ડાયરીઃ નિત્યનીશી

એકાંતે રચાતું ને મનની અંગત વાતો કરતું સાહિત્ય- ‘ડાયરી’

ક્યારેક અચાનક મનમાં કોઈ વિચાર સ્ફૂરી આવે તો ક્યારેક કોઈ સ્મૄતિ સળવળી ઊઠે. આવું કંઇક બને ત્યારે એ વિચાર કોઈ નવું સ્વરૂપ પણ લઈ લે. એ દિવસે સવાર સવારમાં અતિ પ્રસિદ્ધ થયેલી અમારી સામૂહિક ‘પત્રાવળી’ યાદ આવી. એમાંના પત્રો જ્યારે ફેસબુકના પાને મૂકવાનું નક્કી કર્યું ત્યારે એની લોકપ્રિયતાની વાતના અનુસંધાનમાં જુગલકિશોરભાઈ સાથે વાત કરી ત્યારે એનો રાજીપો વ્યક્ત કરવાની સાથે એમણે ‘સામૂહિક ડાયરી’ લખવાનો એક નવો વિચાર રમતો મૂક્યો..અને તરત જ દેવિકાબેન ધ્રુવ અને પ્રીતિબેન સેનગુપ્તાએ ઉત્સાહપૂર્વક સંમતિ દર્શાવી અને મઝાની વાત તો એ બની કે લંડનથી નયનાબેન પટેલ પણ અમારી સાથે રાજીથી જોડાવાં તૈયાર થઈ ગયા અને આમ પાંચ સંપાદકોનું પંચમ બન્યું. આ પંચમ શબ્દ પણ મઝાનો.

હા તો, સૌ પ્રથમ તો નેટ ડાયરીનું સ્વરૂપ કેવું હશે, કેટલા સમયગાળે તેને પ્રગટ કરવું, નામ શું રાખવું વગેરે બાબતની ચર્ચાઓના અંતે નેટ પર ફેસબુકનું નવું પેજ બનાવીને કેવી રીતે પ્રગટ કરવું એ અંગે જુભાઈએ માર્ગદર્શન આપ્યું. પ્રારંભદિન પહેલાં આ સમગ્ર કાર્યની પ્રસ્તાવનારૂપે મઝાનું અને માહિતીસભર લખાણ દેવિકાબેને લખ્યું અને એમાં તો જાણે ડાયરીની ઓળખ છતી થતી ગઈ.

એમના જ શબ્દો અહીં સીધા મૂકવા છે….“‘ડાયરી’ નામે સાહિત્ય સ્વરૂપ અનેક નામથી પરિચિત છે. દૈનંદિની,વાસરી,વાસરિકા,રોજનીશી રોજિંદી, રોજની, નોંધપોથી વગેરે. અંગ્રેજીમાં જર્નલ, ડેબૂક, લોગબુક, ક્રોનિકલ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. એમાં દરરોજની નોંધ રોજ રોજ કરવાની હોય ત્યારે થાય કે રોજ રોજ વળી શું લખવાનું? ને એટલે જ એને માટે રોજની-શી?! એવું એક સ્મિત ફરકાવતું નામ પણ જુગલકિશોરભાઈને જ સૂઝે!“

આ વિશે વધુ ઊંડાણથી વિચારતાં પ્રીતિબહેન સેનગુપ્તાને વળી એક નવું નામ લાધ્યું ‘નિત્ય-નીશી’ અને અમે પાંચ સાથીદારોએ (જુગલકિશોરભાઈ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ અને નયના પટેલ રાજુલ કૌશિક) સ્નેહથી વધાવી પણ લીધું.

“સાહિત્યનું આ સ્વરૂપ વ્યક્ત થવા માટે મઝાનું છે. એનું મઝાનું હોવું ખાસ તો એ કારણસર છે કે એ લખાણો જાત સાથેની જાત્રા સમા હોય છે. ભીતરી અનુભૂતિ કોઈ પણ રૂપે આ માર્ગે વહી નીકળી શકે છે. ડાયરી અંગત જીવનનું એવું સુરક્ષિત સંગીત છે કે જ્યાં વ્યક્તિ પોતાનાં સ્વાનુભવો, સંવેદનાઓ અને વિચારોને સ્થાન આપી શકે છે.

