સ્મરણની શેરીમાંથી-૧૪

                                        (૧૪)

ન્યૂયોર્ક જેવા શહેરની કાતિલ ઠંડીમાં પાર્ક એવન્યુ પરના બિઝનેસ વિસ્તારમાં ચાલતાં ચાલતાં “બેંક ઓફ બરોડા’નું પાટિયું વાંચતા જ મોં મલકી ઊઠ્યું.  મનમાં થયું કે જરી બે ચાર ભારતીયોને જોઉં, વાત કરું તો સારું લાગે. આમ તો ‘૮૦ની સાલ સુધીમાં ઘણાં ભારતીયો અહીં આવી ચૂકયાં હતાં અને કદીક રસ્તે જોવા મળતા પણ હતાં છતાં આજના જેટલાં તો નહિ જ! બેંકનું બારણું ખોલી અંદર ગઈ. ‘Jobs availability છે કે કેમ તે પૂછવા માટે સીધી મેનેજરને જ મળી. મને ખબર ન હતી કે મનની આ આખી યે પ્રક્રિયા જીંદગીની એક મહત્વની તક હતી!

મારા આશ્ચર્ય વચ્ચે એ દક્ષિણ ભારતીય મેનેજરે બેસાડી, અભ્યાસ,અનુભવ વગેરે વિશે ઈન્ટરવ્યુ જેવી પૂછપરછ કરી. એટલું જ નહિ, પોતે સંસ્કૃતના રસિયા હોવાથી અને હું સંસ્કૃતમાં સ્નાતક હોવાથી, એક શ્લોકનો અનુવાદ પણ પૂછ્યો. “આકાશં પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ”..આ તો મારો માનીતો શ્લોક હોવાથી મેં  તો વિગતે જવાબ આપ્યો. એ વિશે વધુ ઊંડાણમાં ચર્ચાઓ કરતા કરતા તેમણે વચ્ચે વચ્ચે, સિફતપૂર્વક મારા એકાઉન્ટસના અનુભવો વગેરે અંગે પણ ખાતરી કરી લીધી. મને ખબર પણ ન પડી એ રીતે સાચે જ મારો ઈન્ટરવ્યુ લેવાઈ ગયો. કશી પણ તૈયારી વગર બસ,એમ જ .. અને પરીણામે  જોબ મળી પણ ગઈ!! અનહદ આશ્ચર્ય અને અતિશય આનંદ હ્રદયમાં ભરી હું ઘેર આવી. બસ, ત્યારથી બરાબર ૨૩ વર્ષ સુધી બેંકમાં ખંતથી કામ કર્યું, પ્રગતિ કરી,સિધ્ધિઓ પ્રાપ્ત કરી. ક્લાર્કમાંથી સુપરવાઈઝર, સબ મેનેજર સુધી પહોંચી શકાયું.

 એ ૨૩ વર્ષ દરમ્યાન સહકાર્યકર,મેનેજર્સ, એકાઉન્ટ હોલ્ડર્સ, દેશવિદેશની અન્ય શાખાઓના સ્ટાફ મેમ્બર્સ વગેરે મળીને કંઈ કેટલાંયે લોકોના સંપર્કમાં આવવાનું થયું. ઘણાં બધા ચહેરાઓ નજર સામે હસતા તરવરે છે. ગઝલકાર શ્રી આદિલ મનસુરીને પણ બેંકના એક ‘ક્લાયન્ટ’ તરીકે મળવાનું થતાં અહીંથી જ નિકટનો પરિચય થયો. જુદા જુદા વ્યક્તિત્વ અને મનોભાવોને સમજતા શીખવાનું પણ અહીંથી વધુ મળ્યું. કેટલાંક સંબંધો આવ્યા અને ગયા, કેટલાંક સંપર્કો થોડા વર્ષો રહ્યા અને કેટલાંક હજી આજ સુધી ચાલુ રહ્યાં. સ્મૃતિના ડબ્બામાં ઘણું બધું હજી તાજું છે, અકબંધ છે. બેંકના જ કામે Bahamasની offshore branch, Nassauમાં  વર્ષ ૨૦૦૩ના માર્ચ મહિનાના closingના કામે બે અઠવાડિયા માટે જવાનો લાભ મળ્યો. તે ઉપરાંત, યુએસ. બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે, Overseas Training દરમ્યાન ભારતની જુદી જુદી શાખાઓમાં ફરવાનું પણ મળ્યું, આમ, ઘણું બધું શીખવાનું મળ્યું. બેંક ઓફ બરોડામાં ભારત દેશના જુદા જુદા પ્રાંતના લોકો કામ કરતા હોવાથી એમ અનુભવાતું કે અહીં આખું ભારત શ્વસે છે.

