‘પત્રાવળી’નો છેલ્લો છપ્પનમો ભોગ, મહાથાળ આવી રહ્યો છે!  તે પહેલાં મારા તરફથી બે વાનગી પીરસવાનું અને સાથે બેસીને માણવાનું મન થયું.. આ મન કેવું છે હેં? ક્યાંથી ક્યાં લઈ જાય છે? વિશ્વના ખૂણે ખૂણે અને માનવીના અંતરને તળિયે. પણ દોસ્તો એના ચરણ તો શબ્દોના જ ને! કવિ શ્રી મનોજ ખંડેરિયા યાદ આવ્યા વગર કેમ રહે? (રઈશભાઈના પત્રની અસર!)

ગયા વર્ષના જાન્યુ.મહિનામાં પત્રાવળીની શરૂઆત કરી તે પહેલાં જુગલભાઈના શબ્દો  સાંકળ ખખડાવતા હતા ને પછીની પળે તો પત્રોના દરવાજા ખોલી ગયા.

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી. લે, કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ….(મ.ખં)

ને એકદમ જ જાન્યુ.ની પહેલી તારીખે ભીતરથી મારા મને કૂદકો માર્યો એમ પોકારીને કે,

“મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા.
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.” (મ.ખં)


અને  પ્રિય રાજુલબહેન ઉમળકાભેર, ત્વરિત ગતિએ આવી પહોંચ્યા એમ કહીને કે, દેવિકાબહેન,


“રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.” (મ.ખં)

દોસ્તો, આનંદની આ ક્ષણોને આગળ પ્રવાસ કરાવ્યો  વિશ્વપ્રવાસિની પ્રીતિબેન સેનગુપ્તાએ અને ફરી મનોજ ખંડેરિયા સાંભર્યાઃ “તું ઋતુ જોઈ જોઈ મ્હોરે છે, શબ્દની હું તો બારમાસી છું.” અને જુગલભાઈએ પણ એ જ સૂર દોહરાવ્યો.

“શ્રી સવા બારણે લખ્યા કર તું, શબ્દથી બીજું શું સવાયું છે?”(મ.ખં)

અને એટલું જ નહિ, તે પછી તો દોસ્તો, વિશ્વના ખૂણેખૂણેથી પ્રતિભાવો મળતા અને ઘણાં બધાં વાચકમિત્રો પણ આ  પંગતમાં પ્રેમપૂર્વક સાથે જ બેઠાં.. શબ્દોની આ પંગતે ઊભા થવાને સમયે, પતરાળી જેવી આ ‘પત્રાવળી’ સંતોષનો ઓડકાર આપે છે તેની સાથે સાથે ફરી કોઈ પ્રસંગનો સાદ આપે છે જાણે! કંઈ ખબર નથી, કયો અને કેવો પ્રસંગ હશે? પણ હવે તો કોઈ કહે કે ન કહે, મને પોતાને જ લાગે છે કે હું શબ્દની ગંજેરી બની ગઈ છું. સતત આ ચલમ ફૂંક્યા કરવાનું મન થયા કરે છે.

“ન કપાય કે ન બળે,ના ભીનો વા થાય જૂનો, કવિનો શબ્દ છે,એ શબ્દનો કોઈ વિકલ્પ નથી.” (મ.ખં)

લાગે છે આજે મન પર મનોજ ખંડેરિયા છવાયેલા છે!

ને બીજી વાનગી પત્રોની ફરી એકવાર ફેરવીએ તો કેટકેટલાં ગીતો રંગબેરંગી પતંગિયાની જેમ આંખ સામે ફરફરે છે અને સાથે સાથે જૂની ફિલ્મના ગીતો अफ़साना लिख रही हु दिलबेकरारका,आँखों में रंग भर के तेरे इन्तेजार का..થી માંડીને  फूल तुम्हे भेजा है ख़त में,फूल नहीं मेरा दिल है અને चिट्ठी आयी है आयी है चिट्ठी आयी है, चिट्ठी है वतन से चिट्ठी आयी है, संदेशे आते है हमें तड़पाते है વગેરે સંભળાય છે.

અંગ્રેજી અને બીજી ભાષાઓના સાહિત્યમાં પત્રો એક મહત્વનું અને પ્રેરણાદાયી સ્થાન લઈને બેઠા છે. ગુજરાતી સાહિત્ય પણ એના પત્ર-ખજાનાથી સમૃધ્ધ છે. કેટકેટલાં યાદ કરીએ? કલાપીના પત્રો, સાહિત્ય-સંપૂટમાં રવીન્દ્રનાથ ટાગોરના પત્રો, ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં તેમના સચવાયેલા પત્રો, રાજેન્દ્ર શુક્લ અને ભગવતીકુમાર શર્માના પત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના પત્રો અને પિતા-પુત્ર, મા-દીકરી વગેરે સગપણના તો પરસ્પર અઢળક પત્રો. માનવમાત્રની આ પત્રો વિશેની  મનગમતી તરસ છે, ભૂખ છે અને એ સીધી અંદરથી નીકળે છે. એટલે જ તો આ રમ્ય અને ગમ્ય લેખનસ્વરૂપ સાહિત્ય કૃતિઓમાં સ્થાન પામી શક્યું છે. સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, અંતરની જણસ છે અંદરની સમજણ છે. આપણા મહાન કવિ લેખકોએ જીવનની સચ્ચાઈને, હ્રદયની સંવેદનાઓને અદ્‍ભૂત રીતે શબ્દોમાં કંડારી છે. એટલું જ નહિ એ દ્વારા સાચું જીવવાની રીતો પણ બતાવી છે.

આપણી આ પત્રાવળીના અંતિમ ચરણ પર, ભાવિના સંભવિત ચિત્રની ઝાંખીમાં, એના જ સંદર્ભમાં, ભગવતીકુમાર શર્માના કેટલાંક સુંદર શેર યાદ આવ્યા વગર કેમ રહે?

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો
, કાળજીથી ખોલીને સળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા, કંઈ નથી આગળ, તો પાછળ વાંચીએ.
ચાલ
, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

‘આથમણી કોરનો ઉજાસ’ નામે ૨૦૧૬માં પ્રારંભ કરેલી પત્રશ્રેણીનો તેજલીસોટો લઈને ૨૦૧૮માં શરૂ થયેલ આ નવી‘પત્રાવળી’ તો જાણે ‘પત્રોત્સવ બની ગઈ!! તો લો, એના આનંદમાં જતા પહેલા, મારા તરફથી

 શબ્દભ્રમની જાળમાં પેઠાશબ્દબ્રહ્મની માળ ધરી..
સતઅસતના કાળમાં બેઠાઅસલસત્વનો થાળ ભરી.

આવતા અને છેલ્લાં  અંતિમ મહાથાળની( છપ્પનમાં ભોગની) રાહ જોતા રહેશોરવિવારની સવારેભૂલશો નહિ..

સૌ સર્જકવાચકસાહિત્યમિત્રોને

તમે રે ભાવક સાચા દિલના, તમારી મશે જ અમે સોહ્યાં” ના ભાવ સાથે, આદર સહિત, સ્નેહપૂર્વક વંદન અને  સાચા મનથી નમન..

 

દેવિકા રાહુલ ધ્રુવ.

પત્રાવળી ૫૫…કવિ શ્રી રઈશ મનીઆર..

 રવિવારની સવાર…
પ્રિય શબ્દમિત્રો,
આજે વિચાર’ વિશે વિચારીએ.
શબ્દની સહાય વગર વાણી તો શક્ય નથીપણ શબ્દની સહાય વગર વિચાર કરી શકાયકદાચ વિચાર લાગણી અને વાણીને જોડતી કડી છે.
        ગુજરાતી ગઝલના આદ્યપુરુષ જનાબ શયદાની એક ગઝલનો એક શેર યાદ આવે છે.
                        વિચારવાળા વિચાર કરજો વિચારવાની હું વાત કહું છું.
                        જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

      માનવમાત્ર જાગૃત અવસ્થાના મોટાભાગના સમયે વિચારતો જ હોય છે. જીવન એ બીજુ કંઈ નહીં વિચારોની આવનજાવન છે.

