ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ:અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ
તા.૨૭મી મેના રોજ, ઑસ્ટીન પાર્કવે,સુગરલેન્ડના કોન્ફરન્સ સેન્ટરમાં, સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૯૭મી બેઠક યોજાઈ અને ઉજવાઈ.
લીલાંછમ્મ પાંદડા પર મઘમઘ મહેંકતા, ઝીણાં ઝીણાં શ્વેત ફૂલોની ડીઝાઈનથી શોભતા આ માતૃભાષાના માંડવે,સવારના અગિયાર વાગ્યાથી જ સેવાભાવીઓની ચહલપહલ શરૂ થઈ ચૂકી હતી. બરાબર બાર વાગે પ્રીતિભોજનને ન્યાય આપી નિર્ધારિત સમયે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને શ્રી ગીરીશ વ્યાસ
જૂઈમેળાના પ્રણેતા અને પ્રતિભાશાળી કવયિત્રી ડો. ઉષાબહેન ઉપાધ્યાયની હાજરીમાં, ભાવનાબહેન દેસાઈના સુમધુર કંઠે સરસ્વતીની પ્રાર્થનાના સૂરો રેલાયા. સંસ્થાના પ્રમુખ શ્રી ફતેહઅલી ચતુરે, આજના ‘મેમોરીઅલ ડે’ને અનુલક્ષીને વિશ્વભરના શહીદોના સ્મરણ સાથે, કાવ્યાત્મક રીતે મહેમાનનું સ્વાગત કર્યુ, ઉપપ્રમુખ શૈલાબહેન મુનશાએ મહેમાનનો સુંદર રીતે સવિશેષ પરિચય આપ્યો અને સૂત્રધાર દેવિકાબહેન ધ્રુવે ‘મોસમ આવી છે સવા લાખની’, કહી ઉમળકાભેર ઉષાબહેનને તેમના સાહિત્યિક વક્તવ્ય માટે મંચ પર આમંત્ર્યા.
ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.ઉષાબહેને ગૌરવવંતા અને પ્રસન્ન ચહેરે સૌનું સ્વાગત કરી વક્તવ્યનો આરંભ કર્યો. સૌથી પ્રથમ તો જૂઈમેળાની પૂર્વભૂમિકા, નામકરણ અને પ્રસારની રસપ્રદ માહિતી આપી. પુરોગામી સ્ત્રી લેખિકાઓના ઊંડા સંશોધન પછી તૈયાર કરેલા પુસ્તકો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’, ‘રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’અને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ ‘અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા’ની સવિશેષ માહિતી આપી. સાથે સાથે તેમણે પુરોગામી કવિઓની ઉત્તમ પંક્તિઓ ટાંકી કવિતા એટલે શું?, કાવ્યત્ત્વ કેવું અને ક્યાં ઝબકતું હોય છે તે તથા કાવ્યસર્જનની પ્રક્રિયા વગેરે સ્વાનુભવો સાથે સુપેરે સમજણ આપી. રવિન્દ્રનાથ ટાગોર, ખલીલ જીબ્રાન, રમેશ પારેખ,રાજેન્દ્ર શાહ વગેરેના ઉલ્લેખ વખતે, તેમના ચહેરા પરનો સાહિત્યપ્રીતિનો હિલ્લોળ શ્રોતાઓને પણ ભીંજવતો હતો અને ખૂબ આનંદ આપતો હતો.
૧.ભાવના દેસાઈ ૨.સૂચી વ્યાસ ૩.પ્રવીણા કડકિયા ૪.શૈલા મુન્શા ૫.દેવિકા ધ્રુવ.૬.અવની મહેતા.
