એકાંકી નાટક-‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’ 

સ્થળ– ‘ધર્મયુગ’ કોલોનીનું એક નિવાસસ્થાન.

કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.

 શિર્ષક : વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં

પાત્રો

વિનોદ ભટ્ટ– .

યમરાજાની પત્ની યમી-

ચિત્રગુપ્તની પત્ની- ચિત્રા-

હાસ્ય લેખકોઃ જ્યોતિન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા- 

કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.

નાટ્ય રૂપાંતરઃ રાહુલ ધ્રુવ, દેવિકા ધ્રુવ અને  સહાયક બધાં જ પાત્રો

સૂત્રધાર—  દેવિકા ધ્રુવ..

_____________________________________________________________________

 પ્રથમ દૃશ્ય


સાંજનો સમય છે. શ્રી વિનોદ ભટ્ટ ‘ધર્મયુગ કોલોની’માં આવેલા પોતાના નિવાસસ્થાને બેઠા છે. ઢળતી સાંજના આછા અંધારામાં ઓરડામાં કંઈક હલચલ થતી જણાય છે, કોઈ આકૃતિ આવતી દેખાય છે. અને…વિનોદ ભટ્ટ પૂછે છેઃ

****************************************************************************************************

વિનોદ ભટ્ટ–  કોણ? કોણ છે?

યમી– હું યમી..

વિનોદ ભટ્ટ.- યમી?  કોણ યમી??  કાંઈ ઓળખાણ નથી પડતી.

યમીઃ હું યમરાજની પત્ની યમી.

વિનોદ ભટ્ટ -ઓહોહો… પણ તમે ક્યાંથી? હું તો યમરાજની રાહ જોતો હતો!!

યમીઃ. તમે લોકોને બહુ એન્ટરટેઈન કર્યા એટલે તમારા માટે યમે મને મોકલી!

વિનોદ ભટ્ટ -લો કહો ત્યારે… આપણે તો અહીંથી જ સ્વર્ગલોક શરુ. કર્મના ફળની વાત સાચી હોં.

 યમી-  આ ઘોર કલિયુગમાં તમે ધર્મયુગકોલોનીમાં રહો છો? કમાલ છો !

વિનોદ ભટ્ટ– કેમ એમાં શુ? હસે અને બીજાને હસાવે તે ઘર વસાવે. એનું નામ ‘ધર્મયુગ’.. અરે, તમને પણ હસાવીને પેટ

દુઃખાડી દઉ. કરવો છે અખતરો?

યમીઃ હા, હા, ચાલો મારી સાથે..તૈયાર છો ને?

વિનોદ ભટ્ટ– યમી….એક મિનિટ હોં.. ઊભા રહો. આ ઘર અને  બીજાં બંગલાવાસીઓને છેલ્લી એક વાર જોઈ લઉં?

યમીઃ રહેવું છે હજી થોડાં વર્ષ ? લાગવગ લગાડું? વોટ્સેપ પર મેસેજ મોકલી દઉં?

વિનોદ ભટ્ટ -ના, રે ના, હવે બહું થયું, કૈલાસ ગઈ, હમણાં નલિની ગઈ, તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને યમી..તમને   જાણીજોઈને બેન નથી કહેતો. નહિ તો પાછા આપણને એન્ટરટેઈન કરવાની અગવડ પડી જાય! હં… તો હું એમ કહેતો હતો કે…અરે..( માથું ખંજવાળતાં) શું કહેતો હતો…આ તમને જોઈને ભૂલી ગયો બધું.

 યમીઃ તમે એમ કહેતા હતા કે, જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે

વિનોદ ભટ્ટ -હા તે બધાનેય મળવું છે અને અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. ચાલો, તમતમારે… આપણે રેડી છીએ.”

યમીઃ  ઊભા રહો, જરા ગાંઠિયા ખાઈ લઉં.

વિનોદ ભટ્ટ- હા, એ પહેલું હો.. ગાંઠિયા અને ચહા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે.  

યમીઃ (હસીને) પાડો નથી,પાડી છે.. તમારે માટે બધી જ સ્ત્રીઓ!

વિનોદ ભટ્ટ —આ તમારી પાડીને તો ગાંઠિયા નથી ખવડાવતા ને ! “

યમી હસી પડી., ના, ના, પાડી તો લીલા ઘાસ વિના બીજું કશું ખાતી નથી.

વિનોદ ભટ્ટ-, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતી થઈ જશે.

દૃશ્ય 

સૂત્રધાર—(આમ  વિનોદ ભટ્ટ યમીની પાછળ પાડી પર બેસીને, મજાક કરતા કરતા યમલોકમાં પહોંચે છે..)