    મિત્રો, વિચાર પણ કેટલી જાતના હોય! સ્ફૂરણા કે પ્રતિભાવ, કલ્પના કે સ્મૃતિ, ચિંતા કે આશા, કડવાશ કે મધુરપ, તુક્કો કે યોજના, સંકલ્પ કે સ્વચ્છંદતા, સમર્પણ કે હુંકાર, કુટિલતા કે સદભાવ, પ્રેમ કે ધિક્કાર! આવા અંતિમબિંદુઓની વચ્ચેના કોઈપણ મુકામ પર આપણે વિચારના હાર્મોનિયમ પર, કાળી-સફેદ પટ્ટીઓને સ્પર્શી આપણા જીવનનું ગીત કે ઘોંઘાટ નીપજાવતાં હોઈએ છીએ. કેટલાક સાઅને પકડી જ રાખે, કેટલાક જીવનભર એ પટ્ટી શોધતાં જ રહે, પણ પટ્ટી ન પડે.

      કેટલાકને જીવનની સપાટી ઉપરની ઘટનાઓમાં એવી તલ્લીનતા સાંપડે છે કે એમને વિચારવાની ફૂરસદ હોતી નથી. એથી ઊલટું, ઘણા વિચારવા જાય છે તો એમને અજંપા કે બેચેની સિવાય કંઈ હાથ લાગતું નથી તેથી તેઓ વિચારથી દૂર ભાગે છે અને કોઈને કોઈ વ્યસ્તતામાં પોતાની જાતને ખૂંપાવી દે છે. ઘણાનું જીવન વિચારના અતિરેકથી વિચારનો ખીચડો કે શંભૂમેળો બની જાય છે. ઘણા વિચારની ભૂમિ પર મબલખ ખેડાણ કરનારા વાસ્તવની ભૂમિ પર સાવ પંગુ નીવડે છે. જનાબ ખલીલ ધનતેજવીનો શેર યાદ આવે.
                                    દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું.
                                    દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે.

      વિચારીવિચારીને જીવાતું જીવન કદાચ સાહજિક ન રહે. કદાચ આયાસને કારણ એમાં તાણ કે તણાવ ઉત્પન્ન થાય. ઉપદેશથી જીવાતું જીવન, આદેશથી જીવાતું જીવન… મૌલિકતાની સૌરભ ગુમાવી બેસે એવું શાયર અમૃત ઘાયલને લાગે છે.

                                      જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું.
                                      ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું.
                                      તફાવત એ જ છે તારા અને મારા વિશે ઝાહિદ,
                                      વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.

      ખોખલા વિચારો પર જીવનનું ચણતર કરવાને બદલે નક્કર અનુભૂતિઓના રિફ્લેક્શનરૂપે જીવનને મમળાવવાનું કદાચ વધુ રસપ્રદ રહે.

પણ વિચારતાં લાગે છે કે વિચારવું શબ્દ બહુ વ્યાપક અર્થછાયા ધરાવે છે. પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો મુખ્ય ભેદ વિચાર છે. પ્રાણી લાગણી અનુભવે છે, લાગણીને યાદ રાખે છે. પ્રાણી પાસે દૃશ્ય, ગંધ કે સ્પર્શની સ્મૃતિ છે પણ પ્રાણી પાસે ભાષા નથી. પ્રાણી પાસે ઈચ્છા અને આવેગ છે, પણ ભાષા નથી.

      માણસ માટે વિચાર એ લાગણી અનુભવવાનું, લાગણીને યાદ રાખવાનું સાધન છે. ભાષા માત્ર બોલવા માટે નહીં પણ વિચારવા અને કલ્પના કરવા માટે પણ કામ લાગે છે. કદી ભાષા વિચારને સુરેખ અને સ્પષ્ટ બનાવી જીવાતાં જીવનનો સાર કાઢી આપે, અને કદી ભાષા ગરબડ કરીને વિચારને અને જીવનને ગૂંચવીય નાખે!

       પ્રાણીને ઋતુનું ભાન હોય છે ખરું, પણ પ્રાણી મહંદશે વર્તમાન ક્ષણમાં જીવે છે. માણસ વિચારો દ્વારા સ્મૃતિના વાહનમાં બેસી ભૂતકાળમાં ફરી આવે અને આશાના વાહનમાં બેસી ભવિષ્યમાંય વિહરી આવે.

પ્રાણીનો સ્વનો ખ્યાલ તત્ક્ષણ સુરક્ષા કે આવેગ પૂરતો હોય છે. જ્યારે વિચારવાની શક્તિ માણસના સ્વના ખ્યાલને ભૂતકાળથી લઈ ભવિષ્ય સુધી વિસ્તારી એને ખૂબ પ્રબળ બનાવી દે છે.

        જ્યાં વિચાર છે ત્યાં વિચારનાર છે. વિચાર જો વર્તુળ હોય તો વિચારનાર કેન્દ્ર છે. માનવની મોટાભાગની વિચારણામાં હુંહોય છે. એ હુંતગડો હોય તો વાહવાહ ઝંખે અને નબળો હોય તો દયા ઝંખે. પણ ગમે તે રીતે વિચારને ઝંખનામાં પલટાતાં વાર નથી લાગતી. વિચાર તમારી પાસે લાલચુ બાળક જેવું વર્તન કરાવે. વિચાર અંકે કરી લેવા માંગે. વિચારે ગાંઠે બાંધી લેવા માંગે. વિચારની સમસ્યા એ છે કે વિચારનું એક અડધિયું જેવું લોભી બને કે તરત એનું બીજું અડધિયું ડરપોક બનવા માંડે. વિચારોનો અતિરેક મોટેભાગે સ્વકેન્દ્રિતતાનો અતિરેક સૂચવે છે. વિચારવું એ માનસિક રીતે અરીસો જોઈ પોતાની જાત પર મુગ્ધ થવાની કે પોતાની જાતથી ચીડાવાની પ્રક્રિયા છે.

અરીસાઘરમાં રહ્યા કૈદ આયખુ નીકળ્યું.
ઉખાડ્યા દર્પણો, સામે જ બારણું નીકળ્યું.
વિચારજાળ મેં નાખી તો ના કશું નીકળ્યું.
ડૂબ્યો સ્વયં તો સકળ વિશ્વ અવનવું નીકળ્યું. 

તેથી જ સંતોએ વિચાર વગરની સ્થિતિને ઈચ્છનીય ગણી છે. કવિ બકુલેશ દેસાઈનો શેર છે…
                                                          વિચારો વગરની સ્થિતિ આજ આપો.
                                                         નહીં તો વિચારો તમારા જ આપો.

      સ્વયંનો વિચાર છોડીને સકળને અનુભવવું સહેલું નથી. સકળ વિશે વિચારવું એ પાછી સ્વકેન્દ્રી પ્રક્રિયા જ છે, એની મથામણ છોડી, સકળ અને સ્વની વચ્ચે સૂત્ર કે સેતુનો, સળંગપણાનો અનુભવ કરવો એ વધુ મહત્વનું છે કેમ કે જો વિચારવા જઈએ તો સકળ અકળ છે.

અંતમાં જનાબ શયદાની એ જ ગઝલના બીજા શેર પર ધ્યાન દોરું, જેમાં કવિ કહે છે યુગોથી પચાસ કે સો વરસનું અલ્પ આયુ લઈ મારા-તમારા જેવા માનવપુષ્પો ખીલતાં-કરમાતાં રહે છે, પણ આ સૃષ્ટિના બગીચાની શોભા ઘટતી નથી. એટલે વિચારવાનું ઓછું કરી, એની સૌરભથી તરબતર થઈએ.

                                      તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ.
                                       હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

                 રઈશ મનીઆર
amiraeesh@yahoo.co.in

પત્રાવળી ૫૪

રવિવારની સવાર...
શબ્દપંથી મિત્રો,
કેવો સરસ શબ્દપ્રયોગ છે નહીં? પ્રીતિબેને કરેલું સંબોધન કેટલું યથાર્થ છે ! આજે લગભગ આપણે પત્રાવળીના સમાપનના પંથે પહોંચ્યા છીએ ત્યારે એની યથાર્થતા- સાર્થકતા અનુભવાય છે. ક્યારેય સાથે ન હોવા છતાં આપણે જે પંથ કાપ્યો એ કોઈપણ પ્રવાસ જેટલો જ આનંદદાયી રહ્યો. વહેતી નદીના બે કિનારા સમાંતર હોવા છતાં ક્યારેય સાથે ન થઈ શક્યા પણ એનાથી નદીની એક રૂપરેખા તો બંધાયેલી રહી ને! આપણે પણ આપણા વિચારોને લઈને સતત સમાંતરે ચાલ્યા અને પત્રાવળીની રૂપરેખા સુંદર રીતે જળવાઈ રહી.

