સંગ્રહ

ટહુકો.કોમ પર…અણધારી આ હલચલ – દેવિકા ધ્રુવ

અણધારી આ હલચલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

કવયિત્રી : દેવિકા ધ્રુવ
સ્વરકાર અને સ્વર: ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સ્હેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.


– દેવિકા ધ્રુવ

કાપ્યા કરે..

મૌન રહી એ કેટલું આપ્યા કરે,
ને ગહન ભાષા બધી માપ્યા કરે.

અવનવા સંજોગનો કક્કો અને,
રક્તથી બારાખડી સ્થાપ્યા કરે…

શાહી એક એ લાલ રંગી વાપરે!
ધસમસાવી અંતરે ચાંપ્યા કરે.

દર્દના વ્યંજન, સુખોના સ્વર તથા,
વ્યાકરણમાં બસ, વ્યથા છાપ્યા કરે.

છે, ખુશીના અલ્પવિરામો  છે અહીં,
પણ એ, છેલ્લે આશ્ચર્યો ટાંપ્યા કરે..

લીપિ નોખી લાગણીઓની લખી
માનવીની હર કથા લીંપ્યા કરે.

જિંદગી, તારી કલમ શેની બની?
રેશમી ધારે સમય કાપ્યા કરે.

નૈયા..

દેવિકા રાહુલ ધ્રુવની ગઝલ “ફાકી કરી છે”નો  આસ્વાદ …શ્રી સતીન પરવેઝ.

રદીફના સંવાહક વિના નિષ્ફિકર અલક્ષિત સફર કરતી આ ગઝલની નાયિકા નૈયા,સૈયા, તથૈયા, મૈયા, ગૈયા અને ગવૈયા જેવાં હિન્દી ભાષી બે માત્રાના પ્રતીકોથી જે વ્રજ સમી ભક્તિની ઝાંય ઝળકાવે છે. એ  કવયિત્રીની ભીતર રમંતી અસ્તિત્વ વિષયક અપ્રતિમ શ્રધ્ધાલીલાનો જ લયબધ્ધ સુરીલો રણકાર છે. પ્રથમ નાંગરેલી અદ્વિતીય નૈયા વિશેનાં રહસ્ય સંવાદને માણીએ.

‘કિનારે ઠરેલી જુદી છે આ  નૈયા.

નવાં  કો’ મુકામે જવાની છે સૈયા.’

  આમ તો સ્વાભાવિક રીતે એક જ જળ કિનારે નાંગરતી નૈયા, એકની એક જ હોય. જેનાં લંગર છૂટતા એ નિશ્ચિત સામા કિનારે પ્રવાસીને પહોંચાડતી હોય છે. પરંતું અહીં અભિપ્રેત નૈયા, આગવી હોઈ વણખેડેલ મુકામે જ એનું લક્ષ સાધવાની છે. એવી શ્રધ્ધા કવયિત્રી કોળે છે. જે વિશે એ ‘સૈયા’અર્થાત પ્રિય પાત્રને સૂચવતા આનંદની મોજ હિલ્લોળે ઝૂલે છે..નૈયાના પ્રતીકમાં એ ભક્તિ સંવહનનો અનેરો પંથ ખેડે છે.

બીજો શેર અજ્ઞાત ચિત્તચૈતન્યનો ચરમ તાલબદ્ધ ઉલ્લાસનું જ નર્તન કરે છે. આમે આપણું  સકળ  અસ્તિત્વ પણ “માલૂમ સે નામાલૂમ કા સફર”ને  જ વરેલ હોઈ, આપણને અસલ પ્રવાસી કે ખલાસીની ઓળખ વિના જ આગે દોરી જતું હોય છે. એ વિશેની પૂર્ણ જ્ઞાતા દેવિકા જી ખરે જ હરઘડી ‘તા થૈયા તા થૈયા’નાં નર્તન રમણમાં આનંદ વિભોર જણાય છે.

‘ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે,

ને તોયે છે  હૈયે તો  તાતા તથૈયા.’

આ શેરનો સાની મિસરો પાંચ “ત” વરણને સાંકળતો હોઈ તની તદ્રુપતામાં જ  સ્વજાતને તારણ વિના તારી કમાલ કરે છે. કવયિત્રી સમગ્ર ગઝલમાં અજાણતાનો જ અભિષેક કરવા છતાં, એમની અવિભાજ્ય શ્રધ્ધાના મૂળમાં પ્રગટતી માતા વિશે તો અતૂટ કડીઓ સાધે છે. જેમાં  કશું યે મૂળ રૂપે પરિચિત અવસ્થામાં ન જડતું હોવા છતાં,  માનો નાભિગર્ભ તો સદાકાળ ઉપલબ્ધ જ રહેવાનો, એવી ખાતરી દેવિકા જી છાતી ઠોકીને આ જગતને આપે છે.

‘હશે શું ને કેવું, નથી જાણ કંઈ પણ,

છે ખાત્રી સદાની  હશે  પાસ મૈયા.’