કાર્યક્રમના બીજાં દોરમાં ડો.ઉષાબહેનની ઇચ્છા મુજબ કેટલાંક સ્થાનિક સર્જકોની કૃતિઓ રજૂ કરવામાં આવી. નોર્થ અમેરિકાની લીટરરી એકેડેમી અને સાહિત્ય સંસદના સભ્ય શ્રીમતી સુચીબહેન વ્યાસે ‘બા’નું એક સુંદર રેખાચિત્ર વાંચી સંભળાવ્યું. પ્રવીણાબહેન કડકિયાએ તાજેતરમાં બનેલી સુરતની દુઃખદ ઘટના વિશેની વેદના અછાંદસ કૃતિરૂપે રજૂ કરી. તે પછી સૂત્રધારે આ ‘જૂઈમેળા’શી બેઠકમાં મોગરાની મહેંક પણ ભેળવી છે કહી, સ્ત્રી-પુરુષની સમાનતાના પ્રતીકરૂપે ભાઈઓને પણ આવરી લીધા. તે રીતે ‘ચમન ‘ તખલ્લુસથી લખતા શ્રી ચીમનભાઈ પટેલે પોતાની ખૂબ જાણીતી થયેલી હળવી રચના:
‘નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીધા! સેલ-ફોન પર શાક્ભાજી પણ વેચતા કરી દીધા! સંભળાવી જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધી. ત્યારબાદ પ્રસન્નવદના શૈલાબહેને ‘કોઈ રાહ બની તો કોઈ રાઝ બની ધબકે છે,સમજો તો કોઈ આશ બની ધબકે છે’ રજૂ કરી.
તે પછી દેવિકાબહેન ધ્રુવે, ચંદ્ર પરથી નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા લેવાયેલ તસ્વીર જોઈને લખેલ એક ગઝલ ‘પૃથ્વી વતન કે’વાય છે.’ પ્રસ્તૂત કરી જેમાંનો એક શેર :
‘હું કોણ છું ને ક્યાંનો છું , પ્રશ્નો નકામા લાગતા,આજે જુઓ આ વિશ્વનું પૃથ્વી વતન કે’વાય છે’દ્વારા શ્રી ઉમાશંકરભાઈનો વિશ્વમાનવનો ભાવ પ્રગટ કર્યો.ત્યારબાદ નાસાના સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો. કમલેશ લુલ્લાએ તે વિશે બે શબ્દો કહી સભાની શાન વધારી. તે પછી સાચા સાહિત્યપિપાસુ અને નાટ્યપ્રેમી શ્રી ફતેહ અલીભાઈએ કવિ શ્રી રઈશ મનીઆરની હઝલ યાદ કરી અને હિન્દી કવિ શ્રી અશોક ચક્રધરની એક અતિ ટૂંકી રચના ‘ खाल मोटी है’ રજૂ કરી. સમય ઝડપથી સરતો જતો હતો.
સભાના ત્રીજા અને મહત્વના દોરમાં ડો. ઉષાબહેને કવિતાનો રસથાળ પ્રેમથી ધરી દીધો. ગીત,ગઝલ અને અછાંદસ રચનાઓથી બેઠક છલકાઈ ગઈ.વરસાદના આરંભથી ઉઘાડ સુધીના દ્રશ્યોને ખડાં કરી દેતી ‘જળબિલ્લોરી’ની રજૂઆત કરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી. અને કેટલાંક કાબિલેદાદ શેરઃ
‘ન માનો એમ અમે હારી જવાના, ભલે આપો પથ્થર તરાશી જવાના.’,
‘મળ્યું ઘર ગાર-માટીનું ને દીવો શબ્દનો બળતો.
ગયા ભવનો ચરુ ઉકળે, કવિતા એ જ સરજાવે.’ અને
એ સહુને પોતાના ગણે છે,વેદના હર દિલમાં વસે છે.
ખાસ નાતો હશે અમારે,દૂર જઈ ક્યાં વસે છે? તથા
‘છે એ જ નિયમ દૂનિયાનો કે જો હેમ બનો તો તાવે છે’..વગેરે શેર એક અનોખા અંદાઝમાં રજૂ કર્યા.