વળી પ્રીતિબેને જે ઉલ્લેખ કર્યો છે એ વાંચન-વિચાર અને પ્રવાસની પ્રક્રિયા આપણે દૂર રહીને પણ માણી જ ને!

પ્રવાસ ખરેખર દેખીતી રીતે તો, માત્ર શારીરિક રીતે વ્યક્તિને ઘરની બહાર લઈ જતી પ્રવૃત્તિ જ. વાંચન અને વિચાર દ્વારા મનથી વિશ્વનો જે પરિચય થાય એનાથી સાવ જ અલગ રીતે પ્રવાસ થકી બાહ્ય વિશ્વનો પરિચય થવાનો. વાંચન અને વિચાર દ્વારા આપણે જે વિશ્વ જોઈએ છીએ એમાં આપણી કલ્પનાના મનગમતા રંગો ઉમેરાઈ જવાના. જ્યારે શારીરિક પ્રવાસથી તો વિશ્વ જેવું છે એવું જ એને આપણે જોવાના અને અનુભવવાના. શું કહો છો પ્રીતિબેન?

જો કે આવા વાંચન કે વિચારોની જેમ એક જરા અલગ પ્રવાસ મેં પણ માણ્યો છે ખરો હોં.

યોગના વર્ગમાં અમારા યોગ શિક્ષિકા અમને ડીપ-મેડિટેશન કરાવતા. આ ડીપ મેડીટેશન દરમ્યાન જાણે એક ટ્રાન્સમાં- જેને આપણે લગભગ સમાધિ, નિરતિશય આનંદની અવસ્થા કહીએ એમાં લઈ જતા. એ ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈને મન અને શરીરને એકદમ તણાવમુક્ત કરવાની સૂચના આપતા અને ત્યારબાદ એ એકદમ ધીમા લયથી બોલવાનું શરૂ કરતાં. એમના ધીમા અને મૃદુ અવાજમાં પણ એક જાતનું જાણે સંમોહન રહેતું. અમે એમના શબ્દોની આંગળીએ અદેહી પ્રવાસ આદરતા. એ  અમને યોગખંડથી હિમાલયમાં બદરીકેદાર, કેદારનાથ કે અમરનાથ સુધી લઈ જતાં. એમના શબ્દો દ્વારા ગંગાના ખળખળ વહેતા પાણીનો અવાજ અનુભવ્યો છે. હરિદ્વારમાં ગંગા આરતીની આશકાય લીધી છે. હિમાલયના બર્ફિલા પવનના સૂસવાટા પણ સાંભળ્યા છે. ક્યારેક કૈલાસ માનસરોવરના દર્શનની પણ અનુભૂતિ કરાવી છે . વહેલી સવારે કૈલાસ પર પથરાયેલા સૂર્યનો ઉજાસ પણ જોયો છે. માનસરોવરના શીત જેવા પાણીમાં ડૂબકી પણ મારી છે. ખરેખર કહું તો એમના શબ્દોની સાથે સાથે સાચે જ જાણે આપણે કૈલાસ માનસરોવરની પરિક્રમા કરતા હોઈએ એવું અનુભવ્યું પણ છે.

આ શબ્દોના સથવારે કરેલો અદેહી પ્રવાસ એટલો તો અનોખો હતો કે આજ સુધી એનો રોમાંચ ભૂલાયો નથી.

જોયું ને? ક્યાંય પણ જઈને પણ હું શબ્દો પર જ તો પાછી વળીને ? શબ્દોથી શરૂ કરેલી આ યાત્રામાં શબ્દો આપણા મન અને વિચારો સાથે એટલા વણાઈ ગયા છે કે વાત ન પૂછો.

પત્રાવળીના સમાપન પછી પણ કદાચ શબ્દોનો આ કેફ મન પર છવાયેલો રહે તો નવાઈ નહીં. સતત એક વર્ષ સુધી સાથે ચાલ્યા પછીનો શૂન્યાવકાશ ભારે સાલશે એ વાત પણ નિશ્ચિત.

આજે પત્રાવળીએ શું આપ્યું છે એ વિચારું છું ત્યારે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલીમાંથી બે પંક્તિઓ યાદ આવે છે.

કતો અજાનારે જાનાઇલે તુમિ, કતો ઘરે દિલે ઠાંઈ.. દૂરકે કરિલે નિકટ’

કેટલાંય અજાણ્યાઓની તમે ઓળખ કરાવી, કેટલાંય ઘરોમાં સ્થાન આપ્યું. દૂરનાને કર્યા નિકટ.

વાત તો સાચી જ ને? પોસ્ટમેન બારણે ટકોરા દઈને ટપાલ સરકાવે એવી રીતે આ ઈ-પોસ્ટ ઘણાના લેપટોપ કે કૉમ્યુટરના દ્વારે ટીંગ કરીને ઊભી રહી અને કેટલાય પત્રરસિયાઓએ આપણને કેવો હૂંફાળો આવકાર અને પ્રતિસાદ-પ્રતિભાવ પણ આપ્યો જ ને!

હવે આવશે મનને ભીંજવતી છૂટા પડવાની ક્ષણો જે આપણા મનને તરબતર તો રાખશે જ વળી. યાદ રહેશે આ શાબ્દિક- બૌદ્ધિક પ્રવાસ અને તે પણ સંવેદનાસભર.

ભઈ હું તો એવી જ.. મનને ભરી દેતા, મનને પ્રસન્ન કરી દેતા સમયને એકદમ વિસારે પાડી શકવા હું તો અસમર્થ જ છું અને આ અસમર્થતા સામે મને કોઈ ફરિયાદ પણ નથી જ.

સાથે એવી આશા પણ રાખું કે આવા જ કોઈ સંદર્ભે આપણે ફરી મળીશું બરાબર ને?

રાજુલ કૌશિક

rajul54@yahoo.com

પત્રાવળી ૫૩..

રવિવારની સવાર….
શબ્દપંથી મિત્રો
,
કેમ છો?
આજે એમ કહેવું છે, કે લેખન અને વાણી-વિનિમયથી પણ વધારે, જે બે પ્રવૃત્તિઓ મને બહુ અગત્યની બુદ્ધિગમ્ય પ્રક્રિયા લાગે છે તે છે વાંચન અને વિચાર. શું એ સાચું નથી, કે વાંચન દ્વારા અનેકવિધ જાણકારી પ્રાપ્ત થાય છે, અને વિચાર દ્વારા એ જાણકારી વિષેની સમજણ વિકસે છે

  જોકે આ જાણકારીશબ્દ મને ક્યારેય પૂરતો નથી લાગતો. પણ એ સિવાય આપણી પાસે ક્યાંતો માહિતીશબ્દ છે, ક્યાંતો જ્ઞાનશબ્દ છે. એક રોજિંદા જીવન અંગેની બાબતોમાં વધારે વપરાતો લાગે છે, ને બીજાનો સંદર્ભ એવો ઉપદેશપ્રદ હોય છે, કે સ્વાભાવિક વાતચીતમાં એ જાણે અજુગતો બને છે. અંગ્રેજી ભાષામાં Knowledge શબ્દ બહુ સરસ છે. એ સીધાસાદા અને રોજિંદા વહેવાર માટે યોગ્ય છે, તેમજ બુદ્ધિને વધારે તેવા અર્થપૂર્ણ કર્મ માટે પણ ઉપયુક્ત છે. નથી લાગતું એવું?   

મને નાનપણથી જ ભાષાઓમાં રસ રહ્યો છે. ભારતમાં રહ્યે રહ્યે આપણને હાથવગી ભાષાઓ તે માતૃભાષા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી, મરાઠી. ત્યારથી જ મને લિપિના દેખાવ ગમે, ને શબ્દોના ધ્વનિ પણ ગમે. આવડતી ના હોય, ને હલક સાચી ના હોય, તોયે ઘણી વાર હું એ શબ્દો ઉચ્ચારું. 

દરિયાપાર આવ્યા પછી અમેરિકન અંગ્રેજી કેટલી ને કઈ રીતે જુદી છે, તે ખ્યાલ પણ ઊઘડતો ગયો. કેવી નવાઈ, કે છે અંગ્રેજી ભાષા, પણ આ દેશની આગવી. બરાબર ને? એ જ રીતે, જુદા જુદા સ્પૅનિશભાષી દેશોમાંની સ્પૅનિશ ભાષા પણ પોતપોતાની રીતે જુદી હોય છે, તેની સમજણ મળી. એક દાખલો આપું, કે જે શબ્દ અંગ્રેજી લિપિમાં પોલોવંચાય , તેનો ઉચ્ચાર અમુક સ્પૅનિશભાષી દેશોના સ્પૅનિશમાં પોયોથાય, અને બીજા અમુકમાં પોશોથાય.   