સદાકાળ એક મા જ એનાં પાર્થિવ કે અપાર્થિવ સ્વરૂપે આપણી ભીતર એવમ આસપાસ પરિક્રમા કરતી જ હોય છે. એ જ તૉ ચૈતન્યનો અનંત અવકાશ રચે છે. જેમ રાજેન્દ્ર શુક્લ એક પંક્તિમાં આવા જ સનાતન તત્વને આમ પડઘાવે  છે.

“નથી તો ક્યાં ય પણ નથી, જુઓ તો આસપાસ છે.”

–રાજેન્દ્ર શુક્લ

મૈયા કાફિયો આપણને  વ્રજની પેલી મૈયા દેવકી અને જશોદાનું સ્મરણ કરાવી જાય છે. એ જ અનુભૂતિની અવસ્થામાં દેવિકા બહેન વ્રજભૂમિની નિષ્ફિકર ગૌલીલામાં મનને પરોવી આવો શેર રચે છે.

‘ફિકરની તો હમણા મેં ફાકી    કરી છે,

સ્મરણ ઘાસ જાણે કે ચગળે છે ગૈયા.’

ફિકરની ફાકી કરવાનો નવા પ્રયોગ એ જ સાધી શકે કે જે મનમેદાનમાં ઉગી નીકળતા સ્મરણ રૂપી ઘાસને ચગળીને નિઃશેષ કરી શકે..આવું મન વિષયક જટિલ જ નહીં પરંતું અસંભવિત કર્મ કવયિત્રી કરતાં લેશમાત્ર ક્યાં  ખચકાય છે ? એ જાણે કે મનનાં જ ઘાસને નહીં સ્વયં શ્રીકૃષ્ણ સમાન નિજ જાતને જ ચરી જવાની ત્રેવડ આ મારા શેર જેમ દાખવતા હોય,એમ લાગે છે. 

‘નથી  હું જાદવો પણ, જાત ચારનારો છું,

ચરાવી શ્વાસનું ધણ, વ્રજ ચરીને આવ્યો છું.’

સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ”ગુરૂ”

જ્યાં આમ વ્રજ ભોમ, મૈયા અને ગૈયાના રૂપમાં  ચીતરાતું હોય,  ત્યાં અવશ્ય કોઈ સુરીલો બંસી બજૈયા હોવાનો જ. એ સંકેતને જુદી રીતે દોહરાવી દેવિકા જી, છેલ્લા શેરમાં વ્યોમ ભોમે ગવાતાં અકળ ગીતોના સુરના સંતર્પક ઓડકાર આમ લે છે.

“હજી વ્યોમ ભોમે છે ગીતો મધુરાં,

મળી જાય કોઈ સુરીલો ગવૈયા.”

આપણે ય આ કવયિત્રીની સુરીલ આત્મ ગવૈયાની શ્રધ્ધાને સીંચીએ તો નિશ્ચે જ આપણી ય આવી ગઝલ પરિક્રમા સધાય.

ખરું ને?

સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ”ગુરૂ”

એ/3 અભિલાષા ફ્લેટ, પાલડી, અમદાવાદ .7

9428907775

********************************************************

કિનારે ઠરેલી જુદી છે આ નૈયા
નવાં કો’ મુકામે, જવાની છે, સૈયા.


ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે.
ને તોયે છે હૈયે, તો તાતા તથૈયા.

હશે શું ને કેવું, નથી જાણ, કંઈ પણ
છે ખાત્રી, સદાની, હશે પાસ મૈયા.


ફિકરની તો હમણાં મેં ફાકી કરી છે.
સ્મરણ-ઘાસ જાણે કે ચગળે કો’ ગૈયા.


હજી વ્યોમ ભોમે, છે ગીતો મધુરાં
મળી જાય કોઈ સુરીલો ગવૈયા.

વિચારું છું..

વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું. 

નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.

જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.

કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.

નગારાં સૌ વગાડે નિજના ચારે દિશાઓમાં,

જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.

આ લોકો….

સપ્ટે.૧૭ ૨૦૨૧..ગુજ ન્યૂઝ લાઈન, કેનેડા

જો તોડો વચન તો ડરાવે આ લોકો,
ને પાળો વચન તો રડાવે આ લોકો. 
 

એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો,
બની ખુદ દિવાલો, ડુબાડે આ લોકો. 
 

 જે ખાલી ચણો છે, તે વાગે ઘણો અહીં,
મદારી બની મન, નચાવે આ લોકો.

પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’

હવે ભૂલતા શીખવાડે આ લોકો.

થયો શાને ઈશ્વર તું પત્થરની મૂરત?

હશે રાઝ એ કે, થકાવે આ લોકો. 

આ કડવી હકીકત, ને છે સાવ સાચી,

શું જાણી ખુદાને, બનાવે આ લોકો! 

અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,

સજાવી ધજાવી, સુણાવે આ લોકો.

મઝાના દ્વાર..

નથી ભગવાન મળતા કે નથી ઈન્સાન મળતા અહીં,
મળે છે તો બધા સંજોગના પૂતળાં જ ફરતાં અહીં.