તે ઉપરાંત લયઝરતા ગીતો જેવાં કે ’પાંદડી’,’સોગાતમા’, ‘મેશ’ અને ‘ઊંટ’જેવી ગંભીર રચનાઓ, તો કેટલીક ‘ફોન’, ‘રેવા’ અને ‘તાજા કલમ ‘જેવી અછાંદસ કવિતાઓ પણ પ્રસ્તૂત કરી. અંતમાં સમયને નજર સામે રાખી ‘પ્રચંડ ચંડ આંધીએ’ જેવી ‘શિવરાત્રી’ જાણે પવિત્ર સ્તોત્ર જેવી લયબધ્ધ કવિતા સંભળાવી.. કેટલાંક ગીતોની પંક્તિઓ હજી કાનમાં ગૂંજે છે કે ‘પાથરણું પાથરીને બેઠી’તી પાંદડી, પિત્તળનું બોઘરણું પાસે મૂકી.’ આમ,અતિ સહજ અને સરળતાથી કાવ્યાનંદ આપી આ સાક્ષર કવયિત્રીએ સૌનો આભાર માની,ભારતમાં થનાર આગામી ‘જૂઈમેળા’ની વિગતો આપી પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
અંતમાં, સંસ્થાના ખજાનચી શ્રીમતી અવનીબહેન મહેતાએ સૌ સભ્યો,સહાયકો,Food sponsor શ્રી કીરીટભાઈ ભક્તા અને શ્રોતાઓનો આભાર માન્યો. સાહિત્ય સરિતાની કમિટીએ સાથે મળી ઉષાબહેનને સન્માન પત્ર, સંસ્થાના ઈતિહાસની ઝાંખી કરાવતું પુસ્તક અને ખાસ તો ડો. કમલેશ લુલ્લાના સૌજન્યથી, હ્યુસ્ટનની Fort bend County Judge Proclamation Award અર્પણ કર્યો.
હ્યુસ્ટનના કેટલાંક આગામી કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી.
ગુ.સા.સ.ના સભ્યો અને મહેમાનો
આમ, ગરવા ગુજરાતી અને બિન-ગુજરાતી શ્રોતાઓની મધ્યે માતૃભાષાની ગાથા ગૌરવભેર ગવાઈ. મોસમ પણ મઝાની હતી. ‘સરિતાને તીર એવો ઉમટ્યો’તો મેળો, જાણે ઉપવનમાં મ્હેંકતો જૂઈનો વેલો’ એવા ભાવ સાથે સામૂહિક તસ્વીર લેવામાં આવી અને સૌ કાવ્યના આનંદ અને સંતોષ સાથે સાંજે ૪ઃ૦૦ વાગ્યે વિખેરાયા.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
Email: Ddhruva1948@yahoo.com
દેવિકાબેન,
મોગરાના ફૂલોની સુવાસની જેમ આપનો આ અહેવાલ પણ, સાહિત્ય સરિતાની સાહિત્યિક સુગંધ સર્વે ફેલાવશે એ ચોક્કસ!
ટોપલો ફરી (બીજા સુજ્ઞ સભ્યો વતી) આભાર.
‘ચમન’
Chiman Patel ‘chaman’
Note:
To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.
http://chimanpatel.gujaratisahityasarita.org/
http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
http://pustakalay.com/kavita.pdf
https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/
”
________________________________
LikeLiked by 1 person
સરસ અહેવાલ પીરસ્યો .
LikeLiked by 1 person
જૂઈની જેમ જ “જૂઈમેળા”નો પમરાટ દેશ-વિદેશમાં પથરાતો જાય છે અને એનાથી ગુ.સા,સ પણ ચોક્કસ મહેંકી જ ઊઠ્યું હશે.
LikeLiked by 1 person
તમારો અહેવાલ વાંચતા તો જાણે દુર રહીને પણ મીટીંગ માણ્યાનો આનંદ અનુભવ્યો! આ તો તમારી લેખન શૈલીનો જાદુ છે!
LikeLiked by 1 person