જુદી જુદી ભાષાઓના સૂક્ષ્મ સ્તરો મને ગમતા રહ્યા છે. તેથી, જ્યારે જાણવામાં આવ્યું, કે જાપાનમાં પણ ટોકિયો, ઓસાકા, ક્યોતો જેવાં શહેરોની, અને દેશના તે તે વિભાગોની વાક્છટા ભિન્ન હોય છે, ત્યારે વિસ્મિત થઈ જવાયું હતું. આનંદિત પણ, કારણકે મારા અતિપ્રિય દેશની અંતરંગ જીવન-શૈલી વિષે નૉલૅજમળ્યું હતું.  

આ રીતે, જ્યાં જઈએ ત્યાંની બોલીની લઢણ, એની હલક તરફ પણ ધ્યાન જાય. આ બે જે ભાષાઓનો ઉલ્લેખ કર્યો તેમની જ વાત આગળ કરું, તો સામાન્યતયા, સ્પૅનિશ ભાષા, એ પ્રજાની લૅટિન’ – કૈંક રંગીલી કહીએ એવી – પ્રકૃતિનો પડઘો પાડતી હોય તેમ, બહુ જ ઝડપથી બોલાતી હોય છે. જાપાની ભાષા જાણે ત્યાંના સમાજ અને સંસ્કૃતિને અનુરૂપ છે. સ્ત્રીઓની અને પુરુષોની બોલવાની રીતમાં ફેર ખરો, હોં. સ્ત્રીઓના મોઢે એ બહુ મૃદુ અને મિષ્ટ લાગે, જ્યારે પુરુષના બોલવામાં, અવાજમાં, એ ભાષા પણ થોડું પૌરુષ દર્શાવે.

 કોઈ પણ સ્થળે જવાથી જ કેટલું બધું પામી શકાતું હોય છે, નહીં? પ્રયાણ મારા જીવનમાંની અવિરત એવી પ્રવૃત્તિ રહી છે. આ પત્રાવળીમાં, હજી સુધી મેં ભાગ્યે જ મારા પ્રવાસીપણાનો ઉલ્લેખ કર્યો છે, પણ આ અનોખી નિબંધાવલિ તો સમાપ્ત થવા આવી. છેલ્લે ત્યારે, એનો સહેજ સંદર્ભ પણ અહીં ભલે આવતો.  

તો હું એમ કહીશ, કે વાંચન અને વિચારની પ્રક્રિયા પછીની અગત્યની પ્રવૃત્તિ તે પ્રવાસની કહી શકાય. પહેલી બે તો, સરખામણીમાં ઘણી સહેલી ગણાય, ને ક્યાંય પણ ચાલુ રાખી શકાય, પણ પ્રવાસની પ્રવૃત્તિ ઘણી અઘરી, ઘણી કઠિન છે, કારણકે એ દ્વારા જે પ્રાપ્ત થઈ શકે છે તે માટે ઘણું છોડવું પણ પડે છે – ઘર, ખર્ચા માટેના પૈસા, કુટુંબ સાથેનો સમય.  

આમ તો આ શારીરિક રીતે વ્યક્તિને ઘરની બહાર લઈ જતી પ્રવૃત્તિ થઈ, પણ તાત્ત્વિક રીતે એમ જરૂર કહી શકાય, કે પ્રવાસ મનથી પણ થઈ શકે છે. લો, તો પછી વાંચન અને વિચાર દ્વારા પણ વ્યક્તિ દુનિયાનું દર્શન કરી જ શકે છે. અરે, આ તો બહુ સરસ અને તર્કનિપુણ તારતમ્ય આવી ગયું. ખરું કે નહીં 

હું માનું છું, કે જીવનમાં વિકસતાં જવાનું ધ્યેય પરમ અગત્યનું છે. એને માટે આ ત્રણેય પ્રક્રિયાઓ ઉપયોગી છે. વાંચન અને વિચારને શેનો આધાર છે? શબ્દોનો, બરાબર? અને પ્રવાસ દરમ્યાન વિભિન્ન ભાષાઓનો પરિચય થતો રહે છે, એ પણ બરાબર. તો અંતે તો, જીવનમાં જે સૌથી આવશ્યક છે તે શબ્દ અને ભાષા જ છે. આ બંને ઘટક જ તો આપણને હંમેશાં વિકસિત કરતા રહે છે.  

આવજો.
——  પ્રીતિ  સેનગુપ્તા 

પત્રાવળી ૫૨

રવિવારની સવાર..
      ‘પત્રાવળી’માં એક નોખું છોગું..
              એક કવિનો પત્ર.. શ્રી મુકેશ જોશીનું અનોખું કલ્પન..
પત્રોના વિશ્વાકાશમાં એક મનગમતું ઉડ્ડયન.
                                                   પારેવાની પાંખ-શો પત્ર!

**************       **************       ****************

વ્હાલા કબૂતર,

સૂર્યોદય સમયે તું રોજ મારા ઘરની બારીમાં બેસી જાય છે એની મને અને તને બંનેને ખબર છે. તું કદીક મારી સામે તો સ્હેજ સૂરજ સામે જોઈ લે છે ને પાછું ઘૂ ઘૂ ઘૂ કરે છે.  એકલતા દૂર કરવાનો  આટલો રઘવાટ? થોડા દિવસ પહેલા તારી સંગીની તને છોડીને કાયમ માટે ચાલી ગઈ એનો વસવસો મારી આંખમાં છે અને મારા ખાલી ઘરનો સન્નાટો તને પણ ખબર છે. આપણે બંને આમ એકલા છીએ પણ તને બોલાવવા તો કેટલા બધા કબૂતરો ઘૂ ઘૂ ઘૂ કરે છે અમારે માણસોમાં એવું નહિ.

આ પત્ર લખવાનું કારણ એ છે કે છેલ્લા પાંચ દિવસથી મારી બારીએ કે વીજળીના તાર ઉપર કે છજા ઉપર કે કશેય તારા દર્શન થયા નથી. તું બધાંથી જુદું પડી જાય છે એવો શુભ્ર સફેદ રંગ તને ઈશ્વરે આપ્યો છે કદાચ એટલે મને ડર લાગે છે કે શાંતિના રંગ તરીકે અમારી માણસ જાતે ક્યાંક તને ફસાવી દીધું ન હોય. તારા પૂર્વજોએ તો કેટલા બધા પત્રો પહોંચાડીને અમારી માણસ જાત ઉપર ઉપકાર કર્યા છે. એટલે જ આ પત્ર તારે નામ લખું છું. આ પત્ર તને કેવી રીતે પહોંચાડીશ એની ખબર નથી પણ મારી લાગણી તો તારા સુધી આ હવાય લઈ આવશે એટલી ખાતરી છે. તને માણસની ભાષા વાંચતા આવડે છે કે નહી, એ નથી ખબર પણ  મારા હાથની  ધ્રુજારી તને ખબર છે. તેં કેટલી બધી વાર મારી હથેળીમાંથી દાણા ખાધા છે. બે વર્ષ પહેલાની ઉતરાણે તને માંજો (દોરી) વાગેલો અને તને જેણે મલમ લગાડેલો એ કોમળ હાથ હવે મારા ઘરમાં નથી. તારી જેમ મને પણ અદૃશ્ય થઇ જવાના વિચાર આવે છે પણ મારે પાંખો નથી માત્ર પગ છે. 


તું દોસ્ત છે એટલે એક કામ ચીંધુ છું, કરીશ? તને સરસ ઉડતા આવડે છે. એકવાર તારી ઉડાન એટલી ઊંચી કરીને પેલા આકાશમાં રહેવાવાળાને આટલો સંદેશો આપીશ કે પૃથ્વીને નંદનવન બનાવવા પાછા ક્યારે પધારો છો? તારીખ ન કહો તો કઈ નહીં, કમસેકમ સાલ તો જણાવો. જો જવાબ મળે તો પ્લીઝ મને જણાવજે.


તારા માટે દાણા તૈયાર રાખ્યા છે. પણ મારા હાથની ધ્રુજારીના કારણે સરકી જાય એ પહેલા આવી જજે. રાહ જોઉં છું. તને જોવા આકાશમાં નજર કરું છું એટલે ભેગાભેગી બેય કામ થઈ જાય છે. પાંખો સાચવીને આવજે. કેમકે છેલ્લા થોડા દિવસથી અહીં કાતરના ગુણગાન બહુ ગવાય છે!