યમીઃ લો, તમે અમારા લોકમાં આવી પહોંચ્યા હવે. અરે, ચિત્રા,ઓ ચિત્રા …(બૂમ પાડી બોલાવે છે.)

યમી-( વિનોદ ભટ્ટને ચિત્રાને સોંપતાં કહ્યું-) આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.

વિનોદ ભટ્ટ-.– આ ચિત્રા વળી કોણ છે?

યમીઃ યમની યમી અને ચિત્રગુપ્તની ચિત્રા ! તમારો બધો હિસાબ જોશે.

(ચિત્રાએ મોટો ચોપડો કાઢ્યો._)
 

ચિત્રા– નામ ?

વિનોદ ભટ્ટ –“વિનોદ”

ચિત્રા–“કેવા ? “

વિનોદ ભટ્ટ –“એવા રે અમે એવા”

ચિત્રા-“એમ નહીં,જ્ઞાતિએ કેવા ?”

વિનોદ ભટ્ટ –” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “

ચિત્રા–અરે, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ ૬૭૫૮૩ છે.”

વિનોદ ભટ્ટ—( હસીને કહે છે)  હવે ૬૭૫૮૨ થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”

ચિત્રાએ ચોપડો ફંફોસવા માંડ્યો.

ચિત્રા–” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”

વિનોદ ભટ્ટ..કેમવધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”

ચિત્રા—( થોડી) અકડાઈ, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં, પણ સાંભળો.. ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”

વિનોદ ભટ્ટ-_( ચિત્રાના ખભા પર હાથ મૂકીને) જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”

ચિત્રા— (ગળગળી થઇ) સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે, હોં.. 

વિનોદ ભટ્ટ –(આંખ મીંચકારી) તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો. 

ચિત્રા–સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે. 

વિનોદ ભટ્ટ –અચ્છા તો તમે ગુણવંત શાહને પણ વાંચ્યા એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરશો.. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો સંપાદકને તકલીફ પડે. 

ચિત્રા—સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબની વ્યક્તિ અને તે પણ તમારા જેવા ખાસ

માણસોને માટે જ.. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.

 ચિત્રા— (પોતાના નાક પર આંગળી મૂકીને કહે છે) હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.

(ચિત્રાને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે)

વિનોદ ભટ્ટ —- તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.

ચિત્રા–(ચશ્માં સરખાં કરતાં)– એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”

વિનોદ ભટ્ટ (હસતાં હસતાં)–એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…

ચિત્રા (હસતાં હસતાં),” બોલો, નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”

વિનોદ ભટ્ટ –વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?

ચિત્રા–“ના, અહીં સાહિત્ય એકેડેમી કે સાહિત્ય પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”.

વિનોદ ભટ્ટ –તો યાર, ત્યાં લઈ લો. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તોદિવ્યભાસ્કરમાંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”

ચિત્રા–“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”

વિનોદ ભટ્ટ ––“ના, ના. ” જરા ઉભા રહો, આ વોટ્સેપ જોઈ લઉ.

(બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રા પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,)”

ચિત્રા મારો પણ વોટ્સેપ આવ્યો, લો. (વાંચતા વાંચતા) તમને જ્યોતિન્દ્ર દવે,તારક મહેતા,બકુલ ત્રીપાઠી યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”

દૃશ્ય-૩


 સૂત્રધાર–(ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે, લતાઓ, વનલતાઓ, અનેક પ્રકારના છોડ, વિવિધ
પ્રકારનાં પુષ્પો અને લીલાંછમ પાનથી શોભતાં વૃક્ષોથી વાતાવરણ છલકાઈ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે વિનોદભાઈને  ભાવથી આવકારે છે.)

 

જ્યોતિન્દ્ર દવે–“આવો, વિનોદ આવો,” (જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.)

વિનોદ ભટ્ટ —બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? (વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”)

જ્યોતિન્દ્ર દવેના રે ના નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” અમે યુનિયન નથી કર્યું હો ભઈલા…..

બકુલ ત્રિપાઠી(વિનોદભાઇના દેહ પર નજર કરતાં) વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ”

વિનોદ ભટ્ટ -“બકુલભાઈ, સૂકાઈ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”.

બકુલભાઈ—( હસતાં હસતાં જવાબ ) તમે અહીં આવવાના હતા એટલે…બાકી આમ તો થોડી વધી હતી!

તારક મહેતા—( વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી)—વિનોદભાઈ, સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”

વિનોદ ભટ્ટ —.”તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં પરમેનેન્ટ મજા નથી હોતી ?”

