દર શનિવારે
પ્રિય નીના,
અ વખતે પત્ર વાંચીને તારી હોશિયારી પર હસી જવાયું! તબિયતની જરા અમસ્તી વાત પૂછી ના પૂછી ત્યાં તો જવાબમાં વય, પ્રેમ અને સાથે સાથે અનેક પ્રશ્નોના જવાબને આબાદ રીતે ગૂંથી લીધા ! અને અસ્સલ હુરતીનો ચમકારો પણ બતાવી દીધો તેં. મઝ્ઝા આવી ગઈ.
ચાલ, આજે પણ મારે એક જુદી જ વાત કરવી છે. જો કે ટોપીક તો આગળના પત્રોના જ છે. એ અંગે કેટલાંક સર્જક મિત્રો સાથેના સુંદર વાર્તાલાપને ટાંકવાનું મન થાય છે. કારણ કે, ખૂબ જરૂરી લાગે છે. આજે એમાંના બે વિશે વાત કરીશ. યાદ છે? અગાઉના એક પત્રમાં મેં મારા બેકયાર્ડમાં ગેસની પાઈપમાંથી થતા ગેસ-લીકની વાત લખી હતી તે? તેના અનુસંધાનમાં મારા એક માનીતા મિત્ર લેખિકા રાજુલબેન કૌશિકે અહીંની ત્વરિત મળતી સર્વીસ વિશે સરસ વાત કરી. તેમના જ શબ્દોમાં લખું છું. તે કહે છે કે, “અમેરિકામાં જે સુપર ફાસ્ટ સર્વીસ છે એનો અમને પણ ખરેખર સરસ અનુભવ થયો છે. એક વાર ગેસ સ્ટેશને ગેસ લેવા ઉભા હતા અને ગેસની ટેંકમાં કોઇ લિકેજના લીધે બધો ગેસ નિકળવા માંડ્યો. ગેસ સ્ટેશનના માલિકે તરત ૯૧૧ પર ફોન કર્યો કારણકે ગેસ સ્ટેશન એ તો સૌથી જોખમી જગ્યા. જો કોઇપણ શરતચૂક થઈ અને આગ લાગે તો તો એ હોનારતની તો કલ્પના જ ભયંકર છે. પાંચ જ મિનિટમાં ફાયર બ્રિગેડ, પોલિસ અને એમ્બ્યુલન્સ હાજર. અત્યંત સાવચેતીથી અમારી ગાડી એમણે સાઇડ પર લેવડાવી અને ગેસ લિક થયા કર્યો ત્યાં સુધી બીજી ગાડી ન આવે એની તકેદારી રાખીને અમારી ગાડી નીચે ગેસ લિકેજ પર રેતીના ઢગલા કરતા ગયા. અંતે બધો જ ગેસ નિકળી ગયા પછી પણ થોડો સમય પણ તેઓ હાજર રહ્યા અને કાર ડીલર અમારી કાર ટૉ કરીને લઈ ગયા ત્યા સુધી સાવચેતી લેવડાવી”.- નીના, આવા સારા દાખલાઓને પ્રકાશમાં લાવવાનું કામ સમાજ-વ્યવસ્થાના સુદ્રઢ વિકાસ માટે જરૂરી નથી લાગતું?