તારો દોસ્ત,
મુકેશ જોશી

Email: mdj029@gmail.com

પત્રાવળી ૫૧..

રવિવારની સવાર…

 શબ્દ-સહયાત્રીઓને મઝામાં છોને?” પૂછતાં –
             આ પત્રાવળીની પંગતમાં અઠવાડિયાં કેવાં સરસ નીકળી ગયાં, નહીં? જાણે સમય સ્વપ્નની જેમ સરી ગયો. મનમાં થયા કરે છે કે આ સ્વપ્ન ખરેખર શું હોય છે? પકડી ને જકડીને રાખી શકાય ખરું એને

               ઈન્ડિયાના ૪૮૦ જેટલા ફોટાના, “અવર ઈન્ડિયાનામના મારા ગ્રંથમાંની પ્રસ્તાવનાનું પહેલું વાક્ય મેં આમ લખેલું, કે ના, મને ઈન્ડિયાનાં સ્વપ્ન નથી આવતાં.પણ તે કેમ, એનું કારણ ફલિત થાય છે બીજા વાક્યમાંથી – કારણકે ઈન્ડિયા મને ઉજાગરા કરાવતું રહે છે.”  દેશના વિચારો અને દેશની યાદો મારી ઊંઘ ઊડાડી મૂકે છે, એવું ખૂબ રોમાન્ટીક મારું કલ્પન છે. 

                 ઊંઘમાં આવે તે સ્વપ્નો તો ખરાં જ, પણ એની ચર્ચા તો અભ્યાસીઓ જ ભલે કરતા, કારણકે સુષુપ્તાવસ્થાનાં સ્વપ્ન વાસ્તવિક તો હોઈ જ શકે છે, છતાં એ કોઈ ગૂઢ ને ઊંડી જગ્યામાંથી આવી ચઢે ત્યારે  ડરામણાં પણ બનતાં હોય છે. આપણે આ શબ્દને કેવળ કવિત્વમય જ રાખી શકીએ તો

                  અરે, એવું ક્યારેય બની શકે ખરું, જ્યારે કોઈ સુંદર, તેમજ કવિત્વમય શબ્દનો અર્થ બિલકુલ સાદોસીધો જ થતો હોય? ના, આવા રોમાંચક લાગતા શબ્દ પણ, સપાટીની નીચે, રહસ્યગંભીર અને જટિલ જ હોય છે – જેમ રવીન્દ્રનાથના આ ગીતની પંક્તિઓમાં જણાય છે.                           

                 “ સ્વપ્નની પેલે પારથી સાદ સાંભળ્યો છે. 

               જાગીને તેથી જ વિચારું છું

                    કોઈ કયારેય શું શોધી શકે છે સ્વપ્ન-લોકની ચાવી

                વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી.

                   રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે.  એમના સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે. 

                               વળી, ઘણાંને એમ પણ લાગે કે જાગૃતાવસ્થામાં સ્વપ્ન જોવાં સહેલાં છે, પણ ખરેખર શું એવું હોય છેસ્વપ્ન એટલે કાંઈ ફક્ત તીવ્ર ઈચ્છા નથી, ને કેવળ અદમ્ય મહત્ત્વાકાંક્ષા પણ નથી. જિંદગીભર – એટલેકે ઘણા લાંબા સમય માટે – સંકોરી રખાતાં સ્વપ્ન સુષુપ્તાવસ્થા કે જાગૃતાવસ્થાની પણ પેલે પારથી ક્યાંકથી આવતાં હોય છે. એક બહુ ચતુર અંગ્રેજી ઉક્તિ છે, કે If wishes (or dreams) were horses, beggars would ride. હા, જો એટલું સહેલું હોત, અને હાથવગું, તો જેની પાસે કાંઈ નથી તેવા લોકો પણ ઇચ્છા કરી શકત, ને સ્વપ્ન સેવી શકત. બેઠાં બેઠાં દિવાસ્વપ્ન જોવાની મઝા તો બહુ છે, પણ સાચવીએ નહીં, ને બસ, શેખચલ્લી બની જઈએ તો હાથમાં કશુંયે ના આવે, ને સમય તો ક્યાંયે છટકી ગયો હોય.  

                    સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે? મને તો લાગે છે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે, લાંબી વિગતોમાં ગયા વગર યાદ કરીએ તો – ૨૦૦૦માં શ્રી આલ્બર્ટ ગોર જે રીતે અમેરિકાના મુખ્ય પ્રમુખની હરિફાઈમાં હાર્યા, તે ભાગ્ય દ્વારા થયેલો અકસ્માત જ નહતો?; અને છેક હમણાં, ૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે

                   મન મક્કમ હોય, ને સ્વપ્નને સાકાર કરવા માટે બધા પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો કેટલાયે જાણીતા, તેમજ લાયક લોકો પોતાનાં સ્વપ્ન, ઇચ્છા, કે આદર્શ પરિપૂર્ણ કરી શક્યાના અસંખ્ય ઉદાહરણ મળી આવે છે, પણ એ દરેકની પાછળ એથીયે વધારે કૈં કેટલાં જણ અભાગી હશે જે નિરાશ થતાં રહ્યાં હશે?   

                                 હકીકતમાં, હંમેશાં, મને દુનિયાના અન્ય દેશોમાંથી, સુખ અને સંપત્તિની આશાથી આ દેશમાં આવી ચઢનારાંનો વિચાર આવ્યા કરતો હોય છે. સાધારણ નિરાંતની જિંદગી માટે પણ ફાંફાં મારતાં રહેતાં હોય એવાં જણ સાથે ન્યૂયૉર્ક જેવા શહેરમાં તો દરરોજ અકસ્માત્ મળવાનું થઈ જાય. રસ્તા પર ફળ વેચતા, કે હાટડીમાં છાપાં વેચતા, રાત-દહાડો ટૅક્સી ચલાવતા, કે ભૂગર્ભ રેલમાં થાક્યા-પાક્યા જણાતા લોકો સાથે જરાક કાંઈ વાત કરવા જઈએ, કે સ્વપ્ન-ભંગની ને હૃદય-ભંગની એમની કથનીઓ શબ્દરૂપ પામી બેસે.

                    સ્વપ્નને જકડી લઈ શકાય કે નહીં, તેની તો મને ખબર નથી, પણ સપાટીની નીચે જે વિરૂપ વાસ્તવિકતા રહેલી હોય છે, તેણે તો મારું ધ્યાન જકડી જ લીધું. મિત્રો, આ દૃષ્ટિકોણ સ્વીકારી તો લેશો ને

                                                             —પ્રીતિ  સેનગુપ્તા      

                                                              preetynyc@gmail.com

પત્રાવળી ૫૦-

રવિવારની સવાર…
સૌ પંગતમિત્રો !
પાંગત અને પંગત શબ્દો જાણીતા છે. પાંગત તો ખાટલામાં કાથી કે પાટી ભર્યા પછી પગ જે બાજુ રહેવાના છે ત્યાંનું ભરત જુદું પડે તે ખાટલાનો છેવાડાનો ભાગ….ને ખાટલાનું ‘વાણ’ ઢીલું પડે પછી એ ભરતની દોરી ખેંચે તેને ‘પાંગત તાણી’ એમ કહે છે. (ગમે તેવી પાટી હોય કે કાથી, પણ સમયસમયે એની પાંગત તાણવી પડતી હોય છે. આ જ વાત જીવનમાં પણ બનતી રહે છે. અવારનવાર રોજિંદાં કાર્યોની ઢીલ તપાસીને એને ખેંચવી પડતી હોય છે.)

પંગત શબ્દ જમવા માટે બેઠેલાંઓની હારને કહે છે. પંગતના બીજાય અર્થો છે. પણ આપણે બધાં તો પત્રાવળીએ બેઠાં છયેં તેથી આપણી પંગત તો પીરસવા ને જમવા સાથે જ જોડેલી રહે.

આ પત્રનું સંબોધન તો મારે “પ્રિય પિરસણિયાજીઓ !” એમ કરવું હતું પણ પછી થયું કે આપણે પીરસીનેય જમનારાં પણ છીએ જ. બલકે સામાન્ય રિવાજે તો પીરસનારાંનો વારો જમવામાં છેલ્લો હોય જ્યારે આપણે તો સૌ પહેલાં આપણા પત્રો એકબીજાંને જમાડીને પછી જ બહાર પીરસીએ છીએ – શબરીની જેમ – એટલે પછી ‘પંગતી મિત્રો’ કહીને સંતોષ રાખ્યો.