જ્યોતિન્દ્રભાઇ –“પહેલા એવું હતું, પણ હવે વોટસેપ અને ફેઈસબૂકને કારણે સ્થિતિ બદલાઇ ગઈ છે.

તારક મહેતા – સારુ, સારુ.. એ વાત જવા દો. હવે એમ કહો કે રતિલાલ બોરીસાગર ત્યાં કેમ છે?

વિનોદ ભટ્ટ.—“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. બાબા રામદેવનું શીખવાડેલું શવાસન અને કપાલભાતિ દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં ૩૦-૩૫ વરસ અહીં આવે તેમ લાગતું નથી!”

જ્યોતિન્દ્ર –એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ.( થોડી વાર વિચારી)
 જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, હરનીશ જાની આ બધા લખી રહ્યા છે. વિનોદ્ભાઈ, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું ૭૮એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા ૮૭માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી ૭૭મેં આવ્યા. મધુસુદન પારેખ ૮૫ વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને ૮૦ થઇ ગયાં છે, પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.

બકુલભાઈ–” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો”

ચિત્રા, વિનોદ ભટ્ટ સાહેબ… કૈલાસબહેન અને નલિનીબહેન પણ અહીંયા જ છે.

વિનોદ ભટ્— ઓહોહો…ઓહોહો…લાગવગ લગાવો ત્યારે. મને ત્યાં જ લઈ જાવ ને ભાઈ.

ચિત્રા—ચાલો,ચાલો લઈ જાઉં. એ લોકો પણ તમને યાદ કરી રહ્યાં છે.

વિનોદ ભટ્ટ  (ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે)_ હાશ.. ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.

પરમ શાંતિ… 

સ્ટેજ પર અંધકાર છવાય છે અને પડદો પડે છે. 

 

સૂત્રધાર—અને… વિનોદ ભટ્ટ  આ રીતે શાંતિથી સ્વર્ગલોકની મઝા માણે છે…

———————————————————–
પોઝિટિવ મિડિયા.. રમેશ તન્નાના લેખ પરથી નાટ્યરૂપાંતર

 

16 thoughts on “એકાંકી નાટક-‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’ 

  1. દેવિકાબેન, આપ કવયિત્રી તો હતા જ. સારા લેખક અને ચિંતક પણ છો. હવે નાટ્યલેખક અને નાટ્યરૂપાંતર ક્ષેત્રે પણ આપ પ્રગતિ સાધી રહ્યા છો એ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવરૂપ વાત છે. અભિનંદન અને સતત પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા. નવીન બેન્કર

    Liked by 1 person

  2. હસવું અને હસાવતા રહેવું . જે લોકો બીજાને હસાવી શકે છે એ બહુ મોટી વાત છે. બાકી બીજાને દુખ પહોંચાડી રડાવનાર લોકોની દુનિયામાં કમી નથી. હાસ્ય લેખક તેની કલમને સહારે લોકોને હસાવી આનંદનો અહેસાસ કરાવે છે એ ગૌરવની વાત કહેવાય. હર હાલમાં ખુશ રહેવું.જે હમેશાં ખુશી આનંદમાં રહે છે તેને અહિયાં અને ઉપર સ્વર્ગના સુખ જેવી અનુભુતી થાય છે.
    દેવિકાબેન, નાટય રુપાંતરમાં હાસ્ય લેખકને સ્વર્ગની અનુભુતી કરાવી બહુજ સુંદર મેસેજ આપ્યો છે.

    Liked by 1 person

  3. અમારા સુ શ્રી દેવિકાબેનને કવયિત્રી , લેખક અને ચિંતક તરીકે માણ્યા હતા. હવે શ્રી રમેશ તન્નાજી
    સાથે નાટય રુપાંતરમાં અમારા માનીતા-ચહીતા હાસ્ય લેખકો સાથે સ્વર્ગની અનુભુતી કરાવવા બદલ અભિનંદન… અમારી દીકરી ચિ યામિનીએ નાટ્ય લેખન કર્યા બાદ સૌએ સુચવ્યું કે આ બધા સંવાદો તેને યાદ હોય તેથી સ્ત્રી પાત્ર તેને જ ભજવવાનું આવ્યું!
    આપ કયું પાત્ર ભજવશો ? વળી સંસ્કારી હાસ્ય નાટક ઓછા છે તો આ નાટક તે ખોટ પુરશે…આપની આ ક્ષેત્રે પ્રગતિ ઇચ્છું છું.
    અમારા બ્લોગ પર રીબ્લોગ કરું છું.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s