એ સમયનો શરૂનો ગાળો જીવનમાં ઘણો અગત્યનો હતો. ત્રણ વર્ષમાં તો અમે ન્યૂજર્સી સ્થળાંતર કર્યું.,ત્યાંના Iselin નામના નાનકડાં સુંદર ગામમાં. ત્યારે ત્યાં માત્ર એક જ ઈન્ડિયન સ્ટોર હતો, અને એક જ મંદિર. અત્યારે તો ત્યાં માઈલોના વિસ્તારમાં માત્ર ભારતીયો જ વસે છે. એક લીટલ ઈન્ડિયા ઊભું થઈ ગયું છે!! ત્યાંની John F Kennedy Schoolમાં બંને દીકરાઓ ભણ્યાં. ગ્રેજ્યુએટ થયા, સ્પોર્ટ્સમાં આગળ આવ્યા અને પોતપોતાના માટે, અમારી જેમ જ સારા પાત્રો શોધ્યાં, પરણ્યા અને સરસ રીતે, સીધી રાહ પર ચાલી સ્થાયી થયાં. એટલું જ નહિ કુટુંબની નજીકની વ્યક્તિઓને ભારતથી બોલાવી, સ્થાયી થવામાં તન-મનથી સહાયરૂપ બન્યાં. ખંત, મહેનત અને ઉમદા આશયથી સૌ પગભર થઈ શક્યા તેનો સંતોષ આજે ઘણો છે.

ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઘણાં સારા મિત્રો મળ્યાં. સૌની સાથે હર્યા, ફર્યાં, માતપિતાને પણ અવારનવાર બોલાવ્યાં અને સાથે સંયુક્ત કુટુંબના લાભ પરસ્પર માણ્યાં. ભાઈબહેનો સાથે પણ સ્નેહનો તાર અતૂટ રહ્યો. અમેરિકન સ્કૂલમાં ભણતા દીકરાઓ પાસેથી ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યુ. પડોશ પરદેશીઓનો હોવા છતાં સારો સાથ મળ્યો. ઘણીવાર વિચારું છું કે અમેરિકન પ્રજા પાસેથી વિવેક અને શિસ્ત એક એવી શીખવા જેવી જરૂરી બાબતો છે કે જો આપણા દેશમાં અમલી બને તો અડધી શાંતિ થઈ જાય અને આબાદી વધે. જેનામાં જે સારું છે તે ગ્રહણ કરવામાં નાનમ ન હોવી જોઈએ. તેની ખોટી બાજુઓ સાથે આપણને શું નિસ્બત? ઘઉંમાંથી કાંકરાની જેમ બાજુએ મૂકી જે જરૂરી છે તે રાખી લેવાય ને? નકામા કાગળિયાઓને ફેંકી ટાંકણી કાઢી લેવાની!!

આમ, તો એ વાત સાચી જ છે કે, અમેરિકા એક લપસણી ભૂમિ છે. ખાસ કરીને યુવાન વર્ગ માટે. પણ એ જાણી લીધા પછી લપસણી ભૂમિ પર સાચવીને પગ મૂકવાનો વિવેક વાપરવો જોઈએ. કોઈ પ્રલોભનોની મેનકા એમાં ન પ્રવેશે તે તકેદારી આપણા સિવાય કોણ રખાવી કે રાખી શકે? સાચું શિક્ષણ એ છે. ડીગ્રી અને ભણતર તમને અર્થ-ઉપાર્જનમાં મદદ કરશે. પણ ગણતર અને ઘડતર તમને સાચું જીવન જીવાડી જાણશે. યાદ રહે કે, Money is necessary but it is not the definition of happiness. A King can have world’s wealth but he may not be the happy human being. Whereas a poor person can sleep on the road peacefully. આપણા વડદાદા-દાદી બહુ ભણેલાં ન હતાં પણ સરસ જીવન જીવી શકવા માટે સક્ષમ હતાં. મારા દાદી વિશે તો એમ કહેવાતું હતું કે તેઓ સ્ત્રી દેહે પુરુષ હતા.

આ બધું લખવા પાછળ જે કહેવું છે તે એ જ કે પ્રેમ અને શાંતિથી સરસ જીંદગી જીવો અને ભોગવો. કેવી રીતે? એ દરેકના પોતાના જ હાથમાં છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, વિધાતા આપણા હાથની રેખાઓને ખૂબ ઝાંખી દોરે છે કે જેથી કરીને તમે પોતે તેમાં મનગમતો આકાર ઉપસાવી શકો. ૠતુઓ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો અને સ્થિતિઓ બદલાય છે પણ માણસે પોતે મનને સતત એવું સ્થિર રાખવાનું હોય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ટટ્ટાર વૃક્ષની જેમ અડીખમ રહી શકે. અને હા, આ બધું કેમ કરવાનું એવો પ્રશ્ન કદાચ થાય તો જવાબ એટલો જ કે આપણી પોતાની શાંતિ માટે કરવાનું. મનમાં શાંતિ હોય તો  જ અને ત્યારે જ જીવન અને જગત બધું જ સુંદર લાગશે; જન્મ સફળ થયાની અનુભૂતિ થશે..