આપણી સાંભરણમાં સૌથી જૂનો ને જાણીતો પત્ર કયો ? મારી સાંભરણમાં તો રુકમણિએ કૃષ્ણને લખેલો તે જ કે બીજો કોઈ હશે ? મધ્યકાળમાં કોઈ રાજાને કોઈ બહેને પત્ર લખીને રક્ષા માગ્યાની વાત પણ વાંચી છે. એ જમાનામાં ટપાલી નહીં, કાસદ હતા. પણ કબૂતરોનેય ટપાલી બનાવીને કામ ચલાવી લીધાંની નોંધો મળે છે. કબૂતરો કને જાસૂસી કરાવ્યાની વાતોય મળે છે તો ‘ગુંજ ઊઠી શહેનાઈ’માં “ખત ક્યા, ખબર હૈ ખબર” કહીને પત્રો વાંચી લઈને લડાવ્યા કરનારો ટપાલી જોવા મળે છે.

એક સંસ્કૃત મહાકાવ્યમાં ઉલ્લેખ આવે છે તે મુજબ એક રાજા પોતાનો સંદેશો એક પ્રેમી યુવાન સાથે મોકલે છે જેમાં એ રાજાને લખે છે કે આ પત્ર લાવનારને ‘વિષ’ આપજો ! પત્ર લઈ જનાર રસ્તામાં એ પત્ર વાંચે છે…..પત્ર મેળવનાર રાજાની પુત્રીનું નામ વિષયા હોય છે, જેની સાથે આ સંદેશ લઈ જનારને પ્રેમ હોય છે ! પરિણામે તે યુવાન પત્રમાં સુધારો કરીને ‘વિષ’નુ ‘વિષયા’ કરી દે છે !! ને એમ મોતને બદલે પ્રેમિકા પામે છે !

પત્રોનું તો ભૈ એવું !

આપણા જાણીતા ને માનીતા લેખક ધૂમકેતુને તો મરિયમના પત્રની રાહ જોતા  પિતા અલીડોસા ની વાર્તા ‘પોસ્ટ ઓફિસે’ પ્રસિદ્ધ બનાવી દીધા.

આપણે સૌએ આ આટલા દિવસો–મહિનાઓમાં કેટકેટલા પ્રદેશો ખૂંદ્યા ?! એક પછી એક પત્રો મૂકતાં ગયાં ને અનેક વિષયોને વહેંચતાં રહ્યાં. આપણા પીરસેલાં ભાણાંમાં વાનગીનું વૈવિધ્ય તો વધતું જ રહ્યું પણ પંગતે બેસનારાંઓની સંખ્યાય વધતી ગઈ. ચાખનારાં–જમનારાંઓમાંનાં કેટલાકોએ તો વાનગીઓને વખાણીય ખરી. (ખીચડી દાઢે વળગ્યાંના સમાચાર આપણામાંથી કોઈને મળ્યા હોય તો કહેજો પાછા !)

 જાનેવારીની પહેલી તારીખે પહેલો પત્ર આપણે મૂક્યો હતો. વચ્ચે આપણી વચ્ચે વાત હતી કે પત્રાવળીના ભોજને મહાભોજ બનાવવા એમાં ૫૬ ભોગ ધરાવીને પૂરું કરીશું. એ ગણતરીએ આપણે, જાનેવારી આવું આવું હશે ને આપણો આ ભોજસમારંભ પૂરો થવામાં હશે. એટલે આજ સુધી તો આપણે સૌ એકબીજાં લખનારાંને સંબોધીને લખતાં હતાં તે આજે આપણા ભોજકોનેય સંબોધીએ કે આપ સૌ પણ આ સમેટાવા જઈ રહેલા ભોજનવ્યવહારના યજમાનોને જમ્યાંના ઓડકારરૂપે આશીર્વાદી ટિપ્પણીઓથી ખુશ કરજો !

પત્રો તો ઊડતાં, વહેતાં, ફરફરતાં, મર્મરતાં પર્ણો (પાન, પત્ર) છે ! કેવી મજાની અર્થચ્છાયાઓ આ પત્ર શબ્દને મળી છે ! આપણે એને આજ સુધી મોટે ભાગે ભોજનથાળરૂપે ગણાવી છે. ભોજન સૌને વહાલું હોય તે ખરું પણ સાહિત્યજગતમાં તો વૃક્ષ એનાં પર્ણો થકી સર્વજનસુખાય બની રહ્યું છે. “વૃક્ષને તો પત્રં, પુષ્પં, ફલં તોયમ્” સર્વ રીતે સમૃદ્ધિનું સાધન–માધ્યમ ગણીને એનો મહિમા કરાયો છે.

આપણા આ પત્રો એ કક્ષાને પ્રાપ્ત થાય તો કેવી ભાગ્યશાળી બની રહે આપણી આ પત્રશ્રેણી !!

આશા રાખીએ કે આ પત્રો કોઈ નવી દિશામાં નવી કેડી કંડારીને આપણા આ પ્રયત્નને વધાવે.

અમદાવાદથી સ્નેહસ્મરણ.

જુગલકિશોર.

Email: jjugalkishor@gmail.com

પત્રાવળી ૪૯..

રવિવારની સવાર….

 પ્રિય પત્રમિત્રો,
क्या ख्वाहिश थी, क्या ख्वाहिश है !
           दो सपना वही, गुजारिश है  !

સ્વપ્ન એક અજબ ગજબની દુનિયા છે. રાત્રે ઊંઘમાં જોવાતા સપનાં કે દિવસે ખુલ્લી આંખે જોવાતા દિવાસ્વપ્ન ! માણસની જિંદગીમાંથી સપનાં બાદ કરી નાખો તો જાણે શરીરમાંથી ચેતન બાદ થઈ જાય ! મનને હુંફાળું ને તાજગીસફર રાખવાનું કામ સપનાનું ! ભલે ક્યારેક ડરામણા સપનાં આવી જાય, નીંદરમાંથી સફાળા બેઠા કરી દે ને પરસેવે રેબઝેબ કરી મૂકે એવા સપનાં આવી જાય – અલબત્ત એવું કદીક જ બનતું હોય છે પણ એનાથી હૃદયની સફરની ખાતરી મળે છે, સંવેદનાના જીવંત હોવાની સાબિતી મળે છે. બાકી રાતભર જોયેલા સપનાં સવારે ઝાકળની જેમ ઊડી જાય એવા અનુભવો દરેકને અનેક.

સ્વપ્નની સફર ચાલી રહી છે ત્યારે મારા મીઠાં સપનાની સાચ્ચી વાત ! જાગતી આંખે, માત્ર જોયેલી નહીં, અનુભવેલી વાત, જે હવે સપનું બની ગઈ છે ! તમને એમાં સાથીદાર બનાવું.    

એ પત્રનો જમાનો…. હવે ભલે ઈમેઈલ ને વોટ્સ એપથી સંદેશાવ્યવહાર અત્યંત ઝડપી અને સહેલો થઈ ગયો હોય પણ પત્રો લખવા અને પત્રો મેળવવાનો જે રોમાંચ હતો એ આજની પેઢીને કદાચ નહીં સમજાય. મને તો લાગે છે કે એ રોમાંચ, એ મજા હવે આ પેઢીના નસીબમાં નથી ! કહેનારા કહેશે કે હવે જુદી મજાઓ છે ! સાચી વાત છે, દરેક સમયની પોતાની ખાસિયત હોય છે. 

એ અમારો સમય હતો કે જ્યારે સગાઈ થઈ ગઈ હોય તો પણ ભાવિ પતિને મળવું એટલું સહેલું નહોતું પત્રોથી લાગણીનો દરિયો ઠાલવવો એ અમારી ખુશનસીબી હતી. અલબત્ત, પત્રો લખવા એય એક કળા છે, સહુને સાધ્ય નથી હોતી. આખી ડિક્શનરી ભરીને શબ્દો સામે હોય તોય એ કામ નથી લાગતા જો લાગણીના રસમાં ઝબોળી પીરસવાની કળા ન હોય તો. રોજબરોજની દૈનિક ક્રિયાઓમાંય પ્રેમને જ્યારે પરોવી શકાય ત્યારે એ લખનારા અને વાંચનારાના જીવનનું અદભૂત પ્રકરણ બની જાય છે.    