એવી જ એક બીજી વાત શિક્ષણની, અગાઉના પત્રમાં અધૂરી રહી ગયેલી વાત હતી તે માનસિક/શારીરિક રીતે અક્ષમ બાળકોની. તને થશે કે બહુ વખત આ વાત કરી. પરંતુ કોણ જાણે મને શિક્ષણ પધ્ધતિ માટે એ ખુબ મહત્વની લાગે છે. હું એક આપણા ભારતિય બહેનના નિકટના પરિચયમાં છું જે આવા બાળકો સાથે ખુબ જ સ્નેહથી કામ કરી રહ્યાં છે. એમનું નામ શૈલાબેન. તેમના શબ્દોમાં જ કહું તો “અમેરિકા આવ્યે મને લગભગ પંદર વર્ષ થઈ ગયા. ભારતમાં મે બાવીસ વર્ષ માધ્યમિક વિભાગમાં અને તે પણ દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યુ. એટલે સ્વભાવિક જ મારી ઈચ્છા અમેરિકામાં પણ શિક્ષણક્ષેત્રે જવાની જ હતી અને અનાયાસે મને એ તક મળી. ફરક એટલો જ હતો કે અહીં હું છેલ્લા પંદર વર્ષથી માનસિક રીતે મંદ બાળકોને શીખવાડવાનુ કામ કરું છું અને જેમ જેમ આ બાળકોના અનુભવમાં આવતી ગઈ તેમ તેમ એક નવી જ દુનિયા મારી સામે ખુલતી ગઈ. સાવ નોખા પણ અનોખા આ બાળકોએ મને રોજ નવું શિખવ્યું છે અને એમની યાદો, વર્તનને શબ્દોમાં ઉતારવા પ્રોત્સાહિત કરી છે. “પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય,તો આભલે ઉડ્યાં કરૂં, બસ! ઉડ્યાં કરૂં (પિનાકીન ત્રિવેદી) કયું બાળક એવું હશે જેના મનમાં આ કલ્પના નહી જાગી હોય? ઘણીવાર કુદરત કોઈ એવી ચાલ ચાલે છે કે જાણે આ બાળકોની પાંખ કપાઈ ગઈ હોય એવું લાગે છે..”
નીના, આવી તો કંઈ કેટલી યે વાતો તેમના વક્તવ્યમાં/લખાણોમાં આવ્યા જ કરે છે. આમાંથી હું જે કહેવા માંગુ છું તે એ કે, આવી જન્મજાત ખોટવાળા બાળકો માટે અહીં જે વ્યવસ્થા છે તેમાં રહી શિક્ષકોને સ્નેહપૂર્વક સેવા કરવાની વૃત્તિ ખીલે છે અને બાળકોનું ભવિષ્ય થોડું ઉજળું થવાને અવકાશ રહે છે. તો તેવું આપણે ત્યાં છે? જવાબ હા હોય તો આનંદ. પણ ના હોય તો આપણા બૌધ્ધિક રીતે ખરેખર તો આગળ એવા દેશ માટે, પ્રેમને કારણે, દયા ઉપજે છે. એટલે ફરી પાછા આપણે અહીં મનની બારીમાં એક આશાસ્પદ અને હકારાત્મક કિરણને ઉભરવા દઈએ.
આજે પત્ર પૂરો કરતા પહેલાં પ્રકૃતિના સૌંદર્ય વિશે લખવું છે. અષાઢ મહિનો શરુ થવામાં છે. આ વખતે તો અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી દીધી હતી. ઉનાળાના ધોમધખતા તાપથી ત્રાસી ઊઠેલી ધરતીની સ્થિતિ પછી અષાઢનું આ સ્મરણ માત્ર કેવું ભીંજવે!! તો સાથે સાથે કવિ કાલિદાસના ‘મેઘદૂત’ની યાદ પણ ચોક્કસ જ આવે. રવીન્દ્રનાથે ટાગોરે કહ્યું છે તેમ મેઘદૂતના ‘મંદાક્રાન્તા’ના સઘન સંગીતમાં વિશ્વના તમામ વિરહીઓનો શોક ઘોળાયેલો છે. આમે પણ અષાઢ એટલે કાવ્યરસમાં ડૂબી જવાનો મહિનો, ખેડૂતોનો કૃષિકર્મમાં રંગાઈ જવાનો, અને ભક્તોનો ભક્તિમાં ભીંજાઈ જવાનો મહિનો.