નથી કોઈ લગામો કે નથી કોઈ પ્રતિબંધો
વિચારો જાણવા કે રોકવા યંત્રો ન જડતાં અહીં.

રહીને રામ પણ પૃથ્વી પરે કૈં ના શક્યાં રોકી,
ઈરાદો મંથરાનો જીરવી વનવાસ ચરતા અહીં.

ખરે છે પાન ને ડાળો પવનની એક ઝાપટમાં
અરે, થાયે ધરાશાયી, તરુવર પણ ઉખડતાં અહીં.

રચે સંસાર સર્જનહાર મૂકી ભાવના ઊંચી,
અગર સાચી મળે કૂંચી, મઝાના દ્વાર ખુલતાં અહીં.

અમાનત છે..

કચકડાંની કરામત છે ને મેક-અપની મરામત છે.
મનુષ્યોની જુઓ કેવી બધે જબરી બનાવટ છે?

નકલ તો જ્યાં જુઓ ત્યાં ત્યાં, અસલની થાય ચોગરદમ
ખપાવે છે ખૂબીમાં પણ, નરી એમાં બગાવત છે.

થતાં કેવાં આ વૃક્ષો બી થકી, એમાંથી નીકળે બી,
મઝાની ખૂબ અફલાતૂન નિયતિની નજાકત છે!

કદી જોઈ છે ધારીને, કે નીરખી છે લઈ હાથે?
અહો, દાડમની આકર્ષક ને મનમોહક સજાવટ છે!

ઘણું સુંદર દીધું એણે, ન દીધી શ્વાસની ચાંપો
વિધાતાની બધે, આ તો ગજબની ક્રૂર શરારત છે!

દઈ દે છે એ મનફાવે ને વીફરે તો લઈ પણ લે
કહે છે તોય એની શાખ તો મોટી  સખાવત  છે !

અહીંની જેમ લાગે છે, હશે ત્યાં પણ મિલાવટ કૈં
મરણની છે રિયાસત કે, જીવન એની અમાનત છે?

દેવિકા ધ્રુવ

સ્વના કિલ્લામાં સૌ છે..

વિશ્વમાં જો, ‘વેબ’ના ‘વીલા’માં સૌ છે.
જેમ પર્ણો, વૃક્ષના વેલામાં સૌ છે. 

વાયુથી ખરતાં આ પત્તાં જોઉં, ને થાય,
કે ફરી મળતા જુદા ઝુલામાં સૌ છે.
 

‘કાગડા કાળા બધે’ જોઈ વિચારું,
કેવાં કેવાં મન તણાં ખીલામાં સૌ છે!

પ્રીતના મીઠાં પદો ગાયા કર્યાં પણ
વાત તો એ છે, ‘સ્વ’ના કિલ્લામાં સૌ છે.
  

આ પરિવર્તનની વાર્તા છે બધીયે,
નહીં તો, ‘દેવી’,ચાતર્યા ચીલામાં સૌ છે.

ખમૈયા કરો..

https://opinionmagazine.co.uk/details/7123/khamayaa-karo-bas

વિપુલભાઈ કલ્યાણીના આભાર સાથે…

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં … ખાસ કરીને ભારતના હાલ જોતાં / સાંભળતા દૂર બેઠેલ મનની વ્યથા ..

ઝલઃ ખમૈયા કરો બસ…

ન કારણ કળાય છે, ન તારણ જણાય છે.
જગત આખું યે એક તાવડે તળાય છે.

ન લાઠી, ન તલવાર, ન કોઈ છે શસ્ત્રો.
છતાં એક યોદ્ધો હજી ક્યાં જીતાય છે?

લડીશું, જીતીશું સહુ એમ કહે છે.
ખરું તો એ છે, લોક અંદર પીસાય છે.

મઝાથી પતંગો નભે ઊડતા’તા.
અચાનક ટપોટપ ઝડપથી કપાય છે.

જરા ના હલાય છે! ન કોઈને મળાય છે.
કાં શ્રદ્ધા ડગાવો? મર્યા વિણ મરાય છે.

શું એ ધર્મ સંસ્થાપનાર્થે ફરે છે?
કસોટી કરે છે? ઘડાઓ ભરાય છે?

સળગતા સવાલો અનુત્તર સમાય છે.
ખમૈયા કરો બસ, મર્યા સમ જીવાય છે.

તર્ક જેવું..


પહેલાં હતું એ જીવન સ્વર્ગ જેવું
હવે તો જુઓ આ જગત નર્ક જેવું!

મળે નિત્ય શિક્ષા ને પાઠો ય નોખા
બધા સાથ બેસી ભણે વર્ગ જેવું
.

તપાસે, તપાવે, ક્ષણેક્ષણ તરાશે.
કરે કેવું કેવું જુદું તર્ક જેવું?

પૂજ્યો’તો બનાવી એ ઈશ્વરને પત્થર.
બતાવી દીધું કંઈ હશે કર્મ જેવું?

મહાયુધ્ધ સામે ને વિષાદ ભારે
હશે આ મહાકાવ્યના સર્ગ જેવું!