તમે કલ્પના કરી શકો છો કે હોસ્ટેલની લોબીમાં છાપાની સાઈઝના ડાર્ક કલરના આર્ટ પેપરને બે હાથમાં ખોલીને છાપાની જેમ જ કોઈ વાંચતું હોય અને એ હોય પ્રેમપત્ર ! હા, દોસ્તો એ સચ્ચાઈ છે. જો કે આ બાબતમાં ઘણા લોકોને બીજા પણ રોમાંચક અનુભવો હોઈ શકે પણ આ મારો અનુપમ અનુભવ ! મારી સગાઈ થઈ પછી અમે બેય પત્રો લખવાના શોખીન અને અમને બંનેને  ફાવટ પણ સારી. એમને મૂડ આવી જાય તો સ્ટેશનરીની દુકાને જઈને રંગીન મોટો આર્ટ પેપર લઈ આવે. આટલા મોટા કાગળમાં સાદા A4 સાઈઝની જેમ જમણેથી ડાબે તો લખી જ ન શકાય એટલે બિલકુલ છાપામાં કૉલમ હોય એમ જ ઝીણા સુંદર અક્ષરોએ મને પત્ર લખે. હા, એમના અક્ષરો બહુ સુંદર અને મરોડદાર થતા. હું ખાનગીમાં તો શાંતિથી વાંચી લઉં પણ પછી રવિવારે સવારે નિરાંત હોય એટલે મારી સખીઓને જલાવવા લોબીમાં ઊભી રહું અને બે હાથમાં ફેલાવીને વાંચું ! સાચ્ચે જ, બધી બહેનપણીઓ એવી અદેખાઈ કરે કે ન પૂછો વાત !

‘અલી, એવું તે એ શું લખે છે ? રોજ રોજ આટલું બધું શું લખે છે ? અમારે તો ‘એમનો’ પત્ર માંડ અઠવાડિયે આવે અને એક કાગળની એક સાઈડ માંડ પૂરી થઈ હોય !’’ – હું હરખથી ફૂલી ન સમાઉં !

હા, મારે રોજ નિયમિત એક જાડું દળદાર કવર આવે, જેમાં એક્સપ્રેસ ટપાલનો સિક્કો હોય ! તમને ઘણાને યાદ હશે કે એ વખતે સાદી અને એક્સપ્રેસ એમ બે પ્રકારની ટપાલો હતી. વધારે ટિકિટ ચોડવી પડે પણ ટપાલ જલ્દી મળે. કુરિયરનો તો જમાનો જ નહોતો. એથીયે અર્જન્ટ હોય તો ટેલીગ્રામ ! ફોન હતા પણ એટલી સહેલાઇથી ઉપલબ્ધ નહીં.    

મજાની વાત હવે આવે છે. અમારે હોસ્ટેલમાં એવો નિયમ કે રોજ રાત્રે પ્રાર્થના પછી સૌની ટપાલો વહેંચાય અને એય અમારા રેકટરબહેન વાંચીને આપે. પૂરું સેન્સર બોર્ડ હતું. જેની સગાઈ થઈ હોય, એના માબાપનો લેખિત પત્ર મળે પછી એ એક સરનામેથી આવેલ પત્ર અકબંધ મળે, ન ખૂલે ! મેં મારા ભાવિ પતિ જગદીશને આ ટપાલના નિયમ વિશે કહેલું. એમનો પહેલો પત્ર આવ્યો, ‘એક્સપ્રેસ’ ! અમારા રેકટરબહેને મને ખાસ બોલાવીને બપોરે જ આપી દીધો. ભાવિ પતિનો એટલે એમનું સેન્સર બોર્ડ કોઈ એક્શન ન લઈ શકે !

બીજો દિવસ ને બીજું કવર. એ પણ એક્સપ્રેસ ! આમ સતત પાંચ કે છ દિવસ ચાલ્યું, રોજ એ મને એમના રૂમમાં બોલાવીને આપે ! પછીના દિવસે સાંજ પડી પણ મને કોઈ બોલાવવા ન આવ્યું ! મને તો રોજ એક પત્રની ખાતરી હતી. રાત્રે પ્રાર્થના થઈ. બધાને ટપાલો વહેંચાઈ, મારું નામ છેક છેલ્લે બોલાયું. મને એમ કે ‘એમને’ એક્સપ્રેસ કરવાનો ટાઈમ નહીં રહ્યો હોય ! હરખથી ઊભી થઈ ટપાલ લેવા ગઈ. એ જ સુંદર, મરોડદાર, વહાલપ વેરતા અક્ષરો ને એ જ ઉપર ‘એક્સપ્રેસ’નો સિક્કો ! એ સમય અત્યંત શિસ્તનો. રેકટરબહેનને કાંઈ કહેવાય નહીં, કે પૂછાય નહીં પણ હું જરા દુઃખી નજરે એમની સામે જોઈ રહી. મારી આંખોમાં પ્રશ્ન હતો કે મારો વર વધારે પૈસા ખરચીને મને એક્સપ્રેસ ટપાલ મોકલાવે છે તો તમે કેમ આટલી મોડી આપો છો ? ખુદ ટપાલખાતું પણ આવા પત્રોની ફાસ્ટ ડિલિવરી કરે છે ! મારી આંખમાં રહેલા પ્રશ્નનો એમણે જાહેરમાં જવાબ આપી દીધો.

‘તારો વર તને રોજ એક્સપ્રેસ ટપાલ લખે તો હું નવરી નથી ! હવેથી તને રાત્રે જ ટપાલ મળશે’

એમણે વીટો પાવર વાપરી દીધો. મારે કાંઈ બોલાવાપણું હતું નહીં !

એમાં હોળીનો તહેવાર આવ્યો. જગદીશે મને પત્ર તો લખ્યો જ ને કાગળમાં થોડો ગુલાલ ભરીને મોકલ્યો. હવે વજન તો આમેય હોય, એ જૂના ટપાલખાતાના કવર ! બન્યું એવું કે ક્યાંક ધારમાંથી એ ફાટયો. અમારા બહેનના પર ટેબલ બધી ટપાલો મુકાવી હશે તે ગુલાલ ત્યાં ઉડયો ! પત્ર તો મને રાત્રે જ મળ્યો, ગુલાલ ઉડયાના ગુસ્સા સાથે !

બસ, બે મહિના અમારી સગાઈ રહી ને પછી લગ્ન ! પણ હોસ્ટેલના પૂરા પંચાવન દિવસના પંચાવન પત્રો ! એ મારા જીવનનો સ્વર્ગ જેવો સમય ! સપનાની જેમ શરૂ થયો ને સપનાની જેમ વહી ગયો. એ પછી પણ છૂટા પડીએ ત્યારે પત્રો તો અચૂક લખાય જ. શરૂ શરૂમાં પિયર જવાના પિરિયડ જલ્દી આવે, પછી ઓછા થતા જાય અને પત્રો લખવાની તક પણ …… અંતે શબ્દોની જરૂરિયાત ઘટતી જાય અને સાથ – સહજીવન એકમાત્ર હકીકત બની રહે.   

દોસ્તો, જૂના એ પત્રો આજે મારી સામે હકીકત અને સ્વપ્નું બનીને પથરાયાં છે. હું ખોલું છું અને આંખ સામે દરિયો ઉછળે છે જેમાં અક્ષરો, શબ્દો ઓગળી જાય છે. એટલું સ્વીકારવું અત્યંત અઘરું બની જાય છે હવે આ માત્ર ભૂતકાળ છે અને વર્તમાન ક્યારેય બની શકે એમ નથી. પણ મન સપનાં જોવામાં ક્યારેય અટકતું નથી. હું આજે પણ રાહ જોઉ છું, આજે પણ સપનું જોઉ છું કે લાંબો નહીં તો ટૂંકો, રંગીન નહીં તો સાદો બ્લેક એન્ડ વ્હાઇટ પેપર, પણ એમનો એક પત્ર આવે, એકાદ નાનકડી ચિઠ્ઠી આવે ને હું છલકાતી આંખે વાંચું, જેમ ત્યારે પણ છલકાઈ જતી !   

પણ…. કદાચ ‘એમને’ લાગે છે કે મારે હવે શબ્દોની જરૂર નથી… અનુભૂતિ જ કાફી છે.…. અને મારે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી !  

લતા જગદીશ હિરાણી

Email: lata.hirani55@gmail.com

પત્રાવળી ૪૮..