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श।।
‘મેઘદૂત’માં કુબેર રાજાનો એક યક્ષ, અષાઢના પ્રથમ દિવસે આકાશમાં ઉમટી આવેલા ઘનઘોર મેઘને જોઈને અત્યંત વ્યાકુળ બની તેને દૂત બનાવી, પ્રેમસંદેશ પોતાની પત્ની સુધી પહોંચાડવા વિનંતી કરે છે. કવિ કાલિદાસે ખૂબ લાલિત્યપૂર્ણ રીતે પ્રકૃતિનું અલૌકિક વર્ણન આ કાવ્યમાં નિરુપ્યું છે. ‘આષાઢસ્ય પ્રથમ દિવસે…’ થી શરૂ થતું ૧૧૭ શ્લોકનું આ મહાકાવ્ય બે હજાર વર્ષથી આપણી સૌંદર્યચેતનાને ઝંકૃત કરતું આવ્યું છે અને એટલે જ સાહિત્યરસિકો દ્વારા અષાઢનો પ્રથમ દિવસ ‘કાલિદાસ જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે.
ચાલ, આજે અહીં અટકું છું. તારા હવે પછીના પત્રમાં, યુકે.ના પેલાં મારા મનમાં વસી ગયેલાં લીલા-પીળાં ખેતરોના સૌંદર્ય વિષે જરૂર લખજે. તબિયત સાચવજે.
દેવીની યાદ.
પિંગબેક: પત્ર ૨૭ | nijanandblog
saras. ghana badha vishayo aavari lidha.
LikeLiked by 1 person
Thank you, Bhonde.
LikeLiked by 1 person
અમેરિકાની સુપરફાસ્ટ સર્વીસના અનુભવો કર્યા પછી, મને હવે ભારતમાં જઈને શેષ જિન્દગી વિતાવવાની ઇચ્છા જ મરી પરવારી છે.
(૨) શૈલાબેન મુન્શા રસપુર્વક, એક સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે. તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા.
(૩) દેવિકાબેન પણ સંસ્કૃતના ગોલ્ડમેડલીસ્ટ હોવાને કારણે, અને પાછા કવયિત્રી હોવાને લીધે, કાલિદાસ અને મેઘદુત ની વાતમાં સારા એવા ખીલ્યા.
નવીન બેન્કર
LikeLiked by 2 people
દેવિકાબહેન, પશ્ચિમના દેશોનુ મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, સુરક્ષા, સલામતી, સ્વચ્છતા વગેરે અનેક બાબતો જોઈએ ત્યારે સ્વાભાવિક રીતે જ ભારત પ્રત્યેના પ્રેમને કારણે કોઈપણ સંવેદનશીલ ભારતિયને એમ થયા વગર ન રહે કે આવું બધું મારા ભારતમાં હોવું જોઈએ. સારી ભાવના હોવી એક વાત છે અને વાસ્તવિકતા બીજી વાત છે. ભારતનુ વાસ્તવિક ચિત્ર જુઓતો સમજાય કે અહીંની પ્રજા ખરેખર સ્વતંત્રતા અને લોકશાહી માટે લાયક નથી. ગુલામી માનસિકતા પંદરસો વર્ષોમાં અહીંના લોહીમાં ઉતરી ચુકી છે અને તેનો ગેરલાભ લેવામાં રાજકિય પક્ષો, ધર્મના ઠેકેદારો અને પ્રેસ જે અસલ સત્તાધીશો છે તેમણે કોઈ મણા નથી મુકી, એક હનુમાનની દેરી જે રાતો રાત રસ્તા વચ્ચે ઉભી કરી દીધી હોય તેને હટાવવતાં હટાવતાં વર્ષોના વર્ષો વહ્યા જાય. જ્યારે પશ્ચિમના દેશોમાં આવા ડેવલપમેટનો પ્રશ્ન હોય અને તેનો લાભ જનતાના સુખાકારી અને સગવડ માટે થતો હોય તો કોઈ તેમાં રોડા અટકાવતું નથી અને કોઈ અટકાવવા પ્રયત્ન પણ કરે તો તેવા લોકો આમ જનતામાં ધિક્કારને પાત્ર બની જતા હોય છે. જ્યારે ભારતમાં આ ધર્મના ઠેકેદારો, વોટ/સત્તા/સંપત્તિના ભુખ્યા પક્ષો, અને પ્રેસ એટલો બધો હોબાળો મચાવે કે જાણે રાષ્ટ્રમાંથી હિન્દુ ધર્મ નેસ્ત નાબુદ થઈ રહ્યો હોય. આ દેશમાં કાંઈ પણ ડેવલપમેન્ટ કરવું અતિ કઠીન છે. અહીંની પરિસ્થિતિઓ અને લોકોની માનસિકતા નહી સુધરે ત્યાં સુધી આપણે સારી ભાવનાઓ જ કર્યે રાખવાની.
LikeLiked by 2 people
શરદભાઈ, આપની વાત એકદમ બરાબર છે કે કોઈપણ સંવેદનશીલ ભારતિયને એમ થયા વગર રહે જ નહિ કે અહીના જેવી શિસ્ત,સ્વચ્છતા વગેરે મારા દેશમાં હોવું જોઈએ. અને એ લાવવુ કેટલું અઘરુ છે તે વાસ્તવિક્તા પણ અછતી નથી. આ બધું પ્રકાશમાં વારંવાર લાવવાનુ કારણ એક અજંપો છતાં આશાસ્પદ અભિગમ.. ખબર નથી ક્યારે કોઈના થકી કંઈક બદલાવ આવે.
LikeLiked by 1 person
દેવિકાબહેન, શિસ્ત,સ્વચ્છતા, અન્ય વ્યવસ્થાઓ તો કાળક્રમે સુધરશે પણ. મને એ વાત ઓછી કઠે છે. સૌથી વધુ તો એ કઠે છે કે આ દેશની જે અસલી ધરોહર છે તેના વિષે ભારતિયો તદ્દ્ન અજાણ છે. વિગ્નાનનો અને આધુનિક ટેકનોલોજીનો આપણી પર એટલો બધો પ્રભાવ છે કે આપણે એ પણ જોઈ નથી શકતા કે તેની આડઅસરો અને ભયસ્થાનો કયા છે. જે સગવડો શરીરને આરામ આપે તે શારિરીક શ્રમના અભાવે રોગોનુ ઘર પણ બની શકે છે. કહે છે ને કે દરેક સુખ ની બીજી બાજુએ દુખ હોય છે. ધીરે ધીરે આપણે માનસિક અને શારિરીક શ્રમની વચ્ચે બેલેન્સ જાળવવાની વાત ભુલી રહ્યા છે. કદાચ એટલેજ ભારતિય મનિષીઓએ જાણવા છત્તાં પણ વિગ્નાનને એક મર્યાદામાં જ વિકસાવ્યું. અહીં ગણિત, ભાષા, ખગોળ, જ્યોતિષ,આયુર્વેદ, તંત્ર, મંત્ર, યંત્ર, સંગિત, નત્ય, ચિત્ર કલા, સ્કલ્પ્ચર, આર્કીટ્રેક્ચર, યોગ, ધ્યાન, પ્રાણાયમ, કાષ્ટ કલા, ધર્મ, ખેતી. રાંધણ કળા જેવા વિષયો પર વધુ ધ્યાન અપાયું અને તે વિષયોમાં આપણે જે આવિષ્કારો કરેલ છે તે આજે પણ અદ્વિતિય છે. ્પરંતુ આપણા આ ગ્નાન વિષે આપણી પેઢીને જ ખબર નથી. આપણા આ શાસ્ત્રો અને તેનુ ગ્નાન આજે મૃતપ્રાય થઈ રહ્યું છે. જરુર છે આ ગ્નાનને પુનર્જીવિત કરવાનુ જે માનવ સુખાકારી માટે ખુબ જ ઊપયોગી છે. મારી વાત પણ અહીં વાંચનારને વાહિયાત લાગશે, તેની મને ખબર છે છત્તાંય લખુ છું.
LikeLiked by 1 person
શરદભાઈ, આપણી પોતાની શક્તિ અને જ્ઞાન તરફની ઉપેક્ષિતતા જ દર્શાવે છે સમાજમાં દ્રઢ થઈ ગયેલી લઘુતા ગ્રંથી અને અજ્ઞાનતા. ઉચિત અનુકરણ વિકાસ તરફ લઈ જાય અને અનુચિત અનુકરણ પાયમાલી તરફ. આપની વ્યથામાં મારા જેવા ઘણા સહભાગિ છીએ. અને એ માટે હાર્યા વગર અથાક મહેનત કરવી પડશે.
અમારા પત્રોમાં આમ જોવા જઈયે તો અમે કાંઈ નવું નથી કહેતા ભારતના ઘણા બુધ્ધિજીવી લોકો પણ આ વ્યથાથી વ્યથિત થઈ ઘણું લખે છે પરંતુ અહીં એક વાત અસામાન્ય એ છે કે આપણે વિચારોની આપ-લે કરી શકીયે છીએ.
આપના આટલા સ્પષ્ટ અભિપ્રાય માટે ધન્યવાદ
નીના
LikeLiked by 1 person
ખુબ સરસ ….
LikeLiked by 2 people
શરદભાઈ, આપના વિચારો સાથે બિલકુલ સંમત છું. મર્યાદાનું મહત્વ કેટલું મોટું છે,કેટલું જરૂરી છે એ જ્ઞાન પુનર્જીવિત થાય તો વિશ્વમાં શાંતિ અને સ્વસ્થતા પથરાય. अति सर्वत्र वर्जयेत् અને excess of anything is dangerous એમાં કહેવાયેલી વાત કેટલી અર્થસભર છે ! આપની સંમતિ સાથે ઉપરોક્ત વિચારોને પત્રમાં આવરી લઈશું. આપનો ખૂબ ખૂબ આભાર. આ રીતે બળ આપતા રહેશો.
LikeLiked by 2 people
ગેસ લીકેજનો સરસ દાખલો આપ્યો છે. ભવિષ્યમાં ક્યારેક ૯૧૧ ના બીજા દાખલા પણ આપજો/
LikeLiked by 2 people
દાવડા સાહેબ, આપના ધ્યાનમાં કે અનુભવમાં એવા કોઈ દાખલા હોય તો જરૂર ઈમેઇલથી જણાવશો. પત્રોમાં સામેલ કરવાનો પ્રયત્ન કરીશું. આપનો ખૂબ આભાર.
LikeLiked by 1 person
Veru nice….lakhta raho…param sakhi ne patra..
LikeLiked by 2 people
સરસ! સાહિત્યની સારી વાનગી સૌને ગમે જ!
LikeLiked by 2 people
“Aashadhasya pratham divase”—thi Meghdootni vatthi mahakavi kalidasni yaad apavi sathe aapano patra sandesh pan amane pahochi gayo. Emailna jamanama loko lakhavanu bhooli na jay etale aapani aa patrashreni ek ati stutya pagalu ganashe. Ame nana (14 thi 23 varshni) hata tyare 10–12 panana patro sakhione lakhata te samay yaad aavi gayo.
LikeLiked by 2 people
khub sundar vaato kahi….
LikeLiked by 2 people
દેવિકાબેન, નીનાબેન,
આપની પત્ર લેખનમાળા નવા નવા ક્ષેત્રનો ઉઘાડ વાચકો સમક્ષ વિકસાવતી રહે છે. સાથે સાથે બીજા કાર્યોને, લેખકોને પ્રોત્સાહિત કરતા રહો છો એ આપનુ સૌજન્ય છે.
મારા અનોખા બાળકોના બાળ અનુભવોના લખાણને દેવિકાબેન હમેશા પ્રોત્સાહન આપતા રહે છે.
બાળક ગમે તે દેશનુ હોય, ગમે તે જાતિ કે વર્ણનુ હોય પ્રેમની ભાષા જ સમજે છે, અને પ્રેમ જ ઝંખે છે, જે હું આપવા પ્રયત્ન કરું છું. વિશેષ તો માનસિક રીતે પછાત બાળકો, જ્યાં ઘણીવાર માતા પિતા અથવા સીંગલ પેરેન્ટ્સ દ્વારા થતી અવગણના અમે અનુભવી શકીએ છીએ.
ભારતમા આવી સગવડોની કમી છે, પણ જાગરૂકતા આવતી જાય છે. મારા ધ્યાનમા એક દાખલો છે, વર્ષો પહેલા, જ્યાં એક ડોક્ટર પતિ અને વકીલ પત્નિની બે બાળકીઓ માનસિક વિકલાંગ જન્મી અને એ દંપતિએ પોતાના દવાખાનામા એક રૂમથી આ બાળકોને શિક્ષણ મળે એની શરૂઆત કરી, આજે છ માળનુ મોટુ મકાન એક શિક્ષણ સંસ્થા ઊભી કરી છે, અને આ બાળકો સ્વ મહેનતે કમાઈ શકે એવું વર્કશોપ ચાલુ કર્યુ છે.
પત્રમાળામાં આવા અવનવા ફુલો ઉમેરાતા રહે અને વાચકો સમક્ષ નવી ક્ષિતીજો વિસ્તરતી રહે, એજ અભિલાષા !!!!!
LikeLiked by 2 people
Sharad Shah says: ‘માનસિક અને શારિરીક શ્રમની વચ્ચે બેલેન્સ જાળવવાની વાત ભુલી રહ્યા છે.”
દેવિકાબેન,- ‘આપના અમૂલ્ય પ્રતિભાવ કલમને વધુ તાકાત આપશે.……..”
‘મર્યાદાનું મહત્વ કેટલું મોટું છે,કેટલું જરૂરી છે એ જ્ઞાન પુનર્જીવિત થાય તો વિશ્વમાં શાંતિ અને સ્વસ્થતા પથરાય.अति सर्वत्र वर्जयेत् અને excess of anything is dangerous એમાં કહેવાયેલી વાત કેટલી અર્થસભર છે ‘
Claps .
These are balanced Statements,imbibing ‘TRUTH’ element derived out of Life EXPERIENCES.
LikeLiked by 3 people
દેવિકાબેન,
શૈલાબેનની વાતમાં હું પણ સંમત છું. મારી એક અંતરંગ સખી સ્વામિનારાયણ સંપ્રદાયના નેજા હેઠળ ચાલતા માનસિક મંદ બાળકો માટેની સંસ્થા સાથે જોડાયેલી છે. થોડા સમય પહેલા એ અહીંના બાળકો માટે કેવી રીતે તેમનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તેના અભ્યાસ માટે આવ્યા હતા જેથી ત્યાં પણ એવા માનસિક મંદ વિકાસ ધરાવતા બાળકો માટે યોગ્ય અને જરૂરી અભ્યાસક્રમનો લાભ આપી શકાય.
બાકી એક વાત કહેવી પડે. તમારા પત્રમાં વાતના અંકોડા એટલી સરસ રીતે ગુંથાયેલા હોય છે કે એક વિષય પરથી બીજા વિષય પર સરી જતી વાત પણ એટલીજ સાહજીક લાગે છે.
આજે અષાઢ્ય પ્રથમ દિવસની વાત કરીને કવિશ્રી કાલિદાસને પણ યાદ કર્યા ત્યારે તો કોનું મન મોર બનીને થનગાટ ના કરે?
LikeLiked by 1 person