“બીજી મઝાની વાત એ છે કે, ડાયરી લખવા માટે કોઈ ખાસ ધારાધોરણ કે નિયમ ન હોય. ઘણા લોકો હંમેશા નિયમિત રીતે લખે. ઘણાં, કોઈ ખાસ વાત, અવિસ્મરણીય પ્રસંગ કે બનાવ ટાંકવાનો હોય ત્યારે લખે. કેટલાંક વળી હૈયામાં ઘૂમરાતાં મોજાંઓને ડાયરીમાં ઠાલવે, ડાયરીનાં કોરાં પાનાંઓમાં છલકાવે. એ રીતે લખનાર વ્યક્તિનું એ પ્રસંગ કે બનાવ અંગેનું નિરીક્ષણ, વિચારો, અનુભવજન્ય ચિંતન વગેરે મનોભાવો એમાં પ્રગટે છે અને તે કોઈ અન્યને કહેવાતા નથી. બસ, મનની મઢૂલીમાંથી શબ્દોની પાંખે ઊડતા ઊડતા ડાયરીના સિંહાસને સ્થાન લે છે.“

આમ, નિત્ય લખતા રહેવાની ઈચ્છા (નિત્ય-નીશી) આપણને અનાયાસે આપણી નિકટ લઈ આવે છે. વળી એ ગમે ત્યારે ખોલીને વાંચી શકાય અને તસ્વીરોની જેમ સ્મૃતિઓને તાજી કરી આપે છે. એટલે કે રોજનીશી એ લખનારનાં સમય, સ્થળ, આબોહવા, વિચારો, મનોદશા, અને ભૌગોલિક સંગ્રહનું સજાગ આલેખન છે. અમ્બ્રોસ (એમ્બ્રોસ) બીયર્સ નામના એક ચિંતકે કહ્યું છે કે, “ડાયરી વ્યક્તિએ સ્વયં લખેલો રોજિંદો દસ્તાવેજ છે” આપણાંમાંથી ઘણાને ડાયરી લખવાની આદત હોય છે. પશ્ચિમના દેશોમાં ડાયરી લખનારાંને ‘ડાયરીસ્ટ’ કહે છે.“

આ તબક્કે એક વધુ વાત નોંધવી ગમશે. કહેવાય છે કે, ડાયરી લેખનનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આપણા ઋષિમુનિઓ શિષ્યો પાસે લખાવતા. બીજી સદીના ઉત્તરાર્ધમાં રોમન સમ્રાટ માર્કસ ઓરેબિયસે ગ્રીક ભાષામાં લખેલી ‘ટુ માય સેલ્ફ’ને સૌથી પૌરાણિક ડાયરી તરીકે જોવામાં આવે છે. એ ‘મેડિટેશન’ તરીકે પણ ઓળખાય છે. વર્ષ ઈ.સ. ૧૯૦૩ની સાલમાં સંગીતકાર પિતાને ત્યાં જન્મેલી એનીસ નીનની થોકબંધ નોંધપોથીઓમાંથી ચૂંટેલી સામગ્રીના પાંચ ગ્રંથ બહાર પડ્યા છે.

૧૯૦૮માં ‘સ્મિથસન’ કંપનીએ ‘ફેધરવેઈટ’ ડાયરી બનાવી. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝયું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. તે ઉપરાંત રશિયાના મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી અને ફ્રાન્સના નવલકથાકાર આંદ્ર (આંદ્રે) જીદની રોજનીશીઓ પ્રખ્યાત બની છે. આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, મહાદેવ દેસાઈથી માંડીને ઘણા બધા લેખકોએ પોતાની જિંદગીના કોઈ ને કોઈ તબક્કાની રોજનીશી લખી છે.”

આટલી પૂર્વભૂમિકા પછી ‘પત્રોત્સવ’ની જેમ જ હવે ૨૦૨૧ના આ પૂર્વાર્ધ કાળમાં અમે ‘નિત્ય-નીશી’ શરૂ કરી રહ્યાં છીએ.

દર સપ્તાહે એક લેખે પાંચ અઠવાડિયે પાંચેય સંપાદકોનાં ડાયરી-પાનાં પ્રગટ કરવાનું પણ નક્કી થયું. દિવસ ઊગતાથી માંડીને સાંજ-રાત સુધીમાં એક પછી એક પ્રસંગ નજરે કે કાને પડતા રહે છે. આમાંના કેટલાક પ્રસંગો શાંત જળમાં કાંકરી પડે ને જેમ વલયો પ્રગટે તેમ મનને વશ રહેતા નથી ને વિચારો ભાવોને સર્જી બેસે છે.

તે દિવસે જુભાઈએ જે વિચારબીજ વાવ્યું તેને અંકુરો ફૂટી ચૂક્યા છે ! આ નવી શ્રેણીને નેટવાચકો સમક્ષ મૂકવાનો સમય થઈ ગયો છે ત્યારે અમારી ડાયરીનાં આ પાનાં કે જે અમારાં અંગત હતાં તે સૌ વાચકો સમક્ષ મૂકીને સૌની શુભેચ્છા માંગી લઈએ છીએ!!

મુખ્ય શિર્ષકઃ નિત્યનીશીઃ

પ્રીતિ સેનગુપ્તાનું પાનું- ‘આભલું’

દેવિકા ધ્રુવનું પાનું- ચંદરવો’

નયના પટેલનું પાનું- ‘ગોરજ ‘

રાજુલ કૌશિકનું પાનું – ‘રજકણ’

જુગલભાઈનું પાનું -‘ તરંગ’.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s