પત્રમિત્રો,
જોત જોતામાં તો વિક્રમ સંવત ૨૦૭૪નું વર્ષ પસાર થઈ ગયું અને આવતીકાલે આવશે દેવઉઠી એકાદશી. મનમાં જરા અમસ્તો જ વિચાર આવ્યો કે ખરેખર દેવ પોઢતા હશે ખરા કે આપણે એમને ઉઠાડવા પડે? મનમાંથી જવાબ મળ્યોના, દેવ તો સદાય જાગતા. જાગવાનું તો ખરેખર આપણે છે. કારણકે સડસડાટ વહે જતા સમયની રફતાર જોડે તાલ આપણે મેળવવાનો છે. એની વણથંભી કૂચ સાથે કદમ તો આપણે મેળવવાના છે. વર્ષ બદલાયું, સમય પણ બદલાયો અને સમયની સાથે સાથે ઘણું બધું બદલાતું ગયું

દેવિકાબેને કહ્યું એમ આ પત્રવળીની સફરે આપણે નિકળ્યા અને ઋતુઓ બદલાઈ ગઈ. સૂર્યની ગતિ પણ બદલાઈ ગઈ અને આપણી પત્રાવળીના વિષયો પણ આ બદલાતી મોસમની જેમ બદલાતા ગયા. શબ્દથી શરૂ કરીને સંવાદ અને સંવેદના, સ્પર્શ અને સ્મૃતિ સુધીની ભોમકા ખેડી અને હવે દેવિકાબેને એક એવા સાવ અજાણ્યા-અગોચર વિશ્વની સફર આદરી જે આજ સુધી લગભગ સૌથી અજાણી જ રહી છે.

ચંદ્ર કે મંગળ પર જતા અવકાશ યાત્રીઓ પાસે તો એ આખી ભ્રમણયાત્રાની બ્લૂ પ્રિન્ટ હાથવગી હશે પણ આ સપનાની દુનિયા તો ભઈ સાવ અજાણી નહી? આ સપના ક્યારે અને કેમ આવે છે એની તો ખબર નથી પણ એ આવીને આપણને ઊંઘમાં પણ કશુંક કહી જાય છે. યાદ રહે અથવા ન પણ મુઠ્ઠીમાંથી સરી જતી કોરી રેતીની જેમ એને ગમે એટલું પકડવા મથીએ તોય એ આપણા માનસપટ પરથી સરી પણ જાય.

કોઈ એમ કહે કે એમાં ય કોઈ સંકેત હોય છે. પણ આજ સુધી તો એને ઉકેલવા, એનો સાર પામવા કોઈ શાસ્ત્ર કે શાસ્ત્રીઓ પણ સો ટકા સફળ નથી થયા બરાબર ને? વળી બાકી હોય એમ  સ્વપ્નના સંદર્ભ ઉકેલવા તો આજ સુધી અનેક મનોવૈજ્ઞાનીઓ પણ મથ્યા. સ્વપ્નના સંકેત પર આજ સુધી અનેક ધારણા- વિચારણા, ચર્ચાઓ ય ચાલી. સિગ્મંડ ફ્રોઈડ જેવા મનોવિજ્ઞાનીએ “ ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સનામનું પુસ્તક પણ લખ્યું. અલબત્ત એમની વિચારસરણી સાવ અલગ હતી એટલે એ અંગે આપણે ઊંડા ન ઉતરીએ પણ એક સત્ય કે તથ્ય એ છે કે આ ઊંઘમાં આવતા સ્વપ્નો જો આપણને  જાગતા કરી દે અર્થાત સચેત કરી દે તો કશુંક કરવાની નક્કર ભૂમિકા આપણને મળી ય રહે ખરી.

સપનાની વાત આવે અને દિવાસ્વપ્નની વાત ન કરીએ તો કેમ ચાલે? દિવસે આવતા અલપઝલપ ઝોકામાં ય ડોકાઈ જતું આ સપનું એટલે દિવાસ્વપ્ન. આ દિવાસ્વપ્ન પણ હોઈ શકે અને દિવસે જોયેલું સ્વપ્ન પણ હોઈ શકે કે જે આપણને રાતે પણ જાગતા કરી દે. ખુલ્લી આંખે જોયેલું સપનું એટલે આપણા મનમાં સતત ઘોળાયા કરતો, આપણામાં જીવતો એક મખમલી વિચાર જેને પરિપૂર્ણ કરવું જ છે એ જ આપણું ધ્યેય બની જાય.

જેમકે ન્યૂયોર્ક સિટીનો બ્રુકલીન બ્રિજ..

જ્હોન રોબલીંગ નામની એક વ્યક્તિએ ઉઘાડી આંખે જોયેલું સપનું જે સાર્થક કર્યુ એમના પુત્ર વોશિંગ્ટન રોબલીંગે અને તે પણ કેવી અસહાય અવસ્થામાં ! જ્હોન રોબલીંગના આકસ્મિક અવસાન બાદ વોશિંગ્ટન રોબલીંગ પણ અકસ્માતે કશું જ બોલી શકવાને સમર્થ નહોતા ત્યારે એમના પત્નિ એમિલી વોશિંગ્ટન અને એન્જિનીયરીંગ ટીમ વચ્ચેની કડી બન્યા. બંને વચ્ચેનો સંપર્ક અને સંચાર સાચવીને પતિએ હાથ પર આંગળીથી લખીને આપેલી સૂચના અને દોરવણી મુજબ કાર્ય પરિપૂર્ણ કરાવવાના માર્ગદર્શક બની રહયા. અને આજે આપણી સમક્ષ છે એમના સપનાની સફળતાની ઝળહતી ગાથા જેવો આખાય ન્યૂયોર્ક અને મેનહટનની જેમ જ રાત્રે ઝગમગતો બ્રુકલીન બ્રિજ. આ થઈ એક એવા સપનાની વાત જે સેવ્યું હતું કોઈ એક જણે પણ એ જગતભરમાં દીર્ઘકાલીન સંભારણું બની રહ્યું. આવા તો કેટલાય ખુલ્લી આંખે જોયેલા સપના છે જે બુલંદ ઈમારત બનીને આપણી નજર સામે ઊભા છે. પછી એવી જ રીતે પાબ્લો પિકાસોના કોઈપણ ચિત્રો હોય કે મોઝાર્ટની સિમ્ફની- એ પણ એમણે ખુલ્લી આંખે જોયેલા અને સાકાર થયેલા સપના જ તો વળી !

ક્યારેક વળી એક વાત વાંચવામાં આવી હતી. પિરાન્દેલોએ એક નાટકમાં લખ્યું હતું , “પથારીમાં મારી સૌથી નજીકની પ્રિયતમા મારી ઊંઘ છે. એણે જ સપના દેખાડીને મને જીવતો રાખ્યો છે.વાત તો સાવ સાચી. સપના તો જીવવાનું અને જીતવાનું બળ પણ છે અને ધ્યેય પણ. એ સાકાર થાય કે નહીં એ નક્કી નહીં પણ એને સાકાર કરાવતું સાહસ જ આપણામાં પ્રાણ ફુંકે છે એ વાત તો નક્કી.

અને હા ! ક્યારેક મનોવિજ્ઞાનીઓ કહે છે એવુંય બને કે ઘણા ભાગે સપના આપણા મનની ઊંડે ધરબાયેલી ઈચ્છાઓનો પડઘો પણ હોય. રાત્રે જોયેલું સપનું ભૂલાઈ જાય એમાંયે કુદરતની કમાલ જ સમજવી કારણકે જો એ આપણા મન પર અંકાયેલા રહે તો એ યાદ રહેતા તમામ સપનાના પડછાયા આપણા દિવસોને અને મનને ના ઘેરી વળે?

તો વળી કોઈ એવુંય કહેશે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. મને આવા વહેલી સવારના સાચા પડતા સપનામાંય એટલો જ રસ. ક્યારેક ઊંઘમાંથી ઉઠીએ અને મન પ્રફુલ્લિતતા અનુભવતું હોય તો એવું સપનું કોને ના ગમે? મને તો ગમે.

ક્યારેક ભૂલથી પણ આવું યાદ રહી ગયેલું મઝાનું સપનુ આપણા ચહેરા પર સ્મિત તો ક્યારેક આપણને ખડખડ હસતા પણ કરી દે છે ને? તો મિત્રો આ થઈ સપનાના સાગરમાંથી ઉલેચેલા બે-ચાર બુંદની વાતો.

સપના વિશે જાણવાની અને માણવાની વાતોય ક્યાં ખૂટી ખૂટે એમ છે? અને સપનાના સરનામા ય ક્યાં હોય છે? એને ક્યાં ઉગમણી કોર હોય છે કે આથમણી કોર? એની સીમા પણ અનંત છે.

મળીશું ફરી આવતા પત્રમાં.. 

Rajul Kaushik
 rajul54@yahoo.com
http://www.rajul54.wordpress.com