સ્મરણોની આ રફતાર આગળ ચાલતી રહેશે…આપમેળે..પોતીકી રીતે…

કદીક કથની,કદીક માત્ર અનુભૂતિ તો કદીક નર્યા ચિંતનનાં ઝરણાં રૂપે…દર ગુરુવારે..

આજની ક્લીપઃ

ન જવાબ છે, ન સવાલ છે.
ન પૂછો કશી શી કમાલ છે..

7 thoughts on “સ્મરણની શેરીમાંથી-૧૪

  1. સમય બદલાય છે, સંજોગો અને સ્થિતિઓ બદલાય છે પણ માણસે પોતે મનને સતત એવું સ્થિર રાખવાનું હોય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ટટ્ટાર વૃક્ષની જેમ અડીખમ રહી શકે/ most difficult to put in yo practice but most useful tip to implement to live long lasting peaceful life.

    Liked by 2 people

  2. ‘ખાસ કરીને યુવાન વર્ગ માટે. પણ એ જાણી લીધા પછી લપસણી ભૂમિ પર સાચવીને પગ મૂકવાનો વિવેક વાપરવો જોઈએ. કોઈ પ્રલોભનોની મેનકા એમાં ન પ્રવેશે તે તકેદારી આપણા સિવાય કોણ રખાવી કે રાખી શકે? ‘ અમારા કુટૂંબને તો સચવાયું પણ સ્નેહીઓમા મેનકા, છુટાછેડા ઉપર્રાંત, ડ્રગ , આપઘાત…મા પણ સપડાયા ! એક કોલેજમા આ અંગે અધિકારીનું ધ્યાન દોરતા એમણે લાચારી બતાવી !તમારી બેંક ની સફળ કારકાર્દી સિવાય જીવનની બધી સફળતા બદલ ધન્યવાદ અને આ બધું છતા તમારો પ્રેમાળ સ્વભાવ અને ઓછા નસીબદારને મદદની ભાવનાને સ્નેહ વંદન

    Liked by 1 person

  3. કેટલાક ઈમેઈલ થકી પ્રતિભાવોઃ આભાર સહ..
    ૧. Suman Shah
    To:Devika Dhruva
    May 9 at 9:08 AM
    તમારી આ શ્રેણી માહિતીસભર અને સુવાચ્ય રહી છે. અંગતતાની ભૂમિકા છે એટલે રસપ્રદ તો છે જ પણ વાચકોને પ્રેરણા આપે એવી પણ છે. મજામાં હશો. સ-સ્નેહ…સુમન શાહ.
    ૨. GAURANG DIVATIA
    To:Devika Dhruva
    May 9 at 11:13 PM
    સરસ. શબદ અને સૂરનો સહિયારો આનંદ.
    ૩. Jitu
    To:Devika Dhruva
    May 9 at 10:46 AM
    I was about to write you an email to tell you how very much I miss your emails. And to my sweet-est surprise I received these extremely interesting and so well written memories of your life in India and here in America ! I do not have words to thank you enough for this literary treat. Being a graduate with Sanskrit as a a major subject, (And FIRST PRIZE WINNER in Sanskrit speecchcompetition ) your command on Gujarati language is superb! Yoiur fantastic sense of humor makeseverything so pleasant that one just wants to keep reading incessantly. Pleae keep writing and please keep me on your email list.
    Jitu.

    Like

    • મંદિર પવિત્ર નથી. જે પવિત્ર છે તે મંદિર છે. તમને અમેરિકા જવાની તક મળી અને સમૃધ્ધિ વચ્ચે તમારી આંતરિક ચેતનાઓને હરહમેંશા ચેતાવતા રહીને ચેતનાઓની પ્રદિપ્તી જે રીતે વધારી તે વાત શારદા સરસ્વતી જેવી ધન્યતા ભરે છે. સંસ્કારોની દાત્રી સમૃદ્ધ હોય તો ચારિત્ર્ય સભર વીરો ઓછા ન હોય.
      હું અમેરિકા રહ્યો છું પરંતુ મને ફાધર વોલેસ નઝરમાં સતત રહેલા છે જેમણે યુરોપનો દેશ છોડી ભારતની સેવા કરી છે. તમે પણ સ્વદેશ પ્રતિ તમારો ઋણ ભાર અદા કરશો ત્યારે અત્યારે છે તેથી વધુ ધન્યતા અનુભવશો.
      ખુબ સ્નેહાશીશ ને અભિનંદન.
      કિશોર ઓઝા ~ મુંબઇ ૧૧.૫.,’૧૯